‘બા! બા! ઝાડીમાંથી એકલા નિશાળે જતાં મને બહુ જ બીક લાગે છે! બીજા છોકરાઓને તો નિશાળે મૂકવા અને ઘરે પાછા લઈ જવા માટે કોઈ ને કોઈ આવે છે; મારે માટે કોઈ કેમ નથી આવતું?’ ગોપાળ નામના એક બાળકે પોતાની માને એક દિવસ આ પ્રમાણે કહ્યું. ગોપાળની મા વિધવા હતી. તેનો પિતા એક નિષ્ઠાવાન બ્રાહ્મણ હતો. પઠન-પાઠન અને યજનયાજન દ્વારા જે કાંઈ મળતું તેનાથી સંતોષ માની ગુજરાન ચલાવતો હતો. પૈસાનો લોભ કદી રાખતો નહીં, ગોપાળને છેક બાળક અવસ્થામાં મૂકીને તે પરલોકવાસી થયો હતો.

તેની ગરીબ વિધવા પત્નીએ સંસારવહેવારમાંથી મનને સંપૂર્ણ રીતે વાળી લીધું. જે કાંઈક થોડુંક પણ પોતાનું હતું તેમાંથી પણ તે વિમુખ થઈ ગઈ અને મનને સંપૂર્ણપણે ઈશ્વરમાં લીન કરી દીધું. બાકીનું જીવન જપ, તપ, વ્રત, ઉપવાસ, પૂજા, પ્રાર્થના વગેરે કરતાં કરતાં પૂરું કરવું એ જ તેની એક માત્ર ઈચ્છા હતી.

તે એક નાની પર્ણકુટિમાં રહેતી હતી. પતિને તેની વિદ્વત્તાના પુરસ્કારરૂપે જમીનનો જે નાનકડો ટુકડો મળ્યો હતો, તેમાંથી ગુજરાન જેટલું અનાજ મળી રહેતું. પર્ણકુટિની આસપાસના વાડામાં નાળિયેરી, આંબો અને જામફળી, સીતાફળીનાં ઝાડ હતાં, તેમ જ ગામના શ્રદ્ધાળુ લોકો ઘેર જે કાંઈ આપી જતા તેમાંથી શાક-પાંદડું નીકળતાં. આંગણામાં એક ગાય બાંધી રહેતી તેની સેવાથી છોકરાને માટે દૂધ મળી રહેતું. બાકીનો વખત આખો દિવસ ઘેર રેંટિયો કાંતવામાં તે રોકાઈ રહેતી; એમાંથી કાપડ મળી રહેતું.

ઉષાની રક્ત પ્રભા વૃક્ષોના ગુચ્છાદાર મસ્તકોને સ્પર્શ કરે, પંખીઓ પોતાના માળામાં જાગી જઈને કિલકિલાટ કરે તે પહેલાં ઘણી વહેલી આ બ્રાહ્મણ પત્ની જાગી જતી. ચટાઈ પર પાથરેલા ધાબળાની પાતળી પથારી પર બેઠી બેઠી પ્રાચીન સતીઓનાં નામો લેતી, ઋષિઓનું સ્મરણ કરતી અને એ સૌને પ્રણામ કરતી. સૌથી વિશેષ તો પોતાના પ્રાણ જેવા પ્રિય, જગતના ઉદ્ધારક ગોપાળકૃષ્ણની બાલમૂર્તિનું ધ્યાન ધરતી.

પ્રભાતનો પ્હો ફાટતા પહેલાં જ તે નજીકમાં વહેતાં ઝરણામાં સ્નાન કરવા જતી અને સ્નાન કરતાં કરતાં ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરતી : ‘હૈ ગોપાલ! આ સ્નાનથી જેમ મારું શરીર શુદ્ધ થાય છે, તેમ મારું મન પણ પવિત્ર થાઓ!’

