સ્વામીજી શ્રીશ્રીમાને સાક્ષાત્ દેવી રૂપે જોતા. એકવાર એમણે બેલુર મઠમાં કહ્યું હતું,‘શ્રીશ્રીમા સરસ્વતીના રૂપે બગલાદેવીનો અવતાર છે. બહારથી તેઓ શાંતિથી પરિપૂર્ણ છે, પરંતુ ભીતરથી તેઓ આસુરી શક્તિનાં વિનાશક છે.’ પશ્ચિમમાંથી પાછા ફર્યા પછી જ્યારે એમનાં દર્શન કરવા જતા ત્યારે પોતાના દેહ પર ગંગાજળ છાંટી લેતા, કારણ કે એમને એવું લાગતું કે ત્યાં દરેક પ્રકારના લોકો સાથે હળવા મળવાથી એમની આધ્યાત્મિકતામાં થોડો હ્રાસ થયો છે. શ્રીશ્રીમાના ભવનનાં દ્વારે પહોંચતી વખતે તેઓ મોટે ભાગે ભાવવિભોર થઈ જતા અને આગળ વધી ન શકતા. એવા જ એક પ્રસંગે શ્રીશ્રીમા પોતે જ એમનો હાથ પકડીને એમને ઘરમાં લઈ ગયાં હતાં.
અમેરિકાથી પોતાના એક ગુરુભાઈ સ્વામી શિવાનંદજીના નામે લખેલા એક પત્રમાં સ્વામીજીએ લખ્યું હતું, ‘તમે – તમારામાંનો કોઈપણ – હજુ માતાજીના (શ્રીમા સારદામણિદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો દેશ બધા દેશોથી વધારે નબળો અને પાછળ શા માટે છે? કારણ કે અહીં શક્તિનું અપમાન થાય છે. ભારતમાં તે અદ્ભુત શક્તિને પુનર્જીવિત કરવા માતાજીએ જન્મ ધારણ કર્યો છે; અને તેમને કેન્દ્ર બનાવવાથી જગતમાં ગાર્ગીઓ અને મૈત્રેયીઓ ફરી એક વખત જન્મશે. વહાલા બંધુ, અત્યારે તમે થોડું સમજો છો, પણ ધીરે ધીરે તમે તે બધું જાણી શકશો. માટે તેમનો મઠ મારે પહેલો જોઈએ છે…. શક્તિની કૃપા વિના કંઈ સિદ્ધ થતું નથી. અમેરિકા અને યુરોપમાં હું શું જોઉં છું? શક્તિની પૂજા, શક્તિની પૂજા. તેઓ જો કે તેને અજ્ઞાનથી અને ભૌતિક સુખપ્રાપ્તિ માટે જ પૂજે છે. ત્યાર પછી, જે લોકો તેને માતા તરીકે લેખીને શુદ્ધ ભાવે સાત્ત્વિક બુદ્ધિથી પૂજે, તો તેઓ કેટલું કલ્યાણ સાધી શકે તેની કલ્પના કરો ! હું દિવસે દિવસે દરેક વસ્તુને વધારે ને વધારે સ્પષ્ટ સમજતો જાઉં છું, મારી અંતર્દૃષ્ટિ વધારે ને વધારે ઊઘડતી જાય છે. તેથી આપણે માતાજી માટે પ્રથમ મઠ બાંધવો જોઈએ. પ્રથમ માતા અને માતાની પુત્રીઓ, પછી પિતા અને પિતાના પુત્રો. તમે આ સમજી શકો છો? …. મારે મન તો માતાજીની કૃપા પિતાની કૃપા કરતાં લાખો ગણી કિંમતી છે. માતાની કૃપા, માતાના આશીર્વાદ મારે મન સાર્વભૌમ બાબત છે….. મને માફ કરજો, પણ માતાજી બાબતમાં હું જરાક અંધશ્રદ્ધાળુ છું. જો માતાજી આજ્ઞા કરે તો તેમના ભૂતો બધું કરી શકે. ભાઈ ! અમેરિકા રવાના થતાં પહેલાં મેં માતાજીને આશીર્વાદ પાઠવવા માટે લખ્યું હતું. તેમના આશીર્વાદ આવ્યા અને એક કૂદકે હું સમુદ્ર પાર કરી ગયો, જુઓ તમે ! આ કાતિલ ઠંડી ઋતુમાં હું એક સ્થળેથી બીજે સ્થળે વ્યાખ્યાન કરતો ફરું છું અને વિપરીત સંજોગો સામે લડું છું કે જેથી માતાજીના મઠ માટે પૈસા એકઠા થાય. (શ્રીમાની મધુર સ્મૃતિઓ)
Your Content Goes Here