(સોનેટ – વસંતતિલકા)
ઉદ્દેશ શું જગતમાં અહીં આવવાનો?
શું પામવાં જનનીનાં પયપાન એવો?
શું લાડ હ્યાં જનકનાં બહુ પામવાનો?
નિર્દોષ એ શિશુવયે બસ ખેલવાનો?
અભ્યાસથી વિવિધ દુન્યવી જ્ઞાનનો શું?
વિદ્યાપીઠે સુલભ પ્રાપ્ત ઉપાધિનો શું?
કે નોકરી નિજતણા વ્યવસાયનો શું?
મિત્રો તથા વિવિધ સંબંધ જોડવા શું?
યા શું જગે જીવનસંગી જ પામવાનો?
સંતાનપ્રાપ્તિ નિજનાં સહુ પાળવાનો?
એને દઈ ભણતરો પરણાવવાનો?
ઘેરાઈને ઘડપણે નિજને રડ્યાનો?
કે પામવાનો પરતત્ત્વ મહાન જેવો?
તે કાજ જે જરૂરનું સઘળું કર્યાનો?
-કવિ કુસુમાયુધ (જયંત જી. ગાંધી)
Your Content Goes Here