સંસારત્યાગી સાધુઓ પ્રતિ માને સ્વાભાવિક સ્નેહ હતો. માના કાકાની બહેનનો દીકરો બાંકુ (બંકિમ) નાની ઉંમરમાં ગૃહત્યાગ કરી સાધુ બન્યો હતો. એ સાંભળીને માએ કહ્યું: “સાધુ થયો છે એ ખૂબ સારું કામ કર્યું છે! આ હાડમાંસના પિંજરામાંય વળી શું છે! આ જુઓને, વાથી ભોગવીને મરું છું! આ શરીરમાંય છે શું! શેના માટે આટલી માયા! બે દિવસ પછી તો બધું પૂરું થઈ જશે. જ્યારે સળગાવશે ત્યારે રહેશે માત્ર દોઢ શેર રાખ! દોઢ શેર રાખ સિવાય તો બીજું કંઈ નથી! બાંકુ સાધુ બન્યો છે, ભગવાનના માર્ગે ગયો છે, ખૂબ સારું કર્યું છે, ખૂબ સારું કર્યું છે.”
(શ્રીમા શારદાદેવીનો માતૃસ્નેહ જીવનની પ્રત્યેક નાની નાની ઘટનાઓમાં પ્રકાશિત થતો. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી ગ્રામમાં રહેતાં અને ભક્તોના આગ્રહનું માન રાખી કોલકાતા આવતાં ત્યારે ઉદ્બોધન ભવનમાં રહેતાં. મા જ્યારે કોલકાતા આવતાં ત્યારે સંન્યાસી સંતાનો માને સાક્ષાત્ જગજ્જનનીની જેમ સન્માનપૂર્વક રાખતા. પરંતુ જયરામવાટીમાં મા જાણે કે આપણાં પોતાનાં મા. તેઓ ગ્રામ્ય પરિવેશમાં સરળ આડંબરહીન જીવન ગાળતાં અને પોતાના હાથે ભક્ત-સંતાનોની કાળજી રાખતાં અને સહજે એમની સાથે વાર્તાલાપ કરતાં. આ દિવસોની કેટલીક પવિત્ર યાદો ‘શ્રીશ્રીમાયેર પદપ્રાંતે’ (ભાગ-1) પુસ્તકમાંથી અહીં આલેખાયેલ છે. -સં.)
જયરામવાટીમાં પોતાના હાથે ગેરુઆ વસ્ત્ર આપીને મા અનેક દીકરાઓને સંન્યાસ આપતાં એ જોઈને સ્ત્રીઓના હૃદયમાં ભય અને શોકનો સંચાર થતો. મા હસતાં ઉત્ફુલ્લ હૃદયે—તેમના એક દીકરાએ સંસારના ભયાવહ સંતાપમાંથી રક્ષા મેળવી. મા સંસારી દીકરાઓને અર્થોપાર્જન, વિવાહ, અને ગૃહસ્થ જીવનયાપન માટે નિરુત્સાહ કરતાં નહીં પરંતુ સાથોસાથ ત્યાગી સંતાનને ત્યાગનો પથ બતાવી દેતાં પરમ ઉલ્લાસે.
માના એક સંતાને એક વાર લખ્યું હતું કે એ લગ્ન ન કરીને ત્યાગના માર્ગે જીવન વિતાવવા માગે છે પરંતુ એના પિતા આ નિર્ણયના ઘોર વિરોધી છે અને જુદા જુદા ઉપાયોથી તેને ગૃહસ્થ જીવનમાં ખેંચી સંસારમાં ડુબાડવાનો પ્રયત્ન કરે છે. પુત્રની કરુણ આજીજી સાંભળી માનું હૃદય વિગલિત થઈ ગયું અને તેઓ અશ્રુપૂર્ણ નયને કહેવા લાગ્યાં: “જુઓ, જુઓ, બાપ થઈને દીકરાના માથામાં કુહાડી મારવા ઇચ્છે છે, દીકરાનો સર્વનાશ કરવા ઇચ્છે છે, દીકરો દુઃખથી લખે છે!” માએ દીકરાને આશ્વાસન અને આશીર્વાદ આપીને જવાબ આપ્યો. માની કૃપાથી દીકરાની બધી વિપત્તિઓ દૂર થઈ. ધીરે ધીરે પિતાની બુદ્ધિ અને આચરણ પરિવર્તિત થઈ અને તેઓ દીકરાની ઉપર સ્નેહાન્વિત થઈ દીકરાના ધર્મપથમાં સહાયક બન્યા. દીકરાએ પણ પ્રાણ ભરીને વૃદ્ધ પિતાની સેવાશુશ્રૂષા કરી અંતિમ સમયે આંતરિક પ્રીતિ અને શુભાશીર્વાદ પ્રાપ્ત કર્યા.
