દરેક ધર્મનાં મૂલ્યો અને વિચાર એક સમાન છે, પણ મંઝીલ પર પહોંચવાના માર્ગાે કે ક્રિયા ભિન્ન છે. અલબત્ત, યોગને આપણે ધર્મ કરતાં વિજ્ઞાન કહીએ તો પણ દરેક ધર્મના પાયામાં રહેલા જ્ઞાન અને વિજ્ઞાનના વિચારોમાં માનવકલ્યાણની ભાવના સમાન છે. નમાઝની ક્રિયાઓ પણ ઇસ્લામના આદેશ મુજબની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કસરત છે. તે દ્વારા માનસિક તાણ, સાથે હૃદય અને કમરના રોગોમાં અવશ્ય રાહત મળે છે, બ્લડ પ્રેશર સમતુલ રહે છે. યોગ અને નમાઝ બંનેની ઉત્પત્તિના મૂળમાં શારીરિક અને આધ્યાત્મિક તંદુરસ્તી છે. બંને પોતાના સ્થાને સ્વતંત્ર અને આગવી વિચારધારા ધરાવે છે. પણ બંનેના ઉદ્દેશો સમાન છે.

યોગ અને ઇસ્લામની નમાઝનો તુલનાત્મક અભ્યાસ કરવાનો પ્રયાસ વિદ્વાનોએ અનેક વાર કર્યો છે. એવો એક પ્રયાસ ૧૭ જૂન, ૨૦૧૫ના રોજ દિલ્હીમાં થયો હતો. રાજ્ય કક્ષાના સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી શ્રીપાદ યાસ્સૂ નાયકે ‘યોગ એન્ડ ઇસ્લામ’ નામક અંગ્રેજી પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.

૩૨ પૃષ્ઠ અને ૧૨ પ્રકરણની આ નાનકડી પુસ્તિકાનું પ્રકાશન આર. એસ. એસ. સાથે જોડાયેલ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા થયું હતું. તેમાં ‘યોગ ઇઝ નોટ અન ઇસ્લામિક’, ‘ઓબ્જેક્ટીવ્ઝ આૅફ યોગા ઇઝ નોટ સ્પ્રેડ હિંદુ રીલીજીયન’, ‘નમાઝ ઇઝ વન સોર્ટ આૅફ યોગા આસન’ અને ‘યોગા ઇઝ નોટ અનનોન ટુ મુસ્લિમ’ જેવાં પ્રકરણોમાં નમાઝની ક્રિયાઓ સાથે યોગનાં આસનોની સામ્યતા દર્શાવવામાં આવી છે. જો કે આ પુસ્તિકાની કેટલીક બાબતોનો મુસ્લિમ ધર્મગુરુઓએ વિરોધ કર્યો હતો.

યોગને ઇસ્લામની નમાઝની ક્રિયા સાથે સરખાવવાનો આ પ્રથમ પ્રયાસ ન હતો. આ પહેલાં પણ આ વિષય પર વડોદરાના અશરફ એફ નિઝામીએ ‘નમાઝ, ધી યોગા આૅફ ઇસ્લામ’ નામક પુસ્તક ૧૯૭૭માં પ્રકાશિત કર્યંુ હતું. તેમાં નમાઝની વિવિધ ક્રિયાઓને યોગનાં આસનો સાથે સરખાવવામાં આવી હતી. એ પછી તેમણે રાયપુરમાં યોજાયેલ ‘National Yoga Convention’-માં ‘Synthesis Namaz and Yoga’ વિષયક સંશોધનપત્ર ૩ ઓગસ્ટ, ૧૯૮૧ના રોજ રજૂ કર્યું હતું. તેમાં તેમણે નમાઝની કુલ સાત અવસ્થાઓને યોગનાં આસનો સાથે સરખાવી અને ઇબાદતમાં એકાગ્રતા લાવવામાં તેમની ભૂમિકા સમજાવી હતી. તેમણે પોતાના સંશોધનપત્રમાં રજૂ કરેલ વિગતો જાણવા જેવી છે. તેઓ પોતાના શોધપત્રના આરંભમાં લખે છે, ‘એરેબીક ભાષામાં નમાઝને ‘સલાહ’ કહે છે. સલાહ શબ્દ ‘સીલા’ પરથી આવ્યો છે. તેનો અર્થ થાય છે મુલાકાત કે મળવું. એ અર્થમાં નમાઝ એટલે ખુદા સાથેની મુલાકાત. નમાઝની ક્રિયામાં ખુદાનો બંદો ખુદા પાસે પોતાની કેફિયત રજૂ કરે છે અને ખુદા તેનો સ્વીકાર કરે છે.’

નમાઝ હઝરત મહંમદ સાહેબે ખુદાની ઇબાદત માટે આપેલ ક્રિયા છે. પાંચ સમયની અર્થાત્ ફજર (સૂર્યોદય પહેલાં પ્રભાત), ઝોહર (બપોર), અશર (સાંજ), મગરીબ (સૂર્યાસ્ત પછી) અને ઈશા (રાત્રીની નમાઝ) દરેક મુસ્લિમ માટે ફરજિયાત છે. દરેક નમાઝમાં રકાત હોય છે.

