વિશ્વના સૌથી મહાન પ્રજાસત્તાક ભારતની સ્વૈચ્છિક સંસ્થાઓ વિશે કશું કહેવું પડકારરૂપ છે. ૯૭ કોટિ લોકોની વૃદ્ધિગત પામતી શક્તિથી ઊભરાતો, આ ભારત બહુધર્મી, બહુભાષી, બહુસાંસ્કૃતિક ઉપખંડ છે. રાષ્ટ્ર ઘડતર અને માનવઘડતર બેઉ માટે, સ્વૈચ્છિક સંસ્થાઓ અનન્ય સમર્પણભાવથી અને ધગશથી કાર્યરત છે. આજના મહાન ભારતના ઘડતર માટે ઘણી સંસ્થાઓ ધાર્મિક આદર્શવાદથી અને કેટલીક રાષ્ટ્રીય કે સામાજિક આદર્શવાદથી પ્રેરાઈને કામ કરી રહી છે. અરુણાચલ પ્રદેશ, ઝારખંડ કે બસ્તરમાં અનુસૂચિત જાતિઓનાં વિકાસ, શિક્ષણ અને તબીબી સેવાની પ્રવૃત્તિનાં કે, ભારતના અન્યભાગોમાં એવી પ્રવૃત્તિઓનાં વિશાળ અને વિવિધ ક્ષેત્રોમાં આ કાર્ય વિસ્તરે છે. અંધાપો અટકાવવાનાં, પોલિયોની રસી મૂકવાનાં કે સામાન્ય સ્વાસ્થ્ય શિબિરો યોજનાનાં સેવાં કાર્યો તેઓ કરે છે. સ્વૈચ્છિક સંસ્થાઓ શહેરોમાં માંદાની સરવાર કરે છે, રણમોરચે ઘાયલોની પરિચર્યા કરે છે, વાવાઝોડાથી બેઘર બનેલાંને નવાં ઘર બાંધી આપે છે, નશીલાં દ્રવ્યોને રવાડે ચડેલાંને કે વેશ્યાવાડાની પતિતાઓને પુનરુત્થાપિત કરે છે કે, આજની ઇંદ્રિયભોગી સભ્યતાની વિષમતાઓને ઉકેલે છે. ઝૂંપડપટ્ટી વિસ્તારની સુધારણા માટે આ સંસ્થાઓ કાર્યરત છે. સ્ત્રીઓને ન્યાય મળે તે માટે તેઓ લડે છે. સુધરેલા બિયારણ દ્વારા માત્ર હરિયાળી ક્રાંતિ કરીને જ નહીં પણ, ઍમ.ઍસ. સ્વામીનાથનના જણાવ્યા મુજબ કૃષિ આધારિત ટૅક્નૉલૉજીના વિકાસ દ્વારા શાશ્વત હરિયાળી ક્રાંતિ દ્વારા એ ગ્રામપ્રજાને સમૃદ્ધ કરે છે. સ્વૈચ્છિક મિશનરી સંસ્થાઓ પાછલાં એંશી વરસથી આગળ પડતી શિક્ષણ સંસ્થાઓ ચલાવી રહી છે અને એ સંસ્થાઓએ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ એવા ખ્યાતનામ બૌદ્ધિક વિચારોવાળા વિદ્વાનો આપ્યા છે જેમનાં મૂળ ભારતના સાંસ્કૃતિક વારસામાં અને ઉચ્ચ નૈતિક ધોરણોમાં છે. અનેક સ્વૈચ્છિક સંસ્થાઓએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે. માત્ર સામાજિક-નૈતિક-આર્થિક પરિણામોને જ અસર કરીને નહીં પરંતુ, ભારતના સમગ્ર જીવનને અનેક રીતે અસર કરીને સ્વૈચ્છિક સંસ્થાઓ પોતાનો ઊંડો અને વ્યાપક પ્રભાવ પ્રગટ કરે છે. ૮૦ કરતાં વધારે વર્ષોથી, વિવિધ રીતે સ્વતંત્ર ભારતમાં અને ખાસ કરીને, દેશના પછાત અને અવિકસિત વિસ્તારોમાં કાર્યરત સેંકડો સ્વૈચ્છિક સંસ્થાઓ દેશના વિકાસના આધારરૂપ છે. જ્ઞાતિ, સંપ્રદાય કે ધર્મના ભેદભાવ વિના, સાંસ્કૃતિક અને નૈતિક ઉત્થાન ભણી લઈ જતું સામાજિક-આર્થિક ઉત્થાન મોટા ભાગની સ્વૈચ્છિક સંસ્થાઓનું ધ્યેય છે. સરકાર યોજના ઘડે છે, સ્વૈચ્છિક સંસ્થાઓ એ પાર પાડે છે; આ માટે કેટલીક વાર સરકારી સહાય મળે છે તો કેટલીક વાર રાંક કે તવંગર સૌ પાસે એ ભિક્ષા માગે છે. ભારતના આજના વિકાસ માટે એ સંસ્થાઓ મહાન અને અગત્યનું પરિબળ છે.

ભારતનો આજનો વિકાસ

૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ અંગ્રેજો કેવું ભારત છોડી ગયા હતા?

વિલડ્યુરાંએ સંડર્લેન્ડના કથનના ઉલ્લેખ કરતાં લખ્યું છે કે, યુરોપ કે એશિયાના બીજા કોઈ પણ દેશના કરતાં, ભારત ક્યાંય વધારે મહાન ઔદ્યોગિક અને ઉત્પાદક દેશ હતો. કપાસ, ઊન, શણ કે રેશમના કાપડની એની શાળોની પેદાશ સમગ્ર સભ્ય જગતમાં પ્રખ્યાત હતી; એના અલંકારો, ઘાટીલું ઝવેરાત પણ એટલું જ પ્રસિદ્ધ હતું; એનું માટીકામ પણ તેવું જ હતું.’ ‘બ્રિટિશરો ભારત આવ્યા ત્યારે એ દેશ આવો હતો’, એમ વિલડ્યુરાંએ લખ્યું છે. પછી બ્રિટિશરોએ ભારતનું શોષણ આદર્યું. ભારતમાંથી ૨૦,૦૦,૦૦૦ પાઉંડનો માલ ખરીદી, ઈંગ્લૅન્ડમાં તે ૧૦,૦૦૦,૦૦૦ પાઉંડે વેંચતા. ઓગણીસમી સદીમાં ભારત બહાર બ્રિટને લડેલાં યુદ્ધો માટે ભારતે ૪૫૦,૦૦૦,૦૦૦ પાઉંડ ચૂકવ્યા હતા; એ માટે ભારતીય સૈન્યોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્રિટનમાં વસતા લગભગ ૭૫૦૦ નિવૃત્ત અમલદારો ૧૭,૫૦૦,૦૦ થી ૨૦,૦૦૦,૦૦૦ પાઉંડ જેટલું પેન્શન ભારતની આમદાનીમાંથી ખાતા. ધ ઈંડિયન વિટનેસ નામના મિશનરી અખબાર અનુસાર ભારતીની વસ્તીના દસ કરોડ લોકોની વાર્ષિક આવક ૫ ડૉલરથી વધારે ન હતી. સશક્ત ખેતમજૂરને માસિક ૩.૬૦ ડૉલરનું વેતન મળતું. ૧૭૯૨માં રાષ્ટ્રીય કરજ ૩૫,૦૦૦,૦૦૦ ડૉલર હતુ તે ૧૯૨૯માં ૩,૫૦૦,૦૦૦,૦૦૦ ડૉલર જેટલું વધ્યું હતું. પીઠાના લાયસન્સમાંથી, ૧૯૨૨માં, સરકારને ૬૦,૦૦૦,૦૦૦ ડૉલર મળ્યા હતા. ૧૯૧૧માં સાર્વજનિક ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો ખરડો પસાર ન થયો ત્યારે, દેશમાં ૯૩% નિરક્ષરતા હતી. લંડન સ્થિત ‘સ્પેસ્ટેય્‌ટર’ અનુસાર ૧૮૫૭ના બળવામાં ઓછામાં ઓછા ૧૦૦,૦૦૦ લોકોએ જાન ખોયા હતા.’ લોકો ભૂખમરાની કોર પર નભતા હતા અને, ઇતિહાસના ચોપડા મુજબ, એક રાષ્ટ્ર વડે બીજાનું આવું અધમ અને ગુનાહિત શોષણ જોવામાં આવ્યું ન હતું,’ એમ વિલ ડ્યુરાંએ પોતાના આધારો સાથેના પુસ્તક ‘ધ કેસ ફૉર ઈંડિયા’માં (૧૯૩૦, પૃ.૨-૪૮) લખ્યું હતું.