ત્યાર પછી હાથે કાંતેલા સૂતરની ધોયેલી સફેદ સાડી પહેરીને તે ફૂલ ચૂંટી લાવતી, ચંદન ઘસી લેતી, તુલસીપત્ર એકઠાં કરતી અને એ બધું લઈને પૂજાની ઓરડીમાં બેસી જતી. એ ઓરડીમાં તેણે બાલગોપાલની એક મૂર્તિ પધરાવેલી હતી. ઈશ્વરને પોતાના બાળક તરીકે કલ્પીને તેનું માતૃહૃદય તૃપ્ત થતું. વળી દિવ્ય ગોપાલનું નામ ધારણ કરાવેલા પોતાનો પુત્ર ગોપાળ એના માતૃહૃદયની નજરે ગોપાલની મૂર્તિમાં દેખાતો. પૃથ્વી પરનું વિરામસ્થાન એક માત્ર તેનો પુત્ર હતો. તેની તમામ ક્રિયાઓ, તેના વિચારો, તેનાં સુખો, અરે તેનું ખુદ જીવન પણ તે બાળકની ખાતર જ આ દુનિયા સાથે બંધાઈ રહ્યું હતું.

વરસો થયાં એ બાળકના જીવનને રોજ રોજ વિકાસ પામતું માતા સ્નેહદૃષ્ટિથી જોયા કરતી હતી. હવે તે નિશાળે જવા જેવડો થયો હતો, એટલે તેને ભણવા મોક્લવા માટેની જરૂરી વસ્તુઓ તૈયાર કરવા માટે મહિનાઓથી તે સખત મહેનત કરી રહી હતી!

એ જરૂરિયાતો તો જો કે થોડી હતી. જે દેશમાં માણસો માટીના કોડિયામાં બે તોલા તેલ પૂરી રૂની જાડી વાટ મૂકીને તેના પ્રકાશમાં ગ્રંથોનું અધ્યયન કરવામાં સંતોષપૂર્વક જીવન વિતાવે, જેના અભ્યાસ માટેનું સાહિત્ય માત્ર એક ઘાસની ચટાઈમાં જ સમાઈ જતું હોય ત્યાં વિદ્યાર્થીની જરૂરિયાતો ઝાઝી હોતી નથી, છતાં થોડીક તો હોય જ; પરંતુ એટલી મેળવવા માટે સુધ્ધાં એ ગરીબ માતાને કેટલા દિવસ સુધી રેંટિયા પર સખત કાંતણ કરવું પડેલું!

ગોપાળને નિશાળે મોકલવા માટે નવી ધોતલી અને અંગરખું જોઈએ, લખવાનાં તાડપત્રો અને બરુની કલમો, વીંટાળવા માટે અને પછી શાળામાં આસન તરીકે પાથરવા માટે બગલમાં મારીને લઈ જવાનો બીજો એક નાનો આસનના કપડાનો કટકો જોઈએ અને એક ખડિયો જોઈએ. પણ એટલી ચીજો ખરીદીને મેળવવા માટે કેટલાય દિવસો સુધી ગોપાળની માતાને આખો દિવસ રેંટિયો ચલાવવો પડેલો, અને જ્યારે એક શુભ દિવસે મુહૂર્ત જોઈને ગોપાળે પહેલવહેલો ‘અક્ષર’ લખવાનો પ્રયાસ કરેલો, ત્યારે તેની માને જે આનંદ થયેલો એ તે એક માનું હૈયું, એક ગરીબ માતાનું હૃદય જ અનુભવી શકે.

પરંતુ આજે એ માતાના મન પર શોકની છાયા ફેલાઈ ગઈ હતી. ગોપાળને ઝાડીમાંથી એકલા જતાં બીક લાગે છે. આ અગાઉ તેને પોતાની વિધવા અવસ્થા, એકલતાપણું, ગરીબાઈ વગેરે આટલાં સાલ્યાં નહોતાં. આજે ઘડીભર તો તેને દુનિયામાં અંધકાર દેખાવા લાગ્યો. પરંતુ એકાએક તેને ગીતામાં ભગવાને કહેલું એક વચન યાદ આવી ગયું : ‘જેઓ બીજા બધા વિચારો મૂકી દઈને કેવળ મારા પર જ ભરોસો રાખે છે, તેમના ક્ષેમકુશળની બધી સંભાળ હું લઉં છું.’

