મદ્રાસના લાંબાકાળના પ્રવાસનું કારણ

૧૮૯૨ના ડિસેમ્બરમાં જ રામનદના રાજા ભાસ્કર સેતુપતિએ સ્વામીજીને યુરોપ અને અમેરિકાની યાત્રા માટે રૂપિયા દસ હજાર આપવાનો પ્રસ્તાવ કર્યો હતો, તેમ છતાં પણ સ્વામીજીએ માર્ચ (૧૮૯૩)માં પોતાની પ્રસ્થાન યાત્રા બનાવી હતી. આ રીતે મદ્રાસમાં ત્રણ મહિના રહેવાનું શું કારણ હોઈ શકે? ભિન્ન ભિન્ન તથ્યોનું વિશ્લેષણ કર્યા પછી એવું લાગે છે કે એમના આ લાંબા કાળના પ્રવાસનું મુખ્ય કારણ આ હતું – થિયોસોફિકલ સોસાયટીના અધ્યક્ષ કર્નલ આલ્કટ સાથે મળવું અને એક પરિચયપત્ર મેળવવો. કર્નલ આલ્કટ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના મધ્ય સુધી પ્રવાસે ગયા હતા. આજ કારણે સ્વામીજીએ ખેતડીના રાજાને પોતાના ૧૫ ફેબ્રુઆરીના આ પેલા ઉલ્લેખ કરેલા પત્રમાં આમ લખ્યું હતું: ‘એટલે બે કે ત્રણ સપ્તાહમાં હું યુરોપ જાઉં છું… મારા ઈંગ્લેન્ડ વગેરે સ્થળે જવાની વાતને ગુપ્ત રાખજો.’

હવે અહીં થિયોસોફિકલ સોસાયટી તેમજ એના અધ્યક્ષ કર્નલ આલ્કટનો પણ થોડો પરિચય દેવો યોગ્ય ગણાશે.

થિયોસોફિકલ સોસાયટી

મેડેમ હેલેના બ્લેવેટ્‌સ્કી આ સંસ્થાનાં જન્મદાત્રી હતાં. એ રશિયન નારીનો એવો દાવો હતો કે તિબેટના ગુપ્ત પ્રદેશોના નિવાસી કેટલાક મહાત્માઓએ એમને જ્ઞાન દીધું છે અને એમના નિર્દેશ પ્રમાણે તેનો પ્રચાર કરવા વિશ્વનું પરિભ્રમણ કરતાં કરતાં કેરો, પેરિસ થઈને ૧૮૭૪માં તેઓ અમેરિકા પહોંચ્યાં.

એ દિવસોમાં અમેરિકામાં ગૂઢ અધ્યાત્મ વિદ્યા પર ઠીક ઠીક પ્રમાણમાં ચર્ચા અને સંશોધન ચાલુ હતાં. કર્નલ હેનરી આલ્કાટે પણ પરલોકના જીવો વિશે એક પુસ્તક લખ્યું છે. તેઓ મેડેમ હેલેના બ્લેવેટ્‌સ્કીના પ્રભાવમાં આવ્યા અને બંનેએ મળીને ૭ સપ્ટેમ્બર, ૧૮૭૫ના રોજ ન્યૂયોર્કમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી. કર્નલ આ સંસ્થાના અધ્યક્ષ હતા અને મેડેમ હેલેના બ્લેવેટ્‌સ્કી એના સચિવ બન્યાં. કેટલાંક વર્ષો સુધી આ કાર્યમાં કોઈ પ્રગતિ ન થઈ. વળી પાછો મેડેમ હેલેના બ્લેવેટ્‌સ્કીને પેલા મહાત્માઓનો ગુપ્ત આદેશ મળ્યો કે તેઓ ભારતવર્ષને પોતાનું કાર્યક્ષેત્ર બનાવે. ૧૮૭૯માં બંને ભારતમાં આવીને મુંબઈમાં રોકાયાં. વળી પાછા શ્રીલંકા જઈને બૌદ્ધધર્મ અંગીકાર કર્યો. ૧૮૮૨માં તેઓ મદ્રાસના ઉપનગરના વિસ્તારમાં આવેલ અડિયારમાં ચાલ્યાં ગયાં. ત્યાં ૧૮૯૦માં આ સંસ્થાની રાષ્ટ્રિય શાખાની સ્થાપના થઈ.

મેડેમ હેલેના બ્લેવેટ્‌સ્કીએ પોતાના ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ‘સિક્રેટ ડોક્ટ્રીન – ગુપ્તસિદ્ધાંત’ નામનો એક ગ્રંથ લખ્યો. આનાથી પ્રભાવિત થઈને એક વિદૂષી મહિલા શ્રીમતી એનીબેસન્ટ એમનાં શિષ્યા બન્યાં. મેડમ લોકોને ગુપ્તસિદ્ધાંતની દીક્ષા આપવા લાગ્યાં. એમાં દીક્ષિત થનારે બે વ્રતોનું પાલન કરવું પડતું. (૧) થિયોસોફિના સિદ્ધાંતો પર ચાલવું અને એનો પ્રચાર-પ્રસાર કરવો. (૨) કક્ષાઓમાં પ્રાપ્ત કરેલ જ્ઞાનને ગુપ્ત રાખવું. ઈંગ્લેન્ડમાં મેડમ દ્વારા શિષ્ય બનાવવાનું કાર્ય શરૂ થતાં કર્નલ આલ્કટે એ વિશે પોતાની અસંમતિ બતાવી. ત્યારે એમને ગુપ્ત રીતે હિમાલયથી મહાત્માનો એક પત્ર મળ્યો. એમાં લખ્યું હતું : ‘કર્નલનું કાર્યક્ષેત્ર કેવળ સંગઠન સુધી જ સીમિત રહેશે અને કેવળ મેડેમ હેલેના બ્લેવેટ્‌સ્કીને જ ગુપ્ત વિદ્યાનો પ્રચાર કરવાનો અધિકાર રહેશે.’ મેડમના દેહાંત પછી આ અધિકાર એનીબેસન્ટને મળ્યો. તેઓ ૧૮૯૩માં ભારત આવ્યાં અને ૧૮૯૮માં કર્નલ આલ્કટના મૃત્યુ પછી સોસાયટીના અધ્યક્ષ બન્યાં. આ સંસ્થાની લગભગ ૧૪૦૦ શાખાઓ છે અને તેના પાંત્રીસ હજાર સભ્યો છે. અડિયારનું મુખ્ય કાર્યાલય ૨૬૬ એકર જમીનમાં ફેલાયેલું છે. અહીંનું ગ્રંથાલય ભારતના સર્વશ્રેષ્ઠ ગ્રંથાલયોમાંનું એક છે. આ ગ્રંથાલયમાં તાલપત્ર પર લખેલ ગ્રંથોની સંખ્યા જ લગભગ ૧૨૦૦૦ છે. (ભારતીય સંસ્કૃતિ કોર્ષ – મરાઠી, પૂણે, ખંડ-૪, પૃ.૨૪૯-૫૩)

