ઊર્ધ્વીકરણનો અર્થ છે શુદ્ધિકરણ તેમજ વિસ્તારીકરણ ધર્મદૃષ્ટિ જેમ જેમ શુદ્ધ થાય અને શુદ્ધ કરાય તેમ જ તેનો વિસ્તાર થાય અર્થાત્ માત્ર વ્યક્તિગત ન રહેતાં તેનું જેમ જેમ સામુદાયિક રૂપ નિર્માણ થાય, તેમ તેમ તેનું ઊર્ધ્વીકરણ થાય છે એમ સમજવું જોઈએ. એને જ Sublimation કહેવામાં આવે છે.

જિજીવિષા યા જીવનવૃત્તિ અને ધર્મદૃષ્ટિ એ બંને પ્રાણીમાત્રમાં સહભૂ અને સહચારી છે. ધર્મદૃષ્ટિ વિના જીવનવૃત્તિ સંતોષાતી નથી અને જીવનવૃત્તિ હોય તો જ ધર્મદૃષ્ટિનું અસ્તિત્વ સંભવે છે. આમ છતાં મનુષ્ય અને ઈતર જીવજગત વચ્ચેની સ્થિતિ નોખી નોખી છે. પશુ- પક્ષી અને કીડી–ભ્રમર જેવી અનેક પ્રાણીજાતિઓમાં આપણે જોઈએ છીએ કે તે તે પ્રાણી માત્ર પોતાના દૈહિક જીવન અર્થે જ પ્રવૃત્તિ નથી કરતું, પણ તે પોતપોતાના નાના-મોટા જૂથ, દળ કે વર્ગ માટે કાંઈ ને કાંઈ કરે જ છે. આ એની એક રીતે ધર્મવૃત્તિ થઈ. પણ આ ધર્મવૃત્તિના મૂળમાં જાતિગત પરંપરાથી ચાલ્યો આવતો એક રૂઢ સંસ્કાર હોય છે; એની સાથે એમાં સમજણ કે વિવેકનું તત્ત્વ વિકસ્યું નથી હોતું; એની શક્યતા પણ નથી હોતી; તેથી એ ધર્મવૃત્તિને ધર્મદૃષ્ટિની કોટિમાં મૂકી ન શકાય.

મનુષ્યપ્રાણી જ એવું છે જેમાં ધર્મદૃષ્ટિનાં બીજો સ્વયંભૂ રીતે પડેલાં છે. એવાં બીજોમાં એની જ્ઞાન અને જિજ્ઞાસાવૃત્તિ, સંકલ્પશક્તિ અને સારા-નરસાનો વિવેક કરવાની શક્તિ, તેમ જ ધ્યેયને સિદ્ધ કરવાનો પુરુષાર્થ, આ મુખ્ય છે. મનુષ્ય જેટલું ભૂતકાળનું સ્મરણ અન્ય કોઈ પ્રાણીમાં નથી. એના જેટલો ભૂતકાળનો વારસો સાચવવાની અને આગલી પેઢીઓને એ વારસો વધારા સાથે આપવાની કળા પણ કોઈમાં નથી. તે એકવાર કાંઈ પણ કરવાનો સંકલ્પ કરે તો તે સાધે જ છે, અને પોતાના નિર્ણયોને પણ, ભૂલ જણાતાં, બદલે અને સુધારે છે. એના પુરુષાર્થની કોઈ સીમા જ નથી. તે અનેક નવાંનવાં ક્ષેત્રોને ખોળે અને ખેડે છે. મનુષ્યજાતિની આ શક્તિ તે જ તેની ધર્મદૃષ્ટિ છે.

પરંતુ મનુષ્યજાતિમાં અત્યારે ધર્મદૃષ્ટિના વિકાસની જે ભૂમિકા જણાય છે તે એકાએક સિદ્ધ થઈ નથી. આનો સાક્ષી ઈતિહાસ છે. એડવર્ડ કેર્ડ નામના વિદ્વાને ધર્મવિકાસની ભૂમિકાઓનો નિર્દેશ ટૂંકમાં આ રીતે કર્યો છે : “We look out before we look in, and we look in before we look up.” ડૉ. આનંદશંકર ધ્રુવે એનું ગુજરાતી આ રીતે કર્યું છે : ‘પ્રથમ બર્હિદૃષ્ટિ, પછી અંર્તદૃષ્ટિ અને છેવટે ઊર્ધ્વદૃષ્ટિ; પ્રથમ ઈશ્વરનું દર્શન બાહ્ય સૃષ્ટિમાં થાય, પછી અંતરઆત્મામાં (કર્તવ્યનું ભાન વગેરેમાં) થાય અને છેવટે ઉભયની એકતામાં થાય.’ જૈન પરિભાષામાં એને બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની અવસ્થા કહી શકાય.

