एतदालम्बनं श्रेष्ठमेतदालम्बनं परम् ।
एतदालम्बनं ज्ञात्वा ब्रह्मलोके महीयते ॥ १७ ॥

एतत्, આ (ઓમ્‌); आलम्बनम्, (સગુણ બ્રહ્મને પામવાનો) માર્ગ છે; श्रेष्ठम्, ઉત્તમ; एतत् आलम्बनम् परम्, નિર્ગુણ—પરબ્રહ્મને (પામવાનો પણ) આ માર્ગ છે; एतत् आलम्बनम् ज्ञात्वा, આ માર્ગને જાણીને; ब्रह्मलोके, બ્રહ્મલોકમાં; महीयते, મહિમાવંત બને છે (ધીરે ધીરે બ્રહ્મના જેવી અવસ્થાને પ્રાપ્ત થાય છે.)

‘ઓમ્‌’ એ બ્રહ્મની પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ છે. એ સગુણ બ્રહ્મને એટલે કે અપરબ્રહ્મને તેમજ નિર્ગુણ બ્રહ્મને એટલે કે પરબ્રહ્મને – બંને પ્રકારના બ્રહ્મને પામવાનો માર્ગ છે. એમાંનો પહેલો માર્ગ સાધકને બ્રહ્મલોકમાં લઈ જાય છે. ત્યાં એવો સાધક બ્રહ્મ જેવી અવસ્થા પ્રાપ્ત કરીને આનંદ કરે છે અને બીજો માર્ગ એનું બ્રહ્મ સાથે ઐક્ય કરી દે છે. (૧૭)

પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે જો તમે ‘ઓમ્‌’નું ધ્યાન કરો, તો તમે જે ઇચ્છો, તે તમને મળે છે. એ વાતને આગળ સુદૃઢ કરવા માટે હવે એવું કહેવામાં આવે છે કે બ્રહ્મલોક તરફ લઈ જનારા બધા માર્ગોમાં ‘ઓમ્‌’ એ શ્રેષ્ઠ માર્ગ છે. કારણ કે ‘ઓમ્‌’ દ્વારા તમે બંને પ્રકારના બ્રહ્મને – સગુણ (અપર) બ્રહ્મને તેમજ નિર્ગુણ (પર) બ્રહ્મને – મેળવી શકો છો. ‘ઓમ્‌’- પર અને અપર – બંનેના અર્થો સૂચિત કરે છે.

‘પર’ એ પરમોચ્ચ છે અને ‘અપર’ એ ‘પર’થી તરતની નીચેનું સ્થાન છે. પણ ‘પર’ બ્રહ્મ વિશે વિચારવું તો બહુ મુશ્કેલ છે. એનામાં તો કોઈ ગુણ – કોઈ વિશેષતા જ નથી. એટલા માટે ઘણાખરા લોકો ‘અપર’ બ્રહ્મ વિશે જ વિચારવાનું પસંદ કરે છે – સગુણ બ્રહ્મનો જ વિચાર કરવાનું પસંદ કરે છે. ‘ઓમ્‌’ની ઉપાસનાનો ફાયદો એ છે કે તમે એના દ્વારા ‘અપર’ અને ‘પર’ એ બંને પ્રકારના બ્રહ્મની પ્રાપ્તિ કરી શકો છો. તમે પહેલાં ‘અપર બ્રહ્મ’ની પ્રાપ્તિ કરો છો – એટલે કે બ્રહ્મલોકની પ્રાપ્તિ કરો છો. પછી ધીરે ધીરે તમે ‘પરબ્રહ્મ’માં ભળી જાઓ છો.

न जायते म्रियते वा विपश्चि-
न्नायं कुतश्चिन्न बभूव कश्चित् ।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो
न हन्यते हन्यमाने शरीरे ॥ १८ ॥

विपश्चित्, ચૈતન્ય એટલે કે આત્મા; न जायते, જન્મતો નથી; () म्रियते, મરતો નથી; वा, અથવા; अयम्, આ આત્મા; कुतश्चित्, કોઈનાથી પણ; न बभूव, ઉત્પન્ન થયો નથી; कश्चित् (न) बभूव, (એમાંથી) કોઈ જન્મ્યું નથી; अयम्, આ આત્મા; अजः, અજન્મા; नित्यः, સ્થાયી અમર; शाश्वतः, અપરિવર્તનશીલ; पुराणः, હાજરાહજૂર; शरीरे हन्यमाने, શરીરનો નાશ થવા છતાં પણ; (अयम्, આ આત્મા;) न हन्यते, નાશ પામતો નથી.