કર્નલ આલ્કાટ પાસેથી પરિચયપત્ર

સ્વામીજી જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે એ દિવસોમાં ભારત તથા વિશ્વના બુદ્ધિજીવીઓમાં આ એક મુખ્ય લોકપ્રિય સંસ્થા ગણાતી. ઉપર્યુક્ત સોસાયટીની શાખાઓ તથા સભ્યો સમગ્ર વિશ્વમાં ફેલાયેલા હતા. સાથે ને સાથે સ્વામીજીના મોટા ભાગના મદ્રાસી મિત્રો તથા અનુરાગીઓ પણ આ સંસ્થા અને એના અધ્યક્ષ કર્નલ આલ્કટ સાથે ઘનિષ્ઠ રૂપે જોડાયેલા હતા. સ્વામીજીના ભક્તોએ વિચાર્યું કે તેઓ દૂરસુદૂર અજાણ્યા દેશો – યુરોપ, અમેરિકાની યાત્રાએ જઈ રહ્યા છે, એટલે એમને માટે કર્નલ આલ્કટ પાસેથી જો એક પરિચયપત્ર લખાવી લેવાય તો એ પત્ર એ દેશોમાં એમના કાર્યમાં સારો એવો ઉપયોગી સાબિત થશે. સાથે ને સાથે કોઈ સમસ્યા કે આપત્તિ આવે તો ઉપર્યુક્ત સંસ્થાના લોકો એમને મદદ કરી શકશે.

ઉપર્યુક્ત કાર્ય માટે સ્વામીજી તથા એમના અનુરાગીઓ કેટલીયેવાર અડિયારમાં આવેલ ‘સોસાયટી’ના મુખ્ય કાર્યાલયમાં ગયા. ત્યાં જતાં એમને જાણવા મળ્યું કે કર્નલ આલ્કટ માર્ચના મધ્યમાં જ પાછા ફરશે. એટલે બધાએ વિચાર્યું કે ત્યાં સુધી રાહ જોવી યોગ્ય રહેશે. આ સમય દરમિયાન બીજી એક મહત્ત્વની ઘટના ઘટી – રામનદના રાજા ભાસ્કર સેતુપતિ આ યાત્રાનો ખર્ચ દેવા માટે પોતે આપેલા વચનમાંથી ફરી ગયા. અને ફેબ્રુઆરીના અંતમાં ખેતડીથી મુનશી જગમોહનલાલ પણ આવી પહોંચ્યા. ખેતડીના રાજાનું નિમંત્રણ મેળવ્યા છતાં સ્વામીજી તત્કાળ ત્યાં જવા માટે નીકળી ન શક્યા. એનું કારણ એ જ હતું કે સ્વામીજી માટે થિયોસોફિકલ સોસાયટીના અધ્યક્ષ કર્નલ આલ્કટ પાસેથી એક પરિચયપત્ર મેળવવો. એક બીજું નવું કારણ એ હતું કે એમના અનુરાગીઓ તથા ભક્તવૃંદ એમના યાત્રા પ્રવાસના ખર્ચ માટે ભંડોળ એકઠું કરી રહ્યા હતા.

અડિયારમાં આવેલ થિયોસોફિકલ સોસાયટીની ‘થિયોસોફિસ્ટ’ પત્રિકાના માર્ચ, ૧૮૯૩ના અંકમાં શ્રીમાન્‌ ડબલ્યુ આર. ઓલ્ડ દ્વારા અંગ્રેજીમાં લખેલા એક સંક્ષિપ્ત પરંતુ રોચક સમાચાર પ્રકાશિત થયા. (સ્વામી વિવેકાનંદ ઓ સમકાલીન ભારતવર્ષ, બંગાળી, શંકરીપ્રસાદ બસુ, ખંડ-૧, પૃ.૧૦૦-૦૧) એ સમાચારનો અનુવાદ આ છે :