પરંતુ પોતાની સદીઓ જૂની ગુલામીને ખંખેરીને, પોતાનાં હજારો કીર્તિવંત પુત્રપુત્રીઓના બલિદાન વડે ભારત ઊભું થયું. ‘સુષુપ્ત વિરાટકાય રાક્ષસ જાગે છે અને ફરી કદી સૂશે નહીં’, એ સ્વામી વિવંકાનંદની વાણીએ અનેકને પ્રેરણા આપી હતી. ‘લૅઝૅરસ, ઊઠ!’ ઈસુ ખ્રિસ્તના એ શબ્દોએ મૃત લૅઝૅરસને પુન: ચેતનવંતો કર્યો હતો તેમ, સ્વામી વિવંકાનંદના જાદુઈ શબ્દે જાગી ભારત પુનરુત્થાન પામી રહ્યો હતો એમ, રોમાં રોલાંને દેખાયું હતું. માતૃભૂમિની મુક્તિ માટે સેંકડો દેશભક્તોએ પોતાના પ્રાણ આપ્યા. પોતાના દેશ માટે અને દેશબાંધવો માટે, સ્વામી વિવેકાનંદ પ્રેર્યા મહાત્માગાંધી ભીખારી બન્યા. ‘જેમનું સર્વસ્વ આંચકી લેવાયેલું છે તેવાઓને ઉંબરે જઈ એ ઊભા અને, તેઓમાંના કોઈની માફક નાની પોતડી તેમણે ધારણ કરી,’ એમ મહાત્માગાંધી વિશે ટાગોરે લખ્યું હતું, ‘ગાંધીને સાદે ભારત નવી મહત્તામાં મહોરી ઊઠ્યું.’ (‘લૅનિન ઍન્ડ ગાંધી’, કુલિપ મિલર: ૧૯૨૭: પૃ.૨૦૭, ૧૬૨) આઝાદીનાં ૫૨ વર્ષ પછી દૃશ્ય બિલકુલ વિરુદ્ધનું છે. કૃષિ અને કંપ્યૂટર વિજ્ઞાન સહિતની, વિજ્ઞાન અને ટૅકનૉલૉજીની બધી લગભગ શાખાઓમાં ભારત વિશ્વમાં આદરભર્યા સ્થાને છે. નોબેલ પુરસ્કાર અને બીજા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મેળવવામાં ભારતીય ભેજાંઓ પાછળ નથી. ભારતીય અધ્યાપકો, સંગીતકારો, કલાકારો, વૈજ્ઞાનિકો અને ફિલસૂફો વિશ્વના વિવિધ ભાગોમાં અગ્રગણ્ય વ્યક્તિઓ છે. ૧૯૯૮ને અંતે ભારતની વસતિ ૯૭ કરોડ ૩૪ લાખ હતી, માથાદીઠ જી.ડી.પી. ૧૫૦૦ ડૉલર હતી, પરદેશી ચલણની અનામત ૨૬.૬ અબજ હતી. નિકાસ ૩૪.૯ અબજ ડૉલર હતી (‘એશિયા વીક’, પૃ.૧૨૦, તા.૨૫.૧૨.૧૯૯૮-૧.૧.૯૯) અન્ન અને બીજાં પરિબળોમાં આત્મનિર્ભરતાને કારણે, ડિસેમ્બર ૯૮માં ફુગાવાનો દર ૧૪.૮% હતો તે જુલાઈ ૧૯૯૯માં ઘટીને ૨%થી નીચે ગયો હતો. ૧૯૯૭ના ૩.૩ અબજ ડોલરની તુલનાએ, છેલ્લામાં છેલ્લી એફ.ડી.આઈ. લગભગ ૩૦ અબજ ડોલરે પહોંચી છે. જુલાઈ ૧૯૯૯માં, ભારતનું અર્થતંત્ર ‘ખૂબ વેગીલાં અર્થતંત્રોમાંનું’ એક હતું અને, આર્થિક વિકાસની પરિભાષામાં વિશ્વમાં એ છઠ્ઠે સ્થાને છે. (‘ઈંડિયન ઍક્સ્પ્રેસ’, ૧૯.૭.૯૯, અમદાવાદ, પૃ.૯)

સ્વૈચ્છિક સંસ્થાઓ, સમર્પણની ભાવના, નફો નહીં ખાટવાની વૃત્તિ

‘નહીં નફા’ સંસ્થા કે, ‘નહીં નફા’ વિભાગની પચાસ વર્ષ પહેલાં કોઈને જાણ ન હતી. પીટર ડ્રકરના મતાનુસાર, આજે, ‘અમેરિકામાં નહીં-નફા સંસ્થાઓ કેંદ્ર સ્થાને છે અને, એ સમાજનું એક આગવું લક્ષણ છે.’ દરેક બીજો પુખ્ત વયનો અમેરિકન નહીં-નફા વિભાગ સાથે સંકળાયેલો હોઈ અને, નહીં નફાના કાર્ય પાછળ અઠવાડિયે ત્રણ કલાક આપતો હોઈ, નહીં નફા વિભાગ અમેરિકાનો મોટામાં મોટો શેઠ-નોકરીએ રાખનારો- છે એમ, ડ્રકર કહે છે (મૅનૅજિંગ નૉન-પ્રૉફિટ ઑર્ગેનાઈઝેશન). પોતાના બધા પ્રજાજનો માટે સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને, આર્થિક ઉત્કૃષ્ટતા પણ સાધવાની શક્તિ બધા દેશોની સરકારો માટે મર્યાદિત છે. એટલે તો, બિનસરકારી કે નહીં-નફો સંસ્થાઓ સર્વત્ર અસ્તિત્વમાં આવે છે.

‘ધ કન્સાઈઝ ઑક્સફર્ડ ડિક્શનરી’ની ૧૯૫૦ની આવૃત્તિ ‘ઑર્ગનાઈઝેશન’ શબ્દના પ્રચલિત અર્થની નોંધ પણ કરતી નથી. બીજા વિશ્વયુદ્ધ પછી જ, સમાજની ઈતર સંસ્થાઓથી ભિન્ન અને અનોખા અસ્તિત્વ તરીકે ‘ઑર્ગનાઈઝેશન’ શબ્દ ઉપસ્યો છે (પીટર ડ્રકર – મૅનેજિંગ ઈન અ ટાઈમ ઑફ ગ્રેટ ચેન્જ, પૃ.૮૫) આમ છતાં, ઊંડી વ્યવહારુતા સાથે કાર્ય કરતી સંસ્થાઓ ભારતમાં ઘણી વહેલી ઉદ્‌ભવી હતી. શ્રીરામકૃષ્ણ મિશનનો જન્મ ૧૮૯૭ની ૧લીમેએ થયો હતો.

કેટલાંક વર્ષો અગાઉ બ્રિટિશ ફાય્‌નેન્શિયલ ટાઈમ્સે જુદાં જુદાં તંત્રોના કાર્યાભિગમની યાદી આપી હતી. કેટલાંક તંત્રો આ રહ્યાં:

‘તમારી પાસે બે ગાયો હોય તો તમારા પડોશીને તમે એક આપો છો.’ સોશ્યાલિઝમ (સમાજવાદ)

‘તમારી પાસે બે ગાયો છે તે સરકાર લઈ લે છે ને તમને દૂધ આપે છે.’ કમ્યૂનિઝમ (સામ્યવાદ)

‘તમારી પાસેની બે ગાયોમાંની એકને વેચી તમે ખૂંટ ખરીદો છો.’ કૅપિટાલિઝમ (મૂડીવાદ)

એ અખબાર બીજા એ તંત્રની નોંધ લેતાં ભૂલી ગયું. એ છે સ્વૈચ્છિક સેવા સંસ્થા. એ કહે છે: તમારી પાસે બે ગાય હોય તો તમે એક ખૂંટ માગી લો કે ખરીદો, બેની સો ગાયો કરો અને, જરૂરતમંદોને બધું દૂધ આપી દો.

જરૂરતમંદો અને પીડિતો માટેની આટલી ધગશ સાથે સેવા કરવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ શાથી પ્રેરાય છે? ઉપનિષદો કહે છે કે, ‘મનુષ્યો આનંદમાં જન્મે છે, આનંદમાં જીવે છે અને આનંદમાં મૃત્યુ પામે છે.’ કામમાં આનંદ ન મળે તો, કોઈ કામે જતું નથી. પોતાના ત્યાગમાં સમર્પિત લોકોને શો આનંદ આવે છે? પગાર, ભાવિની ઉમેદ કે ઉપલી પાયરીની આશાને તો તેમણે ફગાવી દીધેલ છે એટલે, ચોક્કસ, એ લાભ તો નથી જ; અંગત લાભ કે સલામતીના વિચારને ફંગોળી દઈ સંપૂર્ણપણે ત્યાગમય જીવનનો રાહ સ્વીકારનાર એ સમર્પિત લોકો સમક્ષ, ‘મારે માટે પોતાનું જીવન તજે છે તે જ પામે છે.’ એ ઈસુના શબ્દો સિવાય બીજો વિચાર નથી.

ઘણા સમાજોમાં કાતિલ હરીફાઈ વધારે પડતા કામને જન્માવે છે. લોકોની ધોરણસરની શક્તિની મર્યાદા કરતાં, કારીગરો અને વહીવટદારોને વધારે પડતું કામ કરવાની ફરજ પાડવામાં આવે તો, આધ્યાત્મિક ચેતનાના સ્રોત વિના, તેઓ માનસિક રીતે ભાંગી પડે છે. યોગ કે ધ્યાન વડે અંતરમાં રહેલી અનંત શક્તિ પાસેથી શક્તિ કેમ પ્રાપ્ત કરવી તે જાણ્યા વિના લોકો કામે ચડે છે. કેન ઉપનિષદ કહે છે આત્મના વિન્દતે વીર્યમ્—(આત્મામાંથી શક્તિ પ્રાપ્ત થાય છે). પરિણામે, ‘હેતુવિહીનતાની લાગણી’ જેવી કટોકટી ભીતરમાંથી જન્મે છે. અતિ મહત્ત્વાકાંક્ષા અને અતિ પરિશ્રમથી જે લોકો મરવા પડ્યા છે તેમને આ નહીં-નફા સંસ્થાઓ લોકોની સેવા માટે સમર્પિત જીવનનો શાંતિભર્યો માર્ગ ચીંધે છે. અને આવા અતિશ્રમિત, અતિમહત્ત્વાકાંક્ષી લોકોને, બિનસરકારી સંસ્થાઓ નિ:સ્વાર્થ, સમર્પિત સેવાનો માર્ગ ચીંધી એમના જીવનમાં ઉત્તમ પરિતૃપ્તિ, પરમ સુખ અને જીવનનો આનંદ આણે છે.

કલ્યાણવાંછુ લોકો કોણ છે?

