નૈતિકતામાં ક્યારેય બાંધછોડ ન કરનારા અને ઉચ્ચતર આદર્શાે પ્રતિ અનન્યભાવવાળા આ છાત્રવૃંદના સભ્યો અન્ય યુવાન વિદ્યાર્થીઓ માટે હંમેશાં એક આદર્શરૂપ બની રહેશે. તેઓ ચુસ્તપણે નૈતિકતાવાળું જીવન જીવવાનો પ્રયત્ન કરતા અને એમાં મદદરૂપ થાય તે માટે તેઓ સાથે મળીને ધર્મગ્રંથોનાં વાંચનમનન અને ચર્ચા કરતા તેમજ આધ્યાત્મિક સાધના પણ કરતા. ખગેનનું ઘર સામાન્ય રીતે તેમનું મિલનસ્થાન બની રહેતું. જુદાજુદા ધર્મસંપ્રદાયના સંતો અને પવિત્ર પુરુષોને તેઓ મળવા જતા. ધર્મમિલન અને સાધુસંગ પ્રત્યે આ યુવાનો ખૂબ આકર્ષણ ધરાવતા હતા. મહિમાચરણ ચક્રવર્તી કે જેઓ શ્રીરામકૃષ્ણને મળ્યા હતા તેઓ એ સમયના આધ્યાત્મિક જગતના સુખ્યાત અગ્રણી હતા. એમની આગેવાની હેઠળના ધર્મસંઘે કોલકાતામાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ખગેનની પ્રેરણાથી તેના મિત્રો કાલીકૃષ્ણ, સુધીર અને બીજા અવારનવાર થોડા દિવસો સુધી મહિમાચરણ ચક્રવર્તીના સમાજની મુલાકાતે ગયા. પોતાના અધ્યાત્મ-લાભ માટે તેઓ બીજા સાધુ અને પવિત્ર પુરુષોને પણ મળતા. આમ એમના આધ્યાત્મિક જીવનના પ્રારંભિક સંરચનાના દિવસો પસાર થયા.

એ સમય દરમિયાન પોતાના પિતાના પુસ્તકાલયનાં કેટલાંક પુસ્તકોએ કાલીકૃષ્ણને આકર્ષ્યા. એ પુસ્તકોમાં સુરેશચંદ્ર દત્ત દ્વારા સંપાદિત ‘ટિચિંગ ઓફ શ્રીરામકૃષ્ણ’, રામચંદ્ર દત્ત દ્વારા સંકલિત ‘લાઈફ ઓફ શ્રીરામકૃષ્ણ’ અને ‘તત્ત્વપ્રકાશિકા’ હતાં. આ પુસ્તકો વાંચીને તેઓ શ્રીરામકૃષ્ણ પ્રત્યે આકર્ષાયા. સાથે ને સાથે ધ્યાનસાધના અને બીજી આધ્યાત્મિક સાધનાઓ દ્વારા તેઓ એમના ઉપદેશોનું અનુસરણ કરવાનો પ્રયત્ન કરતા. તેઓ એક એકાંત ઓરડામાં બેસી રહેતા અને ત્યાં જ આવી બધી પ્રવૃત્તિઓ કરતા. ભક્તિગીતો ગાવા અને સાંભળવામાં એમને ખૂબ આનંદ આવતો.