બીજા એક સમયે એક વૃદ્ધ બ્રાહ્મણે માને લખ્યું હતું કે તેમના જે દીકરાને તેમણે ભણાવી-ગણાવીને મોટો કર્યો હતો અને આશા કરી હતી કે રોજગાર કરી વૃદ્ધવયસે એમની કાળજી રાખશે, એ દીકરાએ થોડા દિવસ પહેલાં માની પાસે દીક્ષાગ્રહણ કરી હતી અને હાલમાં જ એ માતા-પિતાને છોડીને સાધુ બનવા માટે એક આશ્રમમાં ચાલ્યો ગયો છે. એની મા શોકમાં પથારીવશ છે. તેઓ પોતે વૃદ્ધ અને નિરુપાય છે. તેઓને ભવિષ્ય અંધકારમય દેખાય છે. તેઓએ પત્રમાં અતિકરુણ ભાષામાં પોતાના દુઃખની વાત નિવેદિત કરી હતી અને દીકરાને પાછો મેળવવા માટે પ્રાર્થના જણાવી હતી. પત્ર સાંભળીને માએ ખૂબ જ અફસોસ કર્યો અને કહેવા લાગ્યાં: “હાય! કોને ખબર વૃદ્ધ બ્રાહ્મણે મને કેટલો શાપ આપ્યો હશે! અને આપે જ ને! કેટલાં કષ્ટ, કેટલી આશા-ભરોસાની સાથે દીકરાને મોટો કર્યો હતો. હવે તે અચાનક ભાગી ગયો છે!” વૃદ્ધ બ્રાહ્મણને ખૂબ સાંત્વના આપીને ઉત્તર લખવામાં આવ્યો. માએ જણાવ્યું કે તેઓ આ વિશે કશું જાણતાં નથી. દીકરાએ એમને કશું જ જણાવ્યું નથી. એ પોતાની ઇચ્છાથી જ સાધુ બન્યો છે—મા વળી શું કરી શકવાનાં? આ વિષયમાં માનો કોઈ સહયોગ નથી. ભગવાનને વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરવાનું કહ્યું. કહ્યું કે ભગવાન અવશ્ય એમની રક્ષા કરશે, તેઓ દુશ્ચિંતાનો ત્યાગ કરે.
પછીથી માએ પત્રલેખક (લેખક સ્વયં) ને સંબોધન કરીને કહ્યું: “બેટા! આ મૂર્ખાઓ કેમ એકાએક આવું કરે અને મા-બાપને કષ્ટ આપે, પોતે પણ કષ્ટ-ભોગ કરે! થોડો સમય આશ્રમમાં આવ-જા કરે અને થોડો સમય સાધુઓની સાથે રહે તો એ જોઈ જોઈને મા-બાપ ટેવાઈ જાય અને સમજી જાય કે દીકરાની પ્રકૃતિ કેવી છે. ત્યારે જો દીકરો ઘર છોડીને ચાલ્યો જાય તો મા-બાપના મનમાં આટલો આઘાત ન લાગે.”
એ વખતે તો માના આ સંતાનને ઘરે પાછા ફરી જવું પડ્યું હતું. પરંતુ થોડો સમય મા-બાપની સાથે રહી અને ધીરે ધીરે એમની અનુમતિ લઈને સંસારત્યાગ કર્યો હતો. તેઓ જ્યાં સુધી મા-બાપ જીવિત હતાં ત્યાં સુધી તેમની ખબર રાખતા હતા, મુલાકાત લેતા હતા અને સ્નેહપ્રીતિનો ઘનિષ્ઠ સંપર્ક જાળવી રાખ્યો હતો.
સંસારત્યાગી સાધુઓ પ્રતિ માને સ્વાભાવિક સ્નેહ હતો. માના કાકાની બહેનનો દીકરો બાંકુ (બંકિમ) નાની ઉંમરમાં ગૃહત્યાગ કરી સાધુ બન્યો હતો. એ સાંભળીને માએ કહ્યું: “સાધુ થયો છે એ ખૂબ સારું કામ કર્યું છે! આ હાડમાંસના પિંજરામાંય વળી શું છે! આ જુઓને, વાથી ભોગવીને મરું છું! આ શરીરમાંય છે શું! શેના માટે આટલી માયા! બે દિવસ પછી તો બધું પૂરું થઈ જશે. જ્યારે સળગાવશે ત્યારે રહેશે માત્ર દોઢ શેર રાખ! દોઢ શેર રાખ સિવાય તો બીજું કંઈ નથી! બાંકુ સાધુ બન્યો છે, ભગવાનના માર્ગે ગયો છે, ખૂબ સારું કર્યું છે, ખૂબ સારું કર્યું છે.”
માના સાધુસ્નેહ સંબંધે એક બીજી ઘટના યાદ આવે છે. એક દિવસ સંધ્યા બાદ એક સંતાન(લેખક સ્વયં) માને પત્ર વાંચીને સંભળાવે છે. મા જમીન પર આસન પાથરીને પગ લંબાવીને બેઠાં છે. સામે ફાનસ. દીકરો માની પાસે જ બેસીને માથું નીચું કરીને પત્ર વાંચે છે. એકાએક એની નજરે પડ્યું કે એક ખૂબ મોટો વીંછી માની તરફ ચાલ્યો આવે છે. જોતાંની સાથે સંતાનના મનમાં થયું કે માને કરડશે તો નહીં ને? સાથે સાથે જ એક લાત મારીને એને કચડી નાખ્યો. એમને લાકડી કે કંઈ બીજું લેવાનો સમય હતો નહીં. મા મૃત વીંછીની સામે જોઈ સકરુણ દૃષ્ટિએ ધીરે ધીરે બોલ્યાં: “સાધુના પગના આઘાતથી પ્રાણ ગયો.” એવી રીતે બોલ્યાં કે જાણે વીંછીના આત્માની સદ્ગતિ થઈ હોય.