તરત જ માના હૈયામાં હિંમત આવી. તેણે આંસુ લૂછી નાખ્યાં અને પુત્રને કહ્યું : ‘દીકરા! તારે બીવું શું કરવા જોઈએ? ત્યાં ઝાડીમાં તારો બીજો ભાઈ રહે છે, તે ગાયો ચરાવે છે, તેનું નામ પણ ગોપાલ જ છે. તને બીક લાગે ત્યારે તું તારા ભાઈ ગોપાલને બોલાવજે!’

એ બાળક પણ આખરે તો એક શ્રદ્ધાળુ માતાનો જ પુત્ર હતો. તેને માના બોલમાં શ્રદ્ધા બેઠી અને હિંમત આવી.

તે દિવસે સાંજે ઝાડીમાં થઈને નિશાળેથી ઘેર આવતાં ગોપાલને બીક લાગવા માંડી. એટલે તેણે બૂમ પાડી : ‘ભાઈ ગોપાલ! તું ક્યાં છો? મને બહુ બીક લાગે છે! બાએ કહ્યું છે કે તું ઝાડીમાં રહે છે, એટલે હું તને બોલાવું છું. તું અહીં આવ ને! મને બહુ જ બીક લાગે છે!’

વૃક્ષોની પાછળથી તરત જ એક અવાજ આવ્યો : ‘ભાઈલા! બ્હીશ નહીં, હું અહીં જ છું. તું તારે ડર્યા વિના ઘેર જા.’

અને ગોપાળ ઘેર પહોંચ્યો. ગોપાળે બાને આ કહ્યું. એ સાંભળીને માતા નવાઈ પામી; તેના હૃદયમાં સ્નેહ એકદમ ઊભરાઈ આવ્યો. તેણે પોતાના દીકરાને છાતી સરસો ચાંપ્યો.

પછી તો દરરોજ આમ ગોપાળ બૂમ પાડતો અને સામેથી અવાજ આવતો.

એક દિવસ માતાએ કહ્યું : ‘દીકરા! હવેથી તારો ભાઈ જ્યારે જવાબ આપે, ત્યારે તેને કહેજે કે તું મને દર્શન દે.’

બીજે દિવસે તો ગોપાળે ઝાડીમાંથી નિશાળે જતાં ભાઈને હાક મારી. હંમેશ મુજબ સામેથી જવાબ આવ્યો. પણ ગોપાળે કહ્યું : ‘તું મારી પાસે આવીને દર્શન દે.’

અવાજ આવે : ‘આજે મારે ઘણું કામ છે, એટલે નહીં અવાય.’

પરંતુ બાળક ગોપાળે તો હઠ પકડીને રોવા માંડ્યું. બસ, એ સાથે જ વૃક્ષોની પાછળથી એક સુંદર મનમોહન ગોવાળિયાનો વેશ ધારણ કરેલો, માથે મયૂરપિચ્છનો મુકુટ પહેરેલો, હાથમાં બંસી લીધેલો કિશોર વયનો એક છોકરો આવી પહોંચ્યો.

ગોપાળના આનંદનો પાર ન રહ્યો. બંને જણા ઝાડીમાં સારી રીતે સંતાકૂકડી રમ્યા, વૃક્ષો પર ચડીને આંબલી પીપળી રમ્યા, ફળફૂલ તોડીને ભેગાં કર્યાં, એક બીજાને ફળ ખવડાવ્યાં અને ફૂલોથી શણગાર્યાં. દરમિયાન નિશાળે જવાનો સમય ક્યારનો થઈ ગયો, એટલે અણગમતે મને ગોપાળ નિશાળે ગયો.

આ પ્રમાણે મહિનો બે મહિના વીતી ગયા. ગોપાળની મા હંમેશાં એ બેઉ ભાઈઓની રમતની વાતો હોંશથી સાંભળતી, ગોપાલ – કૃષ્ણની કૃપા જોઈને પોતાનું બધું દુઃખ તે ભૂલી જતી.

