અગાઉના રાજાઓના મસ્તિષ્કમાં ન જાણે કેટલી જાતનાં ખ્યાલ રમતા. તેવો એક રાજા રાજસિંહાસન પર બેઠો. તે તરુણ રાજા બુદ્ધિશાળી અને આત્મવિશ્વાસી હતો. વળી પ્રજાના કલ્યાણ માટે ખૂબ આગ્રહ રાખતો. પરંતુ રાજાએ જોયું કે તેનો વૃદ્ધ મંત્રી જ્યારે પણ કોઈ સલાહ આપે ત્યારે સાથોસાથ ભગવાન પ્રત્યેના તેના વિશ્વાસની પણ વાત કરે. પ્રત્યેક મંત્રણા પછી શ્રદ્ધાપૂર્ણ વાકયો કહે: ‘ભગવાન જો કૃપા કરે તો બધું જ થશે. અંતે તો બધું હરિના હાથમાં છે. ઈશ્વરની ઇચ્છા હોય તો અસંભવ પણ સંભવે.’ 

પ્રત્યેક બાબતમાં કોઈપણ યુક્તિપૂર્ણ સિદ્ધાંત આપે ત્યારે તેમાં પણ ઈશ્વરની કરુણાનો ઉલ્લેખ હોય જ, જેના કારણે યુવાન રાજા મનમાં ને મનમાં ગુસ્સો કરે. મંત્રીને નિવૃત્ત કરવા અંગે વિચારવા લાગે. એક દિવસ મંત્રણાની સભાના અંતે તે જ્ઞાની મંત્રીએ જેવી ભગવાનની વાત કહી, તેવો રાજા ધૈર્ય ગુમાવી બેઠો. 

તેણે મંત્રીને સાફ સાફ કહ્યું: ‘જુઓ, હું આપના ભગવાન અને તેની કૃપાની વાતમાં વિશ્વાસ કરવા તૈયાર છું, જો આપ મને મારા ત્રણ પ્રશ્નોના ઉત્તર આપો. જો ન આપી શકો તો આપનું માથું આપવું પડશે અને હું રાજ્યમાં ઘોષણા કરીશ કે ઈશ્વરની આરાધના કરવાની કોઈ આવશ્યકતા નથી. ઈશ્વર વગર પણ જીવન જીવી શકાય.

મંત્રી તો ડઘાઈ ગયા. ઈશ્વરની વાતમાં અચાનક આવી અગ્નિવર્ષા! મંત્રીએ પૂછયું: કહો, મહારાજ, આપના કયા ત્રણ પ્રશ્નો છે. મારી ક્ષમતા પ્રમાણે ઉત્તર આપવા પ્રયત્ન કરીશ.

રાજા તે માટે તૈયાર જ હતા. તેણે કહ્યું: મારા ત્રણ પ્રશ્નોના ઉત્તર જો બુદ્ધિગ્રાહ્ય અને મનપસંદ હશે તો હું માનીશ. પહેલો પ્રશ્ન – ભગવાન કયાં છે? દ્વિતીય પ્રશ્ન – તેમની દૃષ્ટિ કઈ તરફ છે? ત્રીજો પ્રશ્ન: તે શું કરી શકે?

પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર મંત્રી જાણતા હતા પરંતુ આ યુવાન રાજા સામે કઈ રીતે જવાબ આપવો, તે વિષે વિચારવા લાગ્યા. જેઓ ઈશ્વર છે તે બાબતનો વિશ્વાસ જ ન કરે તેની સાથે કઈ રીતે તર્ક કરી શકાય. તેથી વિચારવા માટે મંત્રીએ સાત દિવસની મુદત માગી. રાજાએ તે સંમતિ આપી.

શાસ્ત્રજ્ઞ, ઈશ્વરપરાયણ પંડિતે છ દિવસ અવિરત શાસ્ત્રાદિની આલોચના કરી. ભગવાનનાં ચરણનાં ધ્યાનમાં અને પ્રાર્થનામાં દિવસો વિતાવ્યા. સત્ અને મહત્તનો સંગ કર્યો. ઉપનિષદના તો પ્રત્યેક પન્ના પર

‘सर्वतोक्षिषत मुखम्‌’ નું કેટલું બધું વર્ણન છે. પરંતુ તે બધાનો કોઈ સિદ્ધાંત આપી શકાશે નહિ.

