આ લેખ ખૂબ જ સંશોધનકાર્ય અને કાળજીભર્યા વિચારોની સહાયતાથી બહુવિધ માધ્યમ અથવા મલ્ટિમીડિયાની માનવજીવન અને સંસ્કૃતિ ઉપર પડતી અસરોના કરેલા અભ્યાસના પરિણામસ્વરૂપે તૈયાર થયો છે. આ મલ્ટિમીડિયાના લાભો તેમ જ હાનિકારક તત્ત્વો, તેમાં રહેલા વરદાનો અને શાપોનો પણ સમાવેશ કરે છે. જો કે આમાંના થયેલા સંશોધનપૂર્ણ અભ્યાસો યુ.એસ.એ.માં પ્રવર્તતી સ્થિતિને અનુલક્ષીને કરવામાં આવ્યા છે, પરંતુ અન્ય દેશો માટે પણ હવે તે એટલા જ અર્થપૂર્ણ છે તે માન્ય રાખવું જ રહ્યું. કેમ કે, માનવપ્રકૃતિ સર્વત્ર એક જ પ્રકારની હોય છે, અને આ મલ્ટિમીડિયાનું આક્રમણ પણ હવે લગભગ સાર્વત્રિક જ ગણી શકાય તેમ છે. સ્વામી વિવેકાનંદજીએ નિર્દેશેલાં ગૂઢ તત્ત્વો, તેમના શિક્ષણમાં આવરી લેવાતાં સૂઝસમજણનાં તત્ત્વો, એકાગ્રતા, જ્ઞાન અને શીલ પ્રત્યે વારંવાર સમાંતર રીતે ધ્યાન દોરીને લેખિકાએ આપણને એક અત્યંત સુંદર, ખૂબ જ મૂલ્યવાન લેખ આપેલો છે જેમાંથી આપણે પોતે તથા આપણાં બાળકો આ મલ્ટિમીડિયાની સગવડોનો લાભ કઈ રીતે લઈ શકીએ તેમ જ તેની હાનિકારક અસરોથી કઈ રીતે બચી-બચાવી શકીએ તે માટે માર્ગદર્શન મળે છે. લેખિકા અમેરિકામાં સાન્તા બાર્બરા સ્થિત રામકૃષ્ણ મઠ અને મિશનના કૅલિફૉર્નિયા કેન્દ્ર દ્વારા સંચાલિત સારદા કૉન્વૅન્ટના સંન્યાસિની છે. સં

(‘શિક્ષક અંકથી આગળ)

આજકાલ ટી.વી.ના નાટકોમાં આવતી હિંસાની છણાવટ તેમાંના સંદર્ભો અને તેની યોગ્યતા અંગે જ થાય છે, પણ કાર્ટૂનો તેમ જ રમકડાંઓની જાહેરખબરોમાં દર્શાવાતી હિંસાની છણાવટ થતી નથી. સામાન્ય રીતે, એક કલાકના કાર્ટૂનમાં મીડિયાની નૈતિક અથવા સામાજિક અસર વિશે પોતાનું કોઈ વિવેચન હોતું નથી. આ એક કલાકમાં જ લગભગ ૨૫ જેટલા હિંસાનાં દૃશ્યો દેખાડવામાં આવતાં હોય છે. આ રીતની વિવેકહીન હિંસા રૂપેરી પડદા પર દેખાય છે, તે જ કદાચ એ બાબતનું કારણ બની હશે કે ૧૯૫૦ના દાયકાના છેલ્લાં વર્ષોમાં જે બ્રિટિશ કિશોરોએ ટૅલિવિઝન પાસે ઘણો સમય ગાળ્યો હતો તેમનામાં વ્યગ્રતા અને બેચેનીનું પ્રમાણ ઘણું વધારે જણાઈ આવતું હતું, જ્યારે એ જ સમયગાળામાં ટી.વી. ન જોનાર કિશોરોમાં તે સહેજે નહોતું.૩૧ મીડિયાના કેટલાક વિવેચકો એમ પણ માને છે કે આજના નાના બાળકોમાં જોવામાં આવતો પ્રવૃત્તિનો અતિરેક (એટલે કે વધુ પડતું તોફાન કરવાની વૃત્તિ) કદાચ થોડે ઘણે અંશે પડદા પર જોવા મળતી હિંસાનું પરિણામ હોઈ શકે છે. પોતાના તાજેતરમાં લખાયેલા પુસ્તક ‘ઈન ધી ઍબસન્સ ઑફ ધી સેક્રેડ’માં શ્રી જૅરી મૅન્ડર લખે છે :

‘ટી.વી. સામે શાંતિથી બેસી રહેવાના સમયે પરદા ઉપર બાળક લોકોને એકબીજા સાથે હિંસાત્મક રીતે મારતાં જુએ છે, આ જોતાં જોતાં પ્રતિભાવની લાગણી પ્રેક્ષક બાળકમાં જન્મે છે અને ‘લડો, અથવા ભાગો’ની વૃત્તિ પેદા કરતી ગ્રંથિઓમાં સ્રાવ થવા લાગે છે. પરંતુ ટી.વી. સામે કોઈ પ્રકારે પ્રતિભાવ વ્યક્ત કરવો એ મૂર્ખામી છે, તેથી આ બધી લાગણીઓને બાળક દબાવી દે છે. હિંસા ચાલુ રહેતાં આ ભાવ-પ્રતિભાવ અને તેને દબાવી દેવાની ક્રિયાનું ચક્ર ચાલુ જ રહે છે.’

