૧. માનવ માનવ વચ્ચેનો ભેદ

‘તમે જીવનમાં સુખાકારી ઇચ્છો છો?’ કોઈ પણ વ્યક્તિને તમે આવો પ્રશ્ન પૂછશો એટલે તમે તરત જ અને ચોક્કસપણે ‘હા’ એવો ઉત્તર સાંભળશો. પણ જેવો તમે એને ‘તમે ખરેખર સુખી છો?’ એવો પ્રશ્ન પૂછશો કે તરત જ એનો ચહેરો ઝાંખો ઝપટ થઈ જશે. એનો અર્થ એવો થયો કે ‘આપણે જે ઇચ્છીએ છીએ’ અને ‘આપણે અત્યારે જે પરિસ્થિતિમાં છીએ’ એ બંને વચ્ચે ઘણો મોટો તફાવત છે. અને આપણા જીવનમાં એ જ વધારે મહત્ત્વની સમસ્યા છે.

દરેક વ્યક્તિમાં પહેલેથી રહેલ સંતોષ અને અસંતોષ પરથી આ ભેદ માપી શકાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં આગેકદમ ભરવા કે પોતે નક્કી કરેલા ધ્યેયે પહોંચવા આ સંતોષનો એક ઉત્તેજના તરીકે ઉપયોગ કરી શકે છે. આનાથી ઊલટું કોઈ પણ વ્યક્તિ અસંતોષથી ડૂબી જાય છે અને સતત ચિંતા દ્વારા પોતાના જીવનને વેડફી પણ નાખે છે.

૨. સુખ શું છે?

એક વખત એક વેપારી દરિયા કિનારે ચાલ્યો જતો હતો. એ સમયે પોતાની નજીકમાં જ પડેલી જાળ પાસે એક માછીમારને સૂતેલો જોયો. તે માછીમાર ઘણો ખુશમિજાજમાં હતો અને કોઈ ગીત ગણગણતો હતો. એક માછીમાર આટલો બધો સુખી અને આનંદમાં કેમ હોઈ શકે? એ જોઈને પેલા વેપારીને આશ્ચર્ય થયું. તે માછીમારની નજીક ગયો અને એમની સાથે વાતચીત કરવા લાગ્યો.

વેપારી : શું આજ તમે માછલી પકડવા નથી ગયા?

માછીમાર : અરે હા, હું આજે માછીમારી માટે ગયો હતો. અને ઠીક ઠીક પ્રમાણમાં માછલી પકડાઈ અને એને બજારમાં વેંચી પણ નાખી. એ બધાં કામ પતાવીને આરામથી લંબાવ્યું છે.

વેપારી : તો પછી વધારે માછલી કેમ પકડતા નથી? 

માછીમાર : ભાઈ, શા માટે મારે વધારે માછીમારી કરવી જોઈએ? મારે એ શા ખપનું?

વેપારી : ભાઈ, તને વધારે પૈસા મળે.

માછીમાર : વધારે પૈસા મેળવીને મારે શું કરવું?

વેપારી : તું તારા માટે હોડી ખરીદી શકે અને વધારે માછીમારી કરીને માછલી પકડી શકે.

માછીમાર : અને પછી શું?

વેપારી : તમને વધારે પૈસા રળશો અને તમારે રહેવા માટે તમારું પોતાનું મોટું ઘર પણ મેળવી શકો.

માછીમાર : પછી શું?

વેપારી : તમારો ધંધો વધારીને તમે ટીવી, ફ્રિજ, ગાડી, વગેરે ખરીદી શકો.

માછીમાર : એના પછી શું?

વેપારી : તમે સુખેથી જીવી શકો!

માછીમાર : એમ વાત છે? તો પછી અત્યારે હું શું કરું છું? શું અત્યારે હું સુખ-આનંદમાં નથી? કદાચ તમે એમ કહેવા માગો છો કે ઉપર્યુક્ત બધી ચીજવસ્તુઓ મેળવીને હું સુખી થઈ શકીશ, એમ ને? અરે ભાઈ, હું અત્યારે પૂર્ણપણે સુખ-આનંદમાં છું, સમજ્યા!

