આપણો વિકાસ આપણા સ્વભાવને અનુરૂપ જ થવો જોઈએ. વિદેશી સમાજે, અખત્યાર કરેલી કાર્યનીતિનું અનુકરણ કરવાનો મિથ્યા પ્રયત્ન સાવ એળે જ જવાનો છે. ઈશ્વરનો પાડ માનો કે બીજાં રાષ્ટ્રોનાં બીબામાં આપણને બળજબરીથી ઢાળવાનું હંમેશાં અશક્ય જ રહ્યું છે. હું બીજી જાતિઓની સંસ્થાઓને તિરસ્કારતો નથી; એ સંસ્થાઓ તેમને માટે હિતકર છે, આપણે માટે નથી. આજની પાશ્ચાત્ય જીવનપ્રણાલી પાછળ ભિન્ન પ્રકારનાં વિજ્ઞાનો, સંસ્થાઓ, અને રૂઢિઓ રહેલાં છે. આપણી પાછળ પણ આપણી રૂઢિઓ અને હજારો વર્ષોનાં કર્મો છે. એટલે આપણું પણ એક આગવું લક્ષણ છે, અનોખો ચીલો છે. આપણે તો તેને જ અનુસરવાનું છે અને એ આપણે કરવું જ પડશે.

આપણે યુરોપવાસીઓ બની શકવાના નથી ને તેથી પશ્ચિમનું અનુકરણ કરવું નકામું છે. યુરોપવાસીઓનું અનુકરણ કરવું શક્ય હોય એમ માનો તો પણ એ અનુકરણથી તમારામાં રહેલું જીવંત તત્ત્વ તો ચાલ્યું જ જશે, તમે જડવત્‌ જ બની રહેશો. સમયના પ્રારંભમાં દૂરસુદૂર જેનું મૂળ છે એવું નિર્ઝર માનવ ઇતિહાસના લાખો યુગોને આપ્લાવિત કરતું વહેતું આવે છે, તમે તેના પર કાબૂ મેળવી તેને પાછું તેના મૂળ તરફ – હિમાલયની ખીણમાં વહાવી દેવા ધારો છો? એ શક્ય હોય તો પણ આચારવિચારમાં સંપૂર્ણ તથા યુરોપીય થઈ જવાનું તમારાથી બની શકવાનું નથી. થોડીક જ સદીઓથી પ્રાપ્ત થયેલી જે કાંઈ સંસ્કૃતિ પશ્ચિમમાં છે તેને ફગાવી દેવાનું જો યુરોપવાસીઓ માટે અશક્ય છે એમ તમને લાગતું હોય તો કેટલીય ઉજ્જ્વલ શતાબ્દીઓથી પ્રાપ્ત થયેલી સંસ્કારિતાને ફગાવી દેવાનું શું તમારાથી બની શકશે? તેમ થઈ શકે એમ નથી. તેથી ભારતવર્ષને યુરોપીય બનાવવાનો પ્રયત્ન અશક્ય અને મૂર્ખાઈભર્યો છે.

ભારતમાં આપણા માર્ગ આડે બે મોટામાં મોટા અંતરાયો છે – પુરાણમતવાદનો ભસ્માસુર અને આધુનિક યુરોપીય સંસ્કૃતિનો નરકાસુર. આ બેમાંથી જો કોઈને પસંદ કરવાનો હોય તો હું પુરાણમતવાદને પસંદ કરું, આધુનિક યુરોપીય સભ્યતા નહિ. કારણ કે, પુરાણમતવાદી રૂઢિચુસ્ત માણસ કદાચ અજ્ઞ હશે, રીતભાતમાં બહુ સભ્ય કદાચ ન પણ હોય, પરંતુ એ મનુષ્ય તો હશે જ. એનામાં શ્રદ્ધા હશે, શક્તિ હશે, એ પોતે પગભર રહી શકતો હશે; જ્યારે યુરોપીય સભ્યતાનું અનુકરણ કરનારને તો મેરુદંડ જેવું કશું જ નહિ હોય. ફાવે ત્યાંથી ગમે તેમ ભેગા કરેલા વિસંવાદી વિચારોના શંભુમેળા જેવો જ એ હશે – અને એ વિચારો પણ આત્મસાત્‌ કરેલા, પચાવેલા નહિ હોય. તે પોતે પગભર થઈ શકતો નથી; એનું મન પણ અસ્થિર સ્થિતિમાં જ હોય છે. એનાં કાર્યની પ્રેરકશક્તિ-ધ્યેય ક્યાં છે? પાશ્ચાત્ય લોકો વડીલની અદાથી ‘વાહવાહ’ કહીને પીઠ થાબડે એટલે થયું. એ જ એમનાં કાર્યોનું પ્રોત્સાહક ને પ્રેરક બળ. આપણી કેટલીક રૂઢિઓને અનિષ્ટ શા માટે ગણવામાં આવે છે? કારણ એટલું જ કે, યુરોપવાસીને મન એ ખરાબ છે. હું એ સ્વીકારી લેવા તૈયાર નથી. તમે આપકર્મી બની જીવતાં અને મરતાં શીખો. જગતમાં જો કોઈ પાપ હોય તો તે નિર્બળતા જ છે. સર્વ પ્રકારની નિર્બળતા દૂર કરો, કારણ કે એ જ પાપ છે. એમાં જ આપણું મૃત્યુ છે. આ અર્ધદગ્ધ લોકોનું વ્યક્તિત્વ હજુ ચોક્કસ સ્વરૂપ ધારણ કરી શક્યું નથી. આપણે એને કયે નામે ઓળખીશું? પુરુષ, સ્ત્રી કે જાનવર? આપણા પુરાણમતવાદી ઘરડેરાઓ પોતે જે માનતા તેમાં અડગ હતા ને માણસ તો હતા જ… 

(‘આપણા હાથમાં ભારતનું ભાવિ’ પૃ.૮૩-૮૫)

Total Views: 43

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.