આપણાં શાસ્ત્રોનો સર્વોચ્ચ આદર્શ છે અવ્યક્ત તત્ત્વનો અને ઈશ્વર કરે તો આપણામાંથી દરેક વ્યક્તિ એટલી ઉચ્ચ કોટિની બને કે એ નિર્વિશેષ (અવ્યક્ત) આદર્શનો સાક્ષાત્કાર કરી શકે. પરંતુ બને એવું નથી. તેથી માનવીના મોટા ભાગ માટે તો સગુણ ઈશ્વરનો આદર્શ હોવાનું દરેક રીતે જરૂરી છે અને જીવનમાં આ મહાન આદર્શાેમાંથી એકાદનો ઉત્સાહપૂર્વક સ્વીકાર કર્યા વિના કોઈ પણ પ્રજા ઊંચે ચડી શકે નહીં, મહાન બની શકે નહીં, કશું જ સિદ્ધ કરી શકે નહીં. રાજકીય આદર્શાેનું પ્રતિનિધિત્વ ધરાવતા મહાજનોનું અથવા સામાજિક કે વ્યાપારી આદર્શાેનું પણ ભારતમાં કશું પરિબળ થવાનું નથી. આપણે આધ્યાત્મિક આદર્શાે માગીએ છીએ, આપણે ઉચ્ચ આધ્યાત્મિક વ્યક્તિઓની આસપાસ ઉત્સાહપૂર્વક એકઠા થવા માગીએ છીએ. આપણા વીર પુરુષો આધ્યાત્મિક હોવા જોઈએ. આવો વીર પુરુષ આપણને શ્રીરામકૃષ્ણ પરમહંસમાં સાંપડ્યો છે. જો આ પ્રજાએ ઉત્થાન કરવું હશે તો મારું માનજો કે તેણે ઉત્સાહપૂર્વક શ્રીરામકૃષ્ણના નામની આસપાસ એકઠા થવું પડશે. શ્રીરામકૃષ્ણનો પ્રચાર હું, તમે કે બીજું કોણ કરે છે તેનો કશો વાંધો નથી. પરંતુ હું એમને તમારી સમક્ષ રજૂ કરું છું અને એની પરીક્ષા કરીને નક્કી તમારે કરવાનું છે. આપણી પ્રજાના કલ્યાણ કાજે, આપણા રાષ્ટ્રના કલ્યાણ માટે, તમારે અત્યારે જ નક્કી કરવાનું છે કે તમે જીવનના આ મહાન આદર્શનું શું કરવા માગો છો. એક વાત આપણે યાદ રાખવાની છે કે તમે કદી પણ જોયાં નહીં હોય અથવા સ્પષ્ટ જ કહું તો તમે કદી પણ સાંભળ્યાં નહીં હોય એવાં પવિત્ર જીવનોમાં સૌથી પવિત્ર જીવન એમનું હતું અને એ હકીકત છે કે તમે જે ભાગ્યે જ વાંચ્યું હોય, અરે ભાગ્યે જ જે તમારી નજરે પણ પડ્યું હોય એવો આત્મશક્તિનો અતિ અદ્ભુત આવિષ્કાર આજે તમારી નજર સમક્ષ દેખાય છે. તેમને અંતર્ધાન થયાં હજુ પૂરાં દસ વરસ થયાં નથી તે પહેલાં તો આ શક્તિ આખી પૃથ્વી ઉપર ફરી વળી છે, એ હકીકત પણ તમે નજરે જુઓ છો. તેથી આપણી પ્રજાના મંગલને માટે, આપણા ધર્મના મંગલને કાજે, આ મહાન આધ્યાત્મિક આદર્શને તમારી સમક્ષ મૂકવાની મારી ફરજ છે. તમે એની તુલના મને જોઈને ન કરશો. હું તો એક નબળું સાધન માત્ર છું; મારા પરથી એમના ચરિત્રની તુલના ન કરશો. એ ચરિત્ર એટલું બધું મહાન હતું કે હું અથવા એમના શિષ્યોમાંથી બીજો કોઈ સેંકડો જિંદગીઓ પછી પણ, તેમના લાખોમા ભાગને પણ ન્યાય આપી નહીં શકીએ. તમારી પોતાની મેળે જ ન્યાય કરજો; તમારાં હૃદયોના ઊંડાણમાં એ શાશ્વત સાક્ષી બિરાજે છે; સંભવ છે કે એ જ શ્રીરામકૃષ્ણદેવ આપણી પ્રજાના કલ્યાણ માટે, આપણા રાષ્ટ્રના કલ્યાણ માટે અને માનવ જાતના મંગલ અર્થે તમારાં હૃદયનાં દ્વાર ખોલી નાખે અને આપણે પુરુષાર્થ કરીએ કે ન કરીએ, પરંતુ જે અવશ્યંભાવિ છે તે મહાન પરિવર્તન માટે પ્રવૃત્ત થવા માટે, તમને સત્યનિષ્ઠ અને દૃઢ બનાવે. ભાઈઓ! ઈશ્વરનું કાર્ય તમારા કે મારા જેવાની રાહ જોઈને બેઠું નથી. એ તો પોતાના કાર્યકરોને સેંકડો અને હજારોની સંખ્યામાં ધૂળમાંથી ઊભા કરી શકે એમ છે. એમની દોરવણી પ્રમાણે કાર્ય કરવાની આપણને જે તક મળે છે, એ આપણે માટે ગૌરવરૂપ અને ખાસ કૃપારૂપ છે. (સ્વા. વિ. ગ્રંથમાળા, ૪.૨૨૬-૨૭)
Your Content Goes Here