સ્વામીજીના પ્રશ્નોત્તરીના એક વર્ગ દરમિયાન વાતચીત અધિકારવાદ તરફ, એટલે કે ખાસ હક્કો અને અધિકારોના વિષય તરફ વળી. આથી તેમાંથી જે અનિષ્ટો નીપજ્યાં છે તે દર્શાવી આપતાં સ્વામીજી નીચેની મતલબનું બોલ્યાઃ

પ્રાચીન કાળના ઋષિઓ પ્રત્યે મને પૂરેપૂરું માન હોવા છતાં લોકોને ઉપદેશ આપવાની તેમની પદ્ધતિની ઝાટકણી કાઢ્યા વિના મારાથી રહેવાતું નથી. તેમણે હંમેશાં લોકોને અમુક બાબતો કરવાનો આદેશ આપ્યો પરંતુ તેનું કારણ સમજાવવાની કદી પણ કાળજી ન રાખી. પદ્ધતિ ઠેઠ હાર્દ સુધી હાનિકારક નીવડી; માણસોને ધ્યેયે પહોંચવામાં શક્તિશાળી બનાવવાને બદલે તેણે તેમના ખભા પર નિરર્થક શબ્દજાળનો ટોપલો મૂકી દીધો. ધ્યેયને લોકોની નજર સામેથી ગુપ્ત રાખવામાં એ ગુરુઓનો બચાવ એવો હતો કે જો અમે લોકોની સમક્ષ તે ધ્યેયને રજૂ કર્યું હોત તોપણ તેઓ તેનો સાચો અર્થ સમજી શકયા ન હોત, કારણ કે લોકો તેના યોગ્ય અધિકારી ન હતા. આ અધિકારવાદ નર્યા સ્વાર્થનું પરિણામ છે, કારણ કે ઋષિઓ જાણતા હતા કે પોતાના ખાસ વિષયમાં લોકોને પ્રકાશ આપવાથી લોકોના ગુરુ બનવાની પોતાની ચડિયાતી સ્થિતિ ચાલી જવાની. એ કારણે અધિકારવાદને ટેકો આપવાનો તેમનો પ્રયત્ન હતો! તમે કોઈ વ્યક્તિને જો આ ઉપદેશો પ્રાપ્ત કરવાને માટે બહુ જ નબળો ગણતા હો તો તેને શીખવવાનો—તેને કેવળવવાનો તમારે ઊલટો વધુ પ્રયાસ કરવો જોઈએ કે જેથી તે વધુ સૂક્ષ્મ પ્રશ્નોને સમજી શકે. આ અધિકારવાદના હિમાયતીઓએ માનવ આત્માની અનંત શકયતાઓની જબરજસ્ત હકીકતને ધ્યાનમાં લીધી નહીં. જો જ્ઞાન મનુષ્યને તેની પોતાની ભાષામાં આપવામાં આવે તો દરેક માણસ તે પ્રાપ્ત કરવાને લાયક હોય છે. જે ઉપદેશક બીજાઓને સંપૂર્ણ રીતે સમજાવી ન શકે, તેણે ઉચ્ચ જ્ઞાન તમારા માટે નથી એવો ખોટો બચાવ ઊભો કરીને લોકોને ગાળો દેવી અને તેમને અજ્ઞાન અને વહેમના ખાડામાં સબડવા દેવા કરતાં તેમની પોતાની ભાષામાં તેમને સમજાવી શકવાની પોતાની જ અશક્તિ પર આંસુ સારવાં ઘટે. નિર્બળ લોકોને એ ગૂંચવશે એવો જરાય ડર રાખ્યા વિના તમે બહાદુરીથી સત્ય કહી નાખો. માણસો સ્વાર્થી હોય છે; બીજાઓ ઉપરનું પોતાનું વર્ચસ્વ અને પ્રતિષ્ઠા ખોઈ બેસવાના ભયથી તેઓ પોતાના જ્ઞાનની સમાનતાએ બીજાઓને આવવા દેવા નથી માગતા. તેઓ એમ કહેવા માગે છે કે સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યોનું જ્ઞાન નબળા મનના માણસોની સમજશક્તિમાં ગોટાળો ઊભો કરશે; અને એમ કહીને તેઓ આ શ્લોક ટાંકે છે –

न बुद्धिभेदं जनयेदज्ञानां कर्मसङ्गिनाम्।

योजयेत्सर्वकर्माणि विद्वान्युक्तः समाचरन्॥

‘કર્મોમાં આસક્તિવાળા અજ્ઞાની જનોની બુદ્ધિમાં જ્ઞાની પુરુષે ભ્રમ ઉત્પન્ન કરવો નહીં; પરંતુ પોતે (પરમાત્મામાં) યુક્ત રહીને, કર્મ કરતા રહીને, તેમને કર્મમાં લગાડવા.’ (ગીતા, ૩.૨૬)

