ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિઓનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો સબજેક્ટ રાખવો ‘News for Jyot’ -સં.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
બાળકો માટે ગ્રીષ્મ શિબિર : ધો. ૪થી ૮મા અભ્યાસ કરતાં બાળકો માટે તા. ૧૫.૦૫.૨૦૨૨ થી ૨૨.૦૫.૨૦૨૨ સુધી આઠ દિવસની એક ગ્રીષ્મ શિબિરનું આયોજન થયું હતું, જેમાં ૧૫૫ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ નામાંકન કરાવ્યું હતું.
રામકૃષ્ણ મિશનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણી : રામકૃષ્ણ મિશનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણીના ઉપલક્ષ્યમાં તા. ૩૦મી મે, ૨૦૨૨ના રોજ એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આસી. સેક્રેટરીએ ‘રામકૃષ્ણ મિશનના આદર્શ અને પ્રવૃત્તિઓ’ વિષય પર ભક્તોને સંબોધિત કર્યા હતા. આ સભાનો ૩૦૦થી વધુ ભક્તોએ લાભ લીધો હતો.
આઝાદી કા અમૃત મહોત્સવ : આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે તા. ૧૯.૦૬.૨૦૨૨ ના રોજ એક રાષ્ટ્રીય યુવા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પુડુચેરીના પૂર્વ લેફ્ટ. ગવર્નર ડૉ. કિરણ બેદીએ દીપ પ્રગટાવી સંમેલનનું ઉદ્ઘાટન કરી સંબોધન કર્યું હતું. ગુજરાત અને આજુબાજુના રાજ્યોના ૫૦૦ પ્રતિનિધિઓએ સ્થળ પર જ્યારે ૧૪૦૦ શ્રોતાઓએ ઓનલાઈન આ કાર્યક્રમને માણ્યો હતો. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાના યુવા-સંમેલન માટે શુભસંદેશ પાઠવ્યો હતો.
વિવેકાનંદ વિદ્યાપીઠ, રાયપુરના સેક્રેટરી ડૉ. ઓ. પી. વર્માએ ‘સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રીય પુનર્જાગરણ’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું.
સ્વામી શુદ્ધિદાનંદે ‘સ્વામી વિવેકાનંદ અને ભારતનું ભવિષ્ય’ વિષય પર પ્રવચન કર્યું હતું.
રામકૃષ્ણ મિશન આશ્રમ, કાનપુરના સચિવ સ્વામી આત્મશ્રદ્ધાનંદે ‘સ્વામી વિવેકાનંદ અને ભારતની સ્વતંત્રતા ચળવળ’ વિષે ચર્ચા કરી હતી.
ઉત્તર પ્રદેશના પૂર્વ ડી.જી.પી. ડૉ. વિક્રમ સિંઘે ‘ચારિત્ર્યનિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણ’ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું.
Dexterity Globalના સી.ઈ.ઓ. શ્રી શરદ સાગરે ‘સ્વામી વિવેકાનંદ અને યુવા-નેતૃત્વ’ વિષય પર સંબોધન કર્યું હતું.
સુપ્રસિદ્ધ ગુજરાતી લેખિકા સુ. શ્રી. જ્યોતિબહેન થાનકીએ ‘સિસ્ટર નિવેદિતા અને ભારતની સ્વતંત્રતા ચળવળ’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું.
રામકૃષ્ણ મિશન, પોરબંદર
તા. ૧૦.૦૬.૨૦૨૨ના રોજ આશ્રમના પ્રાંગણમાં એક નિઃશુલ્ક આંખના નિદાન માટેના કેમ્પનું આયોજન થયું હતું, જેમાં ૭૯ દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાઈ હતી. સામાન્ય કરતાં ઓછી આવક ધરાવતા ૩૫ દર્દીઓનાં મોતિયાનાં ઓપરેશન પોરબંદરમાં ડૉ. કે. એ. ગજેરાની ઓજસ આઈ હોસ્પિટલમાં કરવામાં આવ્યાં હતાં.
રામકૃષ્ણ મઠ, ભુજ
૧૯૬૯માં ‘રામકૃષ્ણ યુવક મંડળ’ના નામે શરૂ થયેલી સંસ્થાનો અધિગ્રહણ વિધિ તા. ૨૯.૦૫.૨૦૨૨ના રોજ સંપન્ન થયો. મઠના આ નવા કેન્દ્રનો અધિગ્રહણ સમારોહ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આસી. જનરલ સેક્રેટરી શ્રીમત સ્વામી બોધસારાનંદજીની અધ્યક્ષતામાં યોજાઈ ગયો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય, રાજ્યના વનમંત્રી શ્રી કિરીટસિંહ રાણા, શિક્ષણમંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ પ્રસંગે સ્વામી નિખિલેશ્વરાનંદ, સ્વામી આત્મદિપાનંદ, સ્વામી ગુણાશ્રયાનંદ, સ્વામી પ્રભુસેવાનંદ, સ્વામી ઈષ્ટમયાનંદ, સ્વામી સેવાવ્રતાનંદ તેમજ સ્વામી મંત્રેશાનંદ વગેરેએ આશીર્વચન પાઠવ્યા હતા.
Your Content Goes Here