એટલામાં એક દિવસ ગોપાલના ગુરુજીના પિતાનો શ્રાદ્ધ દિન આવ્યો. જૂના સમયના ગામડાના ગુરુજીને એકલે હાથે ઘણા છોકરાઓને સંભાળવાના રહેતા, એકલે હાથે કેટલાય વર્ગોનું કામ કરવાનું રહેતું. વળી તેમને વિદ્યાર્થીઓ પાસે ખાસ બાંધેલી માસિક ફી મળતી ન હતી. આથી જ્યારે ગુરુજીને ત્યાં કોઈ સારો-માઠો પ્રસંગ આવે ત્યારે તેમના વિદ્યાર્થીઓ પોતાને ઘેરથી જે કંઈ લઈ આવે તેના પર ઘણો આધાર રાખવો પડતો.

હવે ગુરુજીને ત્યાં આવેલા આ શ્રાદ્ધના પ્રસંગે દરેક વિદ્યાર્થી પોતાને ઘેરથી કંઈક ને કંઈક લઈ આવવા તૈયાર થયા. પણ આ ગરીબ વિધવાનો છોકરો ગોપાળ શું લાવે? બીજા બધા છોકરાઓ તો ગુરુજીને માટે પોતે લાવવાની ચીજોની વાતો કરીને બડાઈ મારવા લાગ્યા, અને સાથે સાથે ગોપાળને મહેણાં પણ મારવા લાગ્યા. તે દિવસે ભારે હૈયે ગોપાળ ઘેર આવ્યો અને બાને કહેવા લાગ્યો : ‘બા! બા! ગુરુજીને માટે મારે કંઈક લઈ જવું છે. બધા છોકરાઓ કંઈક કંઈક લઈ આવવાના છે અને મારી મશ્કરી કરે છે!’

માએ નિઃસાસો મૂક્યો. ગુરુજીને આપવા જેવું ઘરમાં હતું પણ શું? પરંતુ પૂજાની ઓરડીમાં જતાં તેને બાલગોપાલ સાંભર્યો. તેણે હર્ષમાં આવી જઈને પુત્રને કહ્યું : ‘બેટા! તું ઝાડીમાં રહેતા તારા મોટા ભાઈ ગોપાલ પાસેથી ગુરુજી માટે કંઈક ભેટ આપવાનું માગજે.’

બીજે દિવસે ગોપાળ તો ઝાડીમાં પોતાના ગોપાલભાઈને મળ્યો અને રોજના રિવાજ મુજબ બેઉ ભાઈઓ ખેલ્યા, કૂદ્યા અને આનંદ માણવા લાગ્યા. પછી નિશાળે જવાનો સમય થતાં ગોપાળે કહ્યું : ‘મોટાભાઈ! આજે મારા ગુરુજીને ભેટ આપવા માટે તું મને કંઈક આપ. આપણી બાએ કહ્યું છે કે એની પાસે ભેટ આપવા જેવું કશું જ નથી!’

ગોવાળિયો ગોપાલ બોલ્યો : ‘જો ભાઈ! હું તો ગોવાળિયો છું; મારી પાસે પૈસા ક્યાંથી હોય? પણ તારા ગરીબ ગોવાળિયા ભાઈની ભેટ તરીકે આ માખણ ભરેલી લોટી લઈ જા અને તારા ગુરુજીને આપજે.’

ગુરુજીને આપવા માટે કંઈક તો મળ્યું, એ જાણીને ગોપાલ રાજી રાજી થઈ ગયો અને પોતાના મોટાભાઈને ગળે વળગી પડ્યો. પછી બગલમાં દફતર નાખી, હાથમાં લોટી લઈને જે દોટ મૂકી તે સીધો ગુરુજીને ઘેર! ત્યાં પહોંચીને જોયું તો બધા છોકરાઓ ભીડ કરીને ઊભા છે. તેઓ એક પછી એક પોતાને ઘેરથી લાવેલી સારી સારી વસ્તુઓ ગુરુજીને પગે મૂકતા જાય છે. ગોપાળ તરફ તો કોઈનું ધ્યાન જ નથી. એ બાપડો એક બાજુએ ખૂણામાં પેલી નાનકડી લોટી લઈને ઊભો છે. બધા છોકરાઓ તો કોઈ પૈસા, કોઈ ધાન્ય, કોઈ ધોતિયું, કોઈ બીજું વાસણ એમ પોતપોતાની ભેટ આપીને ગુરુજીને પગે લાગીને એક બાજુએ ઊભા રહ્યા. પછી છેલ્લે ગોપાળના હાથમાં માત્ર માખણ ભરેલી માટીની લોટી જોઈને બધા ખડખડાટ હસી પડ્યા.

