આપણી પ્રાણશક્તિ, આપણું બળ, અરે આપણું રાષ્ટ્રીય જીવન સુધ્ધાં આપણા ધર્મમાં રહેલું છે. આ પ્રાણશક્તિ ધર્મમાં હોવી એ યોગ્ય છે કે નહીં, એ ખરું છે કે નહીં, લાંબે ગાળે એ ફાયદાકારક છે કે નહીં, એ બધાની ચર્ચા અત્યારે હું કરવાનો નથી; એ યોગ્ય હોય કે ન હોય, આપણામાં એ આ રીતે પડી છે ખરી; તમારામાંથી તેમાંથી નીકળાય એમ નથી. આજે એ તમારામાં કાયમને માટે છે જ અને આપણા ધર્મમાં મને જેટલી શ્રદ્ધા છે તેટલી તમને ન હોય તો પણ તમારે તેને નિભાવવો જ પડશે. તમે એનાથી બંધાયેલા છો; જો તમે એને છોડી દેશો તો તમે તૂટીને ટુકડે ટુકડા થઈ જવાના. ધર્મ આપણી પ્રજાનું જીવન છે અને તેને આપણે મજબૂત કરવો જ જોઈએ. તમે સૈકાઓના આઘાતો સામે ટકી રહ્યા તેનું કારણ કેવળ તમે એની સંભાળ લીધી એ છે, એની ખાતર બીજા બધાનો તમે ભોગ આપ્યો એ છે. તમારા પૂર્વજોએ સર્વ કંઈ બહાદુરીથી વેઠી લીધું. મૃત્યુ સુધ્ધાંને ભેટ્યા, પરંતુ પોતાના ધર્મને તેમણે જાળવી રાખ્યો. પરદેશી વિજેતાએ અનેક મંદિરો તોડી નાખ્યાં, પરંતુ જેવું એ વિનાશનું મોજું પસાર થઈ ગયું કે તરત જ મંદિરનું શિખર પાછું ઊંચું આવી ગયું. દક્ષિણ ભારતનાં કેટલાંક પ્રાચીન મંદિરો અને ગુજરાતના સોમનાથ જેવાં મંદિરો તમને જ્ઞાનના અનેક ગ્રંથો શીખવશે; ઢગલાબંધ ગ્રંથો કરતાં પ્રજાના ઈતિહાસમાં તમને એ વધુ ઊંડી દૃષ્ટિ આપશે. જુઓ તો ખરા કે નિરંતર તોડીફોડીને સાવ ખંડિયેર જેવાં કરી નાખવામાં આવતાં અને નિરંતર ખંડિયેરોમાંથી પાછાં બંધાઈને ઊભાં થતાં, પુનર્જીવન પામેલાં અને પૂર્વના જેવાં સદા મજબૂત આ મંદિરો કેવા સેંકડો હુમલાઓનાં અને સેંકડો પુનરુત્થાનનાં ચિહ્નો ધારણ કરી રહેલાં છે ! એ છે રાષ્ટ્રીય માનસ, એ છે રાષ્ટ્રીય જીવનપ્રવાહ. એનું અનુસરણ કરો તો એ તમને કીર્તિને પંથે લઈ જશે; એનો ત્યાગ કરો તો તમારો વિનાશ છે. જે ઘડીએ તમે એ જીવનપ્રવાહને ઉવેખીને ડગલું ભર્યું, તે જ ક્ષણે એકમાત્ર પરિણામ મૃત્યુ આવવાનું, એકમાત્ર ફળ સર્વનાશ જ મળવાનો.

(સ્વા. વિ. ગ્રંથમાળા – ૪.૧૯૮)

Total Views: 397

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.