સમાપન કરતાં મૅન્ડર કહે છે, ‘ટી.વી. જોવાના સમગ્ર અનુભવ દરમ્યાન બાળક આ ‘સી-સૉ’ ની બાલરમતમાં થાય છે તેમ ક્રિયા અને દબાણની વચ્ચે ફંગોળાતું રહે છે, જ્યારે બાહ્ય રીતે તો તદ્દન શાંત, સ્થિર અને નિષ્ક્રિય જણાતું હોય છે. જ્યારે ટી.વી.નો સૅટ બંધ કરવામાં આવે છે ત્યારે આ ક્રિયા-પ્રતિક્રિયા દબાણમાંથી ઉત્પન્ન થયેલી ઊર્જાને અવ્યવસ્થિત અને ઉન્મત્ત વર્તનમાં બાળક પરિવર્તિત કરે છે જેથી આપણે તેને અતિપ્રવૃત્ત થયેલું માનીએ છીએ. આમાંથી બાળકને શાંત કરવાનો માત્ર એક જ ઉપાય રહે છે કે ટી.વી. સૅટ ફરીથી ચાલુ કરવો – અને તેમાંથી ફરીથી એનું એ ચક્ર પણ ચાલુ જ રહે છે.’૩૨ આપણે કદાચ સ્વીકારી લઇએ કે આ બુદ્ધિશૂન્ય અને હિંસાત્મક ટી.વી. કાર્યક્રમો રોજેરોજ જોનારાઓ ૫૨ પ્રત્યાઘાતો પાડનારા છે, અને આપણી ‘બહાદુર નવી દુનિયા’ની ઊગતી પેઢીની માનસિક અને શારીરિક શક્તિઓ ઉપર પરિવર્તનીય અસર પાડે છે, પરંતુ શું આપણે એ વિષે વિચારીશું ખરા કે ટી.વી.ની ટૅકનૉલૉજી પોતે આ પ્રેક્ષકો પર કઈ અસર પાડે છે? દા.ત. મીડિયાના કેટલાક વિવેચકોના મતે અતિપ્રવૃત્તિ માત્ર ટી.વી.માં જણાતી હિંસાના પ્રતિભાવરૂપે નથી હોતી, પરંતુ ટી.વી.માં થતા ટૅકનિકલ બનાવોના ઉપયોગને લીધે પણ થાય છે.

આમ તો ટી.વી. એક કંટાળાજનક માધ્યમ છે, કેમ કે તે માત્ર આંખો અને કાનોનો જ ઉપયોગ કરે છે. પણ એથી જ પ્રેક્ષકોનું ધ્યાન ખેંચી રાખવાના હેતુથી ટી.વી.ના નિર્માતાઓએ એક અદ્ભુત મૃગજળની દુનિયા ઊભી કરી છે. અને આ માટે ટૅકનૉલૉજી તેમની મદદે છે. ટી.વી.ના ઇતિહાસનો સૌથી વધુ લોકપ્રિય બનેલો કાર્યક્રમ છે – ‘સીસેમ સ્ટ્રીટ’ (Sesame Street). જાહેરખબરોની દુનિયાના જૂના જોગીઓએ તેનું નિમાર્ણ કર્યું છે અને તેને બિરદાવ્યો પણ છે, તેમાં જાહેરખબરની દુનિયાને જાણીતાં હોય તેવાં તમામ ટૅકનૉલૉજીકલ સાધનોનો ઉપયોગ થયો છે, ગીતો અને કાર્ટૂનો પણ વચમાં નાખવામાં આવ્યાં છે, અને નાના નાના ટૂકડાઓથી તેની ગતિ ચાલી રહી છે. ઓછા સમયમાં ઘણું બધું ઠાંસી ઠાંસીને ભરવું, એ જાહેરાતની દુનિયાનું જાણીતું શસ્ત્ર છે. તેમાં બહુ નાની નાની ક્ષણોનો ઉપયોગ – જે બનાવોની વચ્ચે બિનઉપયોગી હોય, તે દરમ્યાન – નકામા અવાજોથી ભરી દેવા માટે કરવામાં આવે છે, પણ તે સાથે જ અવાજના તરંગો એટલા તીવ્ર અને પ્રભાવક હોય છે કે તે સ્મૃતિ પર અંકિત થઈ જાય છે.’૩૩ ‘સીસેમ સ્ટ્રીટ’ના કાર્યક્રમમાં બાળકોને એ વસ્તુ વધુ પ્રિય છે જેમાં ટૅકનૉલૉજી, પાક્ષિક હકીકત તેમ જ કલ્પનાને જેમ તેમ ભેગી કરી, ઓછા સમયમાં ભરી ભરીને ગતિમાન સમયના ઢાંચામાં દર્શાવાય છે. શું આને પરિણામે અતિપ્રવૃત્તિનો પ્રતિભાવ તેમનામાં ઉત્પન્ન થાય તેમાં કશી નવાઈ છે ખરી?

