સ્વામી ત્યાગાનંદજી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંતકેસરી’ના સંપાદક હતા. હવે તેઓ વેદાંત સોસાયટી, બોસ્ટનમાં સહાયક સંચાલક તરીકે સેવા આપી રહ્યા છે.- સં

(સ્વાસ્થ્યનું વેદાન્તી દૃષ્ટિબિંદુ )

‘સાગર’ સામે જુઓ, ‘તરંગ’ સામે નહીં… આપણે ભલે નાના તરંગો જેવાં દેખાતાં હોઈએ, આપણી પાછળ આખો સાગર છે અને આપણે એની સાથે એકરૂપ છીએ. કોઈ તરંગનું સ્વતંત્ર અસ્તિત્વ હોઈ શકે નહીં. આ સમસ્ત વિશ્વ મારું શરીર છે; બધું સ્વાસ્થ્ય, બધું સુખ મારાં છે કારણ, બધું વિશ્વમાં છે. કહો કે, ‘હું વિશ્વ છું’.

સ્વામી વિવેકાનંદ ક. વ. ૭.૭. પૃ. ૮

સ્વાસ્થ્ય અને સુખ હંમેશાં સાથે જાય. હું સુખી ન હોઉં તો, મારા સ્વાસ્થ્યમાં કંઈ ગરબડ છે. આથી ઊલટું પણ સાચું છે. હું તંદુરસ્ત ન હોઉં તો, સુખી હોઈ શકું નહીં.

સ્વાસ્થ્ય અને સુખ વિશેની આપણી સમજ ઉપરછલ્લી હશે તો, અહીં, ઉપર જે કહ્યું છે તેનો કશો અર્થ નથી. માત્ર શરીરની તંદુરસ્તી કરતાં સ્વાસ્થ્ય કંઈક વધારે છે. એ મનની પણ સ્વસ્થતાનો સમાવેશ કરે છે. અને એથીય વધારે, આપણા વ્યક્તિત્વના આધ્યાત્મિક પરિમાણનો પણ એમાં સમાવેશ થાય છે.

એ જ રીતે, આપણી ઈચ્છાઓની તૃપ્તિથી થતી આનંદની લાગણી કરતાં સુખ કશુંક વધુ છે. વધુમાં વધુ, આ જાતની લાગણી સાચા સુખની અલ્પજીવી છાયા છે; સુખનાં મૂળ ઊંડાં છે, એ અખંડ અનુભૂતિ છે અને,એનો ઉદય આપણી પૂર્ણ સ્વસ્થતામાં, આપણી અમર્યાદિતતામાં, આપણી અનંતતામાં છે. હજારો વર્ષ અગાઉ સુખ વિશેનું આ સત્ય વેદાન્તે શોધી કાઢ્યું હતું.

છાંદોગ્ય ઉપનિષદ ૭.૨૩માં જણાવે છે: “સુખ અનંતમાં છે. અલ્પમાં સુખ નથી. માત્ર ભૂમા સુખ છે.”

સ્વાસ્થ્ય અને સુખ પરસ્પર સંબંધિત અને આધારિત હોય અને, એ અનંતમાં જ મળતાં હોય તો સ્વસ્થ અને સુખી થવા માટે આપણે શું કરવું જોઈએ તે આપણે જાણવું જોઈએ. આપણે અનંત થવું રહ્યું. આપણી વર્તમાન મર્યાદિતતા સ્વયંસિદ્ધ છે. મને મારો પોતાનો દેહ છે, તમારા દેહથી અને બીજાં બધાંના દેહોથી એ જુદો છે; મારો દેહ મર્યાદિત છે. અને મારું પોતાનું મન છે.. તમારા મનથી અને બીજા બધાંનાં મનથી એ જુદું છે. મારું મન મર્યાદિત છે અને આપણામાંથી જેઓ ધારે છે કે આપણને જે ત્રીજી વસ્તુ છે (કે છીએ?) અને, એ શરીર તથા મન બેઉથી ભિન્ન છે. અને તે આત્મા તરીકે ઓળખાય છે; મને મારો પોતાનો આત્મા છે જે તમારા આત્માથી અને બીજા બધાના આત્માથી ભિન્ન છે; મારો આત્મા મર્યાદિત છે. આ ત્રણ મર્યાદિતતાની સત્યતા વિશે આપણે કદી શંકા ઉઠાવતા નથી કારણ કે એ તદ્દન સ્પષ્ટ છે.

વેદાન્ત કહે છે કે જે સ્પષ્ટ દેખાતું હોય તે હંમેશાં સત્ય ન હોય. કોઈ વસ્તુની કે ઘટનાની સ્પષ્ટતા જ આપણને ઊંડેરું જોતાં અટકાવનાર અડચણરૂપ હોઈ શકે. આપણી દેખાતી મર્યાદિતતામાં ઊંડે જોતાં આપણને શું દેખાય છે? કેવળ આટલું કે, આપણી મર્યાદિતતા એક કલ્પના છે. આપણી જાતને આપણે સતત કહીએ છીએ તે જૂઠાણું છે. આપણામાંની પ્રત્યેક વ્યક્તિ અનંત વ્યક્તિ છે. વિશેષમાં, આપણી પ્રકૃતિ આનંદની છે. સુખી થવું એ આપણી સ્વાભાવિક સ્થિતિ છે.