માના સંન્યાસી-સંતાનગણ એમની ઇચ્છા વિરુદ્ધે એક હરફ માત્ર પણ ઉચ્ચારતા નહીં. પરંતુ તેમના પાદપદ્મમાં કાતરભાવે આવેદન અને પ્રાર્થના જણાવતા. મા પણ ક્યારેક ક્યારેક તે પૂર્ણ કરતાં. માના દીકરાઓ અબોધ, માટે જ તેઓ નિઃસંકોચે અંતરની આકાંક્ષા વ્યક્ત કરતા, મા હસતાં. મા ક્યારેક પોતાનાં સંતાનોની વિનંતી સાંભળતાં, તો ક્યારેક સાંભળતાં નહીં અને સમજાવીને ભુલાવી દેતાં. પૂજનીય કપિલ મહારાજ માના વિશેષ સ્નેહના અધિકારી. તેમણે ઉદ્બોધનમાં ઘણા દિવસો માના ચરણાશ્રયમાં નિવાસ કર્યો હતો. જયરામવાટીમાં એક વાર મા બીમાર પડ્યાં હતાં. તેઓ સાજાં થતાંની સાથે જ મહારાજ વારંવાર કોલકાતા જવાનો અનુરોધ કરવા લાગ્યા. પરંતુ માએ એ વાત બિલકુલ કાને ધરી નહીં. બીજાઓની પાસે બોલ્યાં, “એ રહ્યો નાગા સંન્યાસી, ઊઠ કહેતાં ઊઠ્યો, બેસ કહેતાં બેઠો, જવાબદારી નહીં, ચિંતા નહીં, ખભા પર ધાબળો નાખી ચાલી પડ્યો! મારાથી કંઈ એમ થાય? મારે કેટલું બધું વિચારીને કામ કરવું પડે કે જેનાથી બીજાઓને કોઈ અસુવિધા ન થાય.”
સામાન્ય ઘટનાને લઈને શોરગુલ અને ઘોંઘાટ મચાવવાનો આપણો સ્વભાવ થઈ પડ્યો છે જેના પરિણામે આપણે દુઃખ અને અશાંતિ પણ ભોગવીએ છીએ. મા બધી વાતોમાં ધૈર્ય અને શાંતિ સહિત નિરવે બધું સહન કરવાની શિક્ષા આપતાંઃ “શ, ષ, સ—જે સહે તે રહે, જે ના સહે તેનો નાશ થાય.”
પોતાનાં દુઃખકષ્ટ માટે બીજાને દોષ દેતાં માને ક્યારેય જોયાં ન હતાં. મા બધાને શિક્ષા આપતાંઃ “માણસ પોતાનું કર્મફળ જ ભોગ કરે, એ માટે બીજાઓને દોષ ન આપી, ભગવાનની પાસે પ્રાર્થના અને એમની કૃપા ઉપર નિર્ભર રહી ધીરભાવે બધી અવસ્થામાં સહન કરવું જોઈએ.”
શ્રીશ્રીમાના ચરણાશ્રયે જેઓને થોડા દિવસ પણ નિવાસ કરવાનું સૌભાગ્ય મળ્યું છે, તેઓએ બધાએ હૃદયંગમ કર્યું છે કે મા પોતાનાં સંતાનોના જીવનગઠન માટે ચારિત્ર્યબળ, વૈરાગ્ય, તિતિક્ષા, સંયમ, ભગવત્ ભજન અને બધી અવસ્થાઓમાં ઈશ્વર પર દૃઢ વિશ્વાસ, નિષ્ઠા-ભક્તિ અને નિર્ભરતા શીખવતાં. માની પોતાની જેમ માનાં સંતાનોમાં પણ ભાવુકતા કે આડંબર ક્યારેય જોવા મળતા નહીં. બધા જ હતા સૌમ્ય, શાંત, ધીર, સ્થિર.
4 Comments
Leave A Comment
Your Content Goes Here
जैसे माँ अपने बेटे को वास्तविक तथ्य देती है
કેટકેટલી સૂક્ષ્મ વાતોનું ધ્યાન રાખ્યું છે મા શારદામણિદેવીએ પોતાના શિષ્યોનું!! સાચે જ ત્યાગ મૂર્તિ…
ma na ashirvad sau per utro
jay ma jay na
Jythakur jyma jyswamiji Maharaj tamaro sada jy Thao krupalu ma bhakti nu swrup chhe bhagvan ni aagna ne aadhin rhi srv krm kre chhe pn dayamyi chhe tethi badha stantano negate ma aashro chhe ma tmaro jy thao