‘(ટૅકનિકલ બનાવો) બાળકના ધ્યાન આપવાની સમય-મર્યાદા ઉપર પ્રતિકૂળ પ્રભાવ પેદા અવશ્ય કરે છે અને વાસ્તવિક જીવનના સમયના ઢાંચામાં ગૂંચવણ ઊભી કરતી ગતિથી બનતા બનાવો અને મળતી માહિતીને પચાવવામાં તે અશક્ત બને છે’ એમ શ્રી જૅરી મૅન્ડરનું કહેવું છે. તેઓ કહે છે, ‘જ્યારે પ્રેક્ષકો સતત વિકૃત અને અશક્ય કલ્પના- ચિત્રો વચ્ચે અટવાયા કરતા હોય ત્યારે તેમનામાં તનાવોઊભા થવાની શક્યતા છે જ. દરેક ૧૦ સેકન્ડમાં તમારા ધ્યાન આપવાની પ્રક્રિયાને ખળભળાવી મૂકે – પરિવર્તનથી – અને તમારી સ્વાભાવિક પ્રક્રિયા તમારી પોતાની માહિતી મેળવવાની ગતિ અને પ્રાકૃતિક વાતાવરણ સાથે તાલબદ્ધ થતી હોય, તેવે વખતે આ પ્રકારનાં અવરોધક અને વિકૃતિપૂર્ણ દૃશ્યો ખરેખર પાગલ કરી મૂકે તેવાં જ હોય છે.૩૪ તાજેતરમાં થયેલા અભ્યાસોએ મૅન્ડરની આ તારવણીને જ અનુમોદન આપ્યું છે. છ વર્ષની વયના ટી.વી.ના પ્રેક્ષકોમાં જેટલો ટી.વી. જોવાનો સમય વધુ હતો તેટલી તેમની બૌદ્ધિક ક્ષમતા ઓછી થતી હતી અને જેટલો સમય ઓછો હતો તેટલી તે વધતી હતી, અને સાથે સાથે જ તેમના આવેશમય વર્તનમાં પણ સુધારો જણાતો હતો, એવું એક અભ્યાસનું તારણ જણાવાય છે. આવાં જ તારણો અન્ય પ્રકારનાં પરીક્ષણોથી મનોવૈજ્ઞાનિકોને મળ્યાં છે.૩૫

બાળકોની અતિપ્રવૃત્તિ ( Hyperactivity) અથવા આવેશમય વર્તનની સમસ્યા અનેક શિક્ષણવિદોને સતાવી રહી છે. આજકાલના વિદ્યાર્થીઓ કોઈ એક વિષયમાં સામાન્ય ધ્યાનનો સમય સાચવી શકતા નથી, એવી ફરિયાદો શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. આ વિદ્યાર્થીઓને વારંવાર, ઘણા ઓછા સમયને અંતરે કંટાળો આવવા માંડે છે, અને તેઓ સતત પરિવર્તન માટે આગ્રહ રાખતા હોય છે. આને પરિણામે, શિક્ષકોએ શીખવવાને બદલે જાણે પોતે જ અભિનય આપવો પડે છે, જે વિચાર કરતાં કરી મૂકે તેવું છે.૩૬ ‘મારે માટે તો શિક્ષણનો મુખ્ય અર્ક છે માનસમાં ઉપજતી એકાગ્રતા’ – આવો સ્વામી વિવેકાનંદજીનો આગ્રહ હતો. તેમણે કહ્યું હતું કે, ‘જો મારે મારું શિક્ષણ બીજી વખત મેળવવાનું હોય, અને જો મને તે અંગે લેવાતા નિર્ણયમાં કંઈ કહેવાની તક હોય તો મને એકાગ્રતા અને નિર્લેપતાના ગુણો વધારવાની ઈચ્છા રહેશે, અને આ જ સાધનોથી હું મારી મનગમતી રીતે મારા મનગમતા વિષયની વિગતો એકત્રિત કરી શકીશ.’૩૭

અતિપ્રવૃત્તિ એવી કોઈ પણ સંસ્કૃતિ માટે હાનિકારક છે, જે પોતાની નવી ઊગતી પેઢીને પોતાના ભવિષ્યના ઘડનારા તેમ જ પોતાનાં મૂલ્યોને આગળ ધપાવનારા માને છે. આ અતિપ્રવૃત્તિ બાળકોની એકાગ્રતા- જે જ્ઞાન મેળવવાનો પાયો છે તે તોડી નાખે છે, અને તેથી ભૌતિક કે આધ્યાત્મિક, કોઈ પણ પ્રકારના જ્ઞાનથી તે વંચિત રહી જાય છે. ‘માનસિક શક્તિ વેરવિખેર થયેલા પ્રકાશનાં કિરણો જેવી છે,’ સ્વામી વિવેકાનંદે એકવાર સમજાવ્યું હતું; ‘જ્યારે તે એકત્રિત, એકાગ્ર બને છે, ત્યારે જ તે ઉજાળવામાં, પ્રકાશ આપવામાં – શક્તિમાન બને છે. આપણે માટે જ્ઞાનપ્રાપ્તિનું આ એક જ સાધન છે. એનો ઉપયોગ સહુ કોઈ કરે છે. બાહ્ય જગતમાંથી અથવા આંતરિક રીતે જ્ઞાન મેળવે છે; પરંતુ મનોવૈજ્ઞાનિક માટે તો આ સૂક્ષ્મ નોંધ દ્વારા આંતરિક સ્થિતિનું નિરીક્ષણ કરવાનું હોય છે, જ્યાંથી વૈજ્ઞાનિક તર્કશીલ વ્યક્તિ તેને બાહ્ય જગતમાં દોરે છે અને આ પ્રાપ્ત કરવા માટે અતિશય અભ્યાસની આવશ્યકતા રહે છે.’૩૮ ‘મનની એકાગ્રતા પ્રાપ્ત કર્યા વિના દુનિયાના આટલા બધા જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકી હશે ખરી?’ સ્વામી વિવેકાનંદ તેમની સભામાં વારંવાર પ્રશ્ન કરે છે.

