દરેક આત્મા પૂર્ણ થવા નિર્માયેલો છે, અને પ્રત્યેક જીવ અંતે તે સ્થિતિએ પહોંચવાનો છે. આત્મામાં રહેલી શક્યતાઓને બહારની સહાયથી વેગ મળે છે; તે એટલે સુધી કે આ દુનિયામાં મોટા ભાગના લોકોને બાહ્ય સહાયની અનિવાર્ય જરૂર છે. વેગ આપનારી શક્તિઓ બહારથી આવે છે, અને આપણી અંદરની શક્યતાઓ ઉપર તે કામ કરે છે. પછી વિકાસ શરૂ થાય છે, આધ્યાત્મિક જીવનનો પ્રારંભ થાય છે અને આખરે માણસ પવિત્ર અને પૂર્ણ બને છે. બહારથી આવતી આ ઉત્તેજક પ્રેરણા પુસ્તકોમાંથી પ્રાપ્ત થતી નથી. એક આત્મા બીજા આત્મા પાસેથી જ આવી પ્રેરણા મેળવી શકે, બીજા કોઈ પાસેથી નહીં. એવો કોઈ નિયમ નથી કે બુદ્ધિમત્તાની પરાકાષ્ઠાની સાથોસાથ માનવીનો તેને અનુરૂપ આધ્યાત્મિક વિકાસ પણ થાય. ઊલટું લગભગ રોજ આપણે જોઈએ છીએ કે બુદ્ધિનો અસાધારણ વિકાસ આધ્યાત્મિકતાને ભોગે જ થયો હોય છે. પુસ્તકોનો અભ્યાસ કરતાં કરતાં કવચિત એવો ભ્રમ થાય છે કે તેથી આપણને આધ્યાત્મિક સહાય મળે છે; પણ આપણે આપણું પૃથક્કરણ કરીએ તો જાણી શકીશું કે તેથી કેવળ આપણી બુદ્ધિનો જ વિકાસ થયો છે, આત્માનો નહીં. તેથી જ આપણામાંનો દરેક જણ આધ્યાત્મિક વિષયો ઉપર ઘણું બોલી શકે છે, પણ તેનો અમલ કરવાનો વખત આવે ત્યારે જ આપણને આપણી દુ:ખદ અપૂર્ણતાનો ખ્યાલ આવે છે.

જે આત્મા પાસેથી આવી પ્રેરણા મળે છે તેને ‘ગુરુ’ કહેવામાં આવે છે. અને જે આત્માને આવી પ્રેરણા મળે તેને ‘શિષ્ય’ કહેવામાં આવે છે. આ પ્રેરણાનો અન્ય આત્મામાં સંચાર કરાવા માટે પહેલાં તો સંચાર કરનાર આત્મામાં તેમ કરવાની શક્તિ હોવી જોઈએ; અને બીજું, જેનામાં તેનો સંચાર કરવામાં આવે તેમાં તેને ગ્રહણ કરવાની યોગ્યતા જોઈએ. બીજ જીવંત હોવું જોઈએ અને ક્ષેત્ર ખેડેલું તૈયાર હોવું જોઈએ; આ બન્ને શરતો પૂરી થાય ત્યારે ધર્મભાવનાનો અદ્‌ભુત વિકાસ થાય છે. શ્રોતા પણ તેવો જ જોઈએ.’’ કુદરતનો આ ગૂઢ નિયમ છે કે જ્યારે ક્ષેત્ર તૈયાર હોય ત્યારે બીજ જરૂર આવે, અને જ્યારે આત્મા ધર્મ માટે તલસતો હોય ત્યારે આધ્યાત્મિક શક્તિનો પ્રેરક પણ તરત જ મળી આવે. પણ આ માર્ગમાં વિકટ ભયસ્થાનો છે. શિષ્યને પોતાની ક્ષણિક ઊર્મિમાં ધર્મ માટેની સાચી તાલાવેલી માનવાની ભૂલ કરી બેસવાનો ભય છે. થોડા જ દિવસોમાં એ તરંગ શમી જાય છે અને આપણે જ્યાં હોઈએ ત્યાં જ રહી જઈએ છીએ. આવી ક્ષણિક ઊર્મિઓને આપણે ઘણી વાર ધર્મ માટેની સાચી તમન્ના માની લઈએ છીએ. પરન્તુ જ્યાં સુધી આ ક્ષણિક ઊભરાઓને આપણે સાચી ખરેખરી આકાંક્ષા સ્વીકારીએ ત્યાં સુધી ઈશ્વર માટેની આત્માની સતત અને ધર્મપિપાસા તરીકેની આકાંક્ષા ભૂલથી જાગશે નહીં, અને આપણને પ્રેરણા દેનાર ‘‘ગુરુ’’ પણ નહીં મળે. ઘણા ખરા કિસ્સાઓમાં જણાશે કે આપણે જ સત્યપ્રાપ્તિ માટે યોગ્ય નથી; આપણને તેની આકાંક્ષા નથી; આપણામાં આધ્યાત્મિકતા માટેની તાલાવેલી નથી.

પણ પ્રેરણાદાતા ગુરુની બાબતમાં તો તેથી ય વધારે મુશ્કેલીઓ છે. ઘણા એવા હોય છે, કે જેઓ પોતે અજ્ઞાનમાં ડૂબેલા હોવા છતાં અભિમાનથી માને છે કે પોતે બધુંય જાણે છે; તેઓ ત્યાં જ અટકતા નથી પણ બીજાનો બોજો ઉપાડવા પણ તૈયાર થઈ જાય છે, અને પરિણામે ‘‘એક આંધળો બીજાને દોરે અને બન્ને ખાડામાં પડે,’’ તેવું થાય છે. દરેક ભિખારીને લાખો રૂપિયાના દાન કરવાના કોડ હોય છે. પણ આવા ભિખારીઓની પેઠે આવા ગુરુઓ પણ હાસ્યાસ્પદ હોય છે. 

— સ્વામી વિવેકાનંદ
(‘સ્વામી વિવેકાનંદ – ગ્રંથમાળા સંચયન’, પૃ.૧૯૬-૯૭)

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.