‘સંસ્થાપક અધ્યક્ષ (કર્નલ આલ્કાટ) તથા શ્રીમત્‌ એઝની અનુપસ્થિતિમાં જે દૈનંદિન નિરસ દિનચર્યા ચાલતી હતી તે ઘણી સુખદ રીતે થિયોસોફિસ્ટો તથા મિત્રોનાં વિવિધ સંમેલનો દ્વારા તેનો અંત આવ્યો. સંન્યાસી સચ્ચિદાનંદની મદ્રાસમાં ઉપસ્થિતિ તથા કેટલીયેવાર થિયોસોફિકલ સોસાયટીના મુખ્ય કાર્યાલયમાં થયેલા આગમને ત્યાં એક સારી એવી આકર્ષણની સૃષ્ટિ રચી દીધી. આ સંન્યાસીમાં મહાન બહુમુખી પ્રતિભા છે. પાલી, સંસ્કૃત, અંગ્રેજી, ફ્રેંચ, હિબ્રુ ભાષાઓનું પૂર્ણ જ્ઞાન પણ એમની અનેક ઉપલબ્ધિઓમાં જોવા મળે છે. તેઓ કોલકાતા વિશ્વ વિદ્યાલયના એમ.એ. છે. એની સાથે જ પ્રકૃતિએ એમને સુદૃઢ શરીર તથા અદ્‌ભુત સંયમી વ્યક્તિત્વ અર્પ્યું છે. એમણે ઠીક ઠીક પ્રમાણમાં પરિભ્રમણ કર્યું છે. બીજાં ઘણાં સ્થળો ઉપરાંત તિબેટના લ્હાસા તથા બીજાં નગરોની યાત્રા પણ કરી છે. વિચારોની દૃષ્ટિએ તેઓ શંકરાચાર્યના અનુયાયી છે, પરંતુ પોતાના પવિત્ર સંપ્રદાયથી તેઓ આટલી બાબતમાં જુદા તરી આવે છે કે – તેઓ દૂર દૂરની યાત્રા કરે છે, લોકોની સાથે મુક્તભાવે મળે છે અને ધર્મ તથા દર્શન પર વ્યાખ્યાન અને ચર્ચા કરતા રહે છે. આ સંન્યાસીના શ્રોતાઓમાં મદ્રાસના સર્વશ્રેષ્ઠ બુદ્ધિજીવીઓ પણ છે. સાથે ને સાથે એમણે બતાવી દીધું છે કે તેઓ પાશ્ચાત્ય દર્શન શાસ્ત્રના તર્કમાં પણ પૂર્વના દર્શન શાસ્ત્રની સમકક્ષ ઊભા રહેવા સક્ષમ છે. તેઓ આધુનિક વિજ્ઞાનમાં પણ વિશેષ રસરુચિ રાખે છે. સચ્ચિદાનંદે અમારા મુખ્ય કાર્યાલયમાં ‘લોકલાઈઝેશન’ તથા ‘ઈંપ્રેશન રિડિંગ’ના કેટલાક પ્રયોગો પર આનંદ પણ વ્યક્ત કર્યો હતો.’

ઉપર્યુક્ત સમાચારમાં કેટલીક તથ્યમૂલક ભૂલો છે. જ્યાં સુધી અમને જાણ છે ત્યાં સુધી સ્વામીજી પાલી તથા હિબ્રુ ભાષાઓ જાણતા ન હતા. એમણે કેવળ બી.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો અને તેઓ પોતે ક્યારેય તિબેટ ગયા ન હતા. પરંતુ આ સમાચારમાંથી મહત્ત્વપૂર્ણ સૂચના એ મળે છે કે માર્ચ પહેલાં જ સ્વામીજી કેટલીયેવાર થિયોસોફિકલ સોસાયટીના મુખ્ય કાર્યાલયમાં આવી ચૂક્યા હતા.

કર્નલ સાથે મુલાકાત

હવે સર્વપ્રથમ તો પ્રશ્ન એ ઊભો થાય છે કે સ્વામીજી કર્નલ આલ્કાટને ક્યારે મળ્યા? કર્નલ આલ્કાટની પ્રકાશિત ડાયરીના પાનાં ઉથલાવવાથી આપણને જાણવા મળે છે કે તેઓ લાંબા સમયના યાત્રાપ્રવાસ પછી ૧૬ માર્ચના રોજ કોલકાતા પાછા ફર્યા હતા અને ૯ એપ્રિલના રોજ તેઓ વળી પાછા રંગૂન જવા નીકળી ગયા હતા. (ઓલ્ડ ડાયરી લિવ્ઝ, એચ.એસ. આલ્કટ, પાંચમી સીરીઝ, જાન્યુઆરી ૯૩ થી એપ્રિલ ૯૬, અડિયાર-મદ્રાસ, ૧૯૩૨, પૃ.૨૯ અને ૩૩) જો કે સ્વામીજી મદ્રાસમાં એમને માટે જ રાહ જોઈ રહ્યા હતા અને રોકાયા હતા એટલે સહજ રીતે આટલું અનુમાન કરી શકાય કે કર્નલ સાથેની એમની મુલાકાત ૧૭-૧૮ માર્ચ (૧૮૯૩)ના રોજ કે મહદંશે કહીએ તો માર્ચના ત્રીજા સપ્તાહમાં થઈ. મેં (લેખકે) મદુરાઈના રામકૃષ્ણ મિશનના સ્વામી યતાત્માનંદની મદદથી અડિયારની ઉપર્યુક્ત સંસ્થાના મુખ્ય કાર્યાલયમાં સંરક્ષિત કર્નલ આલ્કાટની ડાયરીઓમાંથી કેટલીક જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સોસાયટીના પુરાભિલેખાગાર સાથે પત્ર વ્યવહાર કરવાથી જાણવા મળ્યું કે એ ડાયરીઓમાં એ મુલાકાતનો ઉલ્લેખ સુધ્ધા નથી. એનું કારણ સ્પષ્ટ છે – આ મુલાકાત થોડી અપ્રિય જેવી બની ગઈ હતી. શ્રી પી. વેંકટરામ અય્યરે ૨૭ જુલાઈ, ૧૯૦૨ના રોજ બેંગલોરમાં સ્વામીજીની સ્મૃતિમાં બોલાવેલ એક સભાની અધ્યક્ષતા કરતા આ ઘટના વિશે કહ્યું હતું: ‘જ્યારે સ્વામીજી તથા એક અન્ય વ્યક્તિ સાથે મુલાકાત થઈ એ સમયે હું હાજર હતો. એ બીજી વ્યક્તિ પણ નિષ્કામ ભાવે જનહિતનાં કાર્યોમાં રત હતી. વાતચીત એક ગરમ વાદવિવાદમાં પલટાઈ ગઈ. એ બીજી વ્યક્તિએ જ્યારે સ્વામીજી પર કેટલીક વ્યક્તિગત ટિપ્પણીઓ કરી ત્યારે સ્વામીજીએ અભિવ્યક્તિપૂર્ણ થોડાક જ શબ્દોમાં તેમના નિંદાવાદને શાંત કરી દીધો. આ ઘટનાએ મને ઘણો આશ્ચર્યમાં મૂકી દીધો અને મેં જોયું કે તેઓ કેવા એક અદ્‌ભુત વ્યક્તિ છે.’ (લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ, ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિયાયપલ્સ, માયાવતી, ૧૯૧૮, ગ્રંથ-૪, પૃ.૩૧૯-૨૦)