સ્વામી વિવેકાનંદજી એકાગ્રતાનું મહત્ત્વ સમજાવતાં આગળ કહે છે, ‘આ જગત પોતાનાં રહસ્યો ખોલવા સદૈવ તૈયાર છે, જો આપણે ટકોરો મારી બારણાં ઉઘાડવાની કળા શીખીએ તો, કેવી રીતે એ રહસ્યોનો સ્ફોટ કરવો તે જાણીએ તો. આ ટકોરાની શક્તિ અને સામર્થ્ય આપણને એકાગ્રતાથી મળે છે. માનવમનની શક્તિને કોઈ સીમા નથી. જેટલું તે વધુ એકાગ્ર થશે, જેટલી શક્તિ તે એક બિન્દુ પર વધારે કેન્દ્રિત કરશે, તેટલી તેની પોતાની શક્તિ વધશે; આ જ તો રહસ્ય છે.’૩૯ સ્વામીજીએ તારવ્યું કે ‘એકાગ્રતાથી સાચા અને સુંદર ધર્મનાં મંડાણ થાય છે’૪૦ અને એકાગ્રતા વિના? તેનાથી તો એક સમાજનું શૈક્ષણિક અધઃપતન અને આધ્યાત્મિક શૂન્યતા જ સર્જાય છે.

અતિપ્રવૃત્તિની સાથે સાથે જ, ટૅલિવિઝન ટૅકનૉલૉજી તેના પ્રેક્ષકોમાં એક વિરોધાભાસી જણાતો પ્રતિભાવ પણ પ્રેરે છે – તે છે ઉદાસીનતાનું લક્ષણ. લાંબા સમય સુધી ટી.વી. જોનારા પ્રેક્ષકોનાં મગજ બહુ સહેલાઈથી ‘આલ્ફા’ નામની માનસિક સ્થિતિમાં પહોંચી જાય છે, જેમાં તે બહુ ધીમી ગતિ અને નિર્જ્ઞાન સ્થિતિ (Non-cognitive mode) પર પહોંચે છે, જેમાં કોઈ પણ વિવેચનાત્મક વિશ્લેષણ વિના જ માહિતીને સીધું મગજ સુધી પહોંચાડવાનું શક્ય બને છે. આ સ્થિતિને ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટી ‘સ્લીપટીચીંગ’ અથવા ‘ઊંઘમાં શિક્ષણ’ કહે છે.૪૧ આ પ્રકારના ‘આલ્ફા’ના તરંગો, જે ક્ષણે માનવ માહિતી જાતે મેળવવાનો પ્રયાસ કરે, તે ક્ષણે બંધ થઈ જાય છે.

પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોએ કેટલીક વાર અમુક પ્રકારની સાધના-ધ્યાન (સમાધિ)ને ‘આલ્ફા’ તરંગની આ વ્યવસ્થાની સાથે સરખાવી છે.૪૨ જો કે પૂર્વીય ધ્યાન-સમાધિનો વિચાર પશ્ચિમી દેશોમાં હજી તાજેતરમાં જ દાખલ થયો છે તેથી તેમણે કરેલા અભ્યાસો ક્ષતિયુક્ત હોવાની વધુ સંભાવના છે. દા.ત. શું જે ‘ધ્યાન’ કરનારાઓનું પરીક્ષણ પશ્ચિમી વૈજ્ઞાનિકોએ કર્યું હતું, તેઓ ‘ધ્યાન’ની ક્રિયામાં શિખાઉ હતા કે પ્રવીણ થઈ ચૂક્યા હતા? ‘ધ્યાન’ના ક્યા પ્રકારોનું પરીક્ષણ કર્યું હતું? વિમર્શાત્મક ક્રિશ્ચિયન ધ્યાન, બૌદ્ધ ‘વિપશ્યના’ ધ્યાન કે પછી વેદાન્તી ધ્યાન જે વૈયક્તિક પ્રભુ અથવા નિર્ગુણાત્મક સત્ય પણ હોય છે તેવું ધ્યાન?

જે પ્રયત્નપૂર્વક મળે તેવી રીતે યથાર્થ ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત કરવાના ત્રણ તબક્કાઓ વેદાન્તિક પરંપરા જણાવે છે – તેનું વર્ણન કરતાં સ્વામીજીએ કહ્યું, ‘જો મન પ્રથમ કોઈ ચીજ સાથે એકાગ્રતા કેળવી શકે, અને પછી એ એકાગ્રતાને વધુ સમય માટે લંબાવી શકે, અને પછી તે વિલંબિત એકાગ્રતા દ્વારા જે આંતરિક સમજ કે ગ્રહણશક્તિ પ્રત્યે વળે જેનું તે ચીજ તો પ્રતીક માત્ર હતી, તેવે સમયે આ સ્થિતિમાં પહોંચેલા મનના નિયંત્રણમાં બધું જ આવી જાય છે.’૪૩ તેના સત્ય અર્થમાં ‘ધ્યાન’ શબ્દનું એ તાત્પર્ય છે કે તેના દ્વારા કોઈ ઉદાસીનતા પેદા થતી નથી, અને તે સહજપ્રાપ્ય ન હોતાં વર્ષોના સતત પ્રયત્ન પછી જ પ્રાપ્ત થતી સ્થિતિ છે.