નહીં-નફો સંસ્થાઓના કર્તાકારવતા મનુષ્યો જ છે. સાજો થયેલો ગરીબ દર્દી, અનાથે માંડેલું ઘર અને વસાવેલું કુટુંબ, અભણ મજૂરના પુત્રે પ્રાપ્ત કરેલી પી.એચડી.ની ડીગ્રી, લેથ ચલાવતો અંધ, સરખું કમાતો ખોડખાંડણવાળો કોઈ માનવી, એક યુવાન કે યુવતીનું આત્મ સન્માનવાળી વ્યક્તિમાં પૂરું પરિવર્તન- આ બધી એની ‘પેદાશ’ છે. પોતાની સમર્પિત સેવાઓ વડે, કેવા પ્રકારના માનવીના સર્જનનું સ્વપ્ન બિનસરકારી સંસ્થા સેવે છે? કલ્યાણ માટેના કોઈ પણ સેવાકાર્ય પહેલાં એક પ્રશ્ન પ્રથમ ખડો થાય છે – કલ્યાણ કોનું અને શા માટે? લોકોને કાયમ માટે કલ્યાણ પ્રવૃત્તિ પર આધાર રાખતા કરવા માટે છે કે, એ કલ્યાણ પ્રવૃત્તિથી એમને અંતે સ્વનિર્ભર કરવા માટે છે? અમેરિકાની ‘કલ્યાણ ગરબડ’ ઊભી થવાનું કારણ, અંશત:, એ છે કે, ઘણી કાળી કુંવારી, ‘કલ્યાણ માતાઓ’ પોતાનાં આશ્રિત બાળકો સાથે કાયમને માટે કુટુંબ સહાય પર જ નભતી હોય છે (અમેરિકાની વસતિના ૧૩% કાળી પરજ છે તેની સામે એ પ્રજાના ૩૭% કલ્યાણનો લાભ લેતી પ્રજા છે). એ જ રીતે, યુ.કે.માં પણ એ જ નૈતિક અને સામાજિક ધોરણના અભાવથી, જીવનમાં નૈતિક ધોરણ પડી ભાંગવાથી ઊભી થતી દૂર ફેંકાઈ ગયાની લાગણીથી પીડાઈ, પોતાના વ્યક્તિત્વના, કાર્યકૌશલના અને આત્મસન્માનના ભુક્કા થતા અનુભવે છે. ગેરકાયદે બાળકોને લઈને કાયમનો કલ્યાણલાભ મેળવનારાંઓ, યુ.કે.માં, ૩૦ ટકા કરતાં વધારે છે. ને અમેરિકામાં એ ટકાવારી ઝડપથી વધતી જાય છે. જર્મનો આવાં લોકોને ‘કલ્યાણ-અપંગો’ કહે છે ને તેમાં અતિશરાબીપણાનો ભોગ બનેલાંઓ, જુવાન ‘સ્કિનહેડો’ (ટકો કરાવનારાઓ) અને, નવ-નાઝીઓનો સમાવેશ થાય છે; એ સૌને ‘મજા’ કરવા માટે પૈસા જોઈતા હોય છે. (પીટર ડ્રકર: મૅનૅજિંગ ઈન અ ટાઈમ ઑફ ગ્રેય્ટ ચેન્જ, પૃ.૩૧૮-૧૯). આજે યુ.એસ.એ.માં ૪૮ ટકા લોકો એક યા બીજા પ્રકારની પિસ્તોલ રાખે છે. શાળાઓનાં બાળકો પણ બીજા વિદ્યાર્થીઓ પર ગોળીઓ ચલાવી આડેધડ હત્યાઓ કરતાં હોય છે. (ડિસે.૧૦, ૧૯૯૨નું) ‘ટાઈમ’ લખે છે કે, ‘યુ.એસ. બંદુક સભ્યતાની પકડમાં છે.’

કેવળ ઇંદ્રિય ભોગો પર અને આર્થિક બાદબાકીવાદ પર આધારિત અને, માનસિક અસંતુલન, કેફી દ્રવ્યોનાં વ્યસન, કે ખંડિત વ્યક્તિત્વમાં પરિણમતો એવો જ કલ્યાણ-સમાજ પાતકી નહીં પણ દેવજન્મ્યાં, અમૃતનાં સંતાનો હોવાનું ભવ્યદર્શન જગતને ભારતે આપ્યું છે. હાર્વર્ડમાં સ્વામી વિવેકાનંદે વ્યાખ્યાયિત કર્યા પ્રમાણે, ‘સભ્યતા તે માનવીમાં નિહિત દિવ્યતાનો આવિષ્કાર છે.’ ઍરિસ્ટોટલે મનુષ્યની કલ્પના ‘રાજકીય પ્રાણી’ તરીકે કરી હતી. ફ્રૉઈડે એને ‘જૈવિક પ્રાણી’ કહ્યો હતો. બૅન્ઝામિન ફ્રઁકલિને એને ‘સાધન બનાવતો પ્રાણી’ કહ્યો હતો. આજે ઍલ્વિન ટૉફલર માનવીને ‘આર્થિક પ્રાણી’ કહે છે. યુગો પૂર્વે, ભીતર અનંત, અભૌતિક આત્મા હોવાને કારણે, ભારતે માનવીને ભૌતિક દૃષ્ટિએ મર્યાદિત પણ આધ્યાત્મિક દૃષ્ટિએ અનંત કલ્પ્યો હતો. વિજયી મનુષ્ય થવા માટે, આજે પાશ્ચાત્ય ગતિશીલતા અને બાહ્ય ઉત્કૃષ્ટતા સાથે, આંતરિક નૈતિક અને આધ્યાત્મિક જીવનની પૌરસ્ત્ય ઉત્કૃષ્ટતાના સુભગ મિલનની જરૂર છે. જાણતાં કે અજાણતાં, ભારતની બિનસરકારી સંસ્થાઓ આ વિચારણાને અનુસરે છે. પરિણામે, ૨૧મી સદીને ઉંબરે મહાન ભારતનું નિર્માણ છે.

સેવાનું ધ્યેય જીવનનું ઊર્ધ્વીકરણ

માત્ર આર્થિક અને ભૌતિક સુખસગવડોથી આમ પ્રજા ઇંદ્રિયોના ગુલામો બને તેવી શક્યતા છે. માટે તો, જીવનના ઊર્ધ્વીકરણ માટે, સ્વામી વિવેકાનંદે ભારતીયોને લોકોની ત્રણેય પ્રકારની સેવાનો પ્રબંધ કરવા કહ્યું.

અન્નદાન—ભૌતિક અને આર્થિક જરૂરિયાતની ભેટ

વિદ્યાદાન—લોકોની શક્તિઓના વિકાસ માટે તેઓ સામાજિક—આર્થિક દૃષ્ટિએ સ્વાવલંબી અને તે માટે સર્વધર્મસમભાવવાળી અને શાસ્ત્રીય જ્ઞાનની ભેટ.

ધર્મદાન—યંત્ર-સમાજના આત્મઘાતી માર્ગે જઈ ભાંગી પડ્યા વિના પોતાની દિવ્ય પ્રકૃતિને વળગી રહેવા માટે આધ્યાત્મિક સંસ્કૃતિની ભેટ.

સ્વામી વિવેકાનંદે ૧૮૯૬માં ભાખ્યું હતું કે, ‘સર્વવ્યાપક ઈશ્વરનો માનવરૂપમાં આવિષ્કૃત ઈશ્વરનો વિચાર તરંગ સૌથી જોરદાર હશે.’ ફરી એક વાર આપણા કાળમાં, ચિંતનનું એવું આંદોલન વ્યાપી રહ્યું છે અને એવો કેન્દ્રસ્થ વિચાર પ્રવર્તી રહ્યો છે કે, ઈશ્વર સર્વવ્યાપક છે અને, દરેક રૂપમાં અને દરેક સંપ્રદાયમાં એ વિચાર માથું કાઢી રહ્યો છે. (કંપ્લીટ વર્ક્સ ઑફ સ્વામી સ્વામી વિવેકાનંદ, વૉ.૬ પૃ.૧૩૪) ઉચ્ચ-નીચ સૌમાં ઈશ્વરની સર્વવ્યાપકતાના દર્શન પર આધારિત શિવજ્ઞાને જીવસેવાનો એમના ગુરુ શ્રીરામકૃષ્ણનો બોધ ઈશ્વરની સર્વવ્યાપકતાના ભાવિલક્ષી દર્શનના સ્વામી વિવેકાનંદના પ્રદાન માટે કારણભૂત હતો. સ્વાર્થી નરરાક્ષસ કે લોહી ચૂસતા રાજકારણી ઘડવા માટે નહીં પણ, જેનામાં પરમાર્થની ઉચ્ચતર ભાવના જાગ્રત થઈ છે, જે લોકોનો સેવક છે, જે માનવતાનો ચાહક છે, જે ઉચ્ચ નૈતિક ચારિત્ર્યવાળો છે તેવા માનવીના ઘડતર માટે બધી સામાજિક, આર્થિક કે ટૅકનૉલૉજિકલ સેવા પ્રવૃત્તિઓએ મથવું જોઈએ. નોબલ પારિતોષિક વિજેતા ઈતિહાસકાર આર્નોલ્ડ જે. ટૉય્ન્બીને જણાયું છે કે, ‘ભારતમાં સમગ્ર રામકૃષ્ણ સેવા પ્રવૃત્તિઓની પાછળ બધાં મનુષ્યોમાં રહેલી આધ્યાત્મિક જાગ્રતિ છે. એમણે ૧૯૬૦માં (વેદાન્ત અઁડ ધ વેસ્ટ, પૃ.૧૪૧, હૉલીવુડ વેદાન્ત સઁટર પ્રકાશન, પૃ.૧૦પર) લખ્યું છે કે, ‘આવતાં પચાસ કે સો વર્ષ પછી લખાનારા ઈતિહાસ ગ્રંથોમાં, મને લાગે છે કે, રામકૃષ્ણનું નામ નહીં હોય એવું નહીં બને. ખાસ કરીને હું સામૂહિક વિકાસકાર્યનો વિચાર કરું છું. સેંકડો ને હજારો ભારતીય ગામડાંઓમાં ખેડૂતો પોતાનું જીવન સુધારી શકે એ માટે, પોતે કંઈ કરી શકે છે તે સમજતા થયા છે. એમને સારા કરવાનો અર્થ છે, એમના આધ્યાત્મિક જીવનની સુધારણા માટે એમનું ભૌતિક જીવન સુધારવું-અને આ આપણને પુન: ધર્મ તરફ અને શ્રીરામકૃષ્ણ તરફ લાવે છે.’

આંતરરાષ્ટ્રીય, વૈશ્વિક દર્શન સાથે રાષ્ટ્રીય મૂળ નાખવાં એ આજની ઘડીનો તકાદો છે.