આપણે અનંત છીએ અને સદા સુખી છીએ એમ આપણને લાગતું નથી તેનું કારણ એ છે કે આપણે સાચા અને પૂર્ણ સ્વસ્થ નથી. આપણામાં કંઈક ગરબડ છે. આપણું સાચું આત્મસ્વરૂપ આપણે બનતાં નથી. જાણે કે, આપણી જાતની બહાર નીકળીને આપણે ઊભાં છીએ. તંદુરસ્ત થવું એટલે સ્વસ્થ થવું, ‘પોતાની જાત ઉપર ઊભા રહેતા થવું.’ સ્વસ્થ ભારતમાં વારંવાર વપરાતો શબ્દ છે. અહીં પ્રશ્ન પૂછાય : ‘તમે સ્વસ્થ છો? ‘અર્થાત્, તમે સારા છો? તમે સુખી છો?’

કોઈ કદાચ કહે ઠીક છે, હું સ્વીકારું છું કે હું અનંત આત્મા છું. વેદાંત મને કહી શકશે કે (૧) હું મર્યાદિત છું એમ મને શા માટે લાગે છે? અને (૨) કઈ રીતે હું મારું મૂળ અનંત સ્વરૂપ પામી શકું? વેદાંતના શિક્ષકો આ પ્રશ્નોના ઉત્તરો પોતાની સ્વાભાવિક સીધી રીતે આપે છે. એ કદાચ આવું કંઈક કહે. સૂર્ય પૂર્વમાં ઊગતો અને પશ્ચિમમાં આથમતો દેખાય તે જ કારણસર, મને લાગે છે કે હું મર્યાદિત છું, અને સૂર્યોદય અને સૂર્યાસ્ત મારા રોજિંદા અનુભવની બાબતો છે; એમનો હું અસ્વીકાર કરી શકતો નથી. પણ મને સત્યનું ભાન થાય ત્યારે, મારાથી એમ અસ્વીકાર કરી શકાશે નહીં કે, સૂર્ય કદી ઊગતો નથી અને આથમતો નથી પૃથ્વી પોતાની ધરી આસપાસ ભ્રમણ કરે છે અને સૂર્યની ગતિનો આભાસ ઊભો કરે છે. એ જ રીતે, મારી મર્યાદિતતા મારા દૈનિક અનુભવની બાબત છે; એને હું નકારી શકું નહીં. પરંતુ હું સત્ય સમજું છું ત્યારે, હું અસ્વીકાર કરી શકું નહીં કે, મારી મર્યાદિતતા ભ્રમ હતી, ખરાબ સ્વપ્ન હતું, કલ્પનાનો મૂર્ખામીભર્યો અંશ હતો.

હું મારું મૂળ અનંત સ્વરૂપ કેવી રીતે પામી શકું – એ બીજો પ્રશ્ન, ‘…..હું સત્ય સમજું છું ત્યારે, માઁ આપોઆપ ઉત્તર પ્રાપ્ત કરી લે છે, પરંતુ, આપણી ભાષાને સીધી સમજીએ. મને અત્યારે લાગે છે કે હું મર્યાદિત છું; એ બરાબર છે. એમાં કંઈ પ્રશ્ન નથી. પણ હું ખરેખર મર્યાદિત થઈ ગયો છું? એ પ્રશ્ન છે. હું મર્યાદિત થઈ ગયો હોઉં તો, હું અનંત છું એ ‘જાણવાથી’ હું અનંત નહીં બની જાઉં. વાત આમ છે. સૂર્ય ખરેખર ઊગતો હોય અને આથમતો હોય તો, સૂર્ય ઊગતો નથી કે આથમતો નથી એ માત્ર ‘જાણવાથી’ સૂર્યની ગતિ નહીં અટકે. એટલે આપણી પાસે બીજી શક્યતા છે; અજ્ઞાન અથવા વિસ્મૃતિ. કોઈક કારણસર હું મારું સાચું સ્વરૂપ ભૂલી ગયો છું, અને ભૂલથી મને મર્યાદિત પ્રાણી તરીકે જોઉં છું. એ ભૂલ છે એટલે હું જાતે ખરેખર મર્યાદિત થઈ જતો નથી. પણ, મર્યાદિત પ્રાણી તરીકે વર્તન કરું છું. એટલે, હું અનંત છું તેનું ‘જ્ઞાન’ ભૂલ સુધારવા માટે પૂરતું છે. હું સદા અનંત આત્મા છું. વાત એટલી જ છે કે, હું એ ભૂલી ગયો છું અને જરૂર છે સત્યના ભાનની.

કોઈ આવીને મને કહે છે અથવા હું વેદાન્તનાં કોઈ પુસ્તકો વાંચું છું : ‘હું અનંત જીવ છો. તું મર્યાદિત છો તેવા ખ્યાલનો ભ્રમ સેવીશ મા. તું સદા – મુક્ત છો. સદા પૂર્ણ છો, અજન્મા અને અમર છો, કૃપા પાત્ર અને આનંદ સ્વરૂપ છો.’ હું કહું છું વાહ હવે હું સત્ય જાણું છું. ક્ષણ બે ક્ષણ માટે હું મોટો લાગું છું. પણ તે માત્ર એક કે બે ક્ષણ પૂરતું જ. તરત જ ખાણાંનો સમય થાય છે, કોઈ પાડોશી ઘાસકાપણિયું માગે છે કે, મારે વાસણ ઊટકવાનાં છે તે યાદ આવે છે – અને મારી અમર્યાદિતતાનું ક્ષણિક જ્ઞાન હવામાં ઊડી જાય છે અને હું ફરી પાછો પુરાણું મર્યાદિત જંતુ બની જાઉં છું.’

