‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે – आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ – એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો જગતની સૌથી વધુ આનંદપૂર્ણ વસ્તુ હોવી જોઈએ, કારણ કે તે સર્વોત્તમ છે.’ એટલા માટે અમે આ નવો સ્તંભ પ્રારંભ કરી રહ્યા છીએ, આશા છે વાચકોને આ નવો સ્તંભ ગમશે. – સં.
અમેરિકાની એક વેદાંત સોસાયટીના રસોડા ઘરમાં રાખવામાં આવેલ સાઇનબોર્ડ
મિત્રો,
આપને જણાવવાનું કે આ રસોડું શ્રીરામકૃષ્ણદેવનું છે, માટે –
જો આપ ભક્તિયોગી હો – સદા સ્મરણ રાખો કે શ્રીરામકૃષ્ણદેવ સ્વચ્છતા અને સુઘડતા પસંદ કરતા. માટે તેમને પ્રસન્ન કરવા આ રસોડું હંમેશાં સાફસુથરું રાખો.
જો આપ જ્ઞાનયોગી હો – જ્યાં સુધી આપને આત્મજ્ઞાન પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી આપ કહી ન શકો કે આ રસોડું મિથ્યા છે. આપ એ પણ જાણો છો કે રસોડું પોતે પોતાને સાફ કરી શકે નહિ. માટે આને હંમેશાં સાફસુથરું રાખો, આથી ચિત્તશુદ્ધિ થશે અને બ્રહ્મજ્ઞાનનો માર્ગ મોકળો થશે!
જો આપ કર્મયોગી હો – નિષ્કામ સેવા કરવા માટેની આ સોનેરી તક છે. આ રસોડાને સાફ રાખો. અન્ય પર આ કાર્યનો ભાર સોંપીને સેવાનો આ મહામૂલો અવસર ચૂકતા નહિ!
જો આપ રાજયોગી હો – એકાગ્રતાના અભ્યાસની આ સોનેરી તક છે. આ રસોડાને પૂર્ણ એકાગ્રતાથી સાફ કરો. બાહ્ય કાર્યો કરવાથી મનને એકાગ્રતાની ટેવ પડી જશે અને મંદિરમાં ધ્યાન કરતી વખતે પણ એકાગ્રતા આવશે.
અને જો આપ બ્રહ્મજ્ઞાની થઇ ચૂક્યા હો…
કૃપા કરીને આપનું આસન ગ્રહણ કરો, અમને બ્રહ્મજ્ઞાન આપો, આશીર્વાદ આપો, અમે આપના વતી આનંદથી રસોડું સાફ કરીશું.
Your Content Goes Here