પ્રકાશ વધુ અંધકાર લાવે છે એવા પરસ્પર વિરોધી વિધાનમાં હું માની શકતો નથી. એ તો સચ્ચિદાનંદના સાગરમાં, નિર્ગુણ સત્તામાત્રના—અમૃતત્વના મહાસાગરમાં ડૂબી મરવા જેવું છે. કેવું મૂર્ખાઈભર્યું! જ્ઞાનનો અર્થ છે, અજ્ઞાન જે ભૂલો કરાવે તેમાંથી મુક્તિ અને જ્ઞાન ભૂલનો રસ્તો તૈયાર કરે? પ્રકાશ અંધકારમાં લઈ જાય? શું એ શકય છે? લોકોમાં પોતાની પ્રતિષ્ઠા ખોવાના ડરથી મનુષ્યો દીવા જેવું સત્ય બોલવાની હિંમત કરતા નથી. તેઓ એક બાજુ સાચાં અને શાશ્વત સત્યોની તથા બીજી બાજુ લોકોના અક્કલહીન પૂર્વગ્રહોની વચ્ચે એક જાતનું સમાધાન કરવાનો પ્રયાસ કરે છે અને એ રીતે સિદ્ધાંત રજૂ કરે છે કે લોકાચારો (લોકોમાં પ્રચલિત રિવાજો) અને દેશાચારો (દેશના રિવાજો)નું પાલન કરવું જ જોઈએ. એવા સમાધાનની જરૂર નથી! એવો ચૂનો ચોપડવાની જરૂર નથી! મડદાંની બદબોને ફૂલ તળે ઢાંકી દેવાની જરૂર નથી! तथापि लोकाचारः ‘છતાં લોકોમાં જે રિવાજો પ્રચલિત હોય તે તો માનવા પડે’ એવાં શાસ્ત્ર વાકયો ફેંકી દો. શી બેવકૂફી! આ જાતના સમાધાનનું પરિણામ એ આવે છે કે મહાન સત્યો કચરાના ઢગલા તળે તરત જ દબાઈ જાય છે અને એ કચરાના ઢગલાઓને સાચાં સત્યો તરીકે ઉત્સાહપૂર્વક પકડી રાખવામાં આવે છે. અરે! શ્રીકૃષ્ણે આટલી હિંમતપૂર્વક ઉપદેશેલાં ગીતાનાં ભવ્ય સત્યો સુધ્ધાં પર શિષ્યોની પછીની પેઢીઓના હાથે સમાધાનનો ઢોળ ચડ્યો છે; પરિણામ એ આવ્યું છે કે વિશ્વના મહાનમાં મહાન ધર્મગ્રંથમાંથી ઘણા એવા અર્થ કાઢવામાં આવે છે કે મનુષ્યોને ખોટે માર્ગે દોરે.

આ સમાધાનનો પ્રયત્ન નરાતાળ હડહડતા ભીરુપણામાંથી ઊભો થાય છે. બહાદુર બનો! ખાસ કરીને મારા શિષ્યો બહાદુર બનવા જોઈએ. કોઈ પણ રીતે સહેજ પણ સમાધાન કરવાનું તો નહીં જ. સર્વોચ્ચ સત્યોનો ચોમેર પ્રચાર કરો. તમારું માન નહિ સચવાય અગર તો અણગમતું ઘર્ષણ ઊભું થશે, એવી બીક છોડી દો. એટલી ખાતરી રાખજો કે જો તમે સત્યને છોડી દેવાની લાલચો સામે થઈને પણ સત્યને પકડી રાખશો તો તમારામાં એક એવું અલૌકિક બળ આવશે કે તેની સામે જે બાબતોને તમે સાચી નહિ માનતા હો તેનો ઉલ્લેખ કરતાં સુદ્ધાં માણસો અચકાશે. જો તમે સત્યના માર્ગેથી ચલિત થયા વિના એકધારું અખંડ રીતે ચૌદ વરસ સુધી ચુસ્તપણે સત્યનું પાલન કરશો તો તમે જે બોલશો તે લોકો ખાતરીથી માનશે. આ રીતે તમે લોકો પર મોટામાં મોટો આશીર્વાદ ઉતારશો, તેમનાં બંધન તોડી નાખશો અને આખા રાષ્ટ્રનો ઉદ્ધાર કરશો.

Total Views: 108
૨૦. સાચો ગુરુ કોણ?
૨૨. સાક્ષાત્કારનું ધ્યેય અને તેની પદ્ધતિઓ