રાહત કાર્ય : રાજકોટ શહેરમાં આૅગસ્ટ ૨૦૨૦ દરમિયાન ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત બનેલા ૧૦૦૦ લોકોમાં ૨૪મી તારીખના રોજ તૈયાર ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય વેબિનાર : લોકડાઉન દરમિયાન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૩મી આૅગસ્ટ, ૨૦૨૦ના રોજ ‘આધુનિક યુવાઓ માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ’ એ વિષય પર ‘રાષ્ટ્રીય વેબિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજે પ્રારંભમાં અત્યંત પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. માઉન્ટ એવરેસ્ટ શિખરને સર કરનાર વિશ્વનાં પ્રથમ મહિલા પદ્મશ્રી અરુણિમા સિન્હા અને વિખ્યાત યુવા લીડર શ્રી શરદ સાગરે યુવાનોને પ્રોત્સાહક પ્રવચનો આપ્યાં હતાં. આ વેબિનારમાં ૧૫ રાજ્યોના ૫૫૦ યુવકોએ ભાગ લીધો હતો અને ૧૬૦૦ વ્યક્તિઓએ આશ્રમના ફેસબૂક પેઈજ પર ઓનલાઈન કાર્યક્રમ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ હિન્દી ભાષામાં આયોજિત થયો હતો.

ઉત્તમ શિક્ષક બનવાની કળા વિશે વેબિનાર : મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવામાં શિક્ષકોની મહત્ત્વની ભૂમિકા હોવાથી, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મૂલ્યલક્ષી કેળવણીના કાર્યક્રમના ભાગ રૂપે, ૫ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ ‘શિક્ષક દિન’ નિમિત્તે ‘ઉત્તમ શિક્ષક બનવાની કળા’ પર એક વેબિનારનું આયોજન કરાયું હતું. સાંજના ૪:૦૦ થી ૬:૦૦ સુધી ઝૂમ અને ફેસબુક લાઇવ પર પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં આશરે ૧૭૬ વ્યક્તિઓએ ઝૂમ મીટિંગમાં ભાગ લીધો હતો. આશ્રમના ફેસબુક પેજ પર ૧૧૩૩ લોકોએ માણ્યો હતો. ગુજરાતના સુપ્રસિદ્ધ કેળવણીકારો અને વિદ્વાનો ડૉ. રમેશભાઈ કોઠારી, ડૉ. નરેશભાઈ વેદ અને શ્રી જ્યોતિબહેન થાનકીએ અત્યંત મનનીય પ્રવચનો આપ્યાં હતાં અને પ્રતિનિધિઓના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા.

‘વિશ્વશાંતિ માટે સર્વધર્મ સમન્વય’ પર આંતરરાષ્ટ્રીય વેબિનાર : ૧૮૯૩માં વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે આપેલ પ્રવચનોની ૧૨૭મી જયંતી પ્રસંગે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આંતર્રાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્લામેન્ટ આૅફ વર્લ્ડ્સ રીલીજીઅન્સના ચેરપર્સન આડ્રે કીકાગાવાએ પ્રારંભિક પ્રવચન કર્યું હતું. સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી સ્વામી સુવીરાનંદજી મહારાજે આ પ્રસંગે પોતાનો આશીર્વાદરૂપ સંદેશ વિડીયો દ્વારા પાઠવ્યો હતો. ડૉ. ચાર્લ્સ મેકનીલ દ્વારા યુનાઈટેડ નેશન્સ વિશેનો સુંદર વિડીયો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ધર્મોના વિવિધ દેશોના સુપ્રસિદ્ધ વક્તાઓ સ્વામી ત્યાગાનંદ, સ્વામી સર્વપ્રિયાનંદ, સ્વામી કૃપામયાનંદ, સ્વામી સર્વસ્થાનંદ, સ્વામી ઈશાત્માનંદ, ડૉ. ભદ્રા શાહ, ડૉ. જયેશ શાહ, ઇમામ રાઝવી, આર્ચબિશપ થોમસ મૅકવાન, ડૉ. તરુનજિત સિંગ બુટાલિયા, રેવરન્ડ બેરી બેહર, બેન બાૅલર, રબ્બી માઈકેલ બેલીન્સ્કી, સાધ્વીશ્રી શિલાપીજી, ડેબ્રા બાર્ડાેકસ વગેરેએ પોતપોતાનાં વક્તવ્યો રજૂ કર્યાં હતાં. આ વેબિનારને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ઝૂમ મીટિંગ માટે ૨૩ દેશોના ૮૫૨ વ્યક્તિઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી ૫૫૨ બેઠકમાં જોડાયા હતા. આશ્રમના ફેસબુક પેજ પર ૧૧૦૦ વ્યક્તિઓએ આ કાર્યક્રમ લાઈવ માણ્યો હતો.

Total Views: 305

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.