શ્રીરામકૃષ્ણનું જીવન તો એક અસાધારણ પ્રકાશ સમાન હતું. એના તેજ દ્વારા હિન્દુ ધર્મના સમસ્ત ક્ષેત્રને સાચી રીતે સમજવા મનુષ્ય સમર્થ બને છે. એ તો શાસ્ત્રોમાં બોધેલા તમામ સૈદ્ધાંતિક જ્ઞાનના દૃષ્ટાંતરૂપ હતા. ઋષિઓ અને અવતારી પુરુષો જે ખરેખર શીખવવા ઇચ્છતા હતા તે શ્રીરામકૃષ્ણે પોતાના જીવનમાં પ્રત્યક્ષ કરી બતાવ્યું. ગ્રંથો માત્ર સિદ્ધાંતો હતા, શ્રીરામકૃષ્ણ તેમનો સાક્ષાત્કાર હતા. એ પુરુષે પોતાની એકાવન વર્ષની જિંદગીમાં રાષ્ટ્રના આધ્યાત્મિક જીવનનાં પાંચ હજાર વર્ષ જીવી બતાવ્યા, અને એ રીતે ભાવિ પ્રજા માટે એક મૂર્ત આદર્શની કોટિએ પહોંચી ગયા. ‘અવસ્થા’ એટલે કે ભૂમિકાના એમના સિદ્ધાંત દ્વારા જ વેદોની વ્યાખ્યા થઈ શકે અને શાસ્ત્રોનો સમન્વય સાધી શકાય. એ ‘અવસ્થા’નો સિદ્ધાંત એ છે કે આપણે અન્ય સિદ્ધાંતો પ્રત્યે સહિષ્ણુતા રાખવી એટલું જ નહિ, પણ એમનો સ્પષ્ટ સ્વીકાર કરવો જોઈએ. અને સત્ય એ જ સર્વ ધર્મોનો પાયો છે…
…હું આ પહેલાં પણ, ભારત પાછો ફર્યો હોત, પણ ભારત પાસે પૈસા નથી. હજારો લોકો શ્રીરામકૃષ્ણ પરમહંસને માન આપશે પણ દોકડો કોઈ નહીં આપે; આ છે ભારત . . . . દરમિયાનમાં ગમે તે ભોગે સંપથી રહેજો. દુનિયા સિદ્ધાંતની પરવા બહુ નથી કરતી; તે વ્યક્તિઓ પ્રત્યે વધારે જુએ છે. લોકો પોતાને ગમતી વ્યક્તિનાં વચનો, પછી તે ગમે તેવાં નકામાં હોય, પણ ધીરજથી સાંભળશે; તેમને ન ગમતી વ્યક્તિને તેઓ સાંભળશે નહીં. આનો વિચાર કરજો અને તમારો વ્યવહાર તે પ્રમાણે સુધારજો. બધું સારું થઈ જશે. જો તમારે સત્તા જોઈતી હોય તો પહેલાં સેવક બનો. ખરું રહસ્ય આ છે. તમારા શબ્દો કડવા હશે તો પણ તમારો પ્રેમ અસર કરશે. ગમે તેવી ભાષામાં હશે છતાં પ્રેમને માણસ સ્વાભાવિક રીતે જ અનુભવશે.
મારા વહાલા ભાઈઓ, શ્રીરામકૃષ્ણ પરમહંસ ઈશ્વરના અવતાર હતા તે વિશે મને લેશમાત્ર શંકા નથી; પણ તે જેનો ઉપદેશ આપતા તે લોકો પોતે જ શોધી કાઢે તેમ થવું જોઈએ, આ વસ્તુઓ તેમના ઉપર ઠોકી બેસાડાય નહીં; મારો વિરોધ માત્ર એટલો જ છે.
…શ્રીરામકૃષ્ણના જીવનનો પ્રથમ અભ્યાસ કર્યા સિવાય વેદ, વેદાન્ત, ભગવદ્ગીતા અને બીજાં પુરાણોનું રહસ્ય કદી સમજાશે નહી. તેમનું જીવન ભારતીય ધર્મવિચારના સમગ્રસમૂહ ઉપર ફેંકેલા અનંત શક્તિવાળા પ્રચંડ પ્રકાશ જેવું છે. તેમનું જીવન વેદો અને તેમના લક્ષ્ય ઉપર એક ભાષ્યરૂપ હતું. તેઓ એક જ જિંદગીમાં ભારતના રાષ્ટ્રીય ધાર્મિક જીવનનો સમયુગ જીવી ગયા.
(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા સંચયન’, પૃ.૪૨૦-૪૨૩)
Your Content Goes Here