ભારતની સ્વૈચ્છિક સંસ્થાઓની સેવાપ્રવૃત્તિ પાછળનો હેતુ શો છે? ધર્માન્તર, વટાળ પ્રવૃત્તિ કે, રાષ્ટ્ર ભાવનાહીન કે જડ ભારતીય નાગરિકોનું ઘડતર કરવાનું તો ચોક્કસ નહીં. અર્થપૂત જીવન માટે પુરાતન રાષ્ટ્રીય સંસ્કૃતિમાં મૂળ હોવાનું જરૂરી છે. પોતાનો ભૂતકાળ કે પોતાનાં માતાપિતાનાં નામ ભૂલી જનાર ગાંડો જ ગણાય. જવાહરલાલ નહેરુએ ૧૯૪૨માં લખ્યું હતું:

‘અર્વાચીન યુગનું એક નોંધપાત્ર લક્ષણ છે ભૂતકાળનું અને રાષ્ટ્રનું પુન: ભાન. આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિના અગ્રગણ્ય ટેકેદાર હતા તે શ્રમજીવી અને આમ વર્ગોમાં રાષ્ટ્રીય પરંપરા તરફ પાછા વળવાનું વિશેષ જોવા મળે છે.’ (ધ ડિસ્કવરી ઓફ ઈંડિયા; ૧૯૪૭, પૃ.૪૩૬)

પોતાના રાષ્ટ્રનાં પ્રાચીન વારસા અને સંસ્કૃતિથી દુર્ભાગ્યે સદંતર અજ્ઞાત અને એમના વિરોધીઓ પણ છે તેવા અદ્યતન વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના જે ઊંડા જાણકાર છે પણ, પોતાના રાષ્ટ્રનાં પ્રાચીન વારસા અને સંસ્કૃતિથી સદંતર અજ્ઞાન અને એમના વિરોધીઓ છે તેવા નવબૌદ્ધિકો વિશે આપણે શું માનીશું? આવા લાખો લોકોના ભોગે ભણી એમની પ્રત્યે દુર્લક્ષ સેવનારાઓને સ્વામી વિવેકાનંદે દેશદ્રોહી કહ્યા છે. જેમના ઇજનેરી કે તબીબી શિક્ષણ માટે રાષ્ટ્રે ૪/૫ લાખ રૂપિયા ખર્ચ્યા છે અને જે, પોતાના ગામની, શહેરની અને દેશની જરૂરિયાતોને તરછોડી, અભ્યાસ કરતી વેળા જ ઇન્ટર્વ્યુ આપી, અભ્યાસ પૂરો થતાંવેંત દેશ છોડી જાય છે તેમને માટે શું કહેવું? આપણી સ્વૈચ્છિક સંસ્થાઓએ આવા કલ્યાણ પર નભતા લોકોના ઉછેરને ઉત્તેજન આપવું? એક સમુદાયના નહીં પણ રાષ્ટ્રના હિત માટે પોતાની પ્રવૃત્તિઓ કરે તેની પર સંસ્થાઓની મહત્તાનો આધાર છે. અંતે તો રાષ્ટ્રના અને વિશ્વના હિતનું હોય તે સંસ્થાના હિતનું પણ છે. જનરલ મૉટર્સના મિ. વિલસને ૧૯૫૩માં કહ્યું હતું કે, ‘યુનાઈટેડ સ્ટેટ્સના હિતમાં છે તે જનરલ મોટર્સના હિતમાં છે.’ ભારતની બધી સ્વૈચ્છિક સંસ્થાઓને આ લાગુ પડે છે અને, ‘જે ભારતના હિતમાં છે તે સંસ્થાના હિતનું છે,’ એ તેમનો ધ્યાનમંત્ર હોવો જોઈએ.

પરંતુ ચિત્રની બીજી બાજુ પણ છે. દરેક અદ્યતન સંસ્થા ભલે જન્મી હોય ચોક્કસ લોક સમુદાયમાં પણ, એ લોકસમુદાયના મર્યાદિત અને સંકુચિત દૃષ્ટિ બિંદુથી ઉપર ઊઠી એણે આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ અને ધોરણ અને, વૈશ્વિક અર્થતંત્રને દૃષ્ટિ સમક્ષ રાખવાં ઘટે. નહીં તો રાષ્ટ્રીય પુનરુત્થાનમાં કે, વૈશ્વિક હરીફાઈના હાટમાં એ પોતાનું યોગદાન નહીં આપી શકે અને, જીવનમાં વૈશ્વિક અભિગમ નહીં અપનાવી શકે. ભારતીય સંસ્કૃતિએ આવો વૈશ્વિક અભિગમ અપનાવ્યો છે ને એણે, સ્વામી વિવેકાનંદ કે મહાત્મા ગાંધી જેવા આંતરરાષ્ટ્રીય નેતાઓને જન્મ આપ્યો છે. રાષ્ટ્ર સંઘના કે, વિશ્વ રાષ્ટ્ર સંઘના જન્મની ક્યાંય પૂર્વે, ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદે ભારતમાં આંતરરાષ્ટ્રીય અભિગમ અપનાવવાની ઘોષણા કરી હતી: ‘રોજ એ વધારે ને વધારે સ્પષ્ટ થતું જાય છે કે, માત્ર વંશીય રાષ્ટ્રીય કે એવી સંકુચિત ભૂમિકાએથી કદી પણ કોઈ પ્રશ્નનો ઉકેલ લાવી શકાશે નહીં.

આપણે સઘળું પશ્ચિમ પાસેથી કે તેમણે સઘળું આપણી પાસેથી શીખવું પડશે એમ નથી પણ, આદર્શ વિશ્વના, રાષ્ટ્રોની સંવાદિતાના યુગોના સ્વપ્નને સાકાર કરવા માટે પોતાની સિદ્ધિઓનું પ્રદાન તેણે ભાવિપેઢી માટે કરવું પડશે.

આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય જોડાણો, આંતરરાષ્ટ્રીય કાનૂનો આજનો પોકાર છે. એ હિતનું ઐક્ય નિર્દેશે છે.’

જે ધર્મ માત્ર ચર્ચમાં, મંદિરમાં કે મસ્જિદમાં પૂરો થાય છે તે, સ્વામી વિવેકાનંદ માનતા કે, ‘હંમેશાં નવાં અનિષ્ટોને જન્મ આપે છે. (કં.વ. ઑફ સ્વા. વિવે.,વૉ.૯,પૃ.૪૧૧). બૃહદારણ્યક ઉપનિષદ પ્રબોધે છે કે, પ્રાણીમાત્રમાં એક જ આત્માનો સાક્ષાત્કાર કરવામાં ઋષિને માટે વેદો પણ અનાવશ્યક બને છે (તત્ર વેદા અવેદા ભવતિ).

ઈતિહાસવિદો માને છે કે, ‘આંતરરાષ્ટ્રીય બાબતોમાં ધર્મ વધારે ને વધારે ઘૂસવાનો છે અને, તેને પરિણામે, ધર્મના અને સંસ્કૃતિના આંતરસભ્યતાના સંઘર્ષો જન્મવાના છે.’ ધર્મને આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક પરિપ્રેક્ષ્યનું પીઠબળ નહીં મળે તો, સામુદાયિક હિતો ઊભાં થશે અને, આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રાન્તર સંઘર્ષોને ઉત્તેજન મળશે. આંતરધર્મ સંઘર્ષોથી આપણા અનેક-ધર્મી ભારતને બચાવવું હોય તો, માત્ર સહિષ્ણુતા જ નહીં પણ, બીજા ધર્મોનાં વૈશ્વિક તત્ત્વોનો આદરપૂર્ણ સ્વીકાર એ આજની તાતી જરૂર છે. બીજા ધર્મોના આદર અને સ્વીકારનું વલણ આપણે જેટલું જલદી અપનાવીશું એટલું ભારત માટે વધારે સારું છે.

આમ પ્રજાના ઉત્થાન માટે ધર્મ

ધાર્મિકતાના કે ધાર્મિક આવેગોના ત્રણ હજાર વર્ષના પીઠબળવાળા રાષ્ટ્રમાં ધર્મની અગત્ય કદી નકારી શકાય નહીં. ભારતમાં એ માર્ગ ઓછામાં ઓછા સામનાનો છે. પરંતુ, ઓછામાં ઓછું સ્વામી વિવેકાનંદના આગમન સુધી ભારતમાં ધર્મ મોક્ષ માટેના પરલોકની ખોજનો નિષ્ક્રિય ધર્મ રહ્યો હતો અને તે પાછો આ લોકમાં પેટ ભરવાના વખાના ભોગે પણ. એથી તો, મંદિરમાંના ભગવાનથી ધૂળમાં રગદોળાતા ભગવાન તરફ સ્વામી વિવેકાનંદે ધર્મને વાળ્યો. કરોડો ભૂખ્યાં જનોને ધર્મનો બોધ કરવો એ મશ્કરી છે, ‘સ્વીકારવાને તત્પર નહીં તેવા, લોકો પર ઉચ્ચતમ સત્ય ઠોકી બેસાડવાની ભૂખ છે,’ એમ સ્વામી વિવેકાનંદને જ્ઞાન થયું. એમણે કહ્યું છે, ‘અદ્વૈતને આ પાર્થિવ જગતમાં થોડુંક લાવવાની જેટલી જરૂર છે એટલી જરૂર આપણે આધ્યાત્મિકતાની નથી. પહેલાં ભાખરી, પછી ધર્મ.’ ભારતમાં રાષ્ટ્રીય જીવનમાં ધર્મ આટલો અગત્યનો ભાગ ભજવે છે ત્યાં, સ્વામીજીને લાગ્યું હતું કે, ધર્મે લોકકલ્યાણ માટે આગળ આવવું જોઈએ. ભગવાન બુદ્ધે આ જ કર્યું હતું. ઉપલા વર્ગના અને સામાન્ય જનો, બેઉને માટે, મરતી વખતે હિંદુ સંન્યાસી તરીકે બુદ્ધે પોતાનો અંતિમ સાદ સંભળાવી કહ્યું હતું કે, ‘ઔપનિષદિક ધર્મને અનુસરો.’