તો આ જ્ઞાન શા કામનું છે? વેદાન્તના અધ્યાપકો ઉત્તરમાં કહે છે, જો ભાઈ, તારું જ્ઞાન પરોક્ષ છે. એ સારું છે પણ પૂરતું નથી. તારા એ પરોક્ષ જ્ઞાનને અપરોક્ષ જ્ઞાનમાં કે અનુભૂતિમાં ફેરવ. દૂધ શ્વેત છે અને પોષક છે એ તમે ભલે જાણતા હો, પણ, એ પીઓ નહીં ત્યાં સુધી એ તમને પોષણ આપી શકે નહીં. તમારું જ્ઞાન તમને ‘પોષક’ બનાવવું હોય તો, તમારે તે ‘પીવું’ રહ્યું.

જોવું એટલે થવું

મારા અનંત સ્વરૂપનું જ્ઞાન હું કેવી રીતે ‘પી’ શકું? આમ કરવાના ઘણા રસ્તા છે. એક રસ્તો છે – સ્વામી વિવેકાનંદે શીખવ્યો. સાગર – સામે – જોવાનો. ‘જોવું એટલે થવું,’ એ સિદ્ધાંત પર એ આધારિત છે. સ્વામીજીએ કહ્યું છે :

‘કર્તાને બદલાવો અને કર્મ બદલાઈ જશે. તમારી જાતને શુદ્ધ કરો અને જગત શુદ્ધ થવાનું જ છે. અગાઉના કરતાં આજે આ એક વાત શિખવવાની વધારે જરૂર છે…… આપણે બદલશું તો દુનિયા બદલાશે; આપણે પવિત્ર હોઈશું તો જગત પવિત્ર થશે. મારે બીજામાં અનિષ્ટ શા માટે જોવું તે પ્રશ્ન છે. હું પોતે અનિષ્ટ ‘હોઉં’ નહીં ત્યાં સુધી મને અનિષ્ટ ‘દેખાય’ નહીં.

આ સમજણને ચાલુ સંદર્ભમાં વાપરતાં, મને ભાન થવું જોઈએ કે, મારી જાતને મર્યાદિત કરી ન હોત તો, મારી ચોમેર હું મર્યાદિતતા જોઈ શકત નહીં, કર્તાને બદલાવો અને કર્મ બદલાઈ જશે, એમ સ્વામીજી કહે છે. આથી મારે બધાં બંધનો તોડવાં જોઈએ અને મારી જાતને અનંત રૂપે જોવાનો આરંભ કરવો જોઈએ.

ધ્યાન પર લઈએ તો, આ કંઈ ખૂબ અઘરું નથી. ગમે તેમ તોય, હું જેવો છું તેવી જ મારી જાતને જોવાનું જગતમાં સૌથી સરળ છે. સત્યવાદી થવું સહેલું છે, એક ધારા જૂઠું બોલનારા થવું કઠણ છે. ‘સાગર સામે જુઓ, તરંગ સામે નહીં,’ એમ કહેતા સ્વામીજી આપણને સત્ય ઉપર કેન્દ્રિત કરવાનું કહે છે – એ કથનનો અર્થ છે : તમારા સાચા સ્વરૂપને જુઓ, એ અનંત છે, અખંડ છે, સનાતન છે, મર્યાદિત, ખંડિત, નિત્ય વિનાશી રૂપનો ભોગ ન બનો.

સાગર સામે દૃષ્ટિપાત કરતાં, તરંગને આપણે કેમ ઉવેખી શકીએ? મોજાંઓને – તરંગોને – અદ્રશ્ય કરવાનો કીમિયો આપણી પાસે ન હોય તો એ અશક્ય છે. આવો કીમિયો – માર્ગ – છે પણ ખરો. પહેલાં પ્રથમ આપણે એ સમજવાનું જરૂરી છે કે, જેને આપણે સાગર કહીએ છીએ તે વિશાળ, અમર્યાદ જલ વિસ્તારથી તરંગ જુદો નથી. એ સાગરનો જ અંશ છે. બીજું ધ્યાનમાં એ રાખવાનું છે કે, તરંગ સાગરથી ભિન્ન છે. એકને બીજું માનવાની ભૂલ આપણે કદી કરતા નથી. ખરું ને? તરંગને એનું પોતાનું અસ્તિત્વ છે – ઓળખી શકાય તેવું સ્વરૂપ છે. ત્રીજી સમજવાની બાબત એ છે કે તરંગનું રૂપ ક્ષણિક હોય છે. તરંગોને આકાર હોય ત્યાં સુધી જ એનું અસ્તિત્વ છે. જેવો એનો આકાર શમ્યો કે તરંગ તરંગ નથી રહેતો. ચોથી યાદ રાખવાની બાબત એ છે કે, તરંગનું રૂપ ગયું તે પછી, વિશાળ જલના ઓધથી આપણે એને જુદો પાડી શકતા નથી. કારણ, તત્ત્વતઃ તરંગ પોતે પાણી જ છે. આ રીતે, ઊંડી સમજથી આપણે સમુદ્રને નિરખીએ છીએ ત્યારે માત્ર સમુદ્ર જ જોઈએ છીએ, તરંગો નહીં.