પ્રાચીન ભારતીય વિચારકો અને ઋષિઓએ ધ્યાનની પ્રક્રિયાનો આદિથી અંત સુધી અભ્યાસ કર્યો છે. કોઈ પણ ચીજ પ્રત્યે ૧૨ સેકન્ડ સુધી અવિભાજિત વૃત્તિને એકાગ્રતા કહેવામાં આવે છે, જે એકાગ્રતા બે મિનિટ અને ૨૪ સેકન્ડ સુધી લંબાવાય તેને ‘ધ્યાન’ કહેવાય છે. જે ‘ધ્યાન’ ૨૮ મિનિટ અને ૪૮ સેકન્ડ સુધી જાળવી શકાય તેને નિમ્નસ્તરની ‘સમાધિ’ કહે છે.૪૪ ટૅલિવિઝન જોયા કરવાથી જે પેદા થાય છે તે -‘આલ્ફા’ તરંગોને આ ધ્યાન જગાડે છે કે નહિ તે વિષે કદાચ હજી વૈજ્ઞાનિકોને જાણવાનું બાકી છે, છતાં, જો એ પ્રકારનું પરિણામ સંભવે તેમ હોય તો પણ પ્રયત્નપૂર્વક મેળવેલ ‘ધ્યાન’ અને સતત ટૅલિવિઝન જોયા પછી મળતી ‘આલ્ફા’ની સ્થિતિ વચ્ચે એક મહત્ત્વનો તફાવત રહે જ છે : ‘ધ્યાન’ એક આંતરિક શક્તિથી મેળવેલી સ્થિતિ છે જ્યારે બીજી સ્થિતિ બાહ્ય કારણો પર આધારિત રહેનારી છે. ‘ધ્યાન’ દ્વારા આંતરિક એકાગ્રતામાં વધારો થાય છે, જ્યારે ટી.વી. જોવાથી એક મનોરંજન મળે છે જે એકાગ્રતાનો વિકાસ કરતું નથી.૪૫ ટી.વી. જોવાથી આવતી ‘આલ્ફા’ની સ્થિતિ માટેનાં ઘણાં કારણો છે. એમાંનું એક તો છે ટી.વી.નો નાનો પડદો. તેમાં દેખાતાં દૃશ્યો પકડવા માટે આંખને ઘણું ઓછું હલનચલન કરવું પડે છે. આમ, દૃશ્યો પ્રયત્નપૂર્વક મેળવવાની જરૂરિયાત ઓછી થઈ જાય છે. જૅરી મૅન્ડર કહે છે કે, ‘આને લીધે આંખની હલનચલન અને વિચારની ઉદ્દીપ્તતા વચ્ચેના સામાન્ય જોડાણમાં ખલેલ પહોંચે છે જે મનુષ્યમાં સેફટી વૉલ્વનું કાર્ય કરે છે.’

જૅરી મૅન્ડર આગળ સમજાવતાં લખે છે. ‘આધુનિક કાળ પહેલાંના સમયમાં’ વાતાવરણમાં અસામાન્ય જણાય તેવા બનાવ પ્રત્યે માણસનું તાત્કાલિક ધ્યાન ખેંચાઈ શકતું; દરેક ઇન્દ્રિય તેના પર કેન્દ્રિત થતી, જેમાં તેની હાજરીને ‘જણાવતી’ ઇન્દ્રિય ઉપરાંત આંખો પણ ઉપયોગમાં આવતી. પરંતુ જ્યારે એ ચિત્રને, માનસચિત્રને, મેળવવાનો સહેજે પ્રયત્ન કરવો પડતો ન હોય, ત્યારે મગજનું આ અતિમહત્ત્વનું કાર્ય થતું નથી.૪૬ ‘આલ્ફા’ સ્થિતિ પેદા કરતું બીજું તત્ત્વ છે ટી.વી પડદા પરનો અસ્થિર અને ટમટમતો પ્રકાશ, જે પ્રત્યેક સેકન્ડે પડદા પર ૬૦ વખત ચમકે છે. આની સાથે પડદામાંના દૃશ્યો ઝીલવા માટે આંખોનું હલનચલન નહિવત્ હોય છે ત્યારે એક એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે જે વશીકરણના (Hypnosis) પ્રયોગ દરમ્યાન એક મીણબત્તીની જ્યોતને – તેના અસ્થિર પ્રકાશને એકીટશે જોઈ રહેવા જેવી જ માનસિક સ્થિતિ ઊભી કરે છે.