બહુજન હિતાય ચ બહુજન સુખાય ચ લોકાનુકમ્પાયૈ હિતાય, અર્થાય ચ દેવ મનુષ્યાણામ્ (સૌના કલ્યાણ માટે, સૌના સુખ માટે, લોકો પ્રત્યે અનુકંપા માટે, ઉચ્ચસ્તરીય અને સામાન્ય, બેઉ પ્રકારના લોકોની સમૃદ્ધિ માટે)

અમેરિકામાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું:

સામાન્ય પ્રજામાં કોઈ ધર્મ મૂળ ઘાલે છે ત્યારે એને મજબૂત આર્થિક પાસું હોય છે. ધર્મની આધ્યાત્મિક કે દાર્શનિક બાજુ નહીં પણ એની આર્થિક બાજુ સામાન્ય લોકોનાં દિલમાં વસે છે. માણસ એના પેટનો દોર્યો ચાલે છે. એ ચાલે છે ત્યારે, એનું પેટ પહેલાં પહોંચે છે, એનું મસ્તક પછી… મસ્તકને આગળ થતાં યુગો વહી જશે. (ઍમ.ઍલ.બર્ક; સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ; વૉ.૬, પૃ.૨૦૪)

ભારતીય ચિંતકોમાં વ્યવહારુ વેદાન્તની ભાવના જગાવવા, ૧૮૯૬થી એ પશ્ચિમમાંથી કોશિશ કરતા હતા. લાઈટ ઑફ એશિયાના તંત્રીને એમણે લખ્યું હતું: ‘શક્તિની શાશ્વત ખાણ અદ્વૈત છે. પણ એને કામે લગાડવાનું છે.’ પિતા, માતા, આચાર્ય અને અતિથિને દેવો તરીકે પૂજવાનો આદેશ ઉપનિષદોએ આપ્યો -પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, આચાર્યદેવો ભવ, અતિથિદેવો ભવ. અને દરિદ્રદેવો ભવ, મૂર્ખદેવો ભવ, પાપીદેવો ભવ, તાપીદેવો ભવ, એ નવવેદાન્ત સંદેશથી સ્વામી વિવેકાનંદે જગતને પ્રેરણા આપી. (દરિદ્ર, અજ્ઞાની, પાપી અને તપ્ત ઈશ્વરની સેવા કરો.) અને સ્વામી વિવેકાનંદની ઐતિહાસિક અગત્ય જ અહીં છે. માનવીમાં રહેલા ઈશ્વરની વ્યવહારુ, આદરપૂર્ણ સેવામાં બધા કામને ઢાળીને એમણે ધર્મનિરપેક્ષને ધર્મ બનાવી દીધું. વ્યવહારુ વેદાન્તની આ ભાવના રામકૃષ્ણ મિશનનો મુદ્રાલેખ બની: ‘પોતાના મોક્ષને માટે તેમજ જગતના હિતને માટે’ (આત્માનો મોક્ષાર્થં, જગત્ હિતાય ચ.) શુચિતા, ત્યાગ, સેવા, વૈશ્વિકતા અને સર્વધર્મસમભાવના અભિગમ: આ પાંચના ઊંડા, આધ્યાત્મિક પાયા પર આધારિત મિશન ભાવિમાં સેવાકાર્ય કરશે તે એમની આર્ષદૃષ્ટિથી એમણે જોયું હતું. ૧૯૯૩માં, લગભગ સો વર્ષ પછી, ૧૮૯૩માં શિકાગોમાં મળેલી વિશ્વધર્મપરિષદની શતાબ્દીના સમારોહમાં યુનેસ્કોના ડાયરેક્ટર ડૉ. ફ્રૅડરિકો મેયરે કહ્યું હતું:

‘સ્વામી વિવેકાનંદે ૧૮૯૭માં સ્થાપેલ રામકૃષ્ણ મિશનના સંવિધાનના ખંડો અને ૧૯૪૫માં સ્થપાયેલા યુનેસ્કોના સંવિધાન ખંડો વચ્ચેના સામ્યે મને આશ્ચર્યચકિત કર્યો હતો. બંને સંસ્થાઓએ વિકાસના કેન્દ્ર સ્થાને માનવીને મૂક્યો છે. શાંતિ અને લોકશાહી ઊભાં કરવા માટેની કાર્યસૂચિમાં બંને સંસ્થાઓએ સહિષ્ણુતાને અગ્રતાક્રમ આપ્યો છે.’

શ્રીરામકૃષ્ણ મિશન

શિક્ષણ, તબીબી રાહત, સંગ્રથિત ગ્રામવિકાસકાર્ય, વ્યાપક અને દૂરગામી અસરોવાળાં રાહતનાં અને પુનર્વસવાટનાં કાર્યો, દુર્ગમ વિસ્તારોમાં આદિવાસીઓ માટેનાં વિકાસકાર્યો, પાશ્ચાત્યદેશોમાંનું આધ્યાત્મિક સેવાકાર્ય-શ્રીરામકૃષ્ણ-સ્વામી વિવંકાનંદ ભાવધારાની આ સર્વ સેવા પ્રવૃત્તિઓનાં અસાધારણ પરિણામો અને ઉત્કૃષ્ટતાનાં મૂળ ‘બધું કાર્ય માનવરૂપમાં વસેલા ઈશ્વરની પૂજા છે’ એ સ્વામી વિવેકાનંદના આદર્શની પ્રેરણામાં રહેલાં છે. ભારત સરકારના (૧૯૮૫ના) અહેવાલ(ના ૧૦મા પાનામાં) જે ‘કાર્ય સાધક વ્યવહાર્ય મૂલ્યતંત્ર’ની કલ્પના કરવામાં આવી છે તે, રામકૃષ્ણ-સ્વામી વિવેકાનંદ ભાવધારામાં વ્યવહારુ વેદાન્તના પુન: પુન: આયોજનથી ઉત્કૃષ્ટતાપૂર્વક અને વધારેમાં વધારે ઉત્પાદકતા સાથે સિદ્ધ કરવામાં આવી છે.

કેટલાક દાયકા પૂર્વે કોઈ સરકારી અમલદારે તે કાળના મુખ્યમંત્રી ડૉ. બી.સી. રૉય આગળ બળાપો ઠાલવી, ‘રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ માટે આટલા બધા પૈસા શા માટે આપવામાં આવે છે?’ તેમ પૂછ્યું ત્યારે, એને ઉત્તર મળ્યો હતો, ‘આપણે મિશનને એક રૂપિયો આપીએ છીએ તો, મિશન ક્યાંકથી બીજો એક રૂપિયો ભીખી લાવે છે અને, સમાજને બે રૂપિયાનું કામ આપવાની સાથે પોતાનાં જીવનભરના ત્યાગને અને પ્રથમ કોટિની સેવાને ઉમેરે છે.’

જે બે શાળાઓને ડૉ. રૉયે નાણાં ફાળવ્યાં હતાં તે બંને શાળાઓ, એનસીઈઆરટીના અહેવાલ (૧૯૯૧માં ભુવનેશ્વરની રિજિયનલ કૉલેજ ઑફ ઍજ્યુકેશને આ અહેવાલ તૈયાર કર્યો હતો) અનુસાર, નરેન્દ્રપુરનું રામકૃષ્ણ મિશન વિદ્યાલય અને, પ. બંગાળના પુરુલિયાની રામકૃષ્ણ મિશન સ્કૂલ, બંને, દેશની શ્રેષ્ઠ શાળાઓ ઠરાવવામાં આવી છે. મૈસુરના રામકૃષ્ણ મિશન વિદ્યાલયને વિશેષ અગત્યનું સ્થાન એનાયત કરવામાં આવ્યું છે.

૧૯૯૯ના માર્ચમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની ૧૩૮ શાખાઓ વિશ્વભરમાં પથરાયેલી છે.

૧૯૯૭-૯૮ના વર્ષ દરમિયાન મિશનની ૧૪ હૉસ્પિટલો હતી અને તેમાં કુલ ૬૭૩૫૭ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી અને, ૨૨,૭૯,૨૬૧ રોગીઓએ બહારથી ઔષધ સારવારનો લાભ લીધો હતો. ૧૬ નેત્રયજ્ઞો રાખવામાં આવ્યા હતા જેમાં, ૬૪૩ દર્દીઓને વિના મૂલ્યે મોતિયાની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. મુખ્યત્વે આદિવાસી અને ગ્રામ વિસ્તારોમાં ફરતાં ૩૪ દવાખાનાંઓએ ૮,૭૦,૬૫૦ દર્દીઓની સેવા કરી હતી. ૯૬ દવાખાનાંઓએ ૨૭,૨૭,૪૭૬ દર્દીઓની સારવાર કરી હતી. સંખ્યાબંધ તબીબી શિબિરોમાં અનેક દર્દીઓને સારવાર આપવામાં આવી હતી અને પરિચારિકાઓ (નર્સો) માટેનાં પાંચ તાલીમકેન્દ્રોમાં ૩૯૯ પરિચારિકાઓને તાલીમ આપવામાં આવી હતી.

૫ ડીગ્રી કૉલેજો, ૫ અધ્યાપન મંદિરો અને ૩૨૬ શાળાઓ મળી કુલ ૩૩૬ ઔપચારિક શિક્ષણ સંસ્થાઓ કાર્યરત છે. અનૌપચારિક શિક્ષણ આપતી સંસ્થાઓ ૧,૩૪૭ છે; આ બધી સંસ્થાઓનો લાભ લેનાર વિદ્યાર્થી સંખ્યા ૨,૦૭,૪૫૫ (૧,૩૫,૯૫૭ પુરુષો અને, ૪૯,૪૪૧ સ્ત્રીઓ) છે. બધી સંસ્થાઓ પાછળનો ૧૯૯૭-૯૮નો ખર્ચ રૂ.૫૦.૮૪ કરોડ છે.