ફરી વાર આપણે સાગરતટે જઈએ ત્યારે આપણે ઉપર કહ્યાં ચાર ‘દર્શનો’નો અનુભવ કરવા યત્ન કરીએ. આપણે નસીબદાર ન હોવાનું કશું કારણ નથી. આપણને તરંગોનું ભાન થશે નહીં. કોઈક દહાડો આપણને જાણ થશે કે, અસ્તિત્વના અમેય મહાસાગરમાં આપણે ઊંચાનીચા થયા કરીએ છીએ અને એક કે બીજા રૂપમાં અહીંથી ત્યાં ધકેલાયા કરીએ છીએ. નિગુર્ણ બ્રહ્મથી અને, એકમેકથી આપણને જુદા પાડનાર શું છે? માત્ર રૂપ જ.૧૦ એક વાર બીજાંઓથી મને જુદો પાડનાર ભેદની ભીંતો તૂટી જશે તે પછી અનંત સાગર જ રહેશે, એને તમે નિર્ગુણ બ્રહ્મ કહો, ભગવાન કહો કે, ઠીક લાગે તો, મારું સાચું સ્વરૂપ કહો. ‘ચાર જ્ઞાનો’ બ્રહ્માંડના સાગરમાંથી તરંગોને અદૃશ્ય કરી શકે, પછી પાછળ રહે અવિકારી, અસીમ અનુસ્યૂત સત્ય.

આ ખ્યાલ આપણે ગ્રહણ કરી શકીએ એ માટે સ્વામીજી એક નહીં પણ ત્રણ સાગરોની વાતથી આરંભ કરે છે! આપણા વ્યક્તિત્વના ત્રણ ભાગોને – દેહ, મન અને આત્માને – અનુસરતા ત્રણ સાગરો છે. પંચ મહાભૂતોનો સાગર, વિચારોનો સાગર અને ચેતનાનો સાગર.

પંચ મહાભૂતોનો સાગર

વિજ્ઞાનની થોડીક પણ ભૂમિકાવાળા લોકોને સમજવામાં મુશ્કેલી નહીં પડે કે એકથી બીજાને અલગ કરતી કોઈ ભૌતિક ભેદરેખા છે નહીં. રંગ, ઘટ્ટતા, મિલાવટ અને રૂપરેખા ભલે જુદાં હોય પણ, ભૌતિક પદાર્થ પૂરતી વાત કરીએ તો, એ સઘળું સળંગ, અખંડિત એક જ છે. ભૌતિક દૃષ્ટિએ જોતાં, માનવ દેહ, બટાટો અને ઉલ્કા વચ્ચે કશો તફાવત નથી. બધાં ‘ઈંટો’ સમાન જ છે. કદાચ, ‘તું માટીનો બનેલો છે અને માટીમાં મળી જવાનો છે’ ૧૧ એ વાત સાચી છે.

આપણી ચારે બાજુએ અને આપણી અંદર, એક ભૌતિક સાગર રહેલો છે. સાગરમાં જેમ પાણી એક સ્થાનેથી બીજે વહે છે તેમ, અહીં ભૌતિક સાગરમાં ભૂતોનું મુક્ત વહન છે. એનો અર્થ એટલો કે, અનિશ્ચિત કાળ સુધી કશું અપરિવર્તિત રહેતું નથી. કોઈ પણ વસ્તુને પદાર્થ તરીકે જોવી જોઈએ નહીં; એ તો કેવળ રૂપ છે. અતિ સૂક્ષ્મ કક્ષાએ પંચભૂતો બહાર સતત ફેંકાતાં રહે છે અને નવાં ભૂતો, આપણી આંખોને દેખાતા આકારોમાં, સમાતાં અને એકરૂપ થતાં રહે છે એમ સ્વામી વિવેકાનંદે કહ્યું છે.

‘પોતાના શરીરમાં થતા વિકારોને એક ક્ષણ થંભાવી શકે એવો કોઈ મનુષ્ય હજી જન્મ્યો નથી. વિકારોની હારમાળાનું નામ શરીર છે.’ તમારી નજર સામે, નદીમાં પાણીનું દ્રવ્ય પ્રતિપળ બદલાયા કરે છે અને નવાં દ્રવ્યો આવે છે અને સમાન આકાર જ ધારણ કરે છે તે જ રીતે આ દેહનું પણ છે. ૧૨

એક સમકાલીન સંશોધકે આ જ વ્યાપારનું વર્ણન આ પ્રમાણે આપ્યું છે : ‘નવા આવતા પાણીથી નદી સતત બદલાતી રહે છે. શરીરનું પણ તેવું જ છે. આપણે સૌ વહેતી નદી જેવાં છીએ, કાલ અને સ્થલમાં થીજી ગયેલાં ઢીમચાં જેવાં નહીં.’

