સ્વામી ચેતનાનંદ કૃત અંગ્રેજી ગ્રંથ ‘મહેન્દ્રનાથ ગુપ્ત (મ)’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે : સં.

ગૃહસ્થો માટે ધનપ્રાપ્તિ એ મોટી અને અગત્યની બાબત છે. કેટલાક લોકો પોતાની તંદુરસ્તીના ભોગે ધન રળે છે અને પછી એ બધું ધન તંદુરસ્તી ફરી પાછી મેળવવા વાપરી નાખે છે. કેટલાક લોકો એમ માને છે કે પૈસો જ જીવનમાં સુખ લાવશે. એટલે તેઓ સખત મહેનત કરે છે, પૈસા બચાવે છે અને એમાંજ રમમાણ રહે છે. પોતાની સાધનામાં શ્રીરામકૃષ્ણે ધનસંપત્તિના હેતુનું બૌદ્ધિક કે તાર્કિક રીતે નિરસન કર્યું છે. તે કપડાં ભોજન બીજી સુખસુવિધાઓ વગેરે પૂરાં પાડે છે પણ એનાથી ઈશ્વરને પ્રાપ્ત કરી શકાતો નથી. એમણે થોડા સિક્કા ગંગામાં ‘માટી ટાકા, ટાકા માટી- સિક્કા-પૈસાટકા માટી છે’, પણ ગૃહસ્થોને તેઓ આવી સલાહ ન આપતા.

ગૃહસ્થો જે જે સમસ્યાઓનો અવાર નવાર સામનો કરે છે તેવી ઘણી મહત્ત્વની સમસ્યાઓ વિશે શ્રી ‘મ’એ ઠાકુરને ઘણી વાર પૂછ્યું હતું. એકવાર તેમને પૂછ્યું, ‘મહાશય, વધારે પૈસા રળવા શું મારે પ્રયત્નશીલ રહેવું જોઈએ?’

શ્રીઠાકુરે કહ્યું, ‘ધર્મ ભાવનાવાળા કુટુંબની જાળવણી માટે એમ કરવું જોઈએ. તમારે ધન મેળવવા અને એમાં વૃદ્ધિ કરવા પ્રયત્ન કરવો જોઈએ, પણ પ્રામાણિક રીતે. જીવનનું ધ્યેય ધન રળવાનું જ નથી પણ ઈશ્વરની સેવાપૂજા કરવાનું છે. ધન જો ઈશ્વરની સેવાપૂજામાં વપરાય તો એ નુકસાનકારક નથી.’

વળી શ્રીઠાકુરે ‘મ’ને કહ્યું, ‘તમારા સાંસારિક જીવન માટે ધનની જરૂર છે એમાં શંકા નથી, પણ એને માટે અતિ ચિંતા સેવવી જરૂરી નથી. સ્વાભાવિક રીતે જે મળી રહે એને સ્વીકારી લેવું એમાં શાણપણ છે. ધન સંચય કરવા માટે ઘણાં દુ :ખકષ્ટ સહેવાં ન જોઈએ. જે લોકો પોતાના હૃદય અને પ્રાણને ઈશ્વરને શરણે સોંપી દે છે, જેઓ એમને જ સમર્પિત છે તેમણે એમનામાં આશ્રય લીધો છે. પૈસાની બહું ચિંતા ન કરવી અને ગૃહસ્થીઓ રળે છે એટલું વાપરે છે. એક માર્ગે પૈસા આવે છે અને બીજે માર્ગે ચાલ્યા જાય છે. આ જ વાત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ વર્ણવી છે. સહજે મળે એને સ્વીકારો.’