રામકૃષ્ણ મિશનનાં કેટલાંક કેંદ્રોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ધ્યાન ખેંચ્યું છે. પ.બંગાળના રહારાના અનાથ છોકરાઓ માટેના મિશનના ગૃહમાં ૭૦૦ કરતાં વધારે અનાથ છોકરાઓનો સમાવેશ થાય છે અને એ મોટામાં મોટા અનાથાલયના અંતેવાસીઓ ન્યાયાધીશો, પ્રાધ્યાપકો, અમલદારો અને સાધુઓ પણ બન્યા છે. એ જ રીતે, મદ્રાસના રામકૃષ્ણ મિશન વિદ્યાર્થી ગૃહ અનાથગૃહને રંકોના મહેલ તરીકે ઓળખાય છે તેમાંથી એક લ.જનરલ સહિતના ઉચ્ચ શાસનકર્તાઓ સાંપડ્યા છે. અરુણાચલ પ્રદેશમાંની અલોંગની અને નરોત્તમનગરની મિશનની બે પબ્લિક શાળાઓમાં બે હજાર જેટલા વિદ્યાર્થીઓ ભણે છે અને, સુવ્રત કપના ફૂટબોલની ખેલાડીઓ સહિતના કેટલાય તેજસ્વી નાગરિકોનું ઘડતર ત્યાં થઈ રહ્યું છે. ભારતના સાંસ્કૃતિક વારસામાંના મૂળવાળું રાંચીનું રામકૃષ્ણ મિશનનું જબરદસ્ત આદિવાસી વિકાસ કેંદ્ર ‘દિવ્યાયન’ નવો ચીલો પાડનારું કેન્દ્ર છે. ભારત સરકારે તેને તાજેતરમાં ‘શ્રેષ્ઠ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર’નો પુરસ્કાર એનાયત કર્યો છે. એ જ રીતે, આદિવાસીઓને માન અને આદરભેર ભારતમાં ઉચ્ચ સિદ્ધિઓની પ્રાપ્તિ માટે તૈયાર કરનાર બસ્તરના નારાયણપુરની રામકૃષ્ણ મિશનની છાત્રાવાસી શાળાઓ કાર્યરત છે. ભારતમાં એ પ્રકારનું પ્રથમ સેવાકાર્ય છે. બંગાળના ૨૦૦૦ ગામડાંમાં ગ્રામવિકાસનું દૂરગામી અને સુગ્રથિત સેવાકાર્ય કરતા નરેન્દ્રપુરના રામકૃષ્ણ મિશન ગ્રામ વિકાસ કેન્દ્રને, ૧૯૯૯માં, કનડાની ફ્રિડમ ફૉર ઑલ સંસ્થા તરફથી વિશ્વ વિખ્યાત આલ્બર્ટ સ્વાઈત્ઝર પુરસ્કાર એનાયત થયો છે. નરેન્દ્રપુરની રામકૃષ્ણ મિશનની બ્લાઈંડ બૉય્ઝ ઍકડમી (અંધ વિદ્યાર્થી શાળા) આખા અગ્નિ એશિયામાં ઉચ્ચ સ્થાને છે. કોઈમ્બતુરનું રામકૃષ્ણ મિશનનું અંધજન તાલીમ કેન્દ્ર અંધજન શિક્ષણના ક્ષેત્રમાં આગવું પ્રદાન આપી રહેલ છે.

કલકત્તાની રામકૃષ્ણ મિશન હૉસ્પિટલ (સેવા પ્રતિષ્ઠાન)માં ૬૫૦ પથારીઓ અને તબીબી સંશોધન કેન્દ્ર છે. બંગાળના લાખ્ખો લોકો માટે એ આશીર્વાદનું સ્થાન છે. લખનૌમાં આવેલું રામકૃષ્ણ મિશન પૉલિક્લિનિક અગ્નિ એશિયામાંનાં ઉત્તમ પૉલિક્લિનિકોમાંનું એક છે. હરદ્વાર અને વારાણસીમાંના રામકૃષ્ણ મિશન સેવાશ્રમો (હૉસ્પિટલો) એ બંને શહેરોમાં ખૂબ લોકપ્રિય છે. મુખ્યત્વે દાન પર નભતી અને સાધુઓની સીધી સેવાથી ચાલતી એ બેઉ સંસ્થા ભારતમાં રોગી ઈશ્વરની સેવાનાં ખ્યાતનામ કેન્દ્રો છે. એ જ રીતે, ત્રિવેન્દ્રમની રામકૃષ્ણ મિશન હૉસ્પિટલ અને, દિલ્હીનું રામકૃષ્ણ મિશન ટી.બી. (ક્ષય) સઁટર પોતાની સેવા માટે જાણીતાં છે. ૧૯૯૮ના વર્ષના ‘ગાંધીશાંતિ પુસ્કાર’ રામકૃષ્ણ મિશને પ્રાપ્ત કરીને વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત કરી છે તે પણ આ સેવા પ્રવૃત્તિઓના કારણે.

નહીં-નફા સંસ્થાઓમાં રામકૃષ્ણ મિશન આજે મોખરે છે. ઉચ્ચતર મૂલ્યો અને નિ:સ્વાર્થ સેવાથી પ્રેરિત સમર્પિત મનુષ્યોનું ઘડતર રામકૃષ્ણ મિશન કરી રહ્યું છે, જે કાર્ય બહુ થોડા કરી શકે છે. બૌદ્ધિક (જ્ઞાનની), ભાવનામય (ભક્તિની), દૈહિક (સેવાની) અને આંતરપ્રેરણાની નરનારીઓનું મનુષ્યમાંથી દેવોમાં રૂપાન્તર કરતી ‘શુચિતા વેરતી સારડી’ તરીકે રામકૃષ્ણ મિશનને વર્ણવ્યું હતું. ‘આત્મનો મોક્ષાર્થં, જગત્ હિતાય ચ’ એ મુદ્રાલેખ રામકૃષ્ણ સંઘને સ્વામી વિવકાનંદે આપ્યો હતો. પાશ્ચાત્ય ગતિશીલતા, વ્યવહારુતા અને વૈજ્ઞાનિક અભિગમ સાથે આ મુદ્રાલેખમાં વ્યક્ત થતી ભારતીય સંસ્કૃતિની ભાવનાનો સમન્વય કરે તેવાં ઊર્ધ્વતર નરનારીઓનું ઘડતર મિશનનું ધ્યેય છે. જીવનનું ધ્યેય નિહિત દિવ્યતાને પ્રગટ કરવાનું છે. મિશનને કેટલી સિદ્ધિ મળી છે તે તો માત્ર ઈતિહાસ જ કહી શકે. પરંતુ બેલુડ મઠના સ્થાપના દિને સ્વામી વિવકાનંદે આર્ષવાણી ભાખી હતી કે: ‘અહીંથી જાગતી આધ્યાત્મિક ઊર્જા આખા વિશ્વમાં પ્રસરશે અને માનવીઓની પ્રવૃત્તિઓને તથા આકાંક્ષાઓને નવે માર્ગે વાળશે. જ્ઞાન, ભક્તિ, યોગ અને કર્મનો સમન્વય કરતાં ચિંતનનો આદર્શ અહીંથી ફેલાવવામાં આવશે. આ મઠના સંન્યાસીઓના સંકલ્પ માત્રથી મનુષ્યોના મૃતપ્રાય આત્માઓમાં ચૈતન્ય ધબકશે એવો સમય આવશે.’ (લાઈફ ઑફ સ્વામી વિવેકાનંદ, ૧૯૮૧,૨/૪૦૪)

વેદાન્ત સામાજિક-સાંસ્કૃતિક અધિકારો મિટાવવાનું સાધન

વ્યવહારુ વેદાન્તની આ વિચારધારાથી શી ભલીવાર થશે? સ્વામી વિવેકાનંદનો ઉત્તર હતો: ‘પોતે આત્મા છે એમ માછીમાર ધારશે તો, એ વધારે સારો માછીમાર થશે, વિદ્યાર્થી માને કે પોતે આત્મા છે તો, તે વધારે સારો વિદ્યાર્થી થશે, વકીલ માને કે પોતે આત્મા છે તો, એ વધારે સારો વકીલ થશે.’ વળી અદ્વૈત વેદાન્ત બધા અધિકારોના મૂળમાં ઘા કરે છે. વેદાન્ત અને ભારતીય જીવન પરના મદ્રાસમાંના પોતાના પ્રવચનમાં વેદાન્ત દર્શનની આ અનન્યતા સ્વામી વિવેકાનંદે વ્યક્ત કરી હતી:

‘હું જોડા સાંધવામાં કુશળ છું, તમે વેદપઠનમાં કુશળ છો. પણ, તેથી કંઈ તમારે મારા શિરને લાત મારવાનું કંઈ કારણ નથી… જ્ઞાતિ સારી છે. જીવનના કોયડા ઉકેલવાનો એ જ સ્વાભાવિક માર્ગ છે. માણસોએ ટોળી બાંધી જ રહેવું જોઈએ. તમે એમાંથી છટકી શકો નહીં. તમે જ્યાં જશો ત્યાં તમને જ્ઞાતિ મળશે. પણ એનો અર્થ એ નથી કે, આ અધિકારો હોવા જોઈએ. એમનું માથું જ ભાંગી નાખવું જોઈએ.’

અર્વાચીન ભારતમાં, પછાત વર્ગોમાં ઉપલા વર્ગોની સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક ઉત્કૃષ્ટતાઓ ઉતારવાનો શંખનાદ ફૂંકનાર સ્વામી વિવેકાનંદ હતા. ‘શૂદ્રોને બ્રાહ્મણત્વની કક્ષાએ લઈ જવા જોઈએ’— વારંવાર દોહરાવાયેલો એ એમનો પોકાર હતો. સાચી આધ્યાત્મિક ઉત્કૃષ્ટતા, પવિત્રતા, શુચિતા અને, ઉચ્ચતર જ્ઞાનનો ભારતમાં સદાય આદર થયો છે. એટલે, સ્વૈચ્છિક સંસ્થાઓની ફરજ, કૃષિવિષયક, ટૅકનૉલૉજિકલ, વૈજ્ઞાનિક કે ઔદ્યોગિક તાલીમ દ્વારા માત્ર તેમનું આર્થિક, કલ્યાણ કરવાનું જ નથી પણ, સામાજિક દૃષ્ટિએ પછાત વર્ગો, આદિવાસીઓ કે, કહેવાતા પછાતવર્ગોને આધ્યાત્મિક સંસ્કૃતિ આપીને તેમની આધ્યાત્મિક ઉત્કૃષ્ટતા સાધવાની પણ છે. નૈતિક તાલીમ વગરનું માત્ર આર્થિક કલ્યાણ નેતા અને શ્રમજીવી બંનેનું પરિવર્તન જુલમગાર અને શરાબીમાં કરે તેવી શક્યતા છે અને એ, એને તથા સમાજને બંનેને માટે પ્રશ્નો ઊભા કરશે. ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ અહીં, ભારતના દૂરના ખૂણાના પ્રદેશોમાં સાચાં પગલાં ભરી રહી છે. આપણા રાષ્ટ્રીય જીવનને વિઘાતક અસર કરતા પછાત વર્ગોના શોષણને અટકાવવા નેતાઓ અને કલ્યાણના લાભાર્થીઓના વલણનું પરિર્વતન એ જ સાચો ઉત્તર છે. આ પરિવર્તનની સિદ્ધિને લઈને અનેક જગ્યાએ સુમેળ સ્થપાયો છે ત્યારે, આ વિચારણાને અભાવે બીજે ખૂબ નુકસાન પહોંચાડ્યું છે.

