આ રીતે પરમાત્મવિષયક અનેક દૃષ્ટિકોણમાં તેમણે જગતમાં સર્વ પ્રાણીઓને અને સર્વે પદાર્થોને આવરી લઈને પરમતત્ત્વની સર્વવ્યાપકતા દર્શાવી છે. એનો અર્થ એ થયો કે પરમસત્તા પારમાર્થિકરૂપે નિરપેક્ષ તો છે જ પણ સાપેક્ષ ભૂમિકા પર રહીને વિચારીએ તો એ જ પરમસત્તા વિવિધ દૃષ્ટિકોણોથી ‘અનેકધર્માત્મક’ બને છે અને બધા મણકાઓમાં અનુસ્યૂત દોરાની પેઠે સર્વપ્રાણીઓ અને પદાર્થોમાં અનુસ્યૂત છે, આ વ્યાવહારિક સત્તા થઈ.

શ્રીરામકૃષ્ણની પોતાની પસંદગી તો પેલા નિરપેક્ષ પરમસત્ય ઉપર જ ઊતરી હતી. પણ તેમનો અભિગમ તો એવો જ હતો કે એક જ પરમતત્ત્વના અવસ્થાન્તર સિવાય બીજો કોઈ ભેદ છે જ નહિ. અને માનવના વ્યક્તિત્વની એની હસ્તી (સત્તા)ને સ્વીકારી લઈએ તો પણ એની સાથે પેલા નિરપેક્ષ પારમાર્થિક સત્નો – પરમતત્ત્વનો – કોઈ જ વિરોધ નથી. એટલે જ તેઓ માનવતાવાદી અને સંવેદનશીલ રહી શકયા હતા. આ રીતે તેમના કથામૃતમાંથી માનવીય સંબંધો અને લાગણીઓની મૂલ ગંગોત્રીનાં દર્શન થઈ શકે છે.

શ્રીરામકૃષ્ણની નિરપેક્ષ પરમસત્ તરફની પોતાની પસંદગી આપણને શંકરના અદ્વૈત વેદાંતની અને બૌદ્ધદર્શનની યાદ અપાવે છે એ તો ખરું, પણ આમ છતાંયે તેમનાં કથામૃતમાંનાં કેટલાંક વિધાનો એવું દર્શાવે છે કે ઈશ્વરની શક્તિઓ પણ ઈશ્વરના જેટલી સત્ય છે. અને એ શક્તિઓ જે જે વિષયોમાં પ્રકટ થાય છે તે વિષયો પણ સત્ય – વાસ્તવિક – જ ગણવા જોઈએ. આ વાત સમજવા માટે ‘કથામૃત’માં બે ત્રણ ઉદાહરણો આપણને જોવા મળે છે. એ ઉદાહરણોમાં એક બિલ્વફળનું ઉદાહરણ વધારે રસપ્રદ છે. જો આપણને બિલ્વફળનો ફક્ત ગર – અંદરનો માવો – જ જોઈતો હોય, તો આપણે એની છાલ અને અંદરનાં બીજ વગેરેને ફેંકી દેવાં પડે. પણ જો આપણે આખાયે બિલ્વફળનું વજન કરવું હોય તો? તો તો છાલ, બીજ, ગર – બધાંને ભેગાં કરીને જ વજન કરવું પડે! એવી જ રીતે જો નિરપેક્ષને જ આપણે પામવું હોય, તો ભૌતિક જગત અને માનવ વ્યક્તિત્વ – એ બંનેને કાઢીને એક બાજુ મૂકી દેવાં જોઈએ. પણ આપણે જો વ્યક્ત – અવ્યક્ત – સમગ્ર રીતે આનંદમય પરમસત્ત્વનું અખિલાઈભર્યું સ્વરૂપ જાણવા માગતા હોઈએ, તો પછી પરિમિત જગત અને જીવને પણ લક્ષમાં લેવાં જ જોઈએ. આ રીતે અંતિમ પૃથક્કરણમાં બધું એક જ છે. દેખાતી ભિન્નતા ફક્ત એટલું જ બતાવે છે કે એકતામાં અનેકરૂપે પ્રકટ થવાની એક અનિર્વચનીય શક્તિ છે. કેવલાદ્વૈત, વિશિષ્ટતાદ્વૈત અને દ્વૈતનો કથામૃત સિવાય આવો સમન્વય હજુ સુધી કયાંય જોવા મળ્યો નથી અને એ પણ ઘરગથ્થું ભાષા અને બાળકને ય ગળે ઊતરી જાય એ રીતે કરેલો છે!

