શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં સ્વામી વિવેકાનંદનો ૧૫૩મો જન્મજયંતી-મહોત્સવ ૧૨ જાન્યુઆરી, ૨૦૧૫, સોમવારના રોજ યોજાયો હતો. સવારે ૫.૦૦ વાગ્યે મંગળ આરતી, ૬.૧૫ વાગ્યે વિશેષ નૈવેદ્યાર્પણ, ૮.૦૦ વાગ્યે વિશેષ પૂજા, ૯.૩૦ વાગ્યે ‘કઠોપનિષદ’માંથી વાચન, ૧૦.૩૦ વાગ્યે હવન, ભજનકીર્તન અને ૧૨.૩૦ વાગ્યે પ્રસાદ વિતરણનો લાભ ૨૦૦૦ જેટલા ભક્તોએ લીધો હતો. સાંજે ૫.૩૦ વાગ્યે શ્રીશિવનામ સંકીર્તન થયું હતું. ૭.૧૫ વાગ્યે સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશ વિશે સંન્યાસીઓનાં પ્રવચન થયાં હતાં.

સ્વામી વિવેકાનંદની જન્મજયંતી મહોત્સવના ઉપક્રમે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓ

સ્વામી વિવેકાનંદની ૧૫૨મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષમાં તા. ૧૪ ડિસેમ્બર, થી ૨૨ ડિસેમ્બર, ૨૦૧૪ સુધી રાજકોટ શહેરની શાળા-મહાશાળાઓનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે અહીં આપેલી વિગતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું.

૧. અંગ્રેજી મુખપાઠ – ૩૯૬માંથી ૨૦ વિજેતા બન્યા. ૨. ગુજરાતી મુખપાઠ – ૪૯૧માંથી ૨૦ વિજેતા બન્યા. ૩. હિન્દી મુખપાઠ – ૪૦૭માંથી ૨૦ વિજેતા બન્યા. ૪. સંસ્કૃત મુખપાઠ – ૩૫૯માંથી ૨૦ વિજેતા બન્યા. આમ કુલ ૧૬૫૩માંથી ૮૦ વિદ્યાર્થીઓને પારિતોષિક મળ્યાં હતાં.

૨. ગુજરાતી વક્તૃત્વ સ્પર્ધા – સંખ્યા ૨૭૨. અંગ્રેજી વક્તૃત્વ સ્પર્ધા – સંખ્યા ૧૪૦. આમ કુલ – ૪૧૨માંથી ૧૪ વિદ્યાર્થીઓ ઈનામને પાત્ર થયા હતા.

૩. વેશભૂષા સ્પર્ધા – ધોરણ ૧ થી ૮ સુધીના ૧૮૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી ૨૦ વિદ્યાર્થીઓ ઈનામને પાત્ર બન્યા હતા.

૪. શીઘ્ર ચિત્ર સ્પર્ધા – ૪૬૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ૨૦ વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા.

૫. સમૂહગાન સ્પર્ધા – ૩૭ શાળાઓએ ભાગ લીધો હતો. ૧૦ શાળા વિજેતા બની હતી.

દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય અને બે પ્રોત્સાહન ઈનામો અપાયાં હતાં. આ માટે દરેક વિજેતાને ક્રમશ : રૂા. ૧૫૦; રૂા. ૧૨૫; રૂા. ૧૦૦; રૂા. ૭૫; રૂા. ૭૫ની ક્રેડિટનોટ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સાહિત્યનાં પુસ્તકોની ખરીદી માટે અપાઈ હતી. વિજેતાને પ્રમાણપત્રો પણ અપાયાં હતાં. સમૂહગાન સ્પર્ધામાં વિભાગવાર શ્રેષ્ઠ પાંચ શાળાઓને શિલ્ડ સાથે પ્રમાણપત્રો અપાયાં હતાં. ભાગ લેનાર બધા વિદ્યાર્થીઓને પ્રસાદ અને ‘સ્વામી વિવેકાનંદ : જીવન અને સંદેશ’ એ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.

બેલુર મઠથી પધારેલ સ્વામી ગંગાનંદજીની ઉપસ્થિતિ સૌને માટે ખૂબ જ પ્રેરક બની રહી હતી.

સ્વામી વિવેકાનંદની જન્મજયંતી મહોત્સવના ઉપક્રમે યોજાયેલ મૂલ્યલક્ષી શિક્ષણ સેમિનાર

સ્વામી વિવેકાનંદની ૧૫૨મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષમાં તા. ૨૨ ડિસેમ્બર થી ૬ જાન્યુઆરી, ૨૦૧૫ સુધી રાજકોટ શહેરનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન એન્ડ કલ્ચર’ના ઉપક્રમે ‘વિવેક હોલ’માં મૂલ્યલક્ષી શિક્ષણ સેમિનારનું આયોજન થયું હતું. જેમાં ૯ થી ૧૨ ધોરણના ૧૫ શાળાના ૧૫૫૦ ભાઈઓ અને ૨૪૯૦ બહેનો, ૪ કોલેજનાં ૧૨૫૦ વિદ્યાર્થી ભાઈબહેનો, એમ કુલ મળીને ૫૩૦૦ જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમનો પ્રારંભ શાંતિમંત્ર અને સુપ્રિયાબહેન મોદીના ભજનથી થયો હતો. શ્રીરામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદે કહ્યું હતું કે અમારી સંસ્થા છેલ્લાં દશ વર્ષથી નિયમિત રીતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે મૂલ્યલક્ષી શિક્ષણશિબિરનું સંચાલન કરે છે. મૂલ્યલક્ષી કેળવણી એટલે શું ? તેની આજના યુગમાં કેટલી આવશ્યકતા છે અને તે કેવી રીતે આપી શકાય એ વિશે પૂરતી સમજણ અને માહિતીની તાતી જરૂર છે. રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા મૂલ્યલક્ષી શિક્ષણના આવા કાર્યક્રમો ભારતભરમાં હાથ ધરાયા છે. ત્યાર પછી તેઓએ વિદ્યાર્થીઓ સમજી શકે તેવી સરળ ભાષામાં મૂલ્યલક્ષી શિક્ષણનું મહત્ત્વ સ્વામીજીના આદર્શાે અને વિચારોને ટાંકીને સમજાવ્યું હતું.

રાષ્ટ્રપતિનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવનાર તજ્જ્ઞ શિક્ષિકા પન્નાબહેન પંડ્યાએ સહજ સરળ ભાષામાં આજની યુવાપેઢીને મૂલ્યલક્ષી શિક્ષણ અને સ્વામીજીના જીવન-સંદેશની ઘણી વાતો કરીને સમજણ આપી હતી. આશ્રમના ભક્તજન શ્રીકૌશિકભાઈ ગોસ્વામીએ ‘સ્વામીજીને જાણો, સ્વામીજીને વાંચો અને સ્વામીજીને અનુસરો’ વિશે રસપ્રદ પ્રશ્નોત્તરી કરી હતી. દરેક કાર્યક્રમને અંતે એક શિક્ષક અને બે વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. પન્નાબહેને કાર્યક્રમના અંતે સ્વદેશમંત્ર વિદ્યાર્થીઓ પાસે ઝીલાવ્યો હતો. શ્રીપન્નાબહેન પંડ્યા અને શ્રીમહેશભાઈ ભટ્ટે વ્યક્તિગત રીતે શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને આ શિબિરમાં લાવવા ઘણું કાર્ય કર્યું છે. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

Total Views: 281

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.