હવે ખગેન અને કાલીકૃષ્ણની ભીતર ત્યાગની ભાવના ભવ્ય રીતે જાગી ઊઠી. એ બંને મિત્રોએ ગૃહત્યાગ કરવાનો નિર્ણય કર્યાે. એ બંનેએ વિચાર્યું કે તેઓ પોતાનું બાકીનું જીવન ભિક્ષાટનથી પસાર કરશે અને કોઈ પર્વતની ગુફામાં જઈને ગહન આધ્યાત્મિક સાધના કરશે. તેમણે જ્યારે ચૈતન્યલીલા નામનું નાટક જોયું ત્યારે તેમની સંસારત્યાગની ઇચ્છા પ્રબળ થઈ. તેમની વિદાય પહેલાંની રાત્રીએ કાલીકૃષ્ણ ખગેનના ઘરે સૂતા. કોઈને ખબર ન પડે એ રીતે મધ્યરાત્રીએ ઘર છોડી દેવાનો તેમણે નિર્ણય કર્યાે. ખગેનના પાડોશી નંદબાબુ કે જે વિજયકૃષ્ણ ગોસ્વામી(સુખ્યાત સંત)ના શિષ્ય હતા, તેમના પ્રત્યે ખગેનને પૂજ્યભાવ હતો. એકાએક નંદબાબુ ખગેનના ઘરે આવ્યા અને તેને કહ્યું, ‘મને એવું લાગે છે કે તેં અને કાલીકૃષ્ણે સંસારત્યાગ કરવાનો નિર્ણય કર્યાે છે. મેં મારી દિવ્ય નજરે જોયું છે કે જો આ સમયે તમે આવું કરશો તો તમારા પર ભયંકર આપત્તિ આવી પડશે.’ આ વૃદ્ધ માણસની સલાહને આ છોકરાઓ અવગણી શકે એમ ન હતા અને થોડા સમય પૂરતી તેમણે સંસારત્યાગ કરવાની પોતાની યોજના માંડી વાળી.

આવી રીતે એમની જીવનનૈયા ક્યારેક પ્રવાહની સાથે તો ક્યારેક પ્રવાહની વિરુદ્ધમાં, વળી ક્યારેક આગળને આગળ ધપતી અને ક્યારેક પાછી પડતી, તો વળી ક્યારેક ઉન્નત થતી અને ક્યારેક અધોગામી થતી તણાયે જતી હતી. આ સમય દરમિયાન એમને કોલકાતાની શેરીઓમાં લગાડેલાં પોસ્ટર્સ પરથી જાણવા મળ્યું કે કાંકુડગાછિ યોગોદ્યાનમાં શ્રીરામકૃષ્ણના માનમાં ઉત્સવ થવાનો હતો. કાલીકૃષ્ણ, ખગેન અને એમના મિત્રો આ શોભાયાત્રામાં જોડાયા. આ શોભાયાત્રા રામચંદ્ર દત્તના ઘેરથી શરૂ થઈ અને પછી ઉત્સવમાં ફેરવાઈ ગઈ.

યુવાનો હવે કાંકુડગાછિ યોગોદ્યાનની મુલાકાત લેવા માંડ્યા અને રામચંદ્ર દત્તથી વધુ ને વધુ સુપરિચિત થતા ગયા. રામચંદ્ર દત્ત પણ આવા ઉત્સાહી છોકરાઓથી ખૂબ રાજી થયા અને એમને પ્રેમઉષ્માથી વધાવી લીધા. અંતે તેઓ શ્રીરામકૃષ્ણ વિશે કલાકોના કલાકો સુધી તેમની સાથે વાતો કરતા. આ છોકરાઓ પણ યોગોદ્યાનના દૈનંદિન કાર્યમાં મદદ કરતા અને ક્યારેક શ્રીરામકૃષ્ણદેવની સેવાપૂજા કરવાની જવાબદારી ઉપાડી લેતા. ઘેર ઘેર જઈને તેઓ પૂજાઘરમાં નૈવેદ્યરૂપે ધરાવવાની ચીજવસ્તુઓ અને ધન એકઠાં કરતા. હવે એમની જીવનનૈયાએ એક નવી દિશા પકડી લીધી.