આ આત્મા જન્મતો નથી, મરતો નથી. એ કોઈનામાંથી જન્મ લેતો નથી કે એનામાંથી પણ કશું જન્મ લેતું નથી. એ અજન્મા, અમર, અપરિવર્તનશીલ અને હંમેશા હાજરાહજૂર જ હોય છે. શરીર નાશ પામે છે પણ આત્મા નાશ પામતો નથી. (૧૮)

પહેલાં યમરાજે ‘ઓમ્‌’ની ઉપાસના મનુષ્યને કેવી રીતે બ્રહ્મલોક તરફ અથવા તો સ્વયં બ્રહ્મ તરફ જ દોરી જાય છે, તે સમજાવ્યું. હવે તેઓ નચિકેતાને આત્માના વિષયમાં ખ્યાલ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બ્રહ્મ અને આત્મા – બંને એક અને અદ્વિતીય છે. અને આ અદ્વૈતની અનુભૂતિ કરવી એ જ વેદાંતની દૃષ્ટિએ જીવનનો ઉદ્દેશ છે.

આત્મા વિશે બોલતાં યમરાજ કહે છે કે એ વિશુદ્ધ ચૈતન્ય છે. એ જ્ઞાનસ્વરૂપ જ છે. અને એટલા માટે એ સર્વજ્ઞ – विपश्चित् છે. આ આત્મા જન્મતો નથી. જ્યારે કોઈક વસ્તુ સર્વ પ્રથમ અસ્તિત્વ ધારણ કરે છે, ત્યારે એનો જન્મ થાય છે પણ આત્માનો તો આવો કોઈ જન્મ નથી. એ તો હંમેશાનું હસ્તી ધરાવતું તત્ત્વ છે. એ તો નિત્ય અને શાશ્વત છે, એ તો અનાદિ અને અનન્ત છે.

આત્મા ક્યારેય મરતો નથી. એ મરતો નથી કારણ કે એ જન્મતો નથી. વળી એ કોઈનું કારણ કે પરિણામ પણ નથી. કાર્ય કે પરિણામને પોતાનું કોઈક કારણ હોય છે. એ કારણ ઉપર જ કાર્ય-પરિણામનો આધાર છે. જો કારણ ખસી જાય તો કાર્ય થાય જ નહિ. આત્માને તો આવું કોઈ કારણ નથી, એ પોતે જ બધાં કારણોનું કારણ છે. એ સર્વપ્રથમ કારણ છે.

આત્મામાંથી કશું જન્મતું નથી. કારણ કે પરિવર્તનશીલ વસ્તુ જ કોઈકનું કારણ બની શકે છે. દાખલા તરીકે દૂધ દહીંમાં પરિવર્તન પામે છે. પણ આત્મા તો ક્યારેય પરિવર્તન પામતો જ નથી. એ તો સદાસર્વદા આત્મા જ છે – અપરિવર્તનીય અને અપરિવર્તનશીલ! એ નથી ઉદય પામતો કે નથી અસ્ત પામતો. એ શાશ્વત અને સદા સમાન જ રહે છે. એ પુરાણ પણ છે અને અભિનવ પણ છે. શરીર નાશ પામે છે પછી આત્મા તો અકબંધ જ રહે છે.

નચિકેતાએ યમરાજને પૂછ્યું હતું કે મરણ પછી એ આત્મા ટકી જ રહેતો હોય છે ખરો કે? એના એ પ્રશ્નનો આ ઉત્તર છે.

हन्ता चेन्मन्यते हन्तुं हतश्चेन्मन्यते हतम् ।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते ॥ १९ ॥

हन्ता चेत्, જો કોઈ મારનાર; हन्तुम् मन्यते, માને કે પોતે મારવા માટે ઉદ્યત છે; हतः चेत्, (અને) જો કોઈ હણાયેલો; (आत्मानम्) हतम् मन्यते, માની લે કે આત્મા હણાઈ ગયો છે; उभौ तौ, તે બંને; न विजानीतः, જાણતા નથી; अयम्, આ (આત્મા); न हन्ति, (કોઈને) મારતો નથી; न हन्यते, (કે) કોઈના વડે હણાતો નથી.

