આજે વિદાયટાણે
કંઈ જ કહેવું નથી
ને ઘણું કહેવું છે!
કૃષ્ણએ કહેલી ગીતાના
કોઈ એક શ્લોકને ઉગાડજો તમારા શ્વાસમાં.
વૃક્ષની ડાળે બેઠેલા પંખીની
આંખ જ માત્ર
જોઈ હતી અર્જુને
બને તો લઈ આવજો અર્જુનની એ આંખ
દેશની ભાવિ પેઢી માટે
કહેવાય છે કે –
કર્ણના દ્વારેથી
કોઈ ખાલી હાથે પાછું ફર્યું નહોતું,
-તો બને તો
એ હાથ
આવતી કાલને હાથ લાગે
એવું કંઈ ઊભું કરજો.
શ્વાન વિના સ્વર્ગે ન પ્રવેશવાની
યુધિષ્ઠિરની એ વાતને
ફેરવી નાખજો વિશ્વની આઠમી અજાયબીમાં.
પાનું ફાડવાથી
હકીકત અદૃશ્ય થાય છે
તેનો લોપ થતો નથી.
અને એટલે જ..
મેરી માગ્દાલેનોને મારવા
ઉગામેલા તમારા હાથને
એ જ પથ્થરથી છૂંદજો
તમે ચીસ પાડી ઊઠશો…
જાણજો કે લોહીનો રંગ લાલ હોય છે, દોસ્તો!
અને એમાં નથી ચાલતી કોઈ ભેળસેળ
ભેળસેળનો પર્યાયવાચી શબ્દ
આ જમાનાએ ‘શુદ્ધ’ ગણ્યો છે!
અને યુદ્ધ એની સામે જ હોઈ શકે!
(જો હોય તો)
એટલે જ ક્યારેય બનાવટી કરોળિયા થઈ
કોઈનીયે ગુફાના દ્વારે
જાળાં તો ન જ ગૂંથશો….
અને આમ કરવા માટે, દોસ્તો,
છીનવી લેજો સૂર્યની પ્રખર રોશનીને
એ જ આ સમયનો તકાદો છે!
વિદાય ટાણે કંઈ જ કહેવું નથી
ને ઘણું કહેવું છે!
– જોસેફ મેકવાન
Your Content Goes Here