ગોપાળ તો બાપડો ઝંખવાણો પડી ગયો. તેની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. પણ નસીબજોગે ગુરુજીની નજર તેના પર પડી. એટલે ગોપાળે બીતાં બીતાં ધ્રુજતે હાથે પેલી લોટી આગળ કંરીને ગુરુજીને ચરણે મૂકીને સાષ્ટાંગ પ્રણામ કર્યા.

ગુરુજીએ એ લોટી લઈને એમાંનું માખણ બીજા વાસણમાં લઈ લીધું અને જ્યાં લોટી પાછી આપવા જાય છે ત્યાં જોયું તો લોટી માખણથી છલોછલ ભરાઈ ગયેલી! ગુરુજી નવાઈ પામ્યા; તેમણે લોટી ફરી વાર ઠલવી દીધી, પણ જ્યાં સીધી કરી ત્યાં તો પાછી છલોછલ ભરપૂર! ગુરુજીના આશ્ચર્યની અવધ ન રહી! તેમણે લોટી ઉપર લોટી માખણ મોટા વાસણમાં ઠાલવવા માંડ્યું અને લોટી તો પાછી છલોછલ ભરાયેલી જ રહેતી!

આ અદ્ભુત ઘટના જોઈને ત્યાં ઊભેલા સૌની આંખો ફાટી રહી, નવાઈથી સૌનાં મોં પહોળાં થઈ ગયાં.

ગુરુજીએ બાળક ગોપાળને પોતાની પાસે બોલાવ્યો અને વહાલથી તેને પોતાનાં ખોળામાં બેસાડીને પૂછ્યું: ‘બેટા ગોપાળ! આ લોટી તું ક્યાંથી લાવ્યો?’

સરળ મનના બાળક ગોપાળે ઝાડીમાંના પોતાના ભાઈ ગોપાલ વિષે પોતાની બૂમ સાંભળતાં તે કેવો દોડી આવે છે તે વિશે, પછી પોતે બંને ભાઈઓ કેવી કેવી રમતો રમે છે એ વિશે અને એ મોટા ભાઈએ ગુરુજીને ભેટ તરીકે આપેલી એ લોટી વિશે આનંદથી કહી સંભળાવ્યું.

એ સાંભળીને ગુરુજી બોલ્યા : ‘ગોપાળ! ચાલ, મને તારા એ ભાઈને જોવા માટે ઝાડીમાં લઈ જા.’

ગોપાળે હર્ષભેર કહ્યું : ‘ભલે, ચાલો ગુરુજી!’ અને તેઓ બન્ને ત્યાં ઝાડીમાં ગયા.

ત્યાં જઈને ગોપાળે પોતાના મોટાભાઈને બોલાવવા બૂમો પાડી અને બહાર આવવાનું કહ્યું.

પરંતુ તે દિવસે ગોવાળિયો ગોપાલ દેખાયો જ નહીં, ‘આવું છું’ એવો અવાજ પણ ન આવ્યો!

ગોપાળે વારંવાર બુમો પાડી; પણ કશો જ ઉત્તર ન મળ્યો!

બિચારા નાનકડા ગોપાળે કાલાવાલા કરી અને કહ્યું : ‘અરે ભાઈ ગોપાલ! તું જવાબ દે, નહિતર મારા ગુરુજી ધા૨શે કે હું જુઠ્ઠો છું!’

એટલે જાણે કે ખૂબ દૂર દૂરથી આવતો હોય એવો એક અવાજ સંભળાયો : ‘ગોપાળ! તારી માતાના અને તારા હૃદયના સરળ પ્રેમ અને શ્રદ્ધાએ મને તમારી પાસે પ્રગટ કર્યો; પરંતુ તારા ગુરુજીને હજી રાહ જોવી પડશે.

(‘ચાલો સાંભળીએ સ્વામીજી વાર્તા કહે છે’- શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – પૃ. ૪૧-૪૭)

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.