શું બધા એક સરખા છે?

શ્રીરામકૃષ્ણ: ઈશ્વરની સૃષ્ટિમાં અનેક પ્રકારનાં જીવજંતુ, ઝાડપાન વગેરે છે. જનાવરોમાં પણ સારાં છે, ખરાબ છે. વાઘ જેવાં હિંસક પ્રાણી પણ છે. ઝાડ પાનમાં અમૃત જેવાં ફળ આપે એવાં પણ છે અને ઝેરી ફળવાળાં પણ છે; તેમજ માણસોમાંય સારાં છે, ખરાબ પણ છે; સાધુ છે, અસાધુ પણ છે; સંસારી જીવો છે, તેમ ભક્તો પણ છે.

જીવોના ચાર પ્રકારઃ બદ્ધજીવ, મુમુક્ષુજીવ, મુક્તજીવ અને નિત્યજીવ.

‘નિત્યજીવ – જેવા કે નારદ વગેરે. તેઓ સંસારમાં રહે જીવોના કલ્યાણ માટે, જીવોને ઉપદેશ આપવા સારુ.

બદ્ધજીવ – જેઓ વિષયમાં આસક્ત થયેલા અને ભગવાનને ભૂલી રહેલા હોય. તેઓ ભૂલે ચૂકે પણ ઈશ્વર – સ્મરણ કરે નહિ.

મુમુક્ષુજીવ – જેઓ મુક્ત થવાની ઇચ્છા રાખે, પણ તેઓમાંથી કોઈક મુક્ત થઈ શકે, કોઈક ન થઈ શકે.

મુક્તજીવ – જેઓ સંસારમાં કામ-કાંચનમાં બંધાયેલા નથી; જેમ કે સાધુ-મહાત્માઓ; જેમના મનમાં સંસારીબુદ્ધિ નથી અને જેઓ હંમેશાં હરિચરણનું ચિંતવન કરે.’

ધારો કે તળાવમાં જાળ નાખી છે. બે ચાર માછલાં એવાં હોશિયાર કે ક્યારેય જાળમાં સપડાય નહિ. આ નિત્યજીવોની ઉપમા. પણ માછલાંનો મોટોભાગ જાળમાં પડે. એમાંથી કેટલાંય નાસી છૂટવાનો પ્રયાસ કરે; એ બધાં મુમુક્ષુ જીવ જેવાં. પણ બધાંય માછલાં છૂટી ન શકે. બે ચાર માછલાં ધબાંગ, ધબાંગ કરતાં ને જાળમાંથી બહાર કૂદી પડે. ત્યારે માછીમારો બૂમ પડે, ‘પેલું મોટું માછલું નાસી ગયું!’ પણ જેઓ જાળમાં સપડાયાં છે તેમાંનો મોટો ભાગ નાસી શકે નહિ અને નાસવાનો પ્રયાસ પણ કરે નહિ. ઊલટાં જાળ મોઢામાં લઈને તળિયે જઈને મોં કાદવમાં ઘૂસાડીને છાનાંમાનાં સૂઈ રહે. મનમાં માને કે હવે કોઈ જાતની બીક નથી; આપણે સલામત છીએ. પણ જાણતાં નથી કે માછીમાર સડેડાટ કરતો જાળ તાણીને કિનારે ખેંચી લેશે. આ બદ્ધજીવોની ઉપમા.

સંસારી લોકોબદ્ધજીવ

‘બદ્ધજીવો સંસારમાં કામ-કાંચનમાં બદ્ધ થયેલા છે. હાથ પગ બંધાયેલા છે. પણ પાછા એમ માને છે કે સંસારનાં કામ – કાંચનથી જ સુખ મળશે અને ત્યાં જ નિર્ભય થઈને રહીશું. પણ જાણતા નથી કે એમાં જ મોત થવાનું છે. બદ્ધજીવ જ્યારે મરવા પડે ત્યારે તેને સ્ત્રી કહેશે, ‘તમે તો ચાલ્યા, પણ અમારી શી વ્યવસ્થા કરી છે?’ પાછી બદ્ધજીવમાં એવી માયા હોય કે દીવાની વાટ ઊંચી ચડીને વધુ બળતી હોય તો કહે કે, ‘અલ્યા, તેલ બળી જાય છે. વાટ ઓછી કરી નાંખો.’ આ બાજુએ પોતે મરણ પથારીએ પડ્યો હોય!’