૧૮૯૭માં જ્યારે સ્વામીજી ભારત પાછા ફર્યા ત્યારે થિયોસોફિકલ સોસાયટીના સંચાલકો અમેરિકા તથા ઈંગ્લેન્ડમાં એમના કાર્યમાં સહાયતા કરી હતી એવો દાવો કરતા હતા. એ સમયે સ્વામીજીએ સ્પષ્ટીકરણના ઉદ્દેશ્યથી ૯ ફેબ્રુઆરીના રોજ મદ્રાસમાં જ ‘મારી ક્રાંતિકારી યોજના’ વિષય પર વ્યાખ્યાન આપતી વખતે એમણે પોતે જ કર્નલ આલ્કાટ સાથે થયેલી પોતાની આ મુલાકાતનું થોડું વિવરણ આપ્યું હતું: ‘સાત સમંદરની પાર કોઈ પણ જાતના પરિચય પત્ર વિના, કોઈ પણ પ્રકારની જાન-પહેચાન વિના, એક નિર્ધન, મિત્રહીન, અજ્ઞાત સંન્યાસીના રૂપે આજથી ચાર વર્ષ પહેલાં જ્યારે હું અમેરિકા જતો હતો. ત્યારે મેં થિયોસોફિકલ સોસાયટીના નેતાની મુલાકાત લીધી. આ લોકો અમેરિકાવાસી છે અને ભારતના ભક્ત છે, એટલે સંભવત: અમેરિકાના કોઈ સજ્જનને નામે એક પરિચય પત્ર આપી દેશે એવું મેં સ્વાભાવિકપણે વિચાર્યું હતું. પરંતુ એમની પાસે જઈને મેં આવી રીતે એક પરિચય પત્ર લખી આપવા વિનંતી કરી ત્યારે એમણે પૂછ્યું: ‘શું આપ અમારી સોસયટીના સભ્ય બનશો?’ મેં જવાબ આપ્યો : ‘ના. હું કેવી રીતે આપની સોસાયટીનો સભ્ય બની શકું? અને તમારા મોટા ભાગના સિદ્ધાંતો પર મને વિશ્વાસ નથી.’ એમણે કહ્યું: ‘મને એ વાતનો ખેદ છે કે હું આપને માટે કંઈ કરી શકું એમ નથી.’ (વિવેકાનંદ સાહિત્ય, ખંડ-૫, પૃ.૧૦૪)

કર્નલ આલ્કાટે સ્વામીજી માટે પરિચય પત્ર આપવાનું તો દૂર રહ્યું પણ એમણે તો ડગલે ને પગલે સ્વામીજીના માર્ગમાં કાંટા નાખવાનો પ્રયત્ન કર્યો. સુખ્યાત વિદ્વાન રોમાં રોલાંએ લખ્યું છે કે કર્નલ આલ્કાટે પોતાના મિત્રોને સ્વામીજીનો પરિચય તો ન જ કરાવ્યો. ઊલટાનું કર્નલે એ બધા લોકોને સ્વામીજી વિશે સચેત કરી દીધા હતા. (યુગનાયક વિવેકાનંદ, તૃતીય સંસ્કરણ, ભાગ-૧, પૃ.૩૬૨)

પછીથી મુનશી જગમોહનલાલે પણ રાજા અજિતસિંહને પોતાના પત્રમાં આ ઘટનાની સૂચના આપી હતી. સંભવત: એનો જ ઉલ્લેખ કરતાં પોતાના ૧૧ એપ્રિલના પત્ર પહેલાં બિંદુના રૂપે જ રાજાને લખે છે: ‘સ્વામીજી એક એવી વ્યક્તિના વચન પર નિર્ભર રહ્યા, એ વ્યક્તિને બહુ સારા માણસ કહી ન શકાય.’ આ પૂરો પત્ર હવે પછી આપવામાં આવશે. આ લેખમાળાના લેખકનું એવું અનુમાન છે કે ઉપર્યુક્ત કથન થિયોસોફિકલ સોસાયટીના અધ્યક્ષ કર્નલ આલ્કટના સંદર્ભમાં જ છે.

મદ્રાસમાં ધર્મચર્ચા

સ્વામીજીના મદ્રાસમાં લગભગ ત્રણ મહિનાના નિવાસ દરમિયાન જે ઘટનાઓ ઘટી એ બધી ઘટનાઓની થોડીઘણી ઝાંખી અમે આપતાં આવ્યા છીએ. એ વિશે જે કંઈ સામગ્રી ઉપલબ્ધ છે એને પ્રસ્તુત કરવા માટે એક સારા એવા મોટા ગ્રંથની આવશ્યકતા પડે. છતાં પણ અહીં અમે એ કાળની કેટલીક વધુ મહત્ત્વપૂર્ણ વાતો આપીએ છીએ.

ડોક્ટર નંજુંદા રાવ પાસેથી ભગિની દેવમાતાને સ્વામીજીના મદ્રાસ પ્રવાસની એક અત્યંત રોચક ઘટના સાંભળવા મળી. તેઓ લખે છે: ‘એકવાર બપોર પછીના સમયે ડોક્ટર નંજુંદા રાવ કોઈ થિયોસોફિસ્ટ મિત્રને મળવા અડિયાર ગયા હતા. ત્યાં એમણે જોયું તો હમણાં જ આવેલા એક અમેરિકન સભ્ય ટેબલના ખાના વગેરે સાફ કરી રહ્યા હતા. એક ખૂણામાં એક બાળી નાખવા માટે કેટલીક નકામી વસ્તુઓનો ઢગલો કરી રાખ્યો હતો. એમાં એમણે એક સાધુનું ચિત્ર નજરે ચઢ્યું. ડોક્ટર નંજુંદા રાવે નીચા નમીને એ ચિત્રને ઉપાડી લીધું અને બોલ્યા : ‘આ કોઈ મહાત્માનું ચિત્ર છે. તમારે એ ચિત્રને આવી રીતે આ જમીન પર ફેંકવું ન જોઈએ.’ પેલા અમેરિકને કહ્યું: ‘અરે! કોણ જાણે આ કેનું ચિત્ર છે? અને અહીં અમારે આવી નકામી કેટલીક ચીજવસ્તુઓને દૂર કરીને થોડી જગ્યા કરવી છે.’ નંજુંદા રાવે કહ્યું: ‘જો એમ હોય તો હું આ ચિત્રને લઈ જાઉં છું.’ તેઓ એ ચિત્રને પોતાને ઘેર લઈ આવ્યા અને એને કાચથી મઢાવીને બીજા મહાપુરુષોના ચિત્ર સાથે ભીંત પર લગાડી દીધું.