માછીમારના આ શબ્દો સાંભળીને વેપારી તો આશ્ચર્ય સાથે અવાક્‌ બની ગયો. હવે આ વાર્તા પર જરા ગહનતાથી વિચાર કરો. ખરેખર આવશ્યક ન હોય એવી વસ્તુઓનો ઉમેરો કરવાથી શું ભલું થઈ જવાનું? કેટલાક લોકોને એની જરૂરત જણાય અને કેટલાકને એની આવશ્યકતા ન પણ લાગે. સુખાકારીનો આધાર સંપૂર્ણપણે બાહ્ય પદાર્થો કે ચીજવસ્તુઓ પર નથી જ. એક સુખ્યાત સૂક્તિ કહે છે : ‘સુખ કે આનંદ મનની એક અવસ્થા છે’ આ વાર્તા કહેવા પાછળનો અર્થ કે હેતુ જીવનમાં સ્થગિતતા લાવવા માટે કે પ્રગતિના પથમાં પાણો નાખવા માટેનો નથી. જીવનમાં પ્રગતિ સારી છે; વિસ્તૃતિ પણ જરૂરી છે, પણ આ બધું કેટલા અંશે? એ બધું લાગતા વળગતા લોકોને સુખ-આનંદ આપી શકે છે, એના પર જાગ્રતમને વિચારવું જોઈએ.

૩. સુખાકારી – એક ટેવ

બે વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરતા હતા. બંને પરીક્ષા માટે તૈયારીમાં મંડ્યા હતા. આ બેમાંથી એક એક દિવસ ઘણું વાચન કર્યાં પછી આરામથી ઊભો હતો. ચંદ્રની શીતળ ચાંદનીમાં ઊભા રહીને તે પૂર્ણ ખીલેલા ચંદ્રનું સૌંદર્ય નિહાળી રહ્યો હતો અને આ શાંત, શીતળ રાત્રીનો આનંદ માણતો હતો. આ જોઈને એના સહસાથીઓએ પૂછ્યું: ‘ભાઈ, તું આ શું કરે છે?’ પેલાએ જવાબ આપ્યો: ‘હું શીતળ ચાંદનીનો આનંદ માણી રહ્યો છું. થોડીવાર પછી વાચવાનું શરૂ કરી દઈશ.’

સહાધ્યાયીએ એનો આવો ઉત્તર સાંભળીને આઘાત અનુભવ્યો અને એને લાગ્યું કે આ તો નકામો કીમતી સમય વેડફવા માંડ્યો છે. તે પોતે ‘આ પરીક્ષાના ભયથી’ માનસિક તણાવ અનુભવતો હતો. એટલે એ આ ચંદ્રની શીતળ ચાંદનીને માણી ન શક્યો અને આ શાંત શીતળ રાત્રીની પળે તેને સુખ કે આનંદ મળ્યો નહિ. એ મિત્ર કેવી રીતે અભ્યાસ કરવો અને કેવી રીતે જીવન જીવવું એ બેમાંથી એકેય જાણતો ન હતો.

આ વાત બધાને લાગુ પડે છે. બધાં કામ કરવા શક્ય હોય છે છતાં પણ ઘણા માણસો એની ચિંતા કરતા નથી. તમે જવાબદારીપૂર્વક કામ પાર પાડી શકો છો; માટે તમારે નિરર્થક માનસિક તણાવમાં રહેવાની જરૂર નથી.

દૂરદર્શન પરના રૂબરૂ વાર્તાલાપમાં એક આવા સુખી અને શાંત માણસની સાથે ચર્ચા ચાલતી હતી. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તેઓ કેવી રીતે સુખ-શાંતિથી જીવી શકે છે. આ સાંભળીને એ વૃદ્ધ માણસે જવાબ આપ્યો: ‘દરરોજ સવારે જ્યારે હું ઊઠું છું ત્યારે મારી સામે સુખી થવાની કે દુ:ખી થવાની જ પસંદગી કરવાની હોય છે. હું તો માત્ર સુખ-શાંતિ પર જ પસંદગી ઊતારું છું અને બાકીનું બધું સમુંસૂતર ચાલે છે.’ એક બીજા સુખી અને આનંદી માણસે જવાબ આપ્યો: ‘હું તો ભાઈ સુખી થવાની ટેવ પાડી દઉં છું.’

