રાજકોટ : રામકૃષ્ણ મઠ તેમજ રામકૃષ્ણ મિશન, બેલુર મઠના સહાયક સચિવ ૫ુજનીય બલભદ્રાનંદજી મહારાજે દિનાંક ૯ થી ૧૪ મે દરમિયાન રાજકોટ આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ ઉપલેટામાં નારીસશક્તીકરણ અભિયાન હેઠળ થતી પ્રશંસનીય કામગીરી નિહાળી. આશ્રમના પ્રાંગણમાં આધ્યાત્મિક પ્રવચન આપ્યાં. સ્વામી વિવેકાનંદ સ્વાધ્યાયમાળાના કોઓર્ડિનેટરોનું બહુમાન કર્યું. સ્વામી વિવેકાનંદ પ્રશંસીગીતિ ધરાવતી ઓડિયો સીડીનું વિમોચન કર્યું. સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરનાર રથને લીલી ઝંડી આપી. આ પાવન પ્રસંગે રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજી મહારાજ તેમજ રામકૃષ્ણ મિશનના સચિવ સ્વામી આત્મદીપાનંદજી મહારાજ તેમજ રામકૃષ્ણ મઠ, પૂણેના અધ્યક્ષ સ્વામી શ્રીકાન્તાનંદજી મહારાજ ઉપસ્થિત હતા.
રામકૃષ્ણ મિશન, લીંબડીમાં તા.૨૮ થી ૩૦ માર્ચ દરમ્યાન જ્ઞાનયજ્ઞ-૨૦૧૪નું આયોજન થયું હતું. તેમાં રામકૃષ્ણ મિશન, વિશાખાપટ્ટનમ્ના સ્વામી ગુણેશાનંદે સુરેન્દ્રનગર જિલ્લાની ૬ સ્કૂલ-કોલેજમાં મૂલ્યલક્ષી કેળવણી પર પ્રેરણાદાયી પ્રવચનો આપ્યાં હતાં. ૨૮-૨૯ માર્ચના રોજ સંધ્યા આરતી પછી ભાગવત કથા પર તેમણે મનનીય પ્રવચનો આપ્યાં હતાં. તા.૩૦ના રોજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી આયોજિત ભક્ત-સંમેલનમાં ૨૦૦ જેટલા ભક્તોએ ભાગ લીધો હતો. તેમાં સ્વામી આત્મદીપાનંદજી, સ્વામી પ્રભુસેવાનંદજી, સ્વામી ગુણેશાનંદજીએ આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું.
તા.૫ થી ૧૧ મે સુધી સવારે ૯ થી ૧૧ દરમ્યાન ‘સ્વામી વિવેકાનંદ બાલભારતી-૨૦૧૪’નું ટાવર બંગલામાં આયોજન થયું હતું. તેમાં ધોરણ ૬ થી ૮નાં ૫૦ જેટલાં વિદ્યાર્થી ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. તેમાં સમાજનાં વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો દ્વારા સંગીત, ચિત્ર, કોમ્પ્યુટર, કેળવણી વગેરે વિષયો પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું.
લીંબડી તાલુકાના ૧૫૦ ગરીબ કુટુંબોમાં કુટુંબ દીઠ ૧૦ કી. ઘઉંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Your Content Goes Here