જ્યારે સ્વામી વિવેકાનંદ મદ્રાસ આવ્યા ત્યારે નંજુંદા રાવે એક દિવસ એમને પોતાને ઘરે ભોજન માટે આમંત્ર્યા. એ સમયે સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ છે એ વિશે કોઈ જાણતું ન હતું. કોઈ એમને વિશે પૂછતું તો તેઓ સર્વદા આવું કહેતા: ‘હું એમનો એટલો સાવ સામાન્ય પ્રતિનિધિ છું કે એનું નામ સુધ્ધા બોલવાની યોગ્યતા મારામાં નથી.’

ભોજનના દિવસે જ્યારે સ્વામીજી ત્યાં પધાર્યા ત્યારે જેમાં ઘણાં ચિત્રો ટીંગાડેલાં હતાં એ ઓરડામાં એમને લાવવામાં આવ્યા. અહીં રાહ જોતી વખતે તેઓ ઓરડામાં ફરીને ચિત્રો જોવા લાગ્યા. એકાએક તેઓ ચોકી ઊઠ્યા અને પેલા અડિયારના ચિત્ર સમક્ષ સ્થિર બનીને ઊભા રહી ગયા. એ ઓરડામાં એ વખતે હાજર લોકોએ જોયું તો સ્વામીજીની આંખોમાં આંસું ભરાઈ આવ્યાં અને એના ગાલ પરથી વહેવા લાગ્યાં. એ લોકોએ વિસ્મિત ભાવે પૂછ્યું: ‘સ્વામીજી, એ ચિત્રમાં એવું શું છે કે જેને જોઈને આપ આ રીતે ભાવવિભોર થઈ ગયા?’ તેમણે પાછા ફરીને અત્યંત ભાવુક સ્વરે કહ્યું: ‘આ જ છે, મારા ગુરુદેવ શ્રીરામકૃષ્ણ!’ (ડેઈઝ ઈન ઈંડિયન મોનેસ્ટ્રી, સિસ્ટર દેવમાતા, મદ્રાસ, પૃ.૧૯૦-૯૧)

ડોક્ટર એમ.સી.નંજુંદા રાવે સ્વામીજીના મદ્રાસ પ્રવાસની પોતાની અનેક સ્મૃતિઓ અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’ના ૧૯૧૪ થી ૧૯૧૬ના સાત અંકોમાં પ્રકાશિત કરાવી હતી. એમાંથી કેટલાક પસંદ કરેલા અંશો અહીં પ્રસ્તુત છે.

‘થોડા દિવસો માટે પણ જેમને સ્વામીજીનાં ચરણોમાં બેસીને પોતાના ધર્મ, ઇતિહાસ અને પાશ્ચાત્ય વ્યવસ્થાથી સાવ ભિન્ન સામાજિક રીતિઓ વગેરે વિશે સાંભળવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું, એ બધા ખરેખર ધન્ય છે. નીચે દૂરસુદૂર ફેલાયેલ સમુદ્રના નીલવર્ણાં નીર, ઉપર એનાથીયે પણ અધિક નીલાકાશ સામે મદ્રાસના સમુદ્રતટ પર, સૈનથોમની નજીક આવેલ તત્કાલીન ઉપમહાલેખાકાર શ્રી ભટ્ટાચાર્યના બંગલામાં (અત્યારે રહેમત બાગ) સ્વામીજીની પાસે અસંખ્ય પ્રશંસક મિત્રો તથા કોલેજના વિદ્યાર્થીઓ સાથે થતી શાંત પરંતુ ઉત્સાહપૂર્ણ સાંધ્ય ગોષ્ઠીઓને ભૂલી જવી વસ્તુત: અસંભવ છે. માર્ચ કે એપ્રિલ ૧૮૯૩માં ખુલ્લી હવામાં થયેલી એવી જ એક ગોષ્ઠીમાં કોઈકે સ્વામીજીને પૂછ્યું: ‘સ્વામીજી, શ્રીકૃષ્ણને નીલરંગમાં ચીતરવામાં આવ્યા છે.’ સ્વામીજી એ સમયે દૂરસુદૂર ફેલાયેલ સમુદ્રના જલરાશિને એકાગ્રભાવે નીરખી રહ્યા હતા. તેઓ એકાએક ફરીને બોલ્યા: ‘એ એટલા માટે કે નીલ અનંતનો રંગ છે. આપણી પાસેના આકાશ તરફ નજર નાખો, એ વર્ણહીન છે. પરંતુ આપણી ઉપર દૂરસુદૂર ફેલાયેલ આકાશ તરફ જુઓ, તે નીલવર્ણું છે. સમુદ્રના જળને હાથમાં લઈને જુઓ, એ વર્ણહીન છે. પરંતુ દૂર દૂર સુધી ફેલાયેલ આ સમુદ્ર નીલ છે. પોતાની આસપાસની પૃથ્વી તરફ એક મીટ માંડો, તે કોઈ પણ રંગની લાગશે. પણ દૂરથી વિશાળ પર્વત નીલ જ દેખાય છે. એટલે જ પ્રકૃતિમાં સર્વત્ર વ્યાપ્ત હોવાને લીધે શ્રીકૃષ્ણને નીલવર્ણા રંગમાં ચીતરવામાં આવે છે અને તેઓ અનંતના પ્રતીક છે.’ સ્વામીજીના શબ્દોમાં એનું હૂબહૂ વર્ણન કરવું અસંભવ છે. પરંતુ એ દિવસ સંધ્યા સમયે એમણે જે કંઈ કહ્યું એનો સારાંશ આ જ છે.