જો કોઈ હત્યારો એમ માને કે તે મારવા માટે ઉદ્યત છે અને કોઈ હણાયેલો એમ માને કે (આ આત્મા) હણાઈ ગયો છે, તો તે બંને જાણતા નથી કે આત્મા કોઈને મારતો નથી કે કોઈ દ્વારા પોતે મરાતો પણ નથી. (૧૯)

આ મંત્ર આત્માના સ્વરૂપને વધારે સ્પષ્ટ કરે છે. આ આત્મા કોઈપણ પ્રકારના રૂપાંતરનો વિષય બનતો નથી, તે નિરપેક્ષ છે અને નિર્ગુણ છે – નિર્વિશેષ છે. એ કોઈપણ કર્મનો કર્તા નથી. એ તો આ ઘટનાચક્રવાળા વિશ્વમાં જે કંઈ બને છે, તેનો કેવળ નિર્લેપ સાક્ષી જ છે.

જો કોઈ મનુષ્ય શરીર તરીકે પોતાની ઓળખ આપે તો તે મૂર્ખ-અજ્ઞાની છે. જો કોઈ હત્યારો કોઈને મારી નાખે, તો એ હત્યારાનું શરીર જ એ માણસને હણી રહ્યું છે, આત્મા તો કોઈને હણતો જ નથી. એવી જ રીતે મનુષ્યનો હણાયેલો મનાતો આત્મા કંઈ ખરી રીતે હણાયેલો છે જ નહિ. ફક્ત એનું શરીર જ હણાય છે. આ બન્ને બાબતોમાં આત્મા તો નિર્લેપ જ રહે છે. એ તો કેવળ સાક્ષી જ રહે છે. આ આત્માની હસ્તીને કારણે જ ઈંદ્રિયો સહિત આ શરીર કાર્યરત રહે છે અને જીવન શક્ય બન્યું છે. પણ શરીરને જે કંઈ થાય છે, એનાથી આત્મા તો નિર્લેપ જ છે.

अणोरणीयान्महतो महीया-
नात्माऽस्य जन्तोर्निहितो गुहायाम् ।
तमक्रतुः पश्यति वीतशोको
धातुप्रसादान्महिमानमात्मनः ॥ २० ॥

अणोः अणीयान्, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ; महतः महीयान्, વિશાળથી વિશાળ; आत्मा, આત્મા; अस्य जन्तोः, આ પ્રાણીજગતની (બ્રહ્માથી માંડીને સ્તંબ પર્યંતના જગતની); गुहायाम्, હૃદયરૂપી ગુફામાં; निहितः, રહેલો છે; अक्रतुः, કામનાઓનો ત્યાગ કરનાર; वीतशोकः, કોઈપણ પ્રકારની ચિંતાથી મુક્ત પુરુષ; धातु-प्रसादात्, મન અને બીજી જ્ઞાનેન્દ્રિયો ઉપર એણે સાધેલા સંયમને લીધે; आत्मनः, આત્માના; तम्, તે; महिमानम्, મહિમાને; पश्यति, અનુભવે છે.

આ આત્મા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અને મહાનથી પણ મહાન છે. તે દરેક પ્રાણીમાં (એના પોતાના જ આત્માના રૂપમાં) હૃદયરૂપી ગુફાના ઊંડાણમાં રહેલો છે. જે મનુષ્યે પોતાની બધી કામનાઓ ત્યજી દીધી છે અને પોતાનાં મન તથા ઈંદ્રિયો પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે, તે આત્માની મહત્તાને જોઈ શકે છે. પછી તે બધી ચિંતાઓમાંથી મુક્ત થાય છે. (૨૦)

નાની-મોટી બધી જ વસ્તુઓ આત્મામાંથી આવે છે. સાચી રીતે તો આત્મા જ એ બધી વસ્તુઓ રૂપે બનેલો હોય છે. એટલા જ માટે આત્માને સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ – નાનાથી પણ નાનો અને મહાનથી પણ મહાન – મોટાથી પણ મોટો – કહેવામાં આવ્યો છે.