‘તમારા શરીરને, એ છે તેવું, જોઈ શકો, તો કદીય એને એક સરખું બે વાર નહીં જોઈ શકો. તમારા દેહનાં અઠાણું ટકા અણુઓ ત્રણ માસ પહેલાં ન હતાં. આટલું ધીંગું દેખાતું હાડપિંજર પણ ત્રણ માસ પહેલાં ન હતું.

અશ્મિકોષોનું સ્વરૂપ થોડું સ્થિર રહે છે પણ એ કોષભીંતોની આરપાર બધા પ્રકારના અણુઓ આવતા રહે છે અને એ દ્વારા તમે દર ત્રણ મહિને નવું હાડપિંજર પ્રાપ્ત કરો છો.

‘ચામડી દર માસે નવી થાય છે. ચાર ચાર મહિને તમારું પેટનું અસ્તર બદલાય છે અને, ખોરાકના સંપર્કમાં આવતા સપાટી પરના કોષો દર પાંચ મિનિટે બદલાય છે. યકૃતના કોષોનું પરિવર્તન ખૂબ ધીમું છે પણ, નવા અણુઓ એમની આરપાર પસાર થયા કરે છે, જાણે જલપ્રવાહમાં વહેતું પાણી અને દર છ અઠવાડિયે એ નવું યકૃત બનાવે છે. જ્યાં મૃત કોષોનું સ્થાન લેવાને નવા કોષો આવતા નથી તે મગજમાં પણ કાર્બન, નત્ર (નાઈટ્રોજન) અને પ્રાણવાયુ (ઑક્સિજન) વગેરેનું તત્ત્વ એક વરસ પહેલાં હતું તેના કરતાં આજે જુદું છે.

‘તમે રહેતા હો તે ઘરની ઇંટ વ્યવસ્થિત રીતે વર્ષે વર્ષે બદલાવાતી હોય તેના જેવું આ છે. ઘરનો નકશો અને મો૨ો તે જ રાખશો તો એ જ ઘર જેવું એ લાગશે. પણ, વાસ્તવમાં એ એક જ નહીં હોય, એ જ રીતે, માનવ દેહ પણ તેનો તે જ ખડો હોય એમ લાગશે પણ, શ્વાસોચ્છ્વાસમાં, પચનમાં, મળત્યાગના અને એવા બીજા વ્યાપારો દ્વારા, એ બાકીના જગત સાથે નિત્ય વિનિમય કરી રહેલ છે. ૧૩

‘બાકીના જગત સાથેના આ વિનિમય દ્વારા, આપણે બારીક નિરીક્ષણ કરીએ તો, આખા જગતને આપણા દેહમાં જોઈ શકીએ.

આ એક સફરજન છે, આપણે જાણીએ છીએ કે આકાશેથી નથી પડ્યું. સફરજનના ઝાડ પર તે પાક્યું હતું ને એ ઝાડે પોતાના જીવનનો આરંભ એક નાના બીજ તરીકે કર્યો હતો. પાણી, ખાતર, સૂર્યપ્રકાશ વગેરે સૌએ એ બીજનું વૃક્ષ બનાવવામાં ભાગ ભજવ્યો છે. આ સર્વ વિના એ વૃક્ષ ઊગી શક્યું ન હોત અને તો, આ સફરજન પણ ન હોત. આપણે સફરજનને જોઈએ છીએ ત્યારે, એમાં આપણે સૂર્યપ્રકાશને, પાણી વહેતાં વાદળોને, સજીવ વૃક્ષ ખોરાકને અને એને ચૂંટનારના ને બજારમાં પહોંચાડનારના શ્રમ સુધ્ધાંને, આપણે જોઈ શકીએ છીએ. હું સફરજન ખાઉં છું ત્યારે, સફરજનનું ઘડતર કરતાં આ બધાં ‘બિન સફરજની’ તત્ત્વો મારા દેહમાં દાખલ થાય છે અને (ઝેન યુ ગુરુ ટુ થિચ ન્હાટ હાંહના કહેવા પ્રમાણે), થોડા સમય પછી, એમાનાં કેટલાંક તત્ત્વો મારા દેહના અંશરૂપ બને છે. બાકીના અંશોનો ત્યાગ કરવામાં આવે છે અને તેમનું ચક્ર પુનઃ ચાલુ થાય છે. આમ વાદળાં, સૂર્યનું તેજ, અને બીજાં તત્ત્વો મારા ભૌતિક અસ્તિત્વના ભાગરૂપ છે. કદાચ મંગળ અને ચન્દ્રના કણો પણ, મારી બારીમાંથી દેખાતા બગીચામાં છે – અને કોને ખબર છે, થોડા સમયમાં, મારા દેહના ભાગરૂપ એ પણ થઈ જાય. ૧૪

દેખીતી રીતે અપરિવર્તનશીલ રૂપમાંથી મુક્તપણે વિહાર કરતા ઘૂમતા કણોના પદાર્થના સાગરમાં તમારો અને મારો ‘જન્મ’ થયો છે. આ આકાર તરંગોને સાગરમાંથી હું અદૃશ્ય કરી શકું – જે ‘ચાર દર્શનો’ આમ કરવામાં આપણને સહાય રૂપ થાય છે તેમની વાત આપણે કરી છે. – તો મને અનેક લાભ મળે.

