અખંડમંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ્ ।
તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ ।।

ગુરુશિષ્ય – સંવાદ

બીજું દર્શન સવારના આઠેક વાગ્યાને સુમારે. ઠાકુર એ વખતે હજામત કરાવવા બેસે છે. હજી થોડી થોડી ઠંડી પડે છે. એટલે તેમના શરીર પર ગરમ શાલ. શાલની કિનારી લાલ પટ્ટીથી મઢેલી. માસ્ટરને જોઈને બોલ્યા, ‘તમે આવ્યા છો કે? વારુ, અહીં બેસો.’

આ વાતચીત દક્ષિણપૂર્વ(અગ્નિખૂણા)ની બાજુની ઓસરીમાં થતી હતી. હજામ આવેલો છે. એ જ ઓસરીમાં ઠાકુર હજામત કરાવવા બેઠા અને વચ્ચે વચ્ચે માસ્ટરની સાથે વાતો કરવા લાગ્યા. શરીરે શાલ, પગમાં સપાટ, હસમુખો ચહેરો. વાત કરતી વખતે જીભ સહેજ તોતડાય.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): હેં ભાઈ! તમારું ઘર ક્યાં છે?

માસ્ટર: જી, કોલકાતામાં.

શ્રીરામકૃષ્ણ: અહીં કોને ત્યાં આવ્યા છો?

માસ્ટર: અહીં વરાહનગરમાં મોટી બહેનને ઘેર. ઈશાન વૈદ્યરાજનું ઘર.

શ્રીરામકૃષ્ણ: ઓહો! ઈશાનને ઘેર?

શ્રીકેશવચંદ્ર સેન માટે શ્રીરામકૃષ્ણનો શ્રીજગન્માતા પાસે વિલાપ

શ્રીરામકૃષ્ણ: હેં ભાઈ! કેશવને કેમ છે? એ બહુ માંદા થઈ ગયા હતા!

માસ્ટર: મેં પણ એમ સાંભળ્યું હતું ખરું. પણ હવે મને લાગે છે કે તેમને સારું છે.

શ્રીરામકૃષ્ણ: મેં વળી કેશવને માટે માતાજીની પાસે લીલું નાળિયેર ને ખાંડની માનતા રાખી હતી. પાછલી રાતે મારી ઊંઘ ઊડી જતી, અને માની પાસે હું રોતો. કહેતો કે મા, કેશવને સાજા કરી દો; કેશવ ન હોય તો હું કોલકાતામાં જાઉં ત્યારે વાતો કોની સાથે કરું? એટલા માટે મેં ખાંડ ને નાળિયેર માન્યાં હતાં.

હેં ભાઈ! કૂક સાહેબ કરીને કોક આવ્યા છે ને? સંભળાય છે કે તે ‘લેકચર’ કરે છે. કેશવ મને સ્ટીમરમાં સાથે લઈ ગયા હતા. કૂક સાહેબ પણ હતા.

માસ્ટર: જી, એ પ્રમાણે સાંભળ્યું હતું ખરું. પણ મેં તેમનું ભાષણ સાંભળ્યું નથી. હું તેમને વિષે વધુ જાણતો નથી.

ગૃહસ્થ અને પિતાનું કર્તવ્ય

શ્રીરામકૃષ્ણ: પ્રતાપનો ભાઈ આવ્યો હતો. થોડા દિવસ અહીં રહ્યો. નોકરી ધંધો નહિ. કહે કે હું અહીં રહીશ. મેં સાંભળ્યું કે બૈરી છોકરાંને બધાંને પોતાના સસરાને ઘેર મૂકી આવ્યો છેઃ કેટલાંય છોકરાં-છૈયાં! હું એને વઢ્યો. જુઓ તો ખરા, છોકરાં-છૈયાં થયાં છે તેને શું કાંઈ આડોશી પાડોશી ખવડાવીને મોટાં કરે? શરમેય નથી આવતી કે બૈરી છોકરાંને બીજું કોઈક ખવડાવે છે. અને તેમને સસરાને ઘેર રાખી મૂક્યાં છે. હું ખૂબ વઢ્યો અને કામધંધો શોધી કાઢવાનું કહ્યું. ત્યારે માંડ માંડ અહીંથી જવાનું કબૂલ કર્યું.

અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ।
ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ ।।

 

માસ્ટરને ઠપકો અને અહંકાર ઉતાર્યો

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): તમારાં લગ્ન થયાં છે? માસ્ટર: જી હા.

શ્રીરામકૃષ્ણ (ચોંકી જઈને): અરે રામલાલ! (શ્રીયુત્ રામલાલ, શ્રીઠાકુરના મોટાભાઈના પુત્ર અને કાલીમંદિરના પૂજારી) જો, લગન પણ કરી નાખ્યું છે!

માસ્ટર આશ્ચર્યચકિત થઈને મોટા ગુનેગારની પેઠે માથું નીચું કરીને ચૂપ થઈને બેસી રહ્યા. તે વિચાર કરવા લાગ્યા કે લગ્ન કરવામાં શું એટલો બધો દોષ!

ઠાકુરે વળી પૂછ્યું – ‘તમારે કંઈ છોકરાં થયાં છે?’

માસ્ટરની છાતી ધબક ધબક થવા લાગી. ડરતાં ડરતાં તેઓ બોલ્યા, ‘જી, છોકરાં છે.’

ઠાકુર વળી દુઃખી થઈને કહે છે – ‘હેં હ્! છોકરાં પણ થઈ ગયાં છે!’

તિરસ્કાર પામીને માસ્ટર સ્તબ્ધ થઈ રહ્યા.

તેમનો અહંકાર ઓગળવા લાગ્યો. થોડીવાર પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ કૃપાદૃષ્ટિ કરીને સ્નેહપૂર્વક બોલવા લાગ્યા, ‘જુઓ, તમારાં ચિહ્નો સારાં છે. હું કપાળ, આંખ એ બધું જોઈને સમજી શકું…

‘વારુ, તમારી પત્ની કેવી છે? વિદ્યાશક્તિ કે અવિદ્યાશક્તિ?’

જ્ઞાન કોને કહે છે? અને મૂર્તિપૂજા

માસ્ટર: જી, ઠીક છે. પણ અજ્ઞાની!

શ્રીરામકૃષ્ણ (નારાજ થઈને): અને તમે જ્ઞાની!

માસ્ટર જ્ઞાન કોને કહેવાય, અજ્ઞાન કોને કહેવાય, એ હજુ જાણતા નથી. અત્યાર સુધી તો એટલું જાણતા કે ભણતાં ગણતાં શીખીએ અને પુસ્તક વાંચતાં આવડે એટલે જ્ઞાન થાય. આ ભ્રમ પાછળથી દૂર થયો. તેમણે સાંભળ્યું કે ઈશ્વરને જાણવો તે જ્ઞાન, ને ઈશ્વરને ન જાણવો તે અજ્ઞાન.

ઠાકુર બોલ્યા – તમે શું જ્ઞાની? માસ્ટરનું અભિમાન ફરી ઘવાયું.

શ્રીરામકૃષ્ણ: વારુ, તમારી ‘સાકાર’માં શ્રદ્ધા કે ‘નિરાકાર’માં?

માસ્ટર (નવાઈ પામી જઈને પોતાના મનમાં): સાકારમાં શ્રદ્ધા હોય તો શું નિરાકારમાં શ્રદ્ધા બેસે? ઈશ્વર નિરાકાર, એવી શ્રદ્ધા હોય તો પછી ઈશ્વર સાકાર એવી શ્રદ્ધા શું બેસી શકે? વિરોધી અવસ્થાઓ બેય સાચી હોય શકે? ધોળી ચીજ દૂધ, તે શું કાળું હોઈ શકે?

માસ્ટર: જી, નિરાકાર – મને તે સારું લાગે છે.

શ્રીરામકૃષ્ણ: તે મજાનું. એકમાં શ્રદ્ધા હોય તો બસ. નિરાકારમાં શ્રદ્ધા, એ તો સારું. પરંતુ એવી ભાવના રાખવી નહિ કે માત્ર એ જ સાચું, બીજું બધું ખોટું. એટલું જાણજો કે નિરાકાર પણ સાચું, તેમજ સાકાર પણ સાચું. તમને જેમાં શ્રદ્ધા હોય તેને પકડી રાખજો.

Total Views: 594

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.