એક ભક્ત દેવનાંદર્શન કરીને કૃતાર્થ થવા માટે મંદિરમાં આવ્યો. દર્શનથી તેનામાં આનંદ અને ભક્તિનો ઊભરો આવ્યો. એ ઊભરાનો જાણે બદલો વાળવો હોય તેમ તેણે ફૂટેલાં ડબલાં જેવો તંબૂરો તથા ખોખરા મંજીરા સાથે ભજન લલકાર્યું. મંદિરના એક ખૂણામાં એક થાંભલાનો ટેકો લઈને એક ચૌબેજી બેઠા બેઠા ઝોલાં ખાતા હતા. એ ચૌબેજી હતા મંદિરના પૂજારી; પોતે કુસ્તીબાજ હતા, સિતારનું સારું એવું જ્ઞાન હતું અને ખાસ તો બે મોટા લોટા ભરીને ભાંગ પીવામાં એક નંબરના ઉસ્તાદ હતા! એ ઉપરાંત બીજી ઘણીયે લાયકાતો તેમનામાં હતી.

અચાનક એક કર્ણકટુ કર્કશ અવાજે તેમના કાનમાં પ્રવેશ કરીને અંદર પડદા પર હલ્લો કર્યો. પરિણામે ચૌબેજીની બેતાલીસ ઇંચની વિશાળ છાતીની નીચે રહેલા નાનકડા હૈયામાં ભાંગના પ્રભાવે ખડું થયેલું સ્વપ્નની માયાનું અદ્ભુત જગત ઊડી ગયું. સુખનો આ સંસાર ઉડાડી મૂકનાર પ્રાણી કોણ છે એ જોવા સારું ચૌબેજીએ ધગેલ તાંબા જેવી લાલઘૂમ સુસ્ત આંખો ઉઘાડીને નજર કરી, તો કડાયાં જેવા કર્ણકર્કશ અવાજે ભક્તિગીત ગાઈ રહ્યો હતો અને નારદ, ભરતમુનિ, હનુમાન વગેરેથી માંડીને તાનસેન સુધીના તમામ સંગીતાચાર્યોનું શ્રાદ્ધ કરી રહ્યો હતો! એ જોતાં જ ચૌબેજીનો પિત્તો ગયો. ભાંગના ઘેનમાં મળેલી દુનિયા આખીની બાદશાહીનું સોનેરી સમણું ઉડાડી મૂકનાર એ આદમીને ઘાંટો પાડીને ચૌબેજી બરાડી ઊઠ્યા : ‘અરે એય! કહું છું કે તું છો કોણ? અને અત્યારે ખરા બપોરે તાલસૂર વગરનો આ દેકારો શું કામ માંડ્યો છે?’ પેલાએ જવાબમાં કહ્યું: ‘ભગવાનનું મન પલાળું છું, મારા વા’લાને રાજી કરું છું.’ ચિડાઈને ચૌબેજીએ ત્રાડ પાડી : ‘એલા પણ તું મારા જેવાનેય રાજી નથી કરી શકતો, તે શું ભગવાન મારાથીયે વધુ મૂરખ છે? શું મારા કરતાંય ઈશ્વરમાં અક્કલ ઓછી છે?’

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.