શ્રીરામકૃષ્ણ માનવસહજ મર્યાદાઓના પણ પૂરા જાણકાર છે. આવી મર્યાદા દર્શાવતું એક ગાંડા હાથીનું ઉદાહરણ સહેજે આપણું ધ્યાન ખેંચે છે: એક ગુરુએ પોતાના શિષ્યને સર્વત્ર ઈશ્વરને જોવાનો બોધ આપ્યો. એક વખત ગાંડા હાથીને પોતાની સામે આવતો જોઈને એ શિષ્ય ગુરુની આજ્ઞા પ્રમાણે એ હાથીમાં ભગવાનને જોવા લાગ્યો. મહાવતે ખૂબ ચીસો પાડીને એને ચેતવ્યો છતાં એ ન જ ખસ્યો. પરિણામે હાથીએ  એને સૂંઢથી પછાડયો.’ ગુરુ પાસે જઈને એણે ‘સર્વત્ર ભગવદ્ર્શન’ના ઉપદેશની નિષ્ફળતા વર્ણવી. ત્યારે ગુરુએ નિસાસો નાખીને કહ્યું કે ‘અરે મૂર્ખ! હાથીમાં તેં ભગવાન જોયા તો મહાવતમાં કેમ ન જોયા?’ આ ઉદાહરણમાં ભૂમિકાનો તફાવત, સમજણની અધૂરપ અને એનાથી ઊભી થતી હાનિ બાલભોગ્ય ભાષામાં કેવી અભિવ્યક્ત થઈ છે!

સૌજન્ય માટેના અપેક્ષિત ગુણોમાં શ્રીરામકૃષ્ણ આત્મનિરીક્ષણ અને તે દ્વારા આત્મપરીક્ષણને તેમજ આત્મપરિચયને મુખ્ય માને છે. આત્માની ઓળખ હોય તો  જ આત્મસંયમ કેળવી શકાય. આ આત્મસંયમની સાથે જ અસીમમાં ઊડવાની ક્ષમતા, સંકુચિતતા – જગતની મર્યાદાથી મુક્ત થવાની શક્તિ પણ કેળવવી જોઈએ એમ શ્રીરામકૃષ્ણ કહેતા – તદુપરાંત તેઓ નિખાલસતા અને નમ્ર્રતાને પણ સૌજન્યના ગુણો તરીકે માને છે. આ બધાંની સમજણ એમણે ‘કથામૃત’માં એક ત્રાજવાંના ઉદાહરણ દ્વારા આપી છે: વજનદાર ત્રાજવું જેમ નીચે નમે છે, તેમ જ સદ્ગુણી માણસે નમ્ર્ર બનવું જોઈએ. ખાલી ત્રાજવું જ હવામાં અધ્ધર ઊડયા કરે છે. હવામાં ફંગોળાયા કરે છે. વજનદાર ત્રાજવું ગૌરવવંતા માનવીનું પ્રતીક છે અને ખાલી ત્રાજવું હલકા માણસનું પ્રતીક છે એ સ્પષ્ટ છે. ‘કથામૃત’માં શ્રીરામકૃષ્ણે પોતાના શિષ્યોને આ શીખ વારંવાર આપ્યા કરી છે.