नैषा तर्केण मतिरा पनेया। તર્ક દ્વારા મતિ લાભ કરી શકાય નહિ. સિદ્ધાંત સ્થાપી પણ ન શકાય. તે તો

‘सर्वभूतेषु गूढ:।’

પરંતુ અધિકારી સિવાય આ વાતનો અનુભવ કોણ કરી શકે! ચિંતામાં ને ચિંતામાં મંત્રી સુકાવા લાગ્યા. મનમાં ને મનમાં ઈશ્વરને માર્ગ દેખાડવા માટે પ્રાર્થના કરે છે.

મંત્રીનો એક બુદ્ધિશાળી સેવક હતો. નામ જ તેનું સેવક હતું. સુંદર મજાનો ચહેરો. આંખ-મોઢું તેજસ્વી. વિદ્વાનની સાથે રહેતા રહેતા અજાણતાં જ તેનું શિક્ષણ થતું. પુસ્તકીય વિદ્યા નહિ પરંતુ ગંભીર જીવનધારાનું શિક્ષણ. અનવરત શાસ્ત્ર આલોચના સાંભળવાના ફળે સહેજે જ્ઞાનનો વિકાસ થયો છે. તેણે પોતાના સ્વામીની મૂંઝવણ સમજી લીધી. મંત્રીને પ્રશ્ન પૂછીને તેમની સમસ્યા વિષે ધારણા કરી જોયું કે પ્રજ્ઞાવાન, સરળ, સહજ માણસના જીવનમાં કઈ રીતે વિપત્તિ આવી પડી. તેણે મનથી તૈયાર થઈને મંત્રીને કહ્યું: પ્રભુ, આપ ચિંતા કરશો નહિ. રાજાના બધા પ્રશ્નના ઉત્તર હું આપીશ તે માટે આપ ચિંતા નહિ કરો. આપના જેવા વિદ્વાને આ કામ કરવાનું નથી.

મંત્રી બોલ્યા: ‘જો,મારું માથું તો કપાશે પરંતુ લાગે છે કે તારું માથું પણ કપાશે. ભલે, જેવી તારી ઇચ્છા. રાજ્યમાં ‘ઈશ્વર નથી’ એમ કહીને રાજા પ્રજા સમક્ષ કોઈ ઘોષણા ન કરે. આપણે ધર્મના અવલંબનથી જીવી રહ્યા છીએ. ધર્મહીન થઈ હવે જીવવાની કોઈ આશા નથી. ઈશ્વરચિંતન ન જ કરી શકીએ તો પછી બચીને શો લાભ?’

સેવક બોલ્યો: પ્રભુ, આ બાબત મારા પર છોડી દો.

બીજે દિવસે દરબાર ભરાયો. બધા રાહ જુએ છે. મંત્રીના ઉત્તર માટે બધા જ ચિંતિત છે. એવે સમયે જોયું કે એક યુવક દરબારમાં પ્રવેશ્યો. તેણે રાજાને પ્રણામ કરીને જણાવ્યું: હું માનનીય મહામંત્રીનો સેવક છું. આપના પ્રશ્નો અતિ સહજ છે. તેથી તેમણે મને જ ઉત્તર આપવા મોકલ્યો છે.

રાજા બોલ્યા: વિચારી જો, મને તારા ઉત્તર સંતુષ્ટ ન કરી શકે તો મૃત્યુદંડ મળશે.

– જાણું છું મહારાજ, હું કોશિશ કરીશ.

રાજાએ ત્યારે કહ્યું: ભલે હવે મારા પહેલા પ્રશ્નનો ઉત્તર આપો – ભગવાન કયાં છે?

સેવક બોલ્યો: મહારાજ, આપ ધર્મ વિષે પ્રશ્ન કરો છો. તેની પરંપરા અને રીત પ્રમાણે આપે પ્રશ્ન કરવો જોઈએ ત્યારે ઉત્તર મળશે. ધર્મના પ્રશ્નનો ઉત્તર ગુરુ શિષ્યને આપે. ગુરુ યોગ્ય ઉચ્ચ આસને બેસે અને શિષ્ય હાથ જોડીને વિનયપૂર્વક પ્રશ્ન કરે. અત્યારે આ રીતે ઊભા ઊભા તો જવાબ આપીશ નહિ. મને આપના ઉચ્ચ આસન પર બેસાડો, પછી ઉત્તર મળશે.

રાજા હસ્યા અને કૌતુક પામ્યા. રાજાએ કહ્યું: ભલે, આપ મારા સિંહાસન પર બેસો. હું ઊભો રહીને, હાથ જોડીને ફરી પ્રશ્ન કરું છું: ભગવાન કયાં છે?

હવે યુવક બોલ્યો: એક ગ્લાસ ભરીને ચોખ્ખું દૂધ ટેબલ પર રાખવા કહો.