સૌ પ્રથમ મૃત્યુના અર્થની નવી સમજ પ્રાપ્ત થાય છે. આપણને જ્ઞાન થાય છે કે મૃત્યુ એટલે નાશ નહીં પણ, કેવળ તરંગનું – દેહના આકારનું – ભૌતિક સાગરમાં વિલીન થઈ જવું. ભૌતિક અમરતાની વાત કરવાનું પણ શક્ય છે કારણ, સાગરનું અસ્તિત્વ છે જ અને, હું એ સાગર છું. રૂપો જ આવે છે અને જાય છે. વિવેકાનંદ કહે છે તે સાંભળો :

‘બધું એક જ છે એમ આપણે સમજીએ ત્યારે, આપણે માટે દૈહિક કે ભૌતિક મૃત્યુ નથી. બધાં શરીરો મારાં છે; એટલે શરીર પણ શાશ્વત છે. કારણ, વૃક્ષ, પાણી, સૂર્ય, ચંદ્ર, વિશ્વ પોતેય મારો દેહ છે; તો એ મૃત્યુ પામી જ શકે કેવી રીતે? … એક વાળ ખરી પડે છે ત્યારે, આપણે મરી ગયા છીએ એમ આપણે માનતા નથી; એટલે એક દેહ પડે એટલે એક વાળ ખર્યો. ૧૬

હું સાગર સામે જોઉં અને એને તરંગોમાં પણ જોઉં ત્યારે, અજન્મા અને અમર હોવું તે શું છે તે સમજવા લાગું છું. સ્વામીજી કહે છેઃ

‘જે આખા વિશ્વમાં (‘સાગર’માં) જીવે છે તે જ જીવે છે અને જેમ આપણે મર્યાદિત પદાર્થો (‘તરંગો’) પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તેમ, આપણે વધારે વેગથી મૃત્યુ ભણી જઈએ છીએ… મનુષ્યને જ્ઞાન થાય છે ત્યારે, મૃત્યુનો ભય જીતી શકાય છે.૧૭

શું સાગર તરંગોની ઈર્ષ્યા કરે? અમુક મોજાંઓના કરતાં શું તે બીજાં મોજાંઓને વધારે ચાહી શકે? નહીં, એ વિચિત્ર લાગે છે. પદાર્થોના સાગર સાથે આપણે એકરૂપ બનીએ છીએ ત્યારે, આપોઆપ આપણે એકદૃષ્ટિત્વનો ગુણ વિકસાવીએ છીએ. ઈર્ષ્યા, અદેખાઈ, દ્વેષ નિરર્થક બની જાય છે કારણ કે, બીજાં શરીરોમાં હું મને અને મારામાં બીજાં શરીરોને હું જોઈ શકું છું શારીરિક દૃષ્ટિએ આપણે ભિન્ન નથી એ ભાન થતાં જ, વર્ણ, જાતિ, જ્ઞાતિ અને ધર્મ આધારિત બધા ભેદો ક્ષુદ્ર લાગે છે. કાળા અને ધોળા વચ્ચે, ઉચ્ચ જ્ઞાતિના અને નીચ જ્ઞાતિના વચ્ચે, યહૂદી અને આરબ વચ્ચે, સતત ભૌતિક આપ-લે થતી રહે છે. શ્વેતવર્ણીઓની શ્રેષ્ઠતા, જ્ઞાતિનું ચડિયાતાપણું અને ધાર્મિક મરજાદની બધી વાતોનું પછી સ્થાન ક્યાં છે?

ભૌતિક આપ-લેની વાત કરતાં, ખોરાકનો પ્રશ્ન આપણને જાગ્રત કરે છે. બાકીની સૃષ્ટિ સાથેની આપણા દેહની થતી ભૌતિક આપ લે આપણે નરી આંખે જોઈ શકતાં નથી. પણ આપણે ખોરાકનો વિચાર કરીએ છીએ ત્યારે, એ વ્યાપારને આપણે તરત સમજી શકીએ છીએ. હું જે કંઈ ખાઉં છું તેનું સત્ત્વ મારા શરીરનો અંશ બને છે તો, મારા ખોરાક બાબત હું કાળજી રાખતો થાઉં છું. મારા ઘરમાં લોકો કચરો નાખે તે મને ન ગમે તો, મારા દેહમાં કચરો કેમ ઠાલવું? દેહને અપાતો ખોરાક દેહમાં પરિવર્તન પામે છે તો, સ્વસ્થ દેહ માટે મારે સ્વસ્થ ખોરાકનો પ્રબંધ કરવો જોઈએ. આમ, પંચમહાભૂતોમાં સાગરને જાણતી વ્યક્તિ માટે આહાર માટેની જાગૃતિ સ્વાભાવિક છે.

મારા દેહ માટે વિશુદ્ધ આહાર અને પાણી અને મારાં ફેફસાંને વિશુદ્ધ હવા મળે તો જ એ તે લઈ શકે. આમ, સાગરનું ભાન મને પર્યાવરણ અને તેની જાળવણીના પ્રશ્નોનું ભાન કરાવે છે. સાગર – વિચાર વિના પણ આ ભાન આવી શકે પણ, મારી જાતને અસહાય રીતે મારી આસપાસના પ્રદૂષિત પર્યાવરણ સાથે ભૌતિક આપ-લે કરતી નિહાળું ત્યારે, એ વિશેષ ગાંભીર્ય અને તીવ્રતા ધારણ કરે છે. મને લાગે છે કે, મારે કશુંક કરવું જ જોઈએ અને, માનવજાતના સામૂહિક આત્મઘાતને અટકાવનાર એક વધારે સંનિષ્ઠ રક્ષક સાંપડે છે.