એ સમયે શ્રીમ. – શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક મહેન્દ્રનાથ ગુપ્ત – રિપન કોલેજમાં અંગે્રજીના અધ્યાપક હતા. કાલીકૃષ્ણ આ શાંત અને સ્થિરધીર અધ્યાપક પ્રત્યે તરત જ આકર્ષાયા. શ્રીમ. અવારનવાર કોલેજ બિલ્ડિંગના છત પરના માળીયાવાળા ઓરડામાં જતા અને પોતાની દૈનિક નોંધપોથીમાંથી રામકૃષ્ણ કથામૃત લખતા. એક દિવસ ખગેન તેમની પાછળ એ ખંડમાં ગયા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે તેઓ શ્રીરામકૃષ્ણના માસ્ટર મહાશય જ હતા. જ્યારે ખગેને પોતાની આ શોધની વાત મિત્રોને કહી ત્યાર પછી કાલીકૃષ્ણ એકલા માસ્ટર મહાશયના ઘરે ગયા. માસ્ટર મહાશયે પ્રેમથી કાલીકૃષ્ણને નજીક બેસાડ્યા અને તે પ્રસંગે ઘણા ઉત્સાહથી ધર્મજીવનની વાતો કરી. એક દિવસ કાલીકૃષ્ણ અને તેમના મિત્રો કાંકુડગાછિ યોગોદ્યાનની મુલાકાત લે છે એ જાણીને શ્રીમ.એ એમને કહ્યું, ‘જુઓ ભાઈ, શ્રીરામકૃષ્ણે કામિનીકાંચનનો સંપૂર્ણ ત્યાગ કર્યાે હતો. શ્રીરામકૃષ્ણદેવ કેવા હતા એે જાણવા-સમજવા જો તમે ખરેખર ઇચ્છતા હો તો તેમના સંસારત્યાગી સંન્યાસી શિષ્યોની સંગાથે રહેવું જોઈએ. આ આદર્શનું જીવંત ઉદાહરણ તમે જોવા માગતા હો તો તમે વરાહનગર મઠમાં જાઓ. ત્યાં શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો રહે છે. ગૃહસ્થ ભક્તો સિદ્ધ હોય તો પણ તેઓ શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશને સુયોગ્યભાવે રજૂ ન કરી શકે.’ વળી તેમણે આગળ જણાવ્યું, ‘સાધુ પુરુષની મુલાકાત ખાલી હાથે ન લેવી એટલે તમે થોડા પૈસાનાં ફળમીઠાઈ લઈ જજો.’ હવે એ બધા યુવાનોની જીવનનૈયા ઊર્ધ્વપથે વહી રહી હતી.

કાલીકૃષ્ણ, ખગેન, હરિપદ અને કુંજ આ ચાર મિત્રોએ એક દિવસ કોલેજમાં ગાપચી મારી અને વરાહનગર મઠ તરફ ઊપડ્યા. કાલીકૃષ્ણની આંખોમાં મુક્તિની ઝંખનાનો અગ્નિ પ્રગટ્યો હતો. તેમણે પોતાનાં પુસ્તકો ખગેનના ઘરે મૂક્યાં અને ઝડપથી વરાહનગર મઠ તરફ ચાલવા લાગ્યા. પોતાના નાસ્તા માટેના પૈસાથી તેમણે શ્રીરામકૃષ્ણ માટે મીઠાઈ ખરીદી. પછીથી કાલીકૃષ્ણ આ દિવસને આ શબ્દોમાં યાદ કરે છે :

