યોગાભ્યાસ પહેલાંનાં થોડાં સૂચનો : વાલી અને શિક્ષકો કાળજીપૂર્વક અભ્યાસ કરે અને પછી પોતાનાં સંતાનોને સહાયભૂત થાય. યોગશિક્ષકનું માર્ગદર્શન મેળવવું. એકથી ચાર ધોરણનાં બાળકો યોગાસનો શીખી લીધા પછી એકલાં ન કરે પણ વાલી કે શિક્ષકની હાજરીમાં કરે. અહીં એકથી દસ ધોરણનો અભ્યાસક્રમ છે. વય વધે તેમ યોગાભ્યાસમાં પ્રગતિ અને પરિવર્તન આવશે. આ એક સર્વાંગી જીવનશિક્ષણ છે. માસિકધર્મ વખતે બાળાઓએ યોગાભ્યાસ કરવો કે નહીં તે તેના પર આધારિત છે. કષ્ટ વિના સરળતાથી થઈ શકે તો ચાલુ રાખી શકે. યોગાભ્યાસ વખતે પુરુષ બાળકનું ગુપ્તાંગ બે પગ વચ્ચે કે પગ અને જમીન વચ્ચે દબાય નહીં એ જોવું. આટલાં સંક્ષિપ્ત સૂચનો પછી આપણે ધોરણ ૧, ઉંમર વર્ષ ૬નાં બાળકો માટે એક પછી એક ક્રમશ : દર મહિને એક આસન શીખીશું. વાલી અને શિક્ષકો એમાં બરાબર રસ લે એ હિતાવહ છે.
આસન – ૨. બાળ નટરાજાસન : આ આસન નટરાજાસનનું સરળ સ્વરૂપ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે :
૧. પાથરેલા આસન પર સીધા ઊભા રહો. બન્ને પગ ભેગા અને બન્ને હાથ બાજુમાં રાખો.
૨. બન્ને હાથને કોણીથી વાળીને કમર પર ગોઠવો.
૩. જમણો પગ ઊંચો કરો. તેને ઢીંચણથી વાળીને ડાબી બાજુ આંટી વાળીને ગોઠવો. બન્ને પગ એક બીજાને સ્પર્શ નહીં કરે. ઊંચો કરેલો પગ કોઈ આધાર વિના તોળાયેલ રહેશે. શરીર ડાબા પગ પર સમતોલ અવસ્થામાં રહેશે. ડાબા પગને ઢીંચણથી સહેજ વાળો.
૪. માથું સીધું રાખો, આંખ ખૂલી રાખો, સામે જુઓ.
૫. આ અવસ્થામાં સ્થિરતાથી શક્તિ પ્રમાણે રહો.
૬. ધીમેથી મૂળ અવસ્થામાં પાછા આવો.
૭. આ જ રીતે બીજી બાજુ પણ આ આસનનો અભ્યાસ કરો.
૮. બન્ને બાજુએ બે કે ત્રણ વાર અભ્યાસ કરો.
Your Content Goes Here