કામિની-કાંચનના ત્યાગને શ્રીરામકૃષ્ણ આધ્યાત્મિક જીવનની પૂર્વશરત માને છે. ત્યાગ અને અનાસક્તિથી મનને માંજ્યા સિવાય મનુષ્ય કયારેય આધ્યાત્મિક બની શકતો જ નથી. એમણે આસક્તિવાળા મનને લાંબા સમયથી ભેજમાં પડી રહેલી અને તેથી સળગી જ ન શકે તેવી દીવાસળી સાથે સરખાવ્યું છે. ત્યાગથી પહેલાં મન નિર્મળ બનવું જોઈએ અને ત્યાર પછી જ નૈતિક અને આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે.

માનવમનની સંસારજન્ય ઘરેડના શ્રીરામકૃષ્ણ અચ્છા જાણકાર હતા. ‘કથામૃત’માં આ વિષયની બે બોધકથાઓ મળી આવે છે. એમાંથી એક વાત રેશમના કીડાની છે. એ રેશમનો કીડો એના પોતાના જ ઘરમાં સપડાઈને મરી જાય છે પણ એ ઘર એણે કેટલી ધીરજ અને કેટલા ખંતથી બનાવ્યું હોય છે? કીડો ઘર બનાવીને પોતાની જ ઘોર ખોદે છે ને? હાથે કરીને હાનિ વહોરવાની એની સંસ્કારજન્ય ઘરેડ કેવી છે? બીજી વાત માછણની છે. એ માછણ માછલાંની ગંધથી એવી તો ટેવાઈ ગઈ છે કે પોતાની બહેનપણીને ઘેર ફૂલોની સુવાસમાં એને ઊંઘ ન આવી. માણસ પણ માયિક સંસ્કારોથી એવો ટેવાયેલો છે કે એને આધ્યાત્મિકતા અણગમતી લાગે છે. આદતથી એ મજબૂર બની જાય છે!

‘કથામૃત’નો લગભગ ત્રણ ચતુર્થાંશ ભાગ આશ્ચર્યકારક રીતે ગૃહસ્થાશ્રમીઓને ઉદ્દેશીને જ લખાયો છે! સામાન્ય રીતે વેદાંતી ઉપદેશકો સંસારની અસારતા વર્ણવી એને નિન્દ્ય ઠરાવતા હોય છે, એનાથી ‘કથામૃત’ના ઉપદેશો તદ્દન વિરુદ્ધ છે. ‘કથામૃત’માં સીધી કે આડકતરી રીતે કયાંય ગૃહસ્થજીવનની નિન્દા નથી જ. શ્રીરામકૃષ્ણ માટે આ વિશ્વ કંઈ ભ્રમણા નથી, તેમજ કૌટુંબિક જવાબદારીઓ આધ્યાત્મિક જીવનના વિઘ્નરૂપ નથી. આપણા વૈયક્તિક લાભને માટે આપણે સત્યનો જ આશ્રય કરવો જોઈએ. શ્રીરામકૃષ્ણ ગૃહસ્થીઓને આ પ્રમાણે ઉપદેશે છે કે –

‘કામિની-કાંચનનો ત્યાગ તો સંન્યાસીઓ માટે છે… પણ આવો ત્યાગ કંઈ ગૃહસ્થીઓ માટે નથી… તમે સ્ત્રીઓ સાથે બને તેટલા અનાસક્ત ભાવે રહી શકો છો… અવારનવાર એકાંતમાં રહીને ઈશ્વરનું ચિંતન કરતા રહો… જો તમને ઈશ્વરમાં શ્રદ્ધા હશે અને જો તમે તેને ચાહતા હશો તો ઘણા વખત સુધી તમે અનાસક્તિભર્યું જીવન વિતાવી શકો… એક કે બે સંતાનો ઉત્પન્ન થયા પછી પરિણીત યુગલે ભાઈ-બહેનની જેમ રહેવું જોઈએ.’