શ્રીઠાકુરે ગૃહસ્થોને ચેતવ્યા છે પણ ખરા. તેઓ કહે છે, ‘ઘણા લોકો ધનને પોતાના જીવનનો રક્તપ્રવાહ માને છે. તમે ધન માટે જેટલી આસક્તિ રાખો પણ એક દિવસે કદાચ તમારા હાથમાંથી એ બધુ ધન સરી જશે. જેમની પાસે ધન છે એમણે એ ધન ગરીબ અને જરૂરતમંદને આપવું જોઈએ. જયગોપાલ સેન સાધન-સંપન્ન છે તેણે થોડા દાનશીલ બનવું જોઈએ. કેટલાક લોકો એવા હોય છે કે એમની પાસે પુષ્કળ ધન હોવા છતાં તેઓ વાપરવામાં કંજૂસ હોય છે. એનું ધન પછીથી કોણ વાપરશે એની કાંઈ ખબર નહીં.’

એકવાર સુરેન્દ્રને શ્રીઠાકુરે કહ્યું, ‘હું લોભિયાએ આપેલ કે ધરેલ કંઈ ખાઈ શકતો નથી. એમનું ધન આ ચાર રીતે વપરાય છે- ૧. કોર્ટના કેસમાં ખર્ચાય, ૨. ચોરલુંટારા દ્વારા લુંટાય, ૩. વૈદ્ય ડોક્ટર તાણી જાય, ૪. દુષ્ટ સંતાનોના ઉડાઉ ખર્ચામાં વપરાઈ જાય. આવું છે ધન. તમારું ધન દાનમાં વપરાય એ ઘણું સારું છે. જેમની પાસે ધન છે એમને દાનધર્માદો કરવો જોઈએ. લોભિયાનું ધન વેડફાઈ જાય છે અને દયાધર્મવાળા માણસનું ધન બચી જાય છે. તે પોતાનું ધન સદ્હેતુ માટે વાપરે છે.’
શ્રી ‘મ’એ પૂછ્યું, ‘પોતાનાં પત્ની અને સંતાન માટે ફરજ બજાવીને કોઈપણ વ્યક્તિએ કેટલા સમય સુધી કૃતજ્ઞ બની રહેવું જોઈએ?’

શ્રીઠાકુરે કહ્યું, ‘જ્યાં સુધી એમને અન્ન-વસ્ત્રની જરૂર રહે ત્યાં સુધી. પરંતુ જે પુત્ર પોતાનું ભરણપોષણ પોતે કરી શકે તેમ હોય તેની જવાબદારી લેવાની જરૂર નથી. જ્યારે પક્ષીનું નાનું બચ્ચું પોતાની ચણ પોતાની મેળે મેળવતાં શીખે ત્યારે જો તે તેની મા પાસે ચણ માટે આવે તો એને ચાંચ મારે છે.’

શ્રી‘મ’એ પૂછ્યું, ‘જ્યારે કોઈ વ્યક્તિની પત્ની ‘તમે મારી અવગણના કરો છો, હવે હું આપઘાત કરીશ’ એમ કહે ત્યારે તેણે શું કરવું જોઈએ?’

શ્રીઠાકુરે કહ્યું, ‘જો એ પત્ની કોઈપણ વ્યક્તિના આધ્યાત્મિક જીવનમાં વિઘ્નરૂપ બને તો એને ત્યજી દેવી. પછી ભલે એ આપઘાત કરે કે એને બીજું ગમે તે કરી બેસે. જે પત્ની પતિના આધ્યાત્મિક જીવનમાં આડખીલીરૂપ બને તે ઈશ્વરવિમુખ પત્ની છે.’

શ્રીરામકૃષ્ણ દેવના આવા કઠોર પ્રતિભાવથી શ્રી ‘મ’એ આઘાત અનુભવ્યો અને તેઓ ગૂંચવણમાં પડી ગયા. તેઓ પોતે એક પ્રામાણિક અને કર્તવ્યભાવનાવાળા કુટુંબી હતા. તેઓ પોતે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા એ સમસ્યાનો ઉકેલ તેમને આ પ્રશ્નના ઉત્તર દ્વારા મેળવવો હતો. શ્રીઠાકુર ‘મ’ની માનસિક પરિસ્થિતિ સમજી ગયા અને ખાનગીમાં થોડા સમય પછી તેમણે કહ્યું, ‘જો કોઈ પણ માનવને ઈશ્વર માટે સાચો પ્રેમ હોય તો પછી રાજા, દુષ્ટલોકો, તેની પોતાની પત્ની આ બધાં એના કાબુમાં આવી જાય છે. ઈશ્વર પ્રત્યેનો નિષ્ઠાપૂર્વકનો પતિનો સાચો પ્રેમ પત્નીને પણ આધ્યાત્મિક જીવન જીવવા માટે સહાયક બને છે. જો પતિ ભલો હોય તો ઈશ્વરની કૃપાથી પત્ની પણ એને પગલે પગલે ચાલશે.’ શ્રીઠાકુરે આપેલી આ ખાતરીથી શ્રી‘મ’ના મનની ચિંતા હળવી થઈ.