આ ઉપરાંત એક ત્રીજું તત્ત્વ પણ છે – ટી.વી.માં દર્શાવાતાં અવિરત દૃશ્યોની કતારો. આને લીધે પ્રેક્ષક એ દૃશ્યોનું તર્કયુક્ત વિશ્લેષણ કરે અથવા કરી શકે એવો કોઈ સમય રહેતો નથી, આને લીધે, પ્રેક્ષક માત્ર દૃશ્યોને ઠાંસી ઠાંસીને ભરવાના પાત્ર સમાન જ બની જાય છે, અને તેથી એની મનોસ્થિતિ એવી બને છે કે દૃશ્યચિત્રો પોતાની આગવી ગતિથી તેમાં કોઈ રોકટોક વિના પ્રવેશી શકે છે.

૧૯૭૫માં એક સંશોધન જૂથનું નેતૃત્વ મૅરીલિન અને ફ્રૅડ ઍમરી નામના મનોવૈજ્ઞાનિકોએ ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટી, કૅનબેરાના સૅન્ટર ફૉર કન્ટીન્યુઈંગ ઍજ્યુકેશન માટે કર્યું હતું. તેમના અહેવાલ મુજબ, પ્રેક્ષકોને ઉપયોગી માહિતી પૂરી પાડવાના સાધન તરીકે ટી.વી. ઘણી ક્ષમતા ધરાવે છે અને તેના આ શૈક્ષણિક કાર્ય માટે તેનું સન્માન પણ ઘણું થઈ શકે છે. તેમ છતાં, જેને આપણે સામાન્ય રીતે શિક્ષણ પ્રક્રિયા સમજીએ છીએ તેમાં ટી.વી.ની પ્રેક્ષક-પ્રક્રિયાથી જાણે એક પ્રકારે માનસિક દબાણ ઊભું થાય છે. ટી.વી.નાં દૃશ્યોમાં જોયેલી માહિતીમાંથી સમજાય તેવી, યાદ કરી શકાય તેવી, વિશ્લેષણ કરી શકાય તેવી, વિચારને કેળવે તેવી શૈક્ષણિક પ્રક્રિયા ઘણી ઓછી મળે છે.

આગળ જતાં આ અહેવાલ જણાવે છે, આપણને એ પુરાવા પણ પ્રાપ્ત થાય છે કે ટી.વી.ના દર્શકોની એકાગ્રતાની શક્તિનો હ્રાસ થાય છે;૪૭ આ પ્રકારનું નિશ્ચેષ્ટ શિક્ષણ સ્વામીજીને આજે અત્યંત અકારું લાગ્યું જ હોત; ગઈ સદીના છેલ્લાં વર્ષોમાં પણ તેમણે એ બાબતે અત્યંત ભાર મૂક્યો હતો – સાન ફ્રાન્સિસ્કોમાં વિદ્યાર્થીઓ સમક્ષના ભાષણ દરમ્યાન તેમણે કહ્યું હતું, કે જે કંઈ તેઓ વાંચે છે તેને આંધળાભીંત થઈને સ્વીકારી ન લે, ‘જ્ઞાનનું મૂલ્ય એ જ છે કે તે મગજને કસીને શક્તિશાળી અને શિસ્તબદ્ધ બનાવે છે,’ તેમના પાશ્ચાત્ય પ્રેક્ષકોને તેમણે ગર્જના કરીને કહી દીધું : ‘આશ્ચર્ય છે કે આડાઅવળા વિચારો ચારે તરફથી ગ્રહણ કરવા છતાં હજી આપણે અજીર્ણના કેમ ભોગ નથી બન્યા? આપણે હવે અટકવું જોઈએ, અને બધાં જ પુસ્તકો બાળી મૂકવાં જોઈએ. આપણી જાત ઉપર કાબુ મેળવવો જોઈએ અને વિચાર કરવો જોઈએ. તમે સહુ તમારું ‘વ્યક્તિત્વ’ ગુમાવવાની બાબતે ચર્ચા તો કર્યા કરો છો, પણ તમે એ જાણતા નથી કે જે આ સતત આવે તે અપનાવવાની ટેવને કારણે તમે તમારું વ્યક્તિત્વ દરેક ક્ષણે ગુમાવતા જ રહો છો.’ પછી તેમની લાક્ષણિક નાટકીય ઢબે સ્વામીજીએ ઉમેર્યું, ‘જો તમારામાંથી કોઈ પણ એક વ્યક્તિ હું જે ભણાવું છું તેના ઉપર જ શ્રદ્ધા રાખશે, તો હું દિલગીર થઈશ. હું ત્યારે જ પ્રસન્ન થઈશ કે જ્યારે હું તમને તમારી જાતે વિચાર કરતાં કરીશ, તે માટે પ્રેરણા આપી શકીશ… મારી મહેચ્છા ઘેટાંઓને સંબોધવાની નહિ પણ જીવંત વિચારક ભાઈઓ અને બહેનોને સંબોધવાની છે…’૪૮

પૅટ્રિશિયા માકર્સ ગ્રીનફિલ્ડ નામનાં લેખિકાએ પોતાના પુસ્તક ‘માઈન્ડ ઍન્ડ મીડિયા : ઘી ઈફેક્ટસ ઑફ ટૅલિવિઝન, વિડિયો ગેમ્સ ઍન્ડ કમ્પ્યુટર્સ’માં પોતાના વાચકોને ટૅલિવિઝનના જ ઉપયોગથી વિચારશક્તિ વધારવા માટેનો એક રચનાત્મક ઉપાય જણાવ્યો છે. તેઓ લખે છે, ‘બાળકો પર ઇલેક્ટ્રોનિક મીડિયાનો જે હાનિકારક પ્રભાવ છે તે આવા મીડિયામાં અંતર્ગત વણાઈ ગયેલો જ છે, એટલું જ નહિ, તે હાનિ આ મીડિયાના થતા વપરાશની રીતને કારણે ઘણી વધી જાય છે.’

