હું તમને ફરીથી યાદ આપું કે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન । “કેવળ કર્મમાં જ તારો અધિકાર છે, ફળમાં નહિ.” ખડકની જેમ અડગ ઊભા રહો. સત્યનોહંમેશાં જય થાય છે.. આપણાં કાર્યોનું પરિણામ જોવા કદાચ આપણે જીવતા ન રહીએ. પરંતુ આપણે જીવતા-જાગતા અત્યારે બેઠા છીએ એ હકીકત જેટલી નિશ્ચિત છે, તેટલું જ નિશ્ચિત એ છે કે મોડું યા વહેલું એનું પરિણામ આવશે જ. અત્યારે ભારત વર્ષને જરૂર છે રાષ્ટ્રની નસોમાં એક નવશક્તિનો સંચાર કરે એવી, વીજળી જેવી નવીન ચેતનાની. આ કાર્ય હંમેશાં મંદ ગતિએ ચાલ્યું હતું અને હંમેશાં એમ જ ચાલવાનું. કાર્ય કરીને સંતુષ્ટ રહો; અને સૌથી અગત્યનું એ કે આદર્શ પ્રત્યે નિષ્ઠા રાખો. રગેરગમાં પવિત્ર, મક્કમ અને અંતરથી સાચા બનો, તો બધું બરાબર થઈ રહેશે. જો શ્રીરામકૃષ્ણના શિષ્યોમાં તમે કંઈ વિશેષતા જોઈ હશે તો તે એ છે કે તેઓ રગેરગમાં સાચા છે. જો ભારતવર્ષમાં એવા સો માણસોને તૈયાર કરીને એમને હું કાર્યપ્રવૃત્ત કરી શકું તો આ સંસારમાં મારું કાર્ય પૂરું થયું ગણાશે અને હું પૂરા સંતોષથી મરીશ. પરમેશ્વર સર્વજ્ઞ છે. અજ્ઞાની લોકો ભલે વ્યર્થ બકવાદ કરે. આપણે કોઈની સહાય માગતા પણ નથી અને એવી સહાય પ્રાપ્ત થાય તો તેનો અસ્વીકાર પણ કરતા નથી; આપણે તો મહાન પરમેશ્વરના સેવકો છીએ. ક્ષુદ્ર મનુષ્યોના ક્ષુદ્ર પ્રયત્નો પ્રત્યે આપણે લક્ષ આપવું જોઈએ નહિ. આગળ ધપો! ચારિત્ર્યનું ઘડતર યુગોના પુરુષાર્થ પછી થાય છે. હતાશ થશો નહિ. સત્યનો એક શબ્દ પણ કદી વ્યર્થ જતો નથી; સત્ય કદાચ યુગો સુધી કચરા નીચે દટાયેલું રહે, પરંતુ વહેલું કે મોડું એ અવશ્ય પ્રકાશમાં આવશે. સત્ય નાશરહિત છે, સદ્‌ગુણ નાશરહિત છે, પવિત્રતા નાશરહિત છે. મને સાચો માણસ આપો, વટલેલાંનાં ટોળાંની મને જરૂર નથી. બેટા! દૃઢ બનો. કોઈની સહાય તરફ મીટ માંડશો નહિ. માણસોની સઘળી સહાય કરતાં શું પરમેશ્વર અનંતગણો મહાન નથી? પવિત્ર બનો, ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, હંમેશાં ઈશ્વર ઉપર જ આધાર રાખો; આમ કરશો તો સાચા પંથે ચાલી શક્શો; તો પછી તમારી સામે કોઈનું કશું ચાલશે નહિ. . . .

આપણે પ્રાર્થના કરીએ કે : “પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ,” -એટલે અંધકારમાંથી પ્રકાશનું કિરણ આવશે અને આપણને દોરી જવા માટે એક હાથ આગળ લંબાશે. હું તમારા માટે નિત્ય પ્રાર્થના કરું છું અને તમારે મારા માટે અવશ્ય પ્રાર્થના કરવી. ગરીબાઈ, પુરોહિતોની ચાલબાજી અને સામાજિક અત્યાચારો દ્વારા સખત જકડાઈ રહેલા, ભારતવર્ષના લોકો પદદલિત લોકો માટે આપણે દરેકે અહર્નિશ પ્રાર્થના કરવી જોઈએ. એમને માટે અહર્નિશ પ્રાર્થના કરજો. કુલીન અને ધનિક લોકો કરતાં આવા લોકોને ધર્મનો ઉપદેશ આપવાની હું વધું પરવા કરું છું. હું નથી કોઈ તત્ત્વજ્ઞાની, કે નથી કોઈ ફિલસૂફ કે નથી કોઈ સંત, કેવળ એક ગરીબ છું, ને હું ગરીબને ચાહું છું. હું તો જોઈ રહ્યો છું કે આ દેશના લોકો પોતાના ગરીબ ભાઈઓને શી રીતે બોલાવે છે અને કેટલા બધા લોકો એમને માટે લાગણી ધરાવે છે!

(સ્વામી વિ. ગ્રંથમાળા સંચયન, પૃ. ૪૨૫-૨૬)

Total Views: 41

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.