અહેતુક કૃપાસિંધુ ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા, સ્વામીજી અને મા નર્મદાની કૃપાથી રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા આયોજિત પતિતપાવની પુણ્ય સલિલા મા નર્મદાના તટ પર આનંદમયી આશ્રમ, નિકોરા ખાતે તા. ૩ માર્ચ થી ૭ માર્ચ, ૨૦૧૭ દરમિયાન જપ-ધ્યાન શિબિરનું સરસ અને સુંદર આયોજન થયું હતું.
પરમ પૂજ્ય શ્રીસ્વામી સારદાનંદજી મહારાજની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે આ શિબિર યોજાઈ હતી.આ શિબિરમાં ગુજરાતનાં વિભિન્ન કેન્દ્રમાંથી આવેલ ૮૫ મંત્રદીક્ષિત ભક્તોએ અવર્ણનીય આધ્યાત્મિક અનુભૂતિનો આનંદ મેળવ્યો હતો.
ભરૂચથી ૨૦ કિ.મિ. દૂર કબીરવડ પાસે આવેલ આનંદમયી આશ્રમનું પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણ ખૂબ અદ્ભુત હતું. મા નર્મદાજીના ખોળે આ શિબિર સવારે ૫ થી રાત્રે ૯ સુધી રહેતી જેમાં સવારે મંગલા આરતી, વેદપાઠ, ધ્યાન, જપ, પૂજા, સત્સંગ, પ્રવચન, ગીતાપાઠ, ભજનકીર્તન થતાં. તેમાં ખૂબ આનંદ આવતો. આશ્રમના સંન્યાસીઓ દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન મળતું. સ્વામી નિખિલેશ્વરાનંદજી, સચિવ રામકૃષ્ણ મિશન, વડોદરા; સ્વામી ઇષ્ટમયાનંદજી, રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ; સ્વામી મંત્રેશાનંદજી, વડોદરા; સ્વામી દર્પહારાનંદજી મહારાજ, વડોદરા દ્વારા પ્રવચનો થયાં હતાં. શિબિરમાં સુંદર મજાના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. તા. ૬ માર્ચની રાત્રી દરમિયાન ખુલ્લા આકાશ નીચે ધૂણી પણ પ્રગટાવવામાં આવી હતી. એ નિરવ રાતની શાંતિમાં ધૂણી પાસે કથામૃત વાંચન, ભજનકીર્તન અને જપધ્યાન કરવાનો અનેરો આનંદ ભક્તજનોએ મેળવ્યો હતો.
શિબિરના અંતિમ દિવસે બધા ભક્તજનોએ ‘નર્મદે હર’ ના મંત્ર સાથે નર્મદા સ્નાન કર્યું હતું તેમજ બપોરે ૨૧ બાળ કન્યાઓનું પૂજન, ભોજનપ્રસાદ તથા દક્ષિણા પણ આપવામાં આવ્યાં. શિબિરના અંતે બધા ભક્તોએ જપ ઠાકુરના ચરણે અર્પણ કરી ધન્યતા અનુભવી.
આમ આ પાંચ દિવસની શિબિર ખૂબ ઉત્સાહ, આનંદ, હર્ષોલ્લાસ સાથે પૂર્ણ થઈ. નર્મદે હર……
Your Content Goes Here