‘પ્રભુભક્તોએ આ વિશ્વને ઈશ્વરનું ઘર માનવું જોઈએ અને સગાસંબંધીઓને તથા અન્ય સર્વને ઈશ્વરનાં જ સંતાનો સમજવાં જોઈએ. ગૃહસ્થે પોતાના પરિવારમાં રહીને પોતાને ભાગે આવેલી પારિવારિક જવાબદારીઓ નિભાવવી જોઈએ. અને એ જવાબદારીઓના નિભાવમાં ઈશ્વરની સેવાની જ ભાવના રાખવી જોઈએ. તેમજ તે વખતે મનમાં ઈશ્વરને રાખીને વિવેકપુર:સર અને અનાસક્તિના ભાવથી અમલ કરવો જોઈએ.’… વગેરે.

શ્રીરામકૃષ્ણ એક સ્ત્રીભક્તને તેના ભત્રીજાને ગોપાલ માનીને એની કાળજી લેવાની સલાહ આપે છે. અને એ રીતે પણ જગતની આસક્તિમાંથી છૂટકારાનો ઉપાય સૂચવે છે. પરિવારજનો સાથે રહીને પોતાની સઘળી જવાબદારીઓ નભાવતાં નભાવતાં પણ જે લોકો ભગવાનમાં મન પરોવવા શક્તિમાન બને છે, તેને શ્રીરામકૃષ્ણ ‘વીરપુરુષ’ કહે છે. તેઓ જાણે કિલ્લામાં રહીને બધી તરફના આક્રમણ સામે લડી રહ્યા છે! આવા સંજોગોમાં તેઓ ઈશ્વર પ્રત્યે જે કંઈ થોડું ઘણું પણ નિષ્ઠાથી ઈશ્વરભજન કરતા હોય, તો શ્રીરામકૃષ્ણ કહે છે કે ભગવાન તેમના ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે: ગૃહસ્થનું આવું પ્રેમળ હૃદય અવશ્ય જ ઉષ્માનો અનુભવ કરશે. આ માટે પોતે પાણીમાં રહેવા છતાં કિનારા પરનાં ઈંડાનું ચિંતન કરતી જળકૂકડીનું તેમનું દૃષ્ટાંત જાણીતું છે.

આવું કરવા માટે શ્રીરામકૃષ્ણ નારદીય ભક્તિનો મહિમા ગાય છે અને  ગૃહસ્થ માટે એ જ ઉપાય સૂચવે છે. ભગવાનનું સ્મરણ કરવા માટે આપણને સક્ષમ બનાવવા માટે શ્રીરામકૃષ્ણ અનેક ઉપાય સૂચવે છે પણ આ નારદીય ભક્તિનો ઉપાય તેમાં ઊડીને આંખે વળગે તેવો છે. ‘કલૌ તવહરિકીર્તનાત્‌’ નું ભાગવતી કથન ઉપાય તરીકે આપણી સમક્ષ મૂકતાં તેઓ કહે છે:

‘ઋષિઓની પેઠે કઠિન તપસ્યા કરવાનો સમય જ તમારી પાસે કયાં છે? તમે લોકો અલ્પાયુ છો. તમારા પ્રાણ અન્નગત છે. યજ્ઞ – યાગ કરવાનો આવડો મોટો આડંબર કરવાની તમારે જરૂર નથી.’…ત્યારે ઉપાય શો?… ઠાકુર જવાબ આપે છે: ‘આ યુગમાં તો એકાગ્રચિત્તે હરિનામ જપવાથી જ સંસારવ્યાધિ દૂર થાય છે.’ સંસારવ્યાધિમાંથી છૂટવા ઠાકુરે તો વિવિધ ઘણા માર્ગો બતાવ્યા છે. એમાં તેમણે નારદીય ભક્તિની ભલામણ મુખ્ય કરી છે. આ ભક્તિ કાંઈ સાંપ્રદાયિક વિશિષ્ટ ભક્તિ નથી. નારદીય ભક્તિ શુદ્ધ ભક્તિ છે, સંપૂર્ણ શરણાગતિની ભક્તિ. એમાં ભક્ત ભગવાનને ચરણે આત્મસમર્પણ કરે છે. આ આત્મસમર્પણ કેવી રીતે કરવું, તે ઠાકુરે બતાવ્યું છે. તેઓ કહે છે: ‘મા, હું કશું જ જાણતો નથી, તમે જ મને બધું બતાવી દો, બધું સમજાવી દો. તમને જે રીતે મેળવી શકાય, તમારાં દર્શન કરી શકાય, તે બધાં સાધનભજન હું જાણતો નથી. જે કંઈ કરવા યોગ્ય હોય તે બધું તમે જ મારી પાસે કરાવી લો.’ આનું નામ જ સર્વસમર્પણ કહેવાય છે. આવી નારદીય ભક્તિનો ઉદ્દેશ એ છે કે ભક્ત ભગવાન પાસે કશું જ માગતો નથી, કશું જ બીજું નહિ પણ એને પોતાને (ભગવાનને) જ માગે છે, કેવળ ભગવાનને જ તે ચાહે છે. આ નિષ્કામ ભક્તિ છે. એમાં આપણા રોગદોગ મટાડી દેવાની કોઈ માગણી ભગવાન પાસે કરવાની હોતી નથી. ભગવાન કોઈ સાધન નથી, પણ એ જ સાધ્ય છે. સંપત્તિની વૃદ્ધિ, સ્વજનોનું સુખ, લાંબી આવરદા અને એવું ઘણું બધું તો સામાન્ય માનવીની જ સહજ આકાંક્ષામાં હોય છે. આવી આકાંક્ષાઓની પૂર્તિ માટે ભગવાનની પ્રાર્થના કરવાની રામકૃષ્ણ ના જ પાડતા. તેઓ કહેતા: ‘રાજા પાસે જઈને શું કોઈ દૂધી કે તુંબડું માગશે ખરો કે?’ આવું બધું તુચ્છ તો એ આપે જ છે. એમાં ન આપી શકવાપણું કશું જ નથી. એ તો કલ્પતરુ છે, આ સિવાય પણ તેઓ ઘણું ઘણું આપી શકે તેમ છે.’ એની પાસે તો જે માગીએ તે મળે! તો પછી નાની નાની વસ્તુઓ શા માટે માગવી? શા માટે એમને પોતાને જ ચાહવા ના માંડીએ? જ્યારે એમને પોતાને જ મેળવી લઈશું, ત્યારે તો પછી માગવાનું બાકી જ શું રહે?…’ ગીતા પણ કહે જ છે ને કે ‘તેમને મેળવ્યા પછી કાંઈ મોટી લાભપ્રાપ્તિ રહેતી જ નથી.’ (ગીતા, ૬/૨૨)