દૂધ લઈ આવ્યા. પછી યુવકે રાજાને કહ્યું:  આગળ આવો, જુઓ તો દૂધમાં માખણ છે કે નહિ? જો ન દેખાતું હોય તો માખણ કયાં છે?

રાજાએ જવાબ આપ્યો: માખણ દેખાય નહિ પરંતુ દૂધમાં જ છે.

બરાબર કહો છો. ભગવાન પણ આ જગતમાં સર્વત્ર છે પરંતુ આપ તેમને જોઈ શકતા નથી. દૂધ ઉકાળીને, દહીં મેળવીને જો માખણ કાઢવામાં આવે તો જ માખણ દેખાય. તે રીતે અવિરત સાધન ભજન દ્વારા જ મનમાં મંથન થાય, ત્યારે જ અનુભવી શકો કે ઈશ્વર સર્વત્ર છે.

રાજા હસ્યા. તેના ઉત્તરથી રાજાને સંતોષ થયો. ફરી તેમણે ઊભા થઈને હાથ જોડીને બીજો પ્રશ્ન કર્યો. હવે કહો, ભગવાનની દૃષ્ટિ કઈ તરફ?

યુવકે ફરી કહ્યું – આ બધા બારી – બારણાં બંધ કરાવો. એક મીણબત્તી મંગાવો અને પેલા ટેબલ પર રાખીને સળગાવો. જેમ કહેવામાં આવ્યું; બરાબર તેમ જ કરવામાં આવ્યું. અંધકારભર્યા દરબારમાં મીણબત્તીનો મૃદુ પ્રકાશ પથરાઈ ગયો.

યુવકે કહ્યું: મહારાજ, હવે મને કહો કે મીણબત્તીનો પ્રકાશ કયાં પડે છે?

– બધી જ બાજુ પથરાઈ ગયો છે.

– બરાબર કહો છો. ભગવાનની દૃષ્ટિ પણ એ રીતે હોય. તેઓ પરમ કરુણામય, જડચેતન – ધની – નિર્ધન, ભણેલા – અભણ, સુખી – દુ:ખી – પ્રકાશની જેમ આ સૃષ્ટિમાં બધાં પ્રત્યે તેમની સમાન દૃષ્ટિ પ્રસરે છે – ત્યાં સારાં-નરસાંનો કોઈ ભેદ નથી. તે ‘सर्वतो हक्षि।’

હવે રાજાના ચહેરા પર સ્મિત ચમકી રહ્યું. હા, યુક્તિથી કંઈક સમજાયું.

ફરી ઊભા થઈને રાજાએ હાથ જોડીને ત્રીજો પ્રશ્ન પૂછયો: ભગવાન શું કરી શકે?

ફરી યુવકે કહ્યું: મહારાજ, આપના મંત્રીને આ દરબારમાં તેડાવો.

મંત્રીને બોલાવવામાં આવ્યા. મંત્રી ભયથી કાંપતા કાંપતા રાજદરબારમાં પ્રવેશ્યા. તેનો સેવક સિંહાસન પર બેઠો છે અને રાજા તેના આસનની સામે ઊભા છે. મંત્રી હતભ્રમ થઈને એક ખૂણામાં રક્ષકના આસન પર બેસી પડયા. દૃશ્ય જોઈને યુવક સેવકે રાજાને કહ્યું: મહારાજ, આ વખતે આપ જુઓ ભગવાન કેવું અસંભવ સંભવ કરે! માનનીય મંત્રીનો નિરક્ષર સેવક રાજસિંહાસન પર બેઠો છે. દેશનો રાજા તેમની સામે હાથ જોડીને ઊભા છે અને રાજ્યના વિચક્ષણ મંત્રી એક ખૂણામાં રક્ષકના આસન પર બેસીને ભયથી ધ્રૂજે છે. ભગવાન શું કરી શકે, તેનું આ પ્રત્યક્ષ પ્રમાણ છે.

સભા સ્તબ્ધ! રાજાએ પ્રસન્નમુખે મંત્રીને બોલાવ્યા અને કહ્યું: આપનો આ બુદ્ધિમાન સેવક ખરેખર ઉચ્ચ આસન પર બેસવાને યોગ્ય છે. આજથી આ યુવક રાજ્યના સંચાલન કાર્યમાં આપને સહાય કરે, એવી મારી ઇચ્છા છે. મારા પ્રશ્નોના જવાબ મળ્યા છે. ભગવાનના અસ્તિત્વ માટે મને કોઈ અવિશ્વાસ નથી પરંતુ તે બુદ્ધિયુક્તિથી ચકાસવા ઇચ્છતો હતો. આપનું તે કાર્ય યથાર્થ રીતે સમાધાન આપે છે.

Total Views: 13

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.