‘એક કોલેજના પ્રાધ્યાપકે પૂછ્યું: ‘હિંદુધર્મનાં મૂળ તત્ત્વ કયાં છે?’ અને તરત જ સ્વામીજીએ એનો ઉત્તર આપતાં કહ્યું: ‘હિંદુધર્મનાં ત્રણ મૂળ તત્ત્વ છે. (૧) ઈશ્વરમાં (૨) ઈશ્વર પ્રેરિત રૂપે વેદોમાં (૩) કર્મ તથા પુનર્જન્મના સિદ્ધાંતમાં વિશ્વાસ. હિંદુધર્મ તથા અન્ય ધર્મોની વચ્ચે મૂળભેદ આ છે – એમાં આપણે ભ્રમથી સત્ય તરફ નહિ, પરંતુ સત્ય દ્વારા સત્ય તરફ આગળ વધીએ છીએ – નિમ્નતર સત્ય પરથી ઉચ્ચતર સત્ય તરફ જઈએ છીએ. જો કોઈ વેદોનું ગહન અધ્યયન કરે તો એમાં એમને સમન્વયધર્મ પ્રાપ્ત થશે. વિકાસવાદના ચશ્મા લગાડીને વેદોનું અધ્યયન કરવું પડશે. એમાં ધાર્મિક વિકાસનો એ પૂરો ઇતિહાસ છે પણ ધર્મ પોતાની પૂર્ણતા એટલે કે અદ્વૈતવાદ સુધી નથી પહોંચી શક્યો. એવો કોઈ પણ ધાર્મિક વિચાર ન હોઈ શકે કે જે પહેલેથી જ હિંદુધર્મમાં ન હોય.’..

‘વર્તમાન હિંદુધર્મ કેવળ ‘અડશો મા’માં પરિણત થઈ ગયો છે. આ દેશમાં પશ્ચિમ પ્રત્યે ઉદાસીનતાનો ભાવ છે. અથવા હિંદુધર્મના પાશ્ચાત્ય અભ્યાસુઓના વિકૃત ઉપદેશે કેવળ સામાજિક જ નહિ, ધર્મના વિશે પણ વાનર નકલની પ્રવૃત્તિ કરી છે. અંતે સ્વામીજીએ આ શબ્દોમાં સચેત કરતાં પોતાના કથનનો આ રીતે ઉપસંહાર કર્યો હતો : ‘જો જરૂર જણાય તો આપણા પોતાના સામાજિક રીતિરિવાજોને સુધારો, વિધવાઓના પુનર્વિવાહ કરો. અને જો જાતિપ્રથાની ઉપયોગીતા ન રહેતી હોય તો એ પ્રથા પર આઘાત કરો, પરંતુ ધર્મનો પરિત્યાગ ન કરતા. સામાજિક બાબતોમાં વ્યક્તિ ઉદાર બની શકે છે પરંતુ ધર્મની બાબતમાં તો તેણે ચુસ્ત બનવું જોઈએ.’ (વેદાંત કેસરી, જુલાઈ, ૧૯૧૪, પૃ.૯૧-૯૩; તથા વિવેકાનંદ સાહિત્ય, ખંડ-૧, પૃ.૨૮૭-૩૦૫)

બીજા એક દિવસે વિવરણ દેતાં ખેતડીના મુનશીજીનો પણ ઉલ્લેખ કરીને ડૉ. રાવ આ પ્રમાણે લખે છે : ‘સુંદર મજાની ચાંદની રાત હતી. સ્વામીજી મધરાતના સમુદ્ર તટ પર શ્રી ભટ્ટાચાર્યજીના બંગલાની ઓસરીમાં બેઠા હતા. સાથે ને સાથે ખેતડી મહારાજના અંગત સચિવ મુનશી જગમોહનલાલ સાથે વાતો કરી રહ્યા હતા. ખેતડી નરેશે આ મુનશીજીને સ્વામીજીને શોધવા મોકલ્યા હતા અને સ્વામીજી જ્યાં ક્યાંય મળે તો એમને ખેતડી લઈ આવો જેથી કરીને નવજાત રાજકુમાર એમના આશીર્વાદ મેળવી શકે, એવી તાકીદ પણ કરી હતી. લગભગ એક વર્ષ પહેલાં જ્યારે સ્વામીજી ખેતડીમાં હતા ત્યારે ખેતડી નરેશે પોતાના રાજ્યના ઉત્તરાધિકારી રૂપે પુત્રપ્રાપ્તિનો આશીર્વાદ તેમની પાસેથી માગ્યો હતો. સ્વામીજીએ ભાવાવિષ્ટ બનીને રાજાને ‘તથાસ્તુ’ કહીને વરદાન પણ આપ્યું હતું. આ વરદાનના ફળ સ્વરૂપે ખેતડીનરેશને ત્યાં એક પુત્રનો જન્મ થયો. એટલે એ વાત તો સ્વાભાવિક હતી કે મહારાજા સ્વામીજીને કોઈ પણ રીતે ખેતડીમાં એક વાર લાવવા ઇચ્છતા હતા, કારણ કે સ્વામીજીને જોયા વિના એમને ચેન પડતું ન હતું.