શ્રીરામકૃષ્ણે જે રીતે નિંષ્કામ ભક્તિથી ઈશ્વરપ્રાપ્તિની વાત કહી છે, તેવી જ રીતે, પરમ- સર્વોત્કૃષ્ટ જ્ઞાનની પણ વાત કરી છે. એક વેદાંતી સ્વબુદ્ધિની સહાયથી વેદાંત વિચારમાં જેટલો ઊંડો ઊતરી શકે છે તે વિશે ઠાકુર આ પ્રમાણે કહે છે: ‘તમારા વેદાંતમાં વાત તો આટલી જ છે ને કે ‘અસ્તિ’, ‘ભાતિ’ અને ‘પ્રિય’! આ અસ્તિ – ભાતિ – પ્રિયને લઈને તમે વિચારો છો. તાત્પર્ય તો એક જ છે.’ સારભૂત તત્ત્વવાળી વાત એ જ છે કે તે ‘છે’, તે ‘પ્રકાશે છે’ અને તેઓ ‘આપણા પ્રિય’ છે! બસ, આટલી જ વાત સમજી લેવાથી તમારું વેદાંતનું કાર્ય પૂરું થઈ ગયું! વાત તો જાણે સાચી છે, પણ આટલું માત્ર કહેવાથી આપણી બુદ્ધિનું આણું આપણે પાથરી નહિ શકીએ ને? આપણે તો આપણી પંડિતાઈ દેખાડવા માટે એમાં પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ અને વળી પાછો પૂર્વપક્ષને સિદ્ધાંતપક્ષમાં પલટાવીને પ્રસ્થાપિત કરવો અને એવા એવા કંઈક ખેલ કરવા પડશે ને? ‘ના’ ને ‘હા’ માં પલટાવવી પડશે અને ‘હા’ ને ‘ના’માં ફેરવવી પડશે! આવું બધું કરવાનું તમારે શું પ્રયોજન છે ભલા? તમારે તો ભાઈ! ગમે તે રીતે અહંકારનો નાશ કરવાનો છે. આ સિવાય ખરો જ્ઞાની વળી બીજું કરે છે ય શું? ‘હું મર્યો ને છૂટી જંજાળ!’ એટલે આ અહંકારને જ જેમ બને તેમ મારી નાખો. પછી એ કામ ભલે જ્ઞાન દ્વારા કરો, ભક્તિ દ્વારા કરો કે કર્મ દ્વારા કરો.’

જ્ઞાન, ભક્તિ અને કર્મના પરંપરાથી ચાલ્યા આવતા ત્રણ સાધનામાર્ગોમાં જ્ઞાન દ્વારા ઈશ્વર સાથે કરાતા યોગ – જોડાણને રામકૃષ્ણ ‘જ્ઞાનયોગ’ કહે છે, ભક્તિ દ્વારા ઈશ્વર સાથે કરાતા યોગ (જોડાણ)ને ‘ભક્તિયોગ’ કહે છે અને કર્મ દ્વારા કરાતા ઈશ્વર સાથેના જોડાણ (યોગ)ને ‘કર્મયોગ’ કહે છે. ‘ભક્તિયોગ’ને તો તેઓ જ્ઞાનયોગનું જ એક સ્વરૂપાંતર સમજે – માને છે. તેમના મત પ્રમાણે આ ત્રણેય માર્ગો – યોગો ઈશ્વરના સાક્ષાત્કાર તરફ દોરી જાય છે. એમાં કોઈ પહેલો કે કોઈ બીજો – ત્રીજો એવા ક્રમ નથી. આવી રીતે તેમની વિભાવના આ વિષયમાં સ્થિતિસ્થાપક છે. કોઈ પણ યોગમાર્ગનું અનુસરણ કરવું તે સાધકની રુચિ-પસંદગી ઉપર આધાર રાખે છે. ત્રણેય યોગોને સાથે રાખીને પણ ઈશ્વરપ્રાપ્તિની સાધના થઈ શકે તેમ તેઓ કહે છે.

આ સમજાવવા માટે તેઓ ઉદાહરણ આપે છે: એક સોની સોનું ગાળતી વખતે એ કામમાં મંડી જ પડે છે. એક હાથમાં ધમણ, એક હાથમાં પંખો, મોઢામાં ફૂંકણી રાખીને મંડી જ પડે છે. જ્યાં સુધી તીવ્ર અગ્નિથી સોનું પીગળી ન જાય, શુદ્ઘ થઈ ન જાય, ત્યાં સુધી બસ, મંડી જ પડે છે. આવી જ રીતે પ્રભુ માટે માનવના અંતરમાં પ્રબળ તલસાટ જાગે, ત્યારે તે ઈશ્વર જ્યાં સુધી ન મળે ત્યાં સુધી બધી રીતે – જ્ઞાન દ્વારા, ભક્તિ દ્વારા, કર્મ દ્વારા – સમગ્ર પ્રાણાર્પણથી એમાં જ રચ્યો પચ્યો રહે છે. આમ સીધી – સાદી – તળપદી ભાષામાં અને ઘરગથ્થુ દાખલાઓ આપીને શ્રીરામકૃષ્ણ જ્ઞાન – ભક્તિ – કર્મમાર્ગનું સામંજસ્ય સ્થાપી આપે છે.