આ જ્ઞાનને રોજિંદા કાર્યરત જીવનમાં કેવી રીતે અમલમાં મૂકવું? સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, નીચલામાં નીચલા થરના લોકોની દેવ તરીકે પૂજા કે એમના પ્રત્યે ઉચ્ચ આદરભર્યું વર્તન એ ભારતમાં ઉપેક્ષિત લોકોને ઊંચે લાવવાનો માર્ગ છે. આપણને ઉત્તેજન આપતાં એમણે કહ્યું હતું: ‘આ માનવ-પૂજાનો ખ્યાલ બીજરૂપે ભારતમાં પ્રવર્તે છે. પણ એનો કદી વિસ્તાર કરાયો નથી. તમારે એને વિકસાવવો જ ઘટે. એની કવિતા લખો, એને કલામાં ઉતારો. મધ્યકાલીન યુરોપમાં હતું એમ ભીખારીની ચરણપૂજા સ્થાપિત કરો. માનવ-પૂજકો તૈયાર કરો.’ ‘આ મહત્તમ પ્રાર્થના છે. સેવા દ્વારા સમગ્ર જગતની પૂજા કરો.’

અને આ પૂજા પુષ્પધૂપથી નહીં થાય પણ, અન્નવસ્ત્રથી, જ્ઞાનથી,. આર્થિક સહાયથી અને, સૌથી વિશેષે તો, ‘કલ્યાણ લેતા લોકો’માં રહેલી અનંત શક્તિ પ્રત્યે ઊંડો આદર દાખવીને કરવાની છે.

પ્રાચીન પરંપરાઓ સાથે જ્ઞાનને અદ્યતન કરવાની આવશ્યકતા

આજે સ્વૈચ્છિક સંસ્થાઓ જ્ઞાન-મંડળીઓ બની રહી છે. સમાજકલ્યાણનું કાર્ય કરતી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ માટે જ્ઞાનમાં અદ્યતન હોવું આવશ્યક છે. આજની ઇન્ફો-ટૅક (માહિતી-ટૅકનૉલૉજીવાળા) સમાજ વ્યવસ્થામાં યંત્ર કે મૂડી પરથી સત્તા જ્ઞાનને પલ્લે ખસી છે, એમ પોતાના પુસ્તક ‘ધ પાવર શિફટ’માં ઍલ્વિન ટૉફલરે બતાવ્યું છે. દર ચારપાંચ વર્ષે નવા જ્ઞાનની જરૂર પડે છે નહીં તો, કર્મચારીઓ કાલગ્રસ્ત થઈ જશે. સુગ્રથિત ટીમવર્ક (જૂથકાર્ય) દ્વારા વિશિષ્ટ જ્ઞાનને જનકલ્યાણ માટેના સામાન્ય ધ્યેય સાથે સુગ્રથિત કરવું તે આજે સ્વૈચ્છિક સંસ્થાઓની મુખ્ય આવશ્યકતા છે. વૃદ્ધ કાર્યકરોવાળી જૂની સંસ્થાઓ, કેટલીકવાર, આવા જૂના વિચારમાં ઘડાયેલા જૂનવાણી કાર્યકરો અને, વિશિષ્ટ જ્ઞાનવાળા નિષ્ણાતો વચ્ચે ઘર્ષણ અનુભવે છે. નવું જ્ઞાન આવકારવું જ જોઈએ પણ, રાષ્ટ્રીય સંસ્કૃતિ અને મૂલ્યોની જીવનપદ્ધતિ સાથે તેનો મેળ બેસાડવો જોઈએ. વિજ્ઞાન અને ટૅકનોલૉજીનું જ્ઞાન ભલે બદલાતું રહે. પરંપરાઓ અને મૂલ્યો શાશ્વત છે. પોતાના (૨૩.૧૧. ૧૮૯૮ના) પત્રમાં જમશેદજી તાતાએ સ્વામી વિવેકાનંદને વિનંતી કરી કે, ‘આપણી પ્રાચીન પરંપરાઓ જીવનમાં ચેતનવંતી કરીને, પ્રાકૃતિક અને માનવીય વિજ્ઞાનના વિકાસ માટે, ભારતમાં પ્રથમ વિજ્ઞાન સંસ્થા શરૂ કરો.’

યોગ્ય આધ્યાત્મિક દર્શન સાથેનું નેતૃત્વ

વ્યાપક કાર્ય માટે, ઉચ્ચપ્રમાણના અકેન્દ્રીકરણની, ભાવિના સ્પષ્ટ દર્શનથી પ્રેરિત અને આ વૈશ્વિક યુગને અનુરૂપ વિચારસરણીવાળી સમર્થ નેતૃત્વશક્તિની સ્વૈચ્છિક સંસ્થાઓને આવશ્યકતા છે. આવા નેતૃત્વ વિના અને, યોગ્ય દર્શન વિના, નહીં-નફા (non-profit) સંસ્થાઓ બિન-પયગંબરી (non prophet) સંસ્થાઓ બની જવા સંભવ છે; એને સુકાન નહીં હોય, પ્રેરણાહીન હશે અને, ફલદાયી નહીં હોય. સદાચારી, નૈતિક અને આધ્યાત્મિક તાલીમ જ સમર્પણને અને નિ:સ્વાર્થીપણાને પ્રેરે છે. બિનસરકારી સંસ્થાઓના નેતાઓનાં સ્થાન અને સત્તાનું સંતુલન જવાબદારી સાથે નહીં કરવામાં આવે તો, સંસ્થા જુલમગારી અને ફાટફૂટનો ભોગ બને છે. જ્ઞાતિ, સંપ્રદાય, દેશ, ભાષા કે ધર્મના ભેદભાવ વિના સૌ પ્રત્યેના દેવસમા ઊંડા આદર વડે નેતાઓની જવાબદારી પુષ્ટ થવી જોઈએ. અનંત ઉત્કૃષ્ટતા, જ્ઞાન, શક્તિ, શુચિતા અને ઈસુ-બુદ્ધ જેવી દરેક માનવીમાં નિહિત દિવ્યતા દરેક વ્યક્તિમાં રહેલ છે એમ વેદાન્ત ભારપૂર્વક કહે છે. એટલે, જે લોકોનું કલ્યાણ કરવામાં આવે છે તેમનામાં ગોપિત રહેલ દિવ્યતાની ઉત્કૃષ્ટતાને જાગ્રત કરવા માટેની પ્રવૃત્તિએ શાશ્વત સેવા બનવું જોઈએ.

ભારતની સ્વૈચ્છિક સંસ્થાઓની આકર્ષણ શક્તિનો આધાર મુખ્યત્વે એના વૈશ્વિક, બિનસાંપ્રદાયિક અને માનવકેન્દ્રી અભિગમ પર છે. એના સહકારભાવનાના અભિગમ વિના સંસ્થા પોતાની વિશ્વસનીયતા ગુમાવી બેસે અને પરિણામે, દિલ દઈને કામ કરનારા લોકો પણ એ ગુમાવે. કેવળ પૈસાથી વફાદારી ખરીદી શકાતી નથી. જે લોકોની સેવા કરવી છે તેમની પ્રત્યેના અંતરના આદરથી એ સાંપડે છે. ‘જીવન પ્રત્યેના આદર’ (Reverence for life)થી પ્રેરાઈ, આફ્રિકાના લમ્બરન્સ ગામમાં આલ્બર્ટ સ્વાઈટ્ઝરે આશ્ચર્યો સર્જ્યાં હતાં.

નારીનું પુનરુત્થાન અને આધ્યાત્મિક આદર્શો

ભારતીય નારીને રક્ષીને એને ઉપર લઈ જવાનો માર્ગ શો છે? ઉત્તર છે શિક્ષણ. પરંતુ ક્યા પ્રકારનું શિક્ષણ? સ્ત્રીશિક્ષણ શું છે? નારીની કરેલી કોઈ પણ સેવા એ સ્ત્રીમાં મૂર્તિમંત જગદંબાની પૂજા છે એ ભારતીય પરંપરાગત વિચારણા છે. અને બધી કન્યાઓમાં રહેલી ઉમા કુમારીઓની આ કેળવણી, સમય જતાં, બધી નારીઓમાં રહેલ શુચિતમ અને બલિષ્ઠ તત્ત્વને બહાર આણશે. સ્વતંત્રતા, ગતિશીલતા, પ્રવીણતા અને, પાશ્ચાત્ય સ્ત્રીઓની પવિત્રતા પણ સીતા, સાવિત્રી, દમયંતી, અહલ્યાબાઈ અને પદ્મિનીની ઐતિહાસિક મૂર્તિઓમાં પ્રેરિત કરવી ઘટે. સ્વાતંત્ર્ય, મુક્તિ અને ગતિશીલતાની પાશ્ચાત્ય ભાવના સાથે ભારતીય સંયમ, પવિત્રતા અને શુચિતાનો સુમેળ શક્ય છે? આજનો ઈતિહાસ દર્શાવે છે કે એ શક્ય બનશે. ભારતીય મહિલાઓએ ખૂબ ઊંચે ઊઠી સામાજિક, આર્થિક કે આધ્યાત્મિક પ્રશ્નો હલ કરવા જોઈએ અને તે પુરુષોની દખલથી પૂરેપૂરાં દૂર રહીને.

ભારતીય સભ્યતા નારીનું મા તરીકે ગૌરવ કરે છે ત્યારે પશ્ચિમ પત્ની તરીકે. ભારતીય લોકો પોતાના દેશનો વિચાર પણ માતા તરીકે કરે છે. લાખ્ખો લોકોની ઐતિહાસિક અને આધ્યાત્મિક માતા બનવા આગળ આવવા ભારતીય મહિલાઓને સ્વામી વિવેકાનંદે પ્રેરણા આપી હતી. અને એમની શિષ્યા ભગિની નિવેદિતામાં રવીન્દ્રનાથ ટાગોરને ‘લોકમાતા’નાં દર્શન થયાં હતાં. એક જ કુટુંબની મર્યાદાની પારનો, અનેકાનેક લોકોની સેવાનો અજનિન માતૃત્વનો આ આદર્શ આજની ભારતની અનેક સ્ત્રીઓને પ્રેરણા આપે છે અને, આપણા વિકસિત રાષ્ટ્રમાં નારી સમસ્યાઓને ઓછી કરવામાં ફાળો આપી રહેલ છે.