જો પુખ્તવયની વ્યક્તિઓ પોતાનાં બાળકોને ટી.વી. જોવાની રીત અને તેમાં જરૂરી વિશ્લેષણવાળી માનસિક પ્રક્રિયા તેમ જ તેઓ જે દૃશ્યો જુએ તેમાંથી કશુંક શીખવાની કળાનું માર્ગદર્શન યોગ્ય રીતે નહીં કરે તો, સતત ટી.વી.ને જોવાની ક્રિયા એક મૃતઃપ્રાય બનાવનાર, ઉદાસીન પ્રવૃત્તિ જ બની જશે.૪૯ (ક્રમશઃ)

ભાષાંતર : ડૉ. સુધા નિખિલ મહેતા

(‘પ્રબુદ્ધભારત’ જાન્યુઆરી ૯૬ માંથી સાભાર)

પાદટીપો

૩૧ : પૅટ્રિશિયા માર્કસ ગ્રીનફિલ્ડ, ‘માઈન્ડ ઍન્ડ મીડિયા : ધી ઈફૅકટ્સ ઑફ ટૅલિવિઝન, વિડિયો ગેમ્સ, ઍન્ડ કમ્પ્યુટર્સ’, (કૅમ્બ્રિજ, હાર્વર્ડ યુનિ. પ્રેસ, ૧૯૮૪) પા.નં. ૫. આ સંબંધમાં જે. એલ. સીંગર અને તેમના સાથીઓ ‘આ ભયજનક દુનિયાની સાબિતી ખાસ કરીને એ બાળકોમાંથી મળી આવી છે જેઓ સાચી હકીકતો આધારિત પુખ્તવયી ગુનાખોરીના નાટકોનાં દૃશ્યો જોતાં હોય છે.’ (જુઓ ફૅમિલિ પૅટર્ન્સ ઍન્ડ ટૅલિવિઝન વ્યૂઈંગ ઍઝ પ્રીડિકટર ઑફ ચિલ્ડ્રન્સ બિલીફસ ઍન્ડ ઍગ્રેશન’ (J. Commun, ૧૯૮૪: વૉલ્યુમ ૩૪, પાના નં. ૭૩-૮૯) અને ‘ફૅમિલિ ઍકસપિરિઅન્સિસ ઍન્ડ ટૅલિવિઝન વ્યૂઈંગ ઍઝ પ્રીડિકટર્સ ઑફ ચિલ્ડ્રન્સ ઈમેજિનેશન, રેસ્ટલેસનૅસ ઍન્ડ ઍગ્રેશન’ (J. Soc. ૧૯૮૬, વોલ્યુમ ૪૨ પાના નં. ૧૦૭-૧૨૪)

૩૨. : જૅરી મૅન્ડર, ‘ઈન ધી ઍબસૅન્સ ઑફ ધી સૅક્રેડ’, (સાન ફ્રાન્સિસ્કો સિપેરા કલબ બુકસ, ૧૯૯૧) પા. ૮૩.

૩૩ : ઍરિક કલાર્ક, ‘ધી વૉન્ટ મૅકર્સ’ (ન્યૂયૉર્ક: વાઈકિંગ પૅન્ગ્વીન, ૧૯૮૯), પાનાં ૯૮-૯૯.

૩૪ : જૅરી મૅન્ડર, ‘ફૉર આર્ગ્યુમેન્ટ્સ ફૉર ધી ઍલિમિનેશન ઑફ ટૅલિવિઝન’, પા. ૩૦૪

૩૫ : પૅટ્રિશિયા માર્કસ ગ્રીનફિલ્ડ, માઈન્ડ ઍન્ડ મીડિયા : ધી ઈફેક્ટ્સ ઑફ ટૅલિવિઝન, વિડિયોગેમ્સ, ઍન્ડ કમ્પ્યુટર્સ. પા. નં. ૯૧-૯૨.

૩૬ : જૅરી મૅન્ડર, ‘ઈન ધી ઍબસેન્સ ઑફ ધી સૅક્રેડ’, પા. ૮૬.

૩૭: ‘ધી કમ્પ્લીટ વર્કસ’, વૉલ્યુમ ૬, પાનું ૩૮-૯.

૩૮ : ‘ધી કમ્પ્લીટ વર્કસ’, વૉલ્યુમ ૧, પાનું-૧૨૯.

