અત્યારે હનુમાનના ચરિત્રને તમારે આદર્શ બનાવવાનો છે, જુઓ, રામચંદ્રની આજ્ઞાથી તેમણે સાગરને ઓળંગ્યો હતો; તેમને જીવન કે મરણની પરવા ન હતી! તેઓ પૂરેપૂરા ઈન્દ્રિયનિગ્રહી અને અદ્‌ભુત બુદ્ધિ ધરાવતા હતા. અંગત સેવાના આ મહાન આદર્શ અનુસાર તમારે તમારું જીવન ઘડવું જોઈશે. તે દ્વારા બીજા બધા આદર્શો ધીરે ધીરે જીવનમાં ઊતરી આવશે. સામો પ્રશ્ન કર્યા સિવાય ગુરુની આજ્ઞાનું પાલન અને સંપૂર્ણ બ્રહ્મચર્યસેવન, એ સફળતાનું રહસ્ય છે. હનુમાન એક બાજુએ જેમ સેવાના આદર્શના પ્રતિનિધિ છે, તેમ બીજી બાજુએ આખી દુનિયા પર ધાક બેસાડી દે તેવી સિંહ સમાન હિંમતના પણ પ્રતિનિધિ છે. રામચંદ્રના હિત અર્થે પોતાની જિંદગીનો ભોગ આપી દેતાં તેમના મનમાં જરાય આંચકો લાગ્યો ન હતો. સેવા સિવાય બીજી બધી બાબતો તરફ – વિશ્વના મહાન દેવો બ્રહ્મા અને શિવના પદની પ્રાપ્તિ પ્રત્યે પણ – તેઓ અત્યંત બેપરવા રહ્યા છે! તેમના જીવનનું એકમાત્ર વ્રત છે રામની આજ્ઞાનું પાલન! આવી ખરા હૃદયની ભક્તિ જોઈએ. કેવળ મૃદંગ અને કરતાલ બજાવીને અને કીર્તનોની ધૂનમાં નાચી નાચીને સમસ્ત પ્રજા અધોગતિએ પહોંચી ગઈ છે… હાલ તુરતને માટે વૃંદાવનના શ્રીકૃષ્ણને દૂર રાખી દો, અને સિંહનાદથી ગીતાનું જ્ઞાન ગરજી રહેલા શ્રીકૃષ્ણની ઉપાસના ચારે તરફ ફેલાવી દો…બંસી બજાવવી અને એવું બધું કંઈ દેશનો ઉદ્ધાર કરવાનું નથી. અત્યારે આપણને સૌથી વધુ જરૂર એવા પરાક્રમી વીરના આદર્શની છે, કે જેની નસોમાં પગથી માથા સુધી રજોગુણનો અતિશય જોમદાયક પ્રભાવ હોય,  જે સત્યને જાણવા માટે હિંમતપૂર્વક મરણને ભેટવા તૈયાર હોય, ત્યાગ જેનું બખ્તર હોય અને તલવાર જેનું જ્ઞાન હોય. જીવનસંગ્રામમાં અત્યારે આપણે માટે બહાદુર યોદ્ધાની ભાવના આવશ્યક છે, નહિ કે જગતને પ્રમોદ-ઉદ્યાન સમજીને પ્રેમકેલી કરતા પ્રેમીની!.. અત્યારે આપણે પાંચ-છ સિંહોની જરૂર છે; પછી તો સેંકડો શિયાળિયાં પણ ઉત્તમ કામ કરી શકશે.. જય ગુરુદેવ! જય મા જગદંબા! ડરવું શા માટે? તક, તેનો ઉપાય અને તેનો અમલ: બધું આપોઆપ મળી આવશે. હું સારા કે નરસા પરિણામની પરવા નથી કરતો. તમે આટલું કાર્ય કરશો તોપણ હું ખુશી થઈશ. ધર્મગ્રંથો, શાસ્ત્રો, સિદ્ધાંતો, મતાગ્રહો, વાગ્યુદ્ધો: આ બધું ઉંમર વધવાની સાથે મને ઝેર જેવું લાગે છે. ખાતરીપૂર્વક માનજો કે કામ કરશે તેને હું શિરોધાર્ય ગણીશ. નકામા શાબ્દિક વાદવિવાદો અને ખોટી ધાંધલમાં આપણો સમય વીતી જાય છે. માનવતાની સેવાના કાર્યને એક પગલું પણ આગળ ધપાવ્યા સિવાય આવા વાદવિવાદો આપણી જીવનશક્તિને ક્ષીણ કરી નાખે છે: મા ભૈ: ‘ડરો નહિ!’ શાબાશ! તમે ખરેખર વીર છો!.. અત્યારે આપણને આપણા દેશમાં જેની જરૂર છે તે એટલાં બધાં રોદણાં રોવાની નથી, પણ થોડાએક બળની જરૂર છે. હું જ વિશ્વની વ્યક્તિત્વરહિત સત્તા છું એવા જ્ઞાનપૂર્વક જ્યારે માણસ બધા વહેમોને ફગાવી દઈને પોતાના પગ પર ખડો રહે ત્યારે, વિચાર કરો કે, આ વ્યક્તિત્વરહિત ઈશ્વરમાં સામર્થ્યનો કેવડો મોટો ભંડાર ભર્યો હશે? મને ડરાવી શકે એવું શું છે? હું પ્રકૃતિના નિયમોની સુધ્ધાં પરવા કરતો નથી; મૃત્યુ મારે માટે મશ્કરી સમાન છે. મનુષ્ય પોતાના અનંત, શાશ્વત, અમર આત્માના મહિમા ઉપર મુસ્તાક બને છે; કે જે આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતું નથી, વાયુ સૂકવી શકતો નથી, જે અજર છે, અમર છે, અનાદિ અને અનંત છે, જેની વિરાટ મહત્તા પાસે આ સૂર્યો, ચંદ્રો અને બધાં સૂર્યમંડળો સાગરમાં બિંદુસમાન છે, જેના મહિમા પાસે આકાશ શૂન્યમાં લય પામી જાય છે અને કાળ અદૃશ્ય થઈને શૂન્યરૂપ થઈ જાય છે. આ મહિમાવાન આત્મામાં આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. એમાંથી શક્તિ આવશે. જેવું તમે વિચારશો તેવા તમે બનશો. જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ બનશો; જો તમે પોતાને સબળ માનશો તો તમે સબળ બનશો; જો તમે પોતાને અપવિત્ર માનશો તો તમે અપવિત્ર બનશો; જો તમે પોતાને પવિત્ર માનશો તો તમે પવિત્ર બનશો. આ આપણને શીખવે છે કે આપણે આપણી જાતને દુર્બળ નહિ પણ સામર્થ્યવાન, સર્વશક્તિમાન, સર્વજ્ઞ માનવાની છે. 

– સ્વામી વિવેકાનંદ

Total Views: 110

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.