મનુષ્ય કેવોય શક્તિશાળી કેમ ન હોય, પણ તે સ્થૂલમાંથી અર્થાત્ દ્રવ્યમાંથી સૂક્ષ્મમાં અર્થાત્ ભાવમાં પ્રગતિ કરે છે. ગ્રીસમાં શિલ્પ, સ્થાપત્ય, કાવ્ય, નાટક, તત્ત્વજ્ઞાન, ગણિત આદિ કળાઓ અને વિદ્યાઓનો એક કાળે અદ્‌ભુત વિકાસ થયેલો. એવે વખતે જ એક વ્યક્તિમાં અકળ રીતે ધર્મદૃષ્ટિ, માણસજાતને આંજી દે એટલા પ્રમાણમાં વિકસી. એ સોક્રેટિસે કળાઓ અને વિદ્યાઓનું, મૂલ્ય જ ધર્મદૃષ્ટિના ગજથી બદલી નાખ્યું અને એની એ ધર્મદૃષ્ટિ આજે તો ચોમેર સત્કારાય છે.

યહોવાહે મૂસાને આદેશ આપ્યો ત્યારે એ માત્ર યહૂદી લોકોના સ્થૂલ ઉદ્ધાર પૂરતો હતો અને બીજી સમકાલીન જાતિઓનો એમાં વિનાશ પણ સૂચવાતો હતો. પરંતુ એ જ જાતિમાં ઈસુ ખ્રિસ્ત પાક્યો અને ધર્મદૃષ્ટિએ જુદું જ રૂપ લીધું, ઈસુએ ધર્મની બધી જ આજ્ઞાઓને અંદર અને બહારથી શોધી તેમ જ દેશ-કાળના ભેદ વિના સર્વત્ર લાગુ કરી શકવા જેવી ઉદાત્ત બનાવી. આ બધા પહેલાં પણ ઈરાનમાં જરથુસ્તે નવું દર્શન આપેલું, જે અવેસ્તામાં જીવિત છે. અંદરોઅંદર લડી મરતા અને જાતજાતના વહેમના ભોગ બનેલા આરબ કબીલાઓને સાંધવાની અને કાંઈક વહેમમુક્ત કરવાની ધર્મદૃષ્ટિ મહંમદ પેગંબરમાં વિકસી.

પરંતુ ધર્મદૃષ્ટિના વિકાસ અને ઊર્ધ્વીકરણની મુખ્ય કથા તો મારે ભારતીય પરંપરાઓને અવલંબી દર્શાવવાની છે. વેદોનાં ઉષસ્, વરુણ અને ઈન્દ્ર આદિ સૂક્તોમાં કવિઓની સૌંદર્યદૃષ્ટિ, પરાક્રમ પ્રત્યેનો અહોભાવ અને કોઈદિવ્ય શક્તિ પ્રત્યેની ભક્તિ જેવાં મંગળ તત્ત્વો વાંચીએ છીએ, પણ એ કવિઓની ધર્મદૃષ્ટિ મુખ્યપણે સકામ છે. તેથી જ તેઓ દિવ્ય શક્તિ પાસેથી પોતાની, પોતાના કુટુંબની અને પશુ આદિ પરિવારની આબાદીની માગણી કરે છે અને બહુ બહુ તો લાંબું જીવન પ્રાર્થે છે. સકામતાની આ ભૂમિકા બ્રાહ્મણકાળમાં વિકસે છે. તેમાં ઐહિક ઉપરાંત પારલૌકિક ભોગ સાધવાના નવાનવા માર્ગો યોજાય છે.

પરંતુ, આ સકામ ધર્મદૃષ્ટિ સમાજને વ્યાપી રહી હતી તેવામાં જ, એકાએક ધર્મદૃષ્ટિનું વલણ બદલાતું દેખાય છે. કોઈ તપસ્વી યા ઋષિને સૂઝ્યું કે આ બીજા લોકના સુખભોગો વાંછવા અને તે પણ પોતાપૂરતા અને બહુ બહુ તો પરિવાર યા જનપદપૂરતા, તેમજ બીજા કરતાં વધારે ચડિયાતા, તો આ કાંઈ ધર્મદૃષ્ટિ કહેવાય નહિ. ધર્મદૃષ્ટિમાં કામનાનું તત્ત્વ હોય તો તે એક અધૂરાપણું જ છે. આ વિચારમાંથી નવું પ્રસ્થાન શરૂ થયું અને એનો જાદુ વ્યાપક બન્યો. ઈ.સ. પહેલાંના આઠસો કે હજાર વર્ષ જેટલા જૂના યુગમાં અકામ ધર્મદૃષ્ટિના અનેક અખતરા થતા દેખાય છે. ઉપનિષદો એ જ ધર્મદૃષ્ટિનું વિવરણ કરે છે. જૈન, બૌદ્ધ આદિ સંઘોનો તો પાયો જ એ દૃષ્ટિમાં છે. આ અકામ ધર્મદૃષ્ટિ એ અંતરાત્મદૃષ્ટિ યા ધર્મવિકાસની બીજી ભૂમિકા છે. આમાં મનુષ્ય પ્રથમ પોતાની જાતને શુદ્ધ કરવાનો પ્રયત્ન ક્રરે છે અને સમગ્ર વિશ્વ સાથે તાદાત્મ્યભાવ કેળવવા મથે છે. આમાં ઐહિક અને પારલૌકિક એવા કોઈ સ્થૂલ ભોગની વાંચ્છાનો આદર છે જ નહિ.