આવી રીતે આખા વિશ્વમાં આત્મા પ્રકટ થયો છે – અભિવ્યક્ત થયો છે. વળી આ જ આત્મા દરેક પ્રાણીમાં અને દરેક પદાર્થમાં છુપાયેલો છે. જાણે કે કોઈ ગુફાના અંધારામાં તે સંતાયેલો છે. યોગીઓ આ આત્માને પોતાના હૃદયરૂપી ગુફામાં જુએ છે. (અહીં હૃદયને ગુફા કહેવામાં આવેલ છે.) તેઓ પોતાની બુદ્ધિ દ્વારા તેને જુએ છે. તેઓ એને પ્રકાશરૂપે જુએ છે. કારણ કે બુદ્ધિનું અધિષ્ઠાન હૃદય છે અને હૃદયના અધિષ્ઠાન રૂપે આત્માને વર્ણવવામાં આવેલ છે.

આ આત્મા ઘણો જ સૂક્ષ્મ છે. ઈંદ્રિયસુખોમાં રચ્યાપચ્યા મનુષ્ય માટે એને પામવાનો કોઈ જ રસ્તો નથી. આવા મનુષ્ય પાસેથી તો જાણે આત્મા પોતે જ પોતાને છુપાવતો હોય એવું થાય છે. ફક્ત શાંત મનવાળો મનુષ્ય જ એ આત્માને જોઈ-જાણી શકે છે. પણ મન શાંત થાય છે ક્યારે? જ્યારે તમે બધી કામનાઓને છોડી દો ત્યારે જ મન શાંત થાય છે. કામનારહિત મનમાં ક્યારેય ખલેલ પહોંચતી નથી. જો તમારા મનમાં કોઈ કામના હોય અને એ પૂર્ણ થઈ જાય તો તો તમે ખુશ થવાના પણ જો પૂર્ણ ન થાય તો તમે દુ:ખી દુ:ખી જ થઈ જવાના. પણ એ બંને રીતમાં પણ તમારા મનમાં ખલેલ-ખળભળાટ – તો રહેવાનો જ. અને એવું ક્ષુબ્ધ – ખળભળેલું મન તો જેમાં વમળ ઊઠતા હોય એવા તળાવ જેવું છે. જો વમળો ઊઠતા હોય તો એ તળાવની સપાટીની નીચે પાણીમાં શું છે, તે તમે જોઈ શકતા નથી; પણ એ પાણી શાંત હોય તો તળાવને તળિયે પડેલા એક નાનકડા સિક્કાને પણ તમે જોઈ શકો છો. એવી જ રીતે જ્યારે તમારું મન શાંત હશે, ત્યારે આત્મા પોતે જ પોતાને પ્રકાશિત કરી દેશે. એ તો તમે પોતે જ સ્વચ્છ અરીસામાં તમને પોતાને જોતા હો એવું છે.

જ્યારે તમને આવો સાક્ષાત્કાર થશે ત્યારે તમને એ દર્શન થશે કે જે તમારો આત્મા છે, તે જ સૌનો આત્મા પણ છે. મનુષ્ય જે ઇચ્છી શકે તેવી ઉચ્ચતમ આધ્યાત્મિક અનુભૂતિ આ છે.

आसीनो दूरं व्रजति शयानो याति सर्वतः ।
कस्तं मदामदं देवं मदन्यो ज्ञातुमर्हति ॥ २१ ॥

(આ આત્મા) आसीनः, બેઠેલો હોવા છતાં (એટલે કે ગતિહીન હોવા છતાં); दूरम्, ખૂબ દૂર દૂર; व्रजति, જઈ શકે છે; शयानः, પથારીમાં સૂતો રહ્યો હોવા છતાં; याति, જઈ શકે છે; सर्वतः, બધી જગ્યાએ; तम् मद-अमदम् देवम्, એકી સાથે આનંદિત અને નિરાનંદિત એવા આત્માને; मत् अन्यः कः, મારા સિવાય બીજો કોણ; ज्ञातुम् अर्हति, જાણવા માટે યોગ્ય—સમર્થ—છે.