આપણે જોયું કે પંચભૂતના સાગરનું ભાન મૃત્યુના આપણા ભયને ઘટાડે છે; સમાનદર્શિતાનો ગુણ વિકસાવવામાં સહાય કરે છે; ઈર્ષ્યા, અદેખાઈ, વિદ્વેષ જેવા નકારાત્મક ગુણોના ઉદ્‌ગમને અટકાવે છે; સ્વસ્થ આહારની ટેવોને ખિલવવા આપણને પ્રેરે છે; અને, પર્યાવરણ સાથે મિત્રતાભરી રીતે જીવતા આપણને રાખે છે.

આ બધા લાભો સુદૃઢ થાય છે અને, આ યાદીમાં બીજા કેટલાક ઉમેરાય છે જ્યારે, આપણને બીજા સાગરનું -ચિંતનના સાગરનું – ભાન થાય છે.

દેહની અને આપણી ચોમેર દેખાતા પદાર્થોની ભૌતિકતા શંકાથી પર છે. પણ મનનું શું? એ જોઈ શકાતું નથી, સ્પર્શી શકાતું નથી, સૂંઘી શકાતું નથી, ચાખી શકાતું નથી, સાંભળી શકાતું નથી – પણ એનું અસ્તિત્વ આપણે જાણીએ છીએ. પાશ્ચાત્ય વિચારણામાં, સામાન્ય રીતે, મનને અભૌતિક ગણવામાં આવે છે અને, કેટલીક વાર, તેને ‘આત્મા’નું સમાનાર્થી ગણવામાં આવે છે. પરંતુ, મન અભૌતિક હોવાની વાતને ભારતમાં હજારો વર્ષ પહેલાં નકારવામાં આવી હતી. વૈદિક ઋષિઓ હિંમતવાન અને સમર્થ ચિંતકો હતા. બીજા ભૌતિક પદાર્થોની માફક મનને પણ પરિવર્તનશીલ ભાળીને, તેમજ (નિદ્રાવસ્થામાં બને છે તેમ) કોઈ કોઈ વેળા અદૃશ્ય થતું ભાળીને એમણે કહ્યું હતું કે મન પણ ભૌતિક છે. એ સૂક્ષ્મ ભૂત છે.

આપણામાંના દરેકને મન છે પણ, એમાંનું કોઈ પણ મન કશુંક ભિન્ન નથી. પ્રાચીન ભારતના ઋષિમુનિઓએ શોધી કાઢ્યું હતું કે,

‘દરેક મન બીજા દરેક મન સાથે સંકળાયેલું છે. અને, ગમે ત્યાં હોય પણ દરેક મન સમગ્ર જગત સાથે વિનિમય કરી રહ્યું છે. ૧૮

એમણે આ કેવી રીતે શોધી કાઢ્યું? વિચાર પ્રત્યાયનની ઘટનાથી સ્વામીજી સમજાવે છે :

‘એક વ્યક્તિ અહીં કશુંક વિચારે છે અને અન્યત્ર કોઈ અન્ય વ્યક્તિમાં એ વિચાર આવિષ્કાર પામે છે. તુક્કાથી નહીં પણ પૂર્વ તૈયા૨ીથી, એક વ્યક્તિ બીજા મનને, દૂર દૂર સંદેશો મોકલવા માગે છે અને સંદેશો મોકલાયો હતો તે રીતે જ, તે બીજી વ્યક્તિને મળે છે. અંતરથી કશો ફરક પડતો નથી. વિચાર ત્યાં જાય છે. બીજી વ્યક્તિને પહોંચે છે. અને એ વ્યક્તિ વિચારને ગ્રહણ કરે છે.’

‘તમારું મન બીજાંથી ભિન્ન એવું અહીંનું સ્વામી કશુંક હોય અને મારું મન એવું તહીંનું કશુંક ભિન્ન તત્ત્વ હોય, એ બે વચ્ચે કશો સબંધ ન હોય તો’ મારો વિચાર તમારા સુધી શી રીતે પહોંચી શકે?

‘(હું તમને કહું છું તેવા) સામાન્ય કિસ્સાઓમાં મારો વિચાર સીધો તમારી પાસે પહોંચતો નથી. પણ મારા વિચારને ધ્વનિતરંગોમાં રૂપાંતરિત કરવો પડે છે અને એ ધ્વનિતરંગો (કાન દ્વારા) તમારા મગજમાં પ્રવેશે છે. અને ત્યાં એ પુનઃ વિચારનું રૂપ પામે છે. એક તબક્કે વિચાર ધ્વનિતરંગોમાં ઓગળે છે અને બીજે એનું પુનઃ વિચારમાં ગ્રંથન થાય છે. આ વ્યાપારનું એક ચક્ર છે.