એક રકાતમાં સાત શારીરિક ક્રિયા કરવાની હોય છે. એ સાત ક્રિયાઓને ૧. કીયામ ૨. રુકુ ૩. કોમાહ ૪. સજદા ૫. જલસા ૬. કદાહ અને ૭. સલામ કહે છે. જો કે આમ તો સાચા અર્થમાં જોઈએ તો નમાઝની આઠ ક્રિયાઓ છે. ૧. તકબીર ૨. કીયામ ૩. રુકુ ૪. કોમાહ ૫. સજદા ૬. જલસા ૭. કદાહ અને ૮. સલામ. પણ શારીરિક કસરતની દૃષ્ટિએ સાત ક્રિયાઓ મહત્ત્વની છે.

તેમાં કીયામ સૌ પ્રથમ છે. કીયામમાં બંને હાથ નાભિ પર બાંધી નીચી નજર રાખી સીધા ઊભા રહેવું. એ પછીની ક્રિયા રુકુમાં કમરેથી વાંકા વળી બંને હાથ ઘૂંટણ પર રાખવા અને નજર બંને પગની વચ્ચે નીચે રાખવી. ‘રુકુ’ની સ્થિતિને યોગના અર્ધ ‘ઉત્તરાસન’ અથવા અર્ધ શીર્ષાસન સાથે સરખાવી શકાય છે. એ પછી કોમાહમાં ફરી વાર ઊભા થઈ સંપૂર્ણ શાંત અને એકાગ્ર ચિત્તે ઊભા રહેવાનું છે. પછી ‘સજદા’માં જવાનું છે. નમાઝમાં ‘સિજદા’ની ક્રિયા એક વિશિષ્ટ અવસ્થા છે. તેમાં બંને ઘૂંટણ અને બંને હાથની હથેળીઓ સાથે પેશાની એટલે કે કપાળ અને નાકને જમીન પર ટેકવવામાં આવે છે. તેને નમાઝમાં ‘સિજદો’ કહેવામાં આવે છે. યોગના સંદર્ભમાં આ સ્થિતિને ‘બાલાસન’ અથવા અર્ધ શીર્ષાસન પણ કહી શકાય છે. નમાઝમાં બે વાર સિજદો કરવામાં આવે છે. સિજદા પછીની અવસ્થા ‘જલસા’ની છે. ‘જલસા’ અર્થાત્ બંને પગ ઘૂંટણથી વાળી બંને હાથ ઘૂંટણ પર રાખી, નજર નીચી રાખી, ટટ્ટાર બેસવાની ઇસ્લામિક સ્થિતિ. મેડીટેશન માટેની આ ઉત્તમ સ્થિતિ છે. તેને યોગના સંદર્ભમાં ‘વજ્રાસન’ સાથે સરખાવી શકાય. અને એ પછીની સલામની ક્રિયા છે. તેમાં નજર બંને ખભા ૫૨ રાખી મસ્તકને જમણી અને ડાબી બાજુ ફેરવવામાં આવે છે. નજર અને ગરદનને તેથી કસરત મળે છે.

આ પ્રમાણે પાંચ સમયની માત્ર ફર્ઝ નમાઝ અદા કરતી વખતે દરેક મુસ્લિમ ઉપર મુજબની રોજ ૧૯૯ વાર શારીરિક ક્રિયા (કસરત) કરે છે. સમગ્ર માસ દરમિયાન કુલ ૩૭૫૦ શારીરિક ક્રિયા કે કસરત દરેક મુસ્લિમ નમાઝ અદા કરતી વખતે કરે છે. આમ સમગ્ર વર્ષ દરમિયાન ૪૨,૮૪૦ વાર તે પાંચ સમયની નમાઝ અદા કરતી વખતે શારીરિક ક્રિયા કે કસરત કરે છે. માનવીનું આયુષ્ય સરેરાશ ૫૦ વર્ષનું ગણીએ તો ૧૦ વર્ષની ઉંમરથી તેણે નમાઝ પઢવાનું શરૂ કર્યું હોય તો તે પોતાના આયુષ્ય દરમિયાન ૧,૭૧૩,૬૦૦ વાર આંગિક ક્રિયા કે કસરત નમાઝ દરમિયાન કરે છે. પરિણામે નિયમિત નમાઝ પઢનાર મુસ્લિમ શારીરિક, માનસિક કે આધ્યાત્મિક રીતે હંમેશાં તંદુરસ્ત રહે છે અને એટલે જ કુરાને શરીફ (૨૬.૪૫) માં કહ્યું છે,

‘પાબંધ નમાઝી શારીરિક માંદગી કે માનસિક વ્યથાઓથી ક્યારેય પીડાતો નથી.’

(‘પ્રબુદ્ધ જીવન’, ફેબ્રુઆરી, ૨૦૧૮માંથી સાભાર ગૃહીત.)

Total Views: 305

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.