આ બધું સાવ સહજ સરળ લાગશે અને તમે કદાચ આમ પણ કહેશો : ‘કોઈ પણ કામ કરવા કરતાં કહેવું સહેલું છે!’ પણ ‘પ્રયત્નથી’ બધું શક્ય બને છે. એ માટે મનનું સુયોગ્ય વલણની અને કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ખંતની આવશ્યકતા છે.

મનોવૈજ્ઞાનિકો કહે છે કે શારીરિક ક્રિયાકર્મોમાં પરિવર્તન લાવીને આપણે આપણા વલણમાં ફેરફાર કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે જો તમે તમારા મુખ ઉપર સ્મિત ફરકાવો તો વાસ્તવિક રીતે તમે સ્મિતભાવનો અનુભવ કરી શકશો. આનાથી ઊલટું તમે કડકાઈથી ભવાં ચડાવો તો તમે વધારે ને વધારે અપ્રસન્નતા અનુભવો. તમે જ્યારે કેડેથી વાંકા વળી ગયેલા હો તેના કરતાં જ્યારે તમે પોતાને ટટ્ટાર રાખી શકો ત્યારે તમે બીજા કરતાં ચડિયાતા છો એવું અનુભવી શકો.

અહીં ડો. ડેવિડ ટી. સ્વાટ્‌ર્ઝ એક જીવનપદ્ધતિ આપે છે. એ ઘણી સીધી સાદી યુક્તિ છે પણ તેમાં અદ્‌ભુત શક્તિ છે, એને અજમાવી જુઓ. વારે વારે કોઈક તમને આમ પૂછે છે: ‘આજે તમને કેમ છે?’ આનો પ્રત્યુત્તર કે પ્રતિભાવ ‘અરે,ભાઈ ઘણું સારું!’ કે સાદા સીધા શબ્દોમાં ‘બહુ સારું’ કહીને આપી શકો છો.

દરેકે દરેક શક્ય તકમાં તમે ‘ઘણું સારું છે’ એમ કહો અને ખરેખર તમે એ ઘણા સારાની અનુભૂતિ કરશો અને વધુ પ્રબળ બનશો. જ્યારે તમે ‘મને ઘણું સારું છે’ એમ કહો છો ત્યારે દુ:ખી કે ઉદાસીન થવાની વાત આવતી જ નથી. હંમેશાં તમે સુખી છો અને તમને ઘણું સારું છે, એવા વ્યક્તિ તરીકે તમે સુખ્યાત બનો. મિત્રો કેળવવાની આ ગુરુચાવી છે. તમે તમારું પૃથક્કરણ કરશો તો તમને જણાશે કે હંમેશાં તમારા માટે કંઈક સુખી થવા જેવું છે ખરું. આ બાબતને ખોળી કાઢો અને તમારા મન સમક્ષ અવારનવાર એને જ લાવતા રહો. એને લીધે તમારે તમારું મન તરોતાજા બનશે; તમને અસાહસિકતાની ગર્તામાં ઊતારી દેતી નિરાશાને દૂર કરી દેશે.

આ વિશે સ્વામી વિવેકાનંદના શબ્દો આપણે જોઈએ: ‘તમને અંતે એ સમજાશે કે આપણી જાતને તંદુરસ્ત બનાવવાનો સૌથી સરળ માર્ગ બીજાને તંદુરસ્ત જોવામાં છે અને તમારી જાતને સુખી કરવાનો સૌથી સહજ પથ બીજાને સુખી જોવામાં રહેલો છે.’ એટલે તમે સવારમાં ઊઠતાં વેંત જ પ્રતિજ્ઞા કરો – ‘આજે હું કોઈકને સુયોગ્ય રીતે સુખી બનાવીશ.’ આટલું જ નહિ પણ જરૂરતમંદ વ્યક્તિને કંઈક મદદ કરીને એનું આચરણ કરવાનો પ્રયત્ન કરો. આ વાત તમારા મન અને વ્યક્તિત્વ પર ઉન્નતિકારક પ્રભાવ પાડશે. સંક્ષેપમાં કહી શકીએ કે સુખ એ મનની પરિસ્થિતિ છે અને મનોવલણ પણ આધારિત છે. સુખની શોધ માટે સુયોગ્ય મનોવલણ જરૂરી છે.

(ક્રમશઃ)

Total Views: 38

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.