‘પરંતુ ટેલીપથીમાં – વિચારને સીધો દૂર મોકલવાના વ્યાપારમાં – આવું કશું નથી; એ સીધો વ્યાપાર જ છે. યોગ જણાવે છે તે પ્રમાણે, આ વિચારનું સાતત્ય જ છે. મન સર્વવ્યાપી છે. મારું મન તમારું મન, આ બધાં નાનાં મન પેલા વિશ્વમનના અંશો છે, સાગરના તરંગો છે; અને આ સાતત્યને લઈને આપણે એકમેકને વિચારોની સીધી આપ- લે કરી શકીએ છીએ. ૧૯

પંચભૂતોનો સાગર એ વૈશ્વિક દેહનું બીજું નામ છે. સજીવ અને નિર્જીવ દેહો બધા સ્થૂળ છે અને ઈન્દ્રિયગોચર છે એટલે, પંચભૂતોનો સાગર વાસ્તવમાં સ્થૂળ ભૂતોનો સાગર છે. આપણે મનની સાથે નાતો પાડીએ છીએ ત્યારે સૂક્ષ્મભૂત સાથે નાતો પાડીએ છીએ. તો વિશ્વમન સૂક્ષ્મ ભૂતોનો સાગર છે; સગવડ ખાતર આપણે તેને વિચારોનો સાગર કહીશું. ૨૦

(ક્રમશઃ)

– ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા

(‘વેદાંતકેસરી’, નવે.-ડિસે. ૧૯૯૬માંથી સાભાર)

સંદર્ભ સૂચિ

૧. આને આધારે, શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય એમ સ્વાસ્થ્યનાં ત્રણે પાસાંનો અભ્યાસ શક્ય છે.

૨. यो वै भूमा तत्सुखं, नाल्पे सुखं अस्ति, भूमैव सुखम्।

૩. ‘ધ કમ્પ્લીટ વર્ક્સ ઑફ સ્વામી વિવેકાનંદ’, કલકત્તાઃ અદ્વૈત આશ્રમ, ૧૯૭૨-૭૭ : વૉ. ૭. ૮૨; વૉ. ૪. ૨૨૮ પણ જુઓ.

૪. હું ખરેખર મર્યાદિત થઈ ગયો હોઉં તો, એનો અર્થ એ કે મારી અનંતતા આભાસી હતી. અનંત વસ્તુ કદી સાન્ત-મર્યાદિત-બની શકે નહીં. અનંતતાનું વિભાજન કરી શકાય નહીં.

૫. જ્ઞાનનો બે પ્રકારનો ભેદ સમજાવવા માટે શ્રીરામકૃષ્ણ આ દૃષ્ટાંત વારંવાર આપતા. જુઓ ‘ધ ગૉસ્પેલ ઑફ શ્રીરામકૃષ્ણ’, અનુ. સ્વામી નિખિલાનંદ (મદ્રાસ, શ્રીરામકૃષ્ણ મઠ, ૧૯૮૦), પૃ. ૩૪૪, ૩૬૮, ૪૦૪, ૪૧૭, ૪૭૮, ૮૨૯, ૮૩૬.

૬. કંપ્લીટ વર્ક્સ ૧.૪૨૬.

૭. કં.વ. ૭:૭

૮. શ્રીરામકૃષ્ણને મળ્યા પછી, ગુરુકૃપાથી, સ્વામીજીને અસ્તિત્ત્વના અનંત મહાસાગરનું ગહન દર્શન થયું હતું અને, થોડા દહાડા, તેમને આખું જગત ‘એક જ પદાર્થનું બનેલું ભાસતું હતું. થોડા કાળ પછી એમને માટે ‘સાગર દર્શન’ સહજ બની ગયું હતું. ‘ધ લાઈફ ઑફ સ્વામી વિવેકાનંદ : હિઝ ઈસ્ટર્ન ઍન્ડ વેસ્ટર્ન ડિસાઈપલ્સ’, અદ્વૈત આશ્રમ (કલકત્તા) ૧. ૯૬-૯૭.

૯. જુઓ : કં. વ. ૩. ૧૮૮, ૨૪૧.

૧૦. એજન : ૨.૧૩૬.

૧૧. ‘જેનેસિસ’, ૩.૧૯.

૧૨. કં. વ. ૧.૧૪૨. સ્વામીજી અહીં ભાગવત, ૧૧-૨૨-૪૪મા શ્લોકનો ગદ્યપાઠ કરે છે :

सोडयं दीपोऽर्चिषां यद्वत् स्त्रोतसां तदिदं जलम् ।
सोडयं पुमानिति नृणां मृषा गीर्धीमृषायुषाम् ॥

૧૩. દીપક ચોપડા : કવોન્ટમ હીલિંગ : એકસ્પલોડિંગ ધ ફ્રંટિયર્સ ઑફ માઇંડ/બોડી મેડિસન’ (બૅંટેમ બુક્સ, ૧૯૯૦) ૪૮-૪૯.

૧૪. કં.વ. ૧.૧૪ પણ જુઓ.

૧૫. કં.વ. ૩:૪૦૪

૧૬. કં.વ. ૭. ૯૩-૯૪

૧૭. કં.વ. ૨: ૮૦-૮૧

૧૮. કં.વ. ૨.૧૩

૧૯. કં.વ. ૨.૧૩

૨૦. જુઓ : કં. વ. ૩.૨૪૧

Total Views: 97

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.