મોતી લેણા ગોતી
દલ દરિયા મેં ડૂબકી દેણા,
મોતી રે લેણા ગોતી એ જી જી.
ખારા સમદર મેં છીપ બસત હે,
ભાત ભાતરાં મોતી એ જી,
એ મોતી કોઈ મરજીવા માણે,
નહીં પુસ્તક, નહીં પોથી રે. – દલ.
મુખા કમળ પર મરઘા કમળ હે,
તા પર ગંગા હોતી એ જી,
તન કર સાબુ, મન કર પાણી,
ધોઈ લેણા હરદારી ધોતી રે. – દલ.
રણુંકા૨ મેં ઝણુંકાર હે,
ઝણુંકાર મેં જ્યોતિ એ જી,
એ જ્યોતિ અભેપદ હોતી,
વહાં હે એક મોતી રે. – દલ.
નવ દુવારા, દસમી ખડકી,
ખડકી મેં એક ખડકી એ જી,
એ ખડકી કોઈ સતગુરુ ખોલે
કૂંચી ઉનરા ઘરકી રે. – દલ.
ડાબી ઇંગલા, જમણી પીંગલા,
નુરત સુરત કર જોતી,
દેવ ડુંગરપુરી બોલિયા,
હું હરખે હાર પરોતી. –
દલ દરિયામેં ડૂબકી દેણા,
મોતી રે લેણા ગોતી.
દિલના દરિયામાં ડૂબકી મારો અને આત્મજ્ઞાનરૂપી મોતી હાથ કરી લો.
સત કેરી વાણી
‘ખારા સમદર મેં છીપ’– અસાર લાગતા આ સંસારમાં દેહરૂપી છીપ મળેલ છે. એ છીપમાં મોતી સમી – અનેક જાતની કીમતી વસ્તુઓ પડી છે. પણ જીવનની સાધના દ્વારા જે ઝંપલાવે છે એ જ પરમ મોતી જેવી સારવસ્તુ – આત્મદર્શનને પામે છે. પુસ્તક – પોથાં – માત્ર શાસ્ત્ર – પુરાણો વાંચવાથી આ મોતી હાથ આવતું નથી.
પોતાની અંદર જ શોધ કરી અનેક રત્નોમાંથી પારસમણિને મેળવી લેવાનું એક રામપ્રસાદી ભજન છે:
‘આપના તે આપત્તિ થેકો, મન જેઓ ના કારુ ઘરે,
કતો મણિ પડે આછે આમાર ચિંતામણિર નાચદુયારે.’
(તું પોતે જ પોતાની અંદર રહે, મન, તું કોઈને ઘેર જ્યાં ત્યાં ભટકતું નહીં. મારા ચિંતામણિને આંગણે અનેક મણિ પડ્યા છે.)
પોતાની અંદર જ ડૂબકી મારી પરમ રત્નને પ્રાપ્ત કરવાની હાકલ કરતું એક બાઉલ ગીત છે:
‘ડૂબ ડૂબ ડૂબ રૂપસાગરે આમાર મન,
તલાતલ પાતાલ – ખોંજલે પાબિરે પ્રેમરત્ન ધન.’
(હે મારા મન, તું રૂપસાગરમાં – અવ્યક્ત જગતમાં જ ઊંડે ઊંડે ડૂબકી માર. તારી અંદર સાત પાતાળ તું શોધી વળીશ તો એમાં જ તને પ્રેમનું અમૂલ્ય રત્ન મળી આવશે.)
‘મુખા કમળ પર’ – મુખકમળ ઉપર મરઘાકમળ – નેત્રોરૂપી કમળ છે. અને એ બે નેત્રો વચ્ચે, ભ્રૂમધ્યમાં ગંગા – પવિત્ર જ્ઞાનનું કેન્દ્ર, આજ્ઞાચક્ર છે. એ જ્ઞાનના પ્રવાહમાં હૃદયની ધોતી ધોઈ લે, નિર્મળ બની જા.
‘રણુંકાર મેં’ – નામજપમાં તારા રોમેરોમ જ્યારે રણકાર કરી ઊઠશે ત્યારે તેમાંથી જ અનહદ નાદનો ઝણકા૨ જાગશે. એ નાદમાં જ તને જ્યોતિનાં દર્શન થશે. એ જ્યોતિ અભયપદ, પરમપદ દર્શાવે છે અને ત્યાં આત્માનું સ્વચ્છ મોતી પ્રકાશે છે.
‘નવ દુવારા, દસમી ખડકી’ – આ દેહનાં નવ દ્વાર ઉપરાંત મૂલાધારમાં સુષુમ્ણાનું દશમું દ્વાર છે. આ દેશમા દ્વારમાં પણ કુંડલિની જ્યારે ઊંચે ચડે છે ત્યારે ‘ખડકી મેં એક ખડકી’ – બ્રહ્મરન્ધ્રનું સૂક્ષ્મ દ્વાર ખૂલે છે. પણ તેને ખોલવાનું રહસ્ય તો કોઈ સતગુરુ જાણે છે.
ડુંગરપુરી કહે છે કે ડાબી ઈંગલા – ચન્દ્રનાડી, જમણી પિંગલા – સૂર્યનાડી આ બંનેમાં વહેતા પ્રાણના પ્રવાહને તલ્લીનતાથી નીરખીને હું તેને આનંદથી સુષુમ્ણામાં પરોવું છું.
Your Content Goes Here