શ્રીઠાકુરના મત પ્રમાણે જ્ઞાન અને કર્મને વિશુદ્ધ કરવા માટે ભક્તિ છે. ભક્તિ એ જ્ઞાન અને કર્મ – બંનેનું પ્રભાવક તત્ત્વ છે. એક બાજુ ભક્તિથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તો બીજી બાજુ કર્મમાર્ગમાં પણ ભક્તિ ઢાલ બનીને ઊભી રહે છે. આ રીતે શ્રીરામકૃષ્ણે ભક્તિરૂપી સૂત્રમાં જ્ઞાન અને કર્મના મણકા પરોવી દીધા છે, એવું પ્રથમ દૃષ્ટિએ સમજાય છે. આનો અર્થ એ હોઈ શકે કે જ્ઞાનયોગ અને કર્મયોગમાં પણ ભક્તિની હસ્તી અવશ્ય હોય છે.

‘કથામૃત’માં આ ત્રણેય માર્ગનાં સ્વરૂપો, એની પદ્ધતિઓ, પાત્રતા, ક્રમિક ઉપાયો, ત્રણેય યોગોનો પારસ્પરિક સંબંધ વગેરે ઉપર વ્યાપક અને ઊંડું માર્મિક અવગાહન કરેલું નજરે પડે છે. છતાં આ વિષયમાં થયેલા નિરૂપણમાં સામાન્ય માણસથી ન પકડી શકાય તેવા વિચારો પણ છે. છતાં પણ એ વિચારોમાં અમુક દાર્શનિક પસંદગીઓ, નિષ્ઠા, અને અમુક વિશિષ્ટ વલણો ઉપસતાં તો અવશ્ય જણાય જ છે. એનું કારણ તો એ જ છે કે શ્રીરામકૃષ્ણ પોતે વિવિધ ગહન સાધનાપથમાં સિદ્ધ થયેલ  ‘દૃષ્ટા’ હતા, એ એનાંથી છતું થાય છે.

શ્રીરામકૃષ્ણ પોતાના સમકાલીન સમાજ સુધારકોના અભિગમ વિશે ઘણું ખરું તો સહમત થતા નહિ, પરંતુ સામાજિક વિષમતા તરફ તેઓ અત્યંત સંવેદનશીલ હતા. એમનો તત્કાલીન સમાજસુધારકો પ્રત્યેનો વાંધો એ જ હતો કે એમનામાં આધ્યાત્મિકતા ન હતી. તેઓ આધિભૌતિક સુખવાદમાં જ રાચતા આવા સુધારકો પ્રત્યે ઉદાસીનતા સેવતા હતા. અથવા તો કટાક્ષભરી વાણીમાં એવાઓનો ઉપહાસ કરતા જણાય છે. તેઓ માનતા કે દરેક કાર્યનો પાયો આધ્યાત્મિક હોવો જોઈએ, આધિભૌતિક નહિ! બ્રાહ્મોસમાજના સુધારકો તરફ તેમનો સદ્ભાવ હોવા છતાં તે લોકોની પદ્ધતિઓને તેમણે નકારી કાઢી હતી. ‘કથામૃત’માં એવા છીછરા સમાજસુધારકોના ઉપરછલ્લા સંદર્ભોનો પરિચય થાય છે.

(ક્રમશ:)

Total Views: 11

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.