‘ત્યાગ’ ઉપર એક લાંબુ પ્રવચન કરવાનો અત્યારે સમય નથી, પરંતુ હું સાવ ટૂંકામાં કહું તો ત્યાગ એટલે ‘મૃત્યુ પ્રત્યેનો પ્રેમ’ સંસારી લોકો જીવનને ચાહે છે. સંન્યાસીએ મૃત્યુને ચાહવાનું છે, ત્યારે શું આપણે આપઘાત કરવો? બિલકુલ નહીં. આત્મઘાતીઓ મૃત્યુના ચાહક નથી હોતા. એવું ઘણી વાર જોવામાં આવે છે કે જ્યારે કોઈ આત્મહત્યા કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે એ ફરી વાર કદી તેનો પ્રયત્ન નથી કરતો. તો પછી મૃત્યુનો પ્રેમ એટલે શું? મરવું તો આપણે છે જ, એ તો, ચોક્કસ છે. તો પછી આપણે કોઈ સારા હેતુને માટે મરીએ. આપણાં બધા કામો ખાવું, પીવું અને બીજું સર્વ કાંઈ આપણી જાતના બલિદાન અર્થે થાઓ. શરીરનું પોષણ તમે અન્નથી કરો છો; એને બીજાઓના ભલા સારુ યજ્ઞ રૂપે ન ગણો તો એમાં સારું શું? તમે પુસ્તકો વાંચીને મનનું પોષણ કરો છો; એને પણ જો તમે આખા જગતના ભલા માટે બલિદાન રૂપ ન ગણો તો એમાં શું વળ્યું? આ એક ક્ષુદ્ર જાતને પુષ્ટ કરવી તેના કરતાં લાખો માનવ ભાઈઓની સેવા કરવી એ વધુ યોગ્ય છે. આમ તમારે સેવાપરાયણ રહીને ક્રમે ક્રમે મૃત્યુને સત્કારવું. આવા મૃત્યુમાં સ્વર્ગ છે, એમાં બધું શુભ સમાયેલું છે; અને એથી વિરુદ્ધમાં જે કાંઈ છે તે પિશાચી અને અનિષ્ટ છે.
Your Content Goes Here