આ આત્મા ગતિહીન છે અને છતાં પણ એ ચારે બાજુ ગતિ કરે છે. એટલે કે એ ‘અક્રિય’ છે, છતાં પણ એ અત્યંત ‘સક્રિય’ છે. તે આનંદસ્વરૂપ અને નિરાનંદ સ્વરૂપ – બંને છે. એવા આત્માને મારા સિવાય બીજો ક્યો જાણી – સમજી શકે? (૨૧)

આ મંત્ર આત્માની પ્રશંસા કરે છે. અને એની મહત્તા અને સૂક્ષ્મતા ઉપર ભાર મૂકે છે. આત્માનાં બે પાસાં છે. એક પાસાંમાં તે ગતિશૂન્ય છે, અચલ અને કૂટસ્થ છે. પણ બીજાં પાસાંમાં તે ગતિશીલ છે, સક્રિય છે, દૂર દૂર સુધી પહોંચી જનારો અને કર્મઠ છે. એ આનંદમય અને નિરાનંદમય – બંને છે. બધાં વિરોધી દ્વન્દ્વોનું એ મિલન કેન્દ્ર છે. જેના ઉપર બધું જ રહી શકે તેવું સર્વસાધારણ અધિષ્ઠાન હોવાને લીધે તે બધી જ દેખાતી વિવિધતાનું ઐક્ય – અદ્વૈતરૂપ છે. એ એક એવા પડદા જેવો છે કે જેના ઉપર હાલતાંચાલતાં ચિત્રોનું આરોપણ થયું હોય.

આ આત્મા વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. અહીં વિશુદ્ધનો અર્થ ‘કોઈપણ ગુણ વગરનો’ – એવો થાય છે (નિર્ગુણ). આ આત્મા બધું જ હોવા છતાં તમે એને વિશે કશું જ કહી શકતા નથી. ‘એ બધું જ છે’ એ કહેવાનો અર્થ એ છે કે તે બધી વસ્તુઓની ભીતર અનુસ્યૂત છે. એ બધાંનો એક સર્વસામાન્ય સમાન આત્મા છે. એ બધામાં હોવા છતાં ઘણી સંખ્યામાં નથી – ઘણાં નામો અને ઘણાં રૂપોમાં એ એક – અદ્વિતીય જ છે. અનેક નામ – રૂપો સાથે તે જોડાય છે ત્યારે એ એક જ અનેકરૂપે થાય છે. પણ એ તો ખાલી દેખાવ પૂરતું જ પરિવર્તન છે. એ કંઈ સાચું – વાસ્તવિક રૂપાંતર નથી.

વિશુદ્ધ ચૈતન્ય સક્રિય પણ નથી અને નિષ્ક્રિય પણ નથી. પણ માનવજાતની જાગ્રત અવસ્થામાં એ સક્રિય – હાલતુંચાલતું દેખાય છે. જાગ્રત અવસ્થામાં મનુષ્ય શારીરિક રીતે અને માનસિક રીતે – એમ બંને રીતે સક્રિય હોય છે. અને ત્યારે તે જે કંઈ કરે છે તે બધું આત્માને શિરે જ આરોપવામાં આવે છે. જાણે કે આત્મા જ એ બધું કરતો કારવતો ન હોય! આ અજ્ઞાન છે : આત્મા તો કશું જ કરતો નથી. એ તો કેવળ સાક્ષી તરીકે જ રહેલો છે. વળી એક બીજી પણ અવસ્થા છે કે જેમાં મનુષ્ય નિ:સ્વપ્ન અને ગાઢ નિદ્રાનો આનંદ માણે છે. જ્યારે એ જાગે છે ત્યારે કહે છે કે ‘હું ખૂબ સુખપૂર્વક ઊંઘ્યો છું.’ અને ત્યારે થોડા વખત માટે તો એને એ પોતે ક્યાં છે અને દિવસનો ક્યો સમય ચાલે છે એની ખબર પણ પડી શકતી નથી. જાણે કે એ મરી ગયા પછી પાછો જીવતો બેઠો થયો હોય એવું તેને લાગે છે! ખરેખર તો એ વખતે એવું બન્યું હોય છે કે ચેતના – એટલે કે આત્મા – એ વખતે શરીર પરના અને મન પરના પોતાના થયેલા આરોપણમાંથી કામચલાઉ રૂપે મુક્ત થઈ જતો હોય છે. આવે સમયે આત્મા ‘ગતિશૂન્ય’ (आसीनः शयानः) થઈ જાય છે. જ્યારે તે ફરી પાછો શરીર અને મન સાથે જોડાય છે, ત્યારે તે ચોતરફ ગતિ કરવા માટે સક્ષમ જણાય છે. (दूरं व्रजति) વળી તે આનંદરૂપ અને નિરાનંદરૂપ બંને છે (मोद-अमोदम्‌) ગમેતેમ પણ આત્મા તો જેવો છે, તેવો જ રહે છે – વિશુદ્ધ અને નિર્વિશેષ જ રહે છે.