‘બદ્ધજીવો ઈશ્વર ચિંતન કરે નહિ. જો ફુરસદ મળે તો આડાંઅવળાં નકામાં ગપ્પાં મારે, નહિતર નકામાં કામ કરે. પૂછો તો કહેશે કે હું કામ વિના બેસી રહી શકતો નથી. એટલે આ વાડ કરી લઉં છું. કાં તો વખત નીકળતો નથી એમ જાણીને ગંજીફો કૂટવા માંડે! (સહુ સ્તબ્ધ).’

ઉપાયઃ શ્રદ્ધા

યો મામજમનાદિં ચ વેત્તિ લોકમહેશ્વરમ્ ।
અસંમૂઢઃ સ મર્ત્યેષુ સર્વપાપૈઃ પ્રમુચ્યતે ।।

(ગીતાઃ ૧૦.૩)

એક ભક્ત: મહાશય, એવા સંસારી જીવો માટે શું કોઈ ઉપાય નથી?

શ્રીરામકૃષ્ણ: ઉપાય જરૂર છે. વચ્ચે વચ્ચે સાધુસંગ અને અવારનવાર એકાંતમાં જઈને ઈશ્વર ચિંતન અને તેનો વિચાર કરવો જોઈએ. પ્રભુ પાસે પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, મને શ્રદ્ધા ભક્તિ આપો.

‘માણસમાં જો શ્રદ્ધા આવી ગઈ તો તો થઈ ચૂક્યું. શ્રદ્ધાથી મોટી બીજી કોઈ ચીજ નથી.

(કેદારને) શ્રદ્ધાનું જોર કેટલું છે તે તો સાંભળ્યું છે ને? પુરાણમાં કહ્યું છે કે રામચંદ્ર કે જે સાક્ષાત્ પૂર્ણ બ્રહ્મ નારાયણ, તેમને લંકામાં પહોંચવા સારુ પુલ બાંધવો પડ્યો, પણ હનુમાન રામનામમાં શ્રદ્ધા રાખીને એક જ છલાંગે સમુદ્રની પેલી પાર કૂદી પડ્યા. તેમને પુલની જરૂર નહિ. (સૌનું હાસ્ય)

વિભીષણે એક પાંદડામાં રામનામ લખીને એ પાંદડું એક માણસના લૂગડાને છેડે બાંધી દીધું. એ માણસને સમુદ્રને સામે પાર જવું હતું. વિભીષણે તેને કહ્યું, ‘તારે બીવું નહિ. તું શ્રદ્ધા રાખીને પાણી ઉપર થઈને ચાલ્યો જજે. પણ જો જે હોં, જો શ્રદ્ધા ગુમાવી તો તરત પાણીમાં ડૂબી જઈશ.’ એ માણસ તો મજાનો સમુદ્રની ઉપર થઈને ચાલ્યો જતો હતો. એવામાં તેને કુતૂહલ થયું કે લૂગડાને છેડે શું બાંધ્યું હશે એ એકવાર જોઉં તો ખરો! ઉઘાડીને જોયું તો માત્ર ‘રામ’ નામ લખ્યું છે. તેને વિચાર આવ્યો કે આ શું? આમાં તો માત્ર ‘રામ’ નામ જ લખ્યું છે! બસ, જેવી અશ્રદ્ધા આવી કે તરત પાણીમાં ડૂબી ગયો.

‘જેને ઈશ્વરમાં શ્રદ્ધા છે, તેનાથી કદાચ મહાપાપ થઈ જાય, ગૌ, બ્રાહ્મણ કે સ્ત્રીની હત્યા થઈ જાય, તો પણ ભગવાન પરની એ શ્રદ્ધાને જોરે તેનો પાપમાંથી ઉદ્ધાર થઈ શકે. તે જો એમ કહે કે હું એવું કામ ફરીથી નહિ કરું, તો તેને કોઈ વાતે ડર નહિ.’

Total Views: 729

One Comment

  1. Rasendra Adhvaryu May 4, 2022 at 10:41 am - Reply

    How profound knowledge is explained in compact way, simple but appropriate anecdotes/examples? One who has great knowledge and have come down on earth to explain the complex in simple is an Avatara (avataran means descending/coming down) Thakur, no doubt is an Avatar.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.