કુટુંબ અને સમાજમાં નિષ્કામતા સાધી ન શકાય, એ વિચારમાંથી એકાંતવાસ અને અનગારભાવની વૃત્તિ બળ પકડે છે. અને આવી વૃત્તિ એ જ જાણે નિષ્કામતા હોય યા વાસના વૃત્તિ હોય એવી રીતે એની પ્રતિષ્ઠા જામે છે. કામતૃષ્ણાની નિવૃત્તિ યા શુદ્ધીકરણનું સ્થાન મુખ્યપણે પ્રવૃત્તિત્યાગ જ લે છે; અને જાણે જીવન જીવવું એ એક પાપ કે શાપ હોય તેવી મનોવૃત્તિ સમાજમાં પ્રવેશે છે. આવે વખતે વળી અકામ ધર્મદૃષ્ટિનું સંસ્કરણ થાય છે. ઈશાવાસ્ય ઘોષણા કરે છે કે આખું જગત આપણા જેવા ચૈતન્યથી ભરેલું છે, તેથી જ્યાં જશો ત્યાં બીજા પણ ભોગીઓ તો છે જ. વસ્તુભોગ એ કોઈ મૂળગત દોષ નથી, એ જીવન માટે અનિવાર્ય છે. એટલું જ કરો કે બીજાની સગવડનો ખ્યાલ રાખી જીવન જીવો અને કોઈના ધન પ્રત્યે ન લોભાઓ. પ્રાપ્ત કર્તવ્ય કર્યે જાઓ અને જીવાય તેટલું જીવવા ઇચ્છો. આમ કરવાથી નથી કોઈ કામતૃષ્ણાનું બંધન નડવાનું કે નથી બીજો કોઈ લેપ લાગવાનો. ખરેખર, ઈશાવાસ્યે નિષ્કામ ધર્મદૃષ્ટિનો અંતિમ અર્થ દર્શાવી મનુષ્યજાતને ધર્મદૃષ્ટિના ઊર્ધ્વીકરણ તરફ પ્રયાણ કરવામાં ભારે મદદ કરી છે. ગીતાના ભવ્ય મહેલનો પાયો ઈશાવાસ્યની જ સૂઝ છે.

મહાવીરે તૃષ્ણાદોષ અને તેમાંથી ઉદ્‌ભવતાં બીજા દોષો નિર્મૂળ કરવાની દૃષ્ટિએ મહતી સાધના કરી. બુદ્ધે પણ પોતાની રીતે એવી જ સાધના કરી. પરંતુ સામાન્ય સમાજે એમાંથી એટલો જ અર્થ ઝીલ્યો કે તૃષ્ણા, હિંસા, ભય આદિ દોષો ટાળવા. લોકોની દોષો ટાળવાની વૃત્તિએ આ ન કરવું, તે ન કરવું, એવા અનેકવિધ નિવર્તક યા નકારાત્મક ધર્મો પોષ્યા, વિકસાવ્યા અને વિધાયક-ભાવાત્મક ધર્મ વિકસાવવાની બાજુ લગભગ આખા દેશમાં ગૌણ બની ગઈ. આવી દશા હતી ત્યારે જ વળી મહાયાનભાવના ઉદયમાં આવી. અશોકના ધર્મશાસનમાં એનું દર્શન થાય છે. પછી તો અનેક ભિક્ષુકો પોતપોતાની રીતે એ ભાવના દ્વારા પ્રવર્તક ધર્મો વિકસાવ્યે જતા હતા. છઠ્ઠા સૈકાના ગુજરાતમાં થયેલ શાંતિદેવે તો ત્યાં સુધી કહી દીધું કે દુનિયા દુઃખી હોય અને મોક્ષને ઝંખીએ, એવો અરસિક મોક્ષ શા કામનો? મધ્યકાળ અને પછીના ભારતમાં અનેક સંતો, વિચારકોનાં જીવનમાં ધર્મદૃષ્ટિનું જે ઊર્ધ્વીકરણ જોયું છે, અને અત્યારે પણ જોઈએ છીએ, તે અત્યાર લગી વિશ્વમાં થયેલ ધર્મદૃષ્ટિના વિકાસનું સર્વોપરી સોપાન હોય એમ જણાયા વિના રહેતું નથી.

(દઅચિં. ભાગ-૧, પૃ. ૭૨-૭૫)

Total Views: 126

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.