‘એ આત્માને મારા જ જેવા બીજા સિવાય બીજો કોણ જાણવા માટે યોગ્ય છે?’ – આ કથન દ્વારા યમરાજ શું કહેવા માગે છે? એનો અર્થ એ છે કે શાસ્ત્રો દ્વારા બતાવેલી શરતોને જે મનુષ્યે સાચી રીતે પૂરી કરી છે, ફક્ત તે જ મનુષ્ય આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે.

अशरीरं शरीरेष्वनवस्थेष्ववस्थितम् ।
महान्तं विभुमात्मानं मत्वा धीरो न शोचति ॥ २२ ॥

अशरीरम्, અરૂપ; (છતાં) शरीरेषु, બધાંય રૂપોમાં; अनवस्थेषु, અસ્થાયી વસ્તુઓની વચ્ચે; अवस्थितम्, સ્થાયી અસ્તિત્વ રૂપ; महान्तम्, મહાન; विभुम्, સર્વવ્યાપક; आत्मानम्, પોતાના આત્માને; मत्वा, ચિંતન મનન કરીને; धीरः, સુજ્ઞ મનુષ્ય (એ સુજ્ઞજન—શાણો મનુષ્ય છે કારણ કે તે પોતાને આ આત્મા તરીકે ઓળખે છે); न शोचति, ક્યારેય શોક કરતો નથી. (એને શોક પામવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી.)

બધાં જ રૂપોમાં આત્મા વિદ્યમાન છે, છતાં પણ પોતે તો અરૂપ જ છે. બધી જ ‘અસ્થાયી’ વસ્તુઓમાં તે એકમાત્ર જ ‘સ્થાયી’ છે. આ આત્મા મહાન અને સર્વવ્યાપક છે. પોતાના આત્માને આ સ્વરૂપવાળા આત્મા તરીકે ઓળખીને સુજ્ઞજન શોકને તરી જાય છે. (૨૨)

આત્માની પ્રશંસા આગળ વધે છે. જગતમાં અનેકવિધ રૂપો – આકારો છે. અને એ દરેક આકારમાં આત્મા પરોવાયેલો છે. પણ એ પોતે તો નિરાકાર જ છે. એ આકાશ જેવો છે. આકારો તો ઘણા બધા છે પણ આત્મા તો એક અને અદ્વિતીય જ છે. એની પશ્ચાદ્‌ભૂમિમાં રહેલો સિદ્ધાંત ‘અનેકતામાં એકતા’ હોવાનો છે. આકારો બધા પરિવર્તનશીલ અને નાશવંત છે. પણ આત્મા અપરિવર્તનશીલ, અમર અને સર્વદા એકસરખો જ રહે છે. એ મુક્ત છે, સ્વતંત્ર છે અને કોઈપણ જાતના બંધનનો વિષય નથી. એ ‘અંત:સ્થ’ પણ છે અને ‘ઊર્ધ્વસ્થ’ પણ છે એ સર્વરૂપ છે. એ બધામાં છે પણ એને એ બધાં ઓછો કે ક્ષીણ કરી શકતાં નથી. એ બધાંની બહાર પણ છે. એ પાણીમાં ડૂબેલા ઘડા જેવો છે. ત્યારે ઘડાની અંદર તો પાણી હોય જ છે પણ ઘડાની બહાર પણ પાણી હોય છે.

મંત્ર કહે છે કે સુજ્ઞજન પોતાને ‘એ આત્મા જ પોતે છે’ એવું ચિંતનમનન કરે છે. પણ એ એ ખાલી ચિંતનમનન કરે છે એટલું જ કહેવાનો અહીં અર્થ નથી. એ એનો સાક્ષાત્કાર – એની અનુભૂતિ – કરે છે, એ અર્થ છે. એણે એનો સીધો, વ્યક્તિગત અપરોક્ષ અનુભવ કરવો જ જોઈએ કે આ આત્મા તે પોતે છે. જ્યારે મનુષ્યને આવો અનુભવ થાય, ત્યારે તે મોક્ષ પામે છે. ત્યારે તે ‘ઘણા’ની સાથે એકાકાર થઈ જાય છે. વ્યક્તિગત આત્મા વિશ્વાત્મામાં ભળી જાય છે.

Total Views: 163

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.