‘હું મારા પોતાના ઓફિસના કામમાંથી પરવારીને રોજની જેમ સ્વામીજી પાસે ગયો અને એમને સાષ્ટાંગ પ્રણામ કરીને બેસી ગયો. એટલામાં તેઓ પોતાની અપૂર્વ શૈલીમાં શિવાજીની પ્રશંસાનું એક હિંદી ગીત ગાવા લાગ્યા. એની અંતિમ બે પંક્તિઓ આવી હતી: ‘દાવા દ્રુમદંડ પર ચીતા મૃગઝુંડ પર, ભૂષણ વિતુંડ પર જૈસે મૃગરાજ હૈ । તેજ તમ અંશ પર કાન્હ જિમિ કંસ પર, ત્યોં મિલેછ બંશ પર શેર શિવરાજ હૈ । અર્થાત્‌ – ‘જેવી રીતે વનસ્થલ માટે દાવાનલ, હરણના જૂથ માટે ચિત્તો; સજ્જ ધજ્જ હાથીઓ માટે સિંહ, અંધકાર માટે સૂર્ય અને કંસ માટે કૃષ્ણ; તેવી રીતે મ્લેચ્છો માટે શેર શિવાજી છે!’ ત્યાર પછી મને જાણવા મળ્યું કે આ એક ઘણું લાંબું ગીત છે. પરંતુ મેં તો મારી પોતાની શાળાના દિવસોમાં આ જ વાંચ્યું હતું કે શિવાજી એક ચાલાક, અવિવેકી લૂટારા હતા, ‘નીચકૂલોત્પન ડાકુ’ હતા. ધાડપાડુ, છાપામાર અને દગાબાજ હત્યારા હતા. અત: એમની પ્રશસ્તિનું ગીત સ્વામીજીને ગાતા સાંભળીને અને જોઈને હું મારી જાતને રોકી ન શક્યો. એમને વચ્ચેથી જ ટોકતાં બોલી ઊઠ્યો : ‘સ્વામીજી! આપ જે શિવાજીની પ્રશંસાની કાવ્ય પંક્તિઓ ગાઓ છો, તે શું ઉચિત છે ખરું? શિવાજી ભાગ્યના વરદપુત્ર માત્ર હતા અને વસ્તુત: તેઓ ધાડપાડુ હતા. એમણે પોતાના જેવા લોકોને એકઠા કરીને ચાલાકી અને ધૂર્તતાપૂર્વક એક સામ્રાજ્યની સ્થાપના કરી હતી, શું એ સાચું નથી?’ મેં તો માંડ આટલું કહ્યું કે સ્વામીજીએ ગાવાનું બંધ કરી દીધું અને મારી તરફ ઘુરકતી આંખે જોયું. એમનો ચહેરો ક્રોધથી તમતમી ઊઠ્યો હતો. તેમણે કહ્યું: ‘તમને ધિક્કાર છે, ડોક્ટર! તમે મરાઠા છો છતાં પણ ભારતે પાછલાં ૩૦૦ વર્ષમાં જે શ્રેષ્ઠતમ રાજા પેદા કર્યો એમને વિશે આટલું જ જાણો છો! અરે, શિવાજી તો સાક્ષાત્‌ શિવના અવતાર હતા. એમના જન્મ પહેલાં ઘણા સમયથી એમને વિશે ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના બધા સાધુ-મહાત્માઓ મ્લેચ્છોથી હિંદુઓનો ઉદ્ધાર કરનારા આ મહાવીરના આવિર્ભાવની ઘડીઓ ગણી રહ્યા હતા. જે ધર્મઝનૂની મોગલોની લૂંટમારથી પગતળે ચંપાયા હતા. એમની એમણે ફરીથી પ્રતિ સ્થાપના કરી છે. જે વિદેશીઓની તમારા પ્રત્યે કોઈ સહાનુભૂતિ ન હતી. સાથે ને સાથે જેમને તમારાં સંસ્કૃતિ, પરંપરા તથા રિવાજોમાં કોઈ શ્રદ્ધાવિશ્વાસ બંધાઈ શકતાં ન હતાં; કારણ કે તેઓ આ બધું સમજી ન શક્યા; એમના દ્વારા લખેલા ભારતીય ઇતિહાસનાં વાચન અને અભ્યાસનું આ જ પરિણામ આવે છે. શું શિવાજીથી વધારે વીર, અધિક ધર્માત્મા, ચડિયાતા ભક્ત કે એનાથી મોટા રાજા કોઈ થયા છે ખરા? તમારાં પુરાણો અને મહાકાવ્યોમાં જન્મજાત નરેશોનાં જે લક્ષણો વર્ણવવામાં આવ્યા છે, શિવાજી એમની જીવંત મૂર્તિ હતા. તેઓ ભારતના સાચા સપૂત હતા અને રાષ્ટ્ર ચેતનાના સાચા પ્રતિનિધિ હતા. (વેદાંત કેસરી, નવેમ્બર, ૧૯૧૪, પૃ.૨૧૮-૧૯)

એવી જ એક ગોષ્ઠિનું વર્ણન કરતાં ડૉ. નંજુંદા રાવ લખે છે : ‘રાતનો સમય હતો. સાગર તટ પર સ્થિત શ્રી ભટ્ટાચાર્યના બંગલામાં મધૂર ચાંદની રેલાઈ હતી. સ્વામીજી એ સમયે પોતાની સર્વશ્રેષ્ઠ મન:સ્થિતિમાં હતા. એમના ચહેરા પર એવું તેજ હતું, એવું લાગતું હતું કે જાણે એમના મુખમંડલમાંથી જ્યોતિકિરણો નીકળીને એમની ચોતરફ આભામંડલની એક સૃષ્ટિ રચી રહી હતી. થોડા સમય પહેલાં જ તેઓ અક હૃદયસ્પર્શી ભજન – તેરી ગતિ લખિ ન પડે – ગાતા હતા. એ ગીતનો મુક્ત અનુવાદ એમણે પોતે જ આ શબ્દોમાં કર્યો હતો – ‘હે પ્રભુ! આપનાં કાર્ય અમારાં જ્ઞાનસમજણથી પર છે.’ એ મહાન ભજન જગદંબાની ઇચ્છા પ્રત્યે પૂર્ણ આત્મસમર્પણ તથા શરણાગતિનું દ્યોતક હતું. ગદ્‌ગદ્‌ ભાવે એમણે આ ભજનનાં એકેએક વાક્યનો અનુવાદ કર્યો અને એ સંધ્યાએ એકત્ર થયેલ પૂરેપૂરો સમૂહ એ ગીત ગાવાનું પૂરું થયું ત્યાં સુધી મંત્રમુગ્ધ બનીને સાંભળતો રહ્યો. ભજન સમાપ્ત થયા પછી એક વિસ્મયબોધક અસીમ નિ:સ્તબ્ધતા ત્યાં ફેલાઈ ગઈ. જ્યારે સ્વામીજીએ ફરીથી પોતાનું મુખ ખોલ્યું અને બોલવાનું શરૂ કર્યું ત્યારે એ વિસ્મયબોધક અસીમ નિ:સ્તબ્ધતા ભંગ થઈ. તેઓ દર્શાવવા લાગ્યા કે કઈ રીતે ક્યારેક ક્યારેક એમના પર એક આધ્યાત્મિક શક્તિનો આવેશ આવી જાય છે અને ત્યારે એમને એવો બોધ થાય છે કે તેઓ ભીતરથી સાવ બદલી ગયા છે અને પોતાના સંપર્કમાં આવનાર કોઈ પણ વ્યક્તિના જીવનને રૂપાંતરિત કરી નાખવા સમર્થ બની જાય છે. તેઓ આવું આવું કહેતા રહ્યા – એ સમયે એમને અનુભવ થાય છે કે એમના દેહનાં અંગેઅંગમાંથી ઊર્જા નીકળીને આસપાસની ચીજો તરફ પ્રવાહિત થતી એમને પ્રભાવિત કરી રહી છે. એ સમયે સ્વામીજીને જો કોઈ સ્પર્શ કરે તો એને પણ સમાધિની અનુભૂતિ થાય અને પોતાનાં રહસ્યોને તેઓ સમજી જાય અને તત્કાળ એમની સંસાર પ્રત્યેની આસક્તિ છૂટી જાય અને હજારો વર્ષની સાધનાનું જાણે કે એને ફળ પ્રાપ્ત થઈ જાય.