૩૯ : ઉ૫૨ મુજબ પા. ૧૩૧

૪૦ : ઉપર મુજબ પા. ૧૩૧

૪૧: જૅરી મૅન્ડર, ‘ઈન ધી ઍબસન્સ ઑફ ધી સૅક્રેડ’, પા. ૮૦

૪૨: જો કે, ગૉડૉન ૨ટ્ટ૨ે ટેઈલર, જેઓ ઈંગ્લિશ ભાષામાં વિજ્ઞાનના સૌથી વધુ જાણીતા લેખક છે, તેઓ લખે છે, જેમ દરેક જ્ઞાનતંતુ – ન્યૂરૉન -મગજમાં તેની નાનકડી નાડીનો ધબકાર પ્રસરાવે છે, તેને લીધે ખોપરીની બહાર એક જાણી શકાય એવું વિજળીક ક્ષેત્ર ઊભું થતું હોય છે. જ્યારે મગજ (Brain) પ્રવૃત્ત હોતું નથી ત્યારે તેની સપાટી પરના ન્યુરૉન એક સાથે ધબકે છે, જેને લઈને ‘આલ્ફા’ તાલની સ્થિતિ સર્જાય છે…જ્યારે મગજ કોઈ સમસ્યા પર કેન્દ્રિત થાય છે ત્યારે ધબકારની આ એકબદ્ધતા (લયબદ્ધતા) અથવા એકસૂત્રતા ખલાસ થઈ જાય છે, કેમ કે દરેક ન્યૂરૉન પોતપોતાની ગતિ તેમ જ વ્યવસાયમાં વ્યસ્ત થઈ જાય છે, અને પરિણામે વધુ સંકુલ તાલબદ્ધતા પેદા થયેલી જણાય છે. જ્યારે ઊંડા ધ્યાનમાં હોય ત્યારે મગજમાંથી દસથી બાર સેકન્ડ જેટલી પણ એકબદ્ધતા કે ‘આલ્ફા’ના તાલની સ્થિતિ રહેતી નથી અને તેની ગતિ ધીમી થઈ જાય છે અને લગભગ ૪ થી ૬ સેકન્ડ જેટલી જ ચાલતી હોય છે, જેને ‘થીટા’ તાલબદ્ધતા કહી શકાય છે. (ન્યૂયૉર્ક : ઈ.પી.ડ્યુટન, ૧૯૭૯) પાના નં. ૪૪

૪૩ : ‘ધી કમ્પ્લીટ વર્કસ’, વૉલ્યુમ ૧, પા. ૧૮૬.

૪૪ : સ્વામી પ્રભવાનંદજી’ ‘હાઉ ટુ નો ગૉડ : ધી યોગ ઍફૉરિઝમ ઑફ પાતંજલિ’, (હૉલીવૂડ, વેદાન્ત પ્રેસ, ૧૯૭૧), પા. ૧૭૯.

૪૫ : જૅરી મૅન્ડર, ‘ફૉર આર્ગ્યુમેન્ટ્સ ફૉર ધી ઍલિમિનેશન ઑફ ટેલિવિઝન’, પા. ૨૦૯.

૪૬: જૅરી મૅન્ડર, ‘ઈન ધી ઍબસન્સ ઑફ ધી સૅક્રેડ’, પા.નં. ૮૦

૪૭ : જરી મૅન્ડર, ‘ફોર આર્ગ્યુમેન્ટ્સ ફૉર ધી ઍલિમિનેશન ઑફ ટૅલિવિઝન’ પા. ૨૦૫.

૪૮ : ‘ધી કંમ્પ્લીટ વર્કસ’ વૉલ્યુમ ૬, પા. ૬૪. આજના અમેરિકનો સમાચારપત્રો અને સામયિકોમાં પોતે શું વાંચે છે તે પર વધુ નિરીક્ષણ કરે છે, જ્યારે પોતે ટેલિવિઝન અથવા ફિલ્મોમાં શું જુએ છે તે વિષે એટલો વિશ્લેષણાત્મક વિચાર કરતા નથી. આ સંબંધમાં, સ્વામી વિવેકાનંદ એ વાતથી અવશ્ય પ્રસન્ન થયા હોત કે ‘સ્પીન’ શબ્દ – એટલે કે લોકમતને કેળવવાની પ્રક્રિયા- અમેરિકનોના શબ્દભંડોળમાં ઉમેરાયો છે. આશ્ચર્યની વાત એ છે કે ૭૧ ટકા જેટલા અમેરિકનો આ શબ્દનો સાચો અર્થ સમજે છે-કે સમાચારપત્રોના ખબરપત્રીઓ, તેમના લેખો તૈયાર કરતી વખતે સમાચારોને થોડા વાંકાચૂકા કરીને ‘સમાજની સમસ્યાનો ઉકેલ લાવવાની પ્રક્રિયા’માં નડતર પેદા કરે છે. સમાજના પહેરેગીર જેવા સમાચાર પત્રો હવે તદ્દન નિયંત્રણની બહાર જઈ ચૂક્યા છે તેવાં તહોમતો હવે વધુ ને વધુ આપણાં સર્વેક્ષણોમાં જણાય છે, એવું ઍન્ડ્રુ કૉહૂટ પોતાના અહેવાલમાં લખે છે, જેઓ ‘ટાઈમ્સ મિ૨૨ સૅન્ટર ફૉર ધી પીપલ ઍન્ડ ધી પ્રેસ’ના ડારેકટર છે. (યુ.ઍસ.ન્યૂઝ ઍન્ડ વર્લ્ડ રિપોર્ટ ૯ જાન્યુ ૧૯૯૫, પાના નં. ૪૫)

૪૯ : પૅટ્રિશિયા માર્કસ ગ્રીનફિલ્ડ, ‘માઈન્ડ ઍન્ડ મીડિયા ધી ઈફેકટસ્ ઑફ ટૅલિવિઝન, વિડિયો ગેમ્સ, ઍન્ડ કમ્પ્યુટર્સ પા, નં.૨

Total Views: 223

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.