‘ઉનાળાના દિવસો હતા. અમે વરાહનગર મઠમાં જવા સવારે સાડા દસ વાગ્યે ઊપડ્યા. અમે રસ્તો જાણતા ન હતા એટલે એકાદ વાગ્યે અમે મઠમાં પહોંચ્યા. સૂર્ય તો પ્રચંડ તાપે તપતો હતો અને અમારે આટલું અંતર પગે ચાલીને કાપવાનું હતું. મઠના મોટા હોલમાં સંન્યાસીઓ જાગતા હતા પણ લંબાવીને આરામ કરી રહ્યા હતા. મને યાદ છે તે પ્રમાણે શશી મહારાજ, નિરંજન મહારાજ, મહાપુરુષ મહારાજ, વૃદ્ધ ગોપાલ મહારાજ, યોગીન મહારાજ, લાટુ મહારાજ, ખોકા મહારાજ, શરદ મહારાજ અને દક્ષ મહારાજ એ સમયે મઠમાં હતા. અમે ચારેયે પ્રણામ કર્યા. તેમણે અમને પ્રેમથી આવકાર્યા અને તમે શું કરો છો, કયા ધોરણમાં અભ્યાસ કરો છો, ક્યાંથી આવો છો, મઠ વિશે કેવી રીતે જાણકારી મેળવી, જેવા અનેક પ્રશ્નો પૂછ્યા. અમારા વિશે બધું જાણીને તેઓ ખૂબ રાજી થયા અને અમને પ્રોત્સાહન આપ્યું. એમને જોઈને અમારામાં એક નવો અધ્યાત્મભાવ જાગ્યો. અમને એમ લાગ્યું કે સંસારને તો અમે ક્યાંય પાછળ છોડી દીધો છે. આ મઠ જીર્ણશીર્ણ ઘરમાં હતો. એનાં બારીબારણાં તૂટેલાં હતાં, છતાં પણ ત્યાં ગહન આધ્યાત્મિક વાતાવરણ ઝંકૃત થઈ રહ્યું હતું. સંન્યાસીઓ તો ધખતી ધૂણી જેવા હતા! મઠમાં રહેલી ચીજવસ્તુઓ સાવ સાદી – ભોંય પર સાદડી બિછાવેલી રહે અને બીજું કંઈ રાચરચીલું પણ નહીં. હોલમાં મા દુર્ગા, કાલી, ઈશુ ખ્રિસ્ત અને બીજા કેટલાકનાં ચિત્રો જોયાં. દરેક ચિત્રની નીચે ‘વત્સ, જો તમે મુક્તિ ઝંખતા હો તો ઇન્દ્રિયભોગની વસ્તુઓને ઝેરની જેમ ત્યજી દો.’, જેવા હાથે લખેલા મુદ્રાલેખ હતા. છ મહિના પહેલાં સ્વામી વિવેકાનંદ ભારત પરિભ્રમણમાં નીકળ્યા હતા. સંન્યાસીઓએ કહ્યું, ‘જો તમે થોડા મહિના પહેલાં આવ્યા હોત તો સ્વામીજીને મળી શક્યા હોત.’ ચાર વાગ્યે મંદિર ખૂલ્યું. અમે શ્રીરામકૃષ્ણદેવની છબીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા, એમને ધરાવેલ પ્રસાદ ગ્રહણ કર્યાે અને તે દિવસે અમે તેમની રજા લીધી. જ્યારે અમે નીકળતા હતા ત્યારે સંન્યાસીઓએ કહ્યું, ‘અહીં અવારનવાર આવતા રહેજો.’

કાલીકૃષ્ણ પર વરાહનગર મઠની આ પહેલી મુલાકાતની એટલી ગહન છાપ પડી કે તેઓને આ દિવસ હૂબહૂ યાદ રહી ગયો અને જીવનના અંત સુધી એ સ્મૃતિમાં રહ્યો. પોતાના જીવનના અંત સુધી પણ, આ ઘટનાને આટઆટલાં વર્ષાે વીતી જવા છતાં, લાગણીનું પૂર ઊમટી આવે ત્યારે તેઓ આ દિવસની વાત કરતા. પોતાના મૃત્યુ પહેલાંના થોડા દિવસો પૂર્વે તેમણે કહ્યું, ‘એ દિવસે અમે જાણે કે કોઈ નવી દુનિયામાં આવી ગયા હોય એવું લાગ્યું. એ વખતે બધું અમને અદ્‌ભુત લાગ્યું હતું… એમનાં જીવન જોઈને અને એમની વાણી સાંભળીને અમારા મન પર જબરો પ્રભાવ પડ્યો. અમને નવપ્રકાશ લાધ્યો, અમને નવી દુનિયા મળી!’ (ક્રમશ 🙂

Total Views: 511

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.