‘સ્વામીજીએ જેવી આ વાત પૂરી કરી ત્યાં જ એકાએક એક સ્રોતા ઊભો થયો અને સ્વામીજી તરફ આગળ વધીને એમનાં બંને ચરણ પકડી લીધાં. આ હતા શ્રી શિંગારવેલુ મુદલિયાર. તેઓ એ સમયે મદ્રાસ ક્રિશ્યન કોલેજમાં ભૌતિક વિજ્ઞાનના પ્રાધ્યાપક હતા અને પછીથી સ્વામીજી દ્વારા સ્નેહભાવપૂર્વક એમને અપાયેલા ‘કીડી’ એ નામે સુપરિચિત થયા. તેઓ મહાપ્રાણ તથા નિષ્ઠાની પ્રતિમૂર્તિ હતા અને પરિણામની પરવા કર્યા વિના નિર્ભય સાહસ સાથે પોતાના નિશ્ચયને કાર્ય રૂપે પરિણત કરતા હતા. એમના દ્વારા આ રીતે ચરણ પકડી લેવાથી સ્વામીજીએ બંને હાથે એમને આશીર્વાદ આપ્યા અને કહ્યું: ‘આ તમે શું કર્યું? તમે ઉતાવળમાં ને ઉતાવળમાં આવું પગલું શા માટે ભર્યું? ખેર, હવે એનું ભલે ગમે તે પરિણામ આવે પણ તમે એનાથી બચી નહિ શકો.’ બરાબર ત્યારે જ અમે બધાએ જોયું તો શિંગારવેલુના ચહેરા પર પરમ તૃપ્તિનું દૃશ્ય ખીલી ઊઠ્યું હતું. એ પળે એમને કેવી અનુભૂતિ થઈ એ વિશે હું કંઈ નથી જાણતો, કારણ કે સારો એવો અનુરોધ કરવા છતાં પણ એમણે એ વિશે કંઈ કહ્યું નહિ. પરંતુ એ દિવસથી તેઓ એક પૂર્ણત: ભિન્ન વ્યક્તિ બની ગયા હતા એટલી વાત તો સ્પષ્ટ થઈ ગઈ. એમણે પોતાના સંસાર-પોતાનાં સ્ત્રીપુત્રાદિ બધાંનો, અરે! પોતાના પ્રાધ્યાપકના કાર્યનો પણ ત્યાગ કરી દીધો; અને ત્યારથી એમણે સ્વામીજીના કાર્યનો જ પ્રારંભ કરી દીધો. જે લોકો એમને જાણતા હતા એ બધાને યાદ છે કે કેવી રીતે તેઓ પોતાના જીવનની અંતિમ પળ સુધી કલાકો ના કલાકો સુધી સાધના અને ધ્યાનમાં ડૂબ્યા રહેતા. એક સંન્યાસીનું જીવન તેઓ જીવી ગયા છે. (વેદાંત કેસરી, વો-૧, નં.૬, ઓક્ટોબર ૧૯૧૪, પૃ.૧૮૬-૮૭)

મદ્રાસમાંથી વિદાય

પરસ્પર ચર્ચા પછી આખરે આટલું નિશ્ચિત થયું કે સ્વામીજી પહેલાં મુંબઈ જઈને પોતાની અમેરિકા યાત્રા માટે જહાજમાં પોતાનું સ્થાન આરક્ષિત કરાવશે. તદુપરાંત તેઓ ખેતડી જઈને ખેતડીના રાજાના પુત્ર જન્મના ઉત્સવમાં ભાગ લીધા પછી વળી પાછા મુંબઈથી જહાજમાં અમેરિકા માટે પ્રસ્થાન કરશે. સ્વામીજી નિકટ ભવિષ્યમાં મદ્રાસ પાછા ફરવાના ન હતા. એટલે એમના અનુરાગીઓએ એમના બે ફોટા પડાવ્યા. લગભગ ત્રણ માસ સુધી મદ્રાસના નિવાસ દરમિયાન સ્વામીજીનો ત્યાંના સેંકડો લોકો સાથે પરિચય થયો અને ડઝનબંધ લોકો સાથે ઘનિષ્ઠતા સ્થપાઈ ચૂકી હતી. એટલે જ વિદાયના સમયે દૃશ્ય કેવું ભાવભીનું બની ગયું હશે એની સહજ કલ્પના આપણે કરી શકીએ છીએ. ત્યાર સુધીમાં જે ધન એકઠું થયું હતું તેને ટિકિટ કઢાવવા માટે સ્વામીજીને સોંપી દેવામાં આવ્યું. આ રીતે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં તેઓ પોતાના શિષ્યો તથા અનુરાગીઓ પાસેથી વિદાય લઈને મુનશી જગમોહન લાલ સાથે મુંબઈ જવા રવાના થયા.

(ક્રમશ:)

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.