આપણા રાષ્ટ્રજીવનનાં બધાં ક્ષેત્રોમાં સ્ત્રીઓની ઉન્નતિનું દર્શન સ્વામી વિવેકાનંદને થયું હતું અને તેમાં, લોકોના આધ્યાત્મિક ગુરુઓ તરીકે તેમજ ઉપનિષદ કાલીન સાધ્વીઓ તરીકેના દર્શનનો પણ સમાવેશ થાય છે. ‘આવતા યુગમાં આમપ્રજા વેદાન્તમય જીવન જીવતી થશે અને એ સ્ત્રીઓ દ્વારા જ આવવું જોઈએ,’ એમ ૧૮૦૫માં સ્વામી વિવંકાનંદે કહ્યું હતું. ૧૮૯૩માં શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ભારતીય નારીનું ગૌરવ કરતાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: ‘પૂર્ણ નારીત્વનો આદર્શ પૂર્ણ સ્વાતંત્ર્ય છે. અર્વાચીન હિંદુ નારીના જીવનનો કેન્દ્રવર્તી ભાવ એનું પાવિત્ર્ય છે.’ ભૂતકાળમાં મુત્સદૃીગીરીમાં ભારતીય નારી પુરુષ સમાન હતી અને યુદ્ધે પણ ચડતી. સ્વાતંત્ર્યોત્તર ભારતમાં આર્થિક અને સમાજિક સ્વાતંત્ર્ય તરફ દોડી જતી શિક્ષણક્ષેત્રમાં ઉચ્ચ પ્રવીણતા પ્રાપ્ત કરતી ભારતીય નારીનાં દર્શન થયાં, પરંતુ આજે જરૂર છે આધ્યાત્મિક સ્વાતંત્ર્યની સુગ્રથિત સંસ્કૃતિની; યુવાન સ્ત્રીઓને ‘જળી ગયેલી વ્યક્તિઓ’, નૈતિક ભૂલોને કારણે બહિષ્કૃત બનાવતી આજની ભોગપ્રધાન સંસ્કૃતિનાં પૂરને એ જ ખાળી શકશે. પશ્ચિમમાં પણ, પોતાના જીવનમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે, ધ્યાન જેવી આધ્યાત્મિક શક્તિ સ્ત્રીઓએ સિદ્ધ કરી છે. મહિલા મુક્તિનાં એક તંત્રી લખે છે:

‘શ્રદ્ધા શોધવા માટે અને અમારા ભીતરના જ્ઞાનને અભિવ્યક્ત કરવા માટે અમારે ધ્યાનની જરૂર છે. આ પિતૃપ્રધાન સમાજને અમે તોડી પાડીએ ત્યાં સુધી થોભવાને બદલે, જે વિશ્વનું અમે સર્જન કરવા માગીએ છીએ તેનું દર્શન ખડું કરવામાં વૈયક્તિક અને સામૂહિક ધ્યાન અમને સહાયરૂપ થાય છે. સાથોસાથ, જે પ્રકારનાં લોકો આ જગતમાં અમે જીવતાં જોવા ઇચ્છીએ છીએ તેવાં અમે બનીએ છીએ.’ (પૉલિટિક્સ ઑફ વિમેન્સ સ્પિરિચ્યુઆલિટી: સંપા. પ્રેજના સ્પ્રેટ્રેક,પૃ.૨૯૫-૯૬).

અમેરિકામાં આપેલા પોતાના ભારતીય નારીઓ વિશેના પ્રવચનમાં સ્વામી વિવેકાનંદે ભાખ્યું હતું કે,‘રોમનોની વ્યવસ્થા શક્તિ, સૌન્દર્ય માટેના ગ્રીકોના અદ્‌ભુત પ્રેમની શક્તિ અને ધર્મ અને પ્રભુપ્રેમની હિંદુની કરોડરજ્જુના સમન્વયવાળી અર્વાચીન નારી ભાવિની સભ્યતા સર્જશે.’ પુરુષપ્રધાન સમાજના શોષણમાંથી સ્ત્રીઓને મુક્ત કરવા માટે સક્રિય ભારતની સ્વૈચ્છિક સંસ્થાઓ સમક્ષ, એ આદર્શને પામવા માટે બાળપણથી જ બધી સ્ત્રીઓને વ્યવસ્થિત શાળેય, ટૅક્નૉલૉજિકલ, સામાજિક અને સૌથી વિશેષે તો આધ્યાત્મિક તાલીમ મળે તેનું સુરેખ દર્શન હોવું ઘટે.

આવતીકાલનું ભારત

‘એકવાર આ સભ્યતાને કેન્દ્રે ભારતવર્ષ હશે’- વીસમી સદીના પ્રારંભમાં સ્વામી વિવેકાનંદની આ આર્ષવાણી હતી. એ સમય આવી ગયો છે. વિકસિત રાષ્ટ્રોની અશ્રદ્ધા છતાં, ભારત અને સમસ્ત એશિયા અદ્‌ભુત પ્રગતિ કરી રહેલ છે. ૧૯૧૮માં આઁગલરે અને ૧૯૩૦માં ટૉય્ન્બીએ ઈતિહાસના પાશ્ચાત્ય અભિગમને નિંદ્યો હતો; એમને મતે એ અભિગમ સ્વાર્થકેન્દ્રી ભ્રમનો હતો. આખું જગત પશ્ચિમની પ્રદક્ષિણા કરતું હતું અને, પૂર્વ અપરિર્તનશીલ હતું. ૧૯૯૬માં, પોતાના મહાન ગ્રંથ ‘ધ ક્લશ ઑફ સિવિલાઈઝેશન અઁડ ધ રીમેકિંગ ઑફ ધ વર્લ્ડ ઓર્ડર’માં એસ.પી. હટિંગ્ટને લખ્યું છે કે, ‘એકવીસમી સદીના આરંભમાં ભારત મોટો વિકાસ સાધી શકે.’ ‘ખૂબ વેગથી આર્થિક વિકાસ સાધતા પૂર્વ એશિયાનું સ્થાન ભારત લે તો, બ્રિટિશ શાહીવાદના મરણતોલ વારસાને છોડી દઈ, ભારત સભ્યતાની ટોચે આવે. ભૌતિક સંપ્રાપ્તિને સંસ્કૃતિ અનુસરે છે અને, જડ શક્તિ સૂક્ષ્મ શક્તિ પેદા કરે છે.’ ‘નવી વિશ્વવ્યવસ્થાના ઘડતરમાં એશિયાઈ રાષ્ટ્રો નિર્ણાયક ભાગ ભજવે,’ એવી આશા પણ એ રાખે છે કારણ, ‘એશિયાઈ મૂલ્યો જાગતિક મૂલ્યો છે.’ ભારતના માનસમાં વૈશ્વિકતા વિધાતાએ જ લખેલી છે. લગભગ ચાર હજાર વર્ષ પૂર્વે વેદોએ ધર્મની એકતા ઘોષિત કરી હતી. એકં સત્ વિપ્રા: બહુધા વદન્તિ (સત્ય એક જ છે, સંતો એને જુદાં જુદાં નામ આપે છે), એ જાણીતું વેદવાક્ય છે. ભારતની વિખ્યાત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા, રાષ્ટ્રોના ઊર્ધ્વીકરણ માટે, ૧૯મી સદીને અંતે, આ બે ઔપનિષદિક મંત્રો-બધા આત્માઓની તાત્ત્વિક એકતા અને મનુષ્યરૂપમાં રહેલા ઈશ્વરની સેવાની તાત્ત્વિક આધ્યાત્મિક પવિત્રતા-ભારતે અમલમાં મૂક્યાં છે.

સ્વામી વિવેકાનંદે ઘોષણા કરી હતી કે, ‘ભારતના રાષ્ટ્રીય આદર્શો ત્યાગ અને સેવા છે. આ બે પ્રવાહોમાં એને સુદૃઢ કરો અને બીજું બધું આવી રહેશે.’ ૧૯૪૫ની ૧૬મી ઑગસ્ટે, આઝાદ હિંદ ફોજના પરાજય પછી, પોતાના આખરી સંબોધનમાં નેતાજી સુભાષચન્દ્ર બોઝે ભારતને ઉત્તેજન આપતાં કહ્યું હતું :

‘ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં માણસો, પૈસો અને સાધનો રેડી તમે સ્વદેશભક્તિનું અને આત્મબલિદાનનું જ્વલંત દૃષ્ટાંત પૂરું પાડો… તમને છે એના કરતાં મને ઊંડેરો ખેદ છે કે, તમે સહન કરેલી યાતનાઓનું અને તમારાં આત્મબલિદાનનું તત્કાલ કશું પરિણામ આવ્યું નથી. પરંતુ એ નિષ્ફળ પણ નથી ગયાં કારણ, આપણી માતૃભૂમિની મુક્તિની એણે ખાતરી આપી છે અને, વિશ્વભરના ભારતીયોને એ જીવંત પ્રેરણા આપશે… સૌથી વિશેષે તો, ભારતના ભાવિ વિશેની શ્રદ્ધામાં જરાય ડગશો નહીં. ભારતને ગુલામ રાખી શકે એવી એક પણ સત્તા જગતમાં નથી. (સુભાષચંદ્ર બોઝ, અ બાયોગ્રાફી; જી. ચટ્ટોપાધ્યાય, એનસીઈઆરટી, ૧૯૯૭, સૂચિ-૬).

નેતાજીના શબ્દો સાચા પડ્યા છે. હજારો ઉચ્ચતમ ભારતીયોના બલિદાનને પરિણામે ભારતે સ્વાતંત્ર્ય મેળવ્યું. સ્વાતંત્ર્યોત્તર ભારતની સ્વૈચ્છિક સંસ્થાઓએ સમર્પણની એવી જ ભાવનાથી સ્વાર્થના લાભ ખાટવાની વૃત્તિના ત્યાગ દ્વારા, દરિદ્રોમાં, અને, સૌથી પછાત જાતિઓના સંપ્રદાયોના અને ધર્મોના પછાત અને ઉપેક્ષિતોમાં ઈશ્વરની સેવા દ્વારા રાષ્ટ્રમાં નવચેતના આણી છે. આ આદર્શ સામે રાખી સ્વૈચ્છિક સંસ્થાઓ એક સદીથી કાર્ય કરી રહી છે અને, આપણે આશા રાખીએ કે આવતી સદીમાં પણ કરતી રહેશે અને, આ સભ્યતાના અગ્રણી તરીકે પ્રગટ થવામાં ભારતને સહાય કરશે.

ભાષાંતર : દુષ્યંત પંડ્યા

Total Views: 179

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.