કેટલીક વાર અહિંસાને અવળી રીતે સમજે છે અને એમાં સાચાખોટા વિશે મૂંઝાઈ જાય છે. એક વખત શ્રી‘મ’એ પૂછ્યું, ‘જમતી વખતે ક્યારેક મારી થાળીમાંથી માછલી લેવા બિલાડી પોતાનો પંજો નાખે છે. પણ હું ગુસ્સે થઈ શકતો નથી.’

શ્રીઠાકુરે ઉત્તર આપ્યો, ‘એમ કેમ? તમે એકાદવાર એને ફટકારી પણ શકો છો. એમાં કયું મોટું નુકસાન થવાનું? સંસારમાં રહેતા માણસે સાપની જેમ ફૂંફાડો મારવો જોઈએ પણ તેણે દંશ દઈને ઝેર ન ઓકવું. વાસ્તવિક રીતે તેને કોઈને ઈજા-હાનિ ન કરવા જોઈએ. પણ દુશ્મનો કે દુષ્ટ માણસોથી પોતાનું રક્ષણ કરવાં તેણે પોતાનો ક્રોધ પ્રગટ કરવો જોઈએ. નહિ તો એ બધા તમને હેરાન કરવાના. પણ સંન્યાસીએ તો આવો ફૂંફાડો ય રાખવો નહીં.’

શ્રીરામકૃષ્ણ દેવ ઘણા વ્યવહારુ ગુરુ કે શિક્ષક હતા. તેઓ જાણતા હતા કે પરણિત વ્યક્તિએ સંપૂર્ણ આત્મસંયમ પાળવો લગભગ અશક્ય છે. એટલે એમણે કહ્યું, ‘તમારે પત્નીનો સંપૂર્ણપણે ત્યાગ ન કરવો જોઈએ. પોતાની પત્નીને ચાહવી એ ગૃહસ્થ માટે હાનિકારક નથી. પણ એકાદ બે બાળકોના જન્મ પછી પતિ અને પત્નીએ ભાઈબહેનની જેમ રહેવું જોઈએ.’

એક બીજા પ્રસંગે શ્રીઠાકુરે શ્રી ‘મ’ને કહ્યું, ‘જ્યાં સુધી દેહ રહે છે ત્યાં સુધી થોડી આસક્તિ પણ રહે છે. એમાં કાંઈ ખોટું નથી.’

આ સાંભળીને શ્રી ‘મ’એ કહ્યું, ‘મહાશય, હું આસક્તિમાંથી સંપૂર્ણપણે મુક્ત થવા ઈચ્છું છું.’

શ્રીઠાકુરે કહ્યું, ‘શું આ શક્ય છે? જ્યારે કોઈપણ વ્યક્તિ ઈશ્વરની અનુભૂતિ કરે ત્યારે જ એ શક્ય છે.’

પછીથી શ્રી ‘મ’એ કહ્યું હતું કે શ્રીઠાકુરની સૂચના પ્રમાણે ચાલીને અને એમની શરણાગતિ સાધીને તેમણે ઘણા મહાસ્વપ્રયત્નોથી આસક્તિ પર વિજય મેળવ્યો હતો. આવી રીતે તેમણે શ્રીઠાકુરની કૃપાથી આ આત્મસંયમ કેળવ્યો હતો. (ક્રમશ 🙂

Total Views: 249

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.