૧. પ્રાસ્તાવિક

સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ મનાવવા આપણે સૌ આજે મળ્યાં છીએ તે મોટો પ્રસંગ છે. શ્રીમૂર્તિએ પોતાના સ્વાગત પ્રવચનમાં કહ્યા પ્રમાણે ખરો સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ ગઈ કાલે હતો. પરંતુ એક અર્થમાં એ દિવસ આજે છે. કારણ કે, સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના ન્યુયૉર્કમાં થઈ હતી અને, ન્યુયૉર્કમાં અત્યારે ૨૪મીની રાત છે. પણ, ગઈ કાલે તેની ઉજવણી નહીં કરી શકાઈ તેનું કારણ અશાંત વાતાવરણ હતું તે.

સં.રા.સં.ની જે પ્રતિજ્ઞા આપણે સૌ બોલ્યા તે આ રહી. માનવમનની કેવી મહાન સિદ્ધિ એ રજૂ કરે છે!

જગતની બધી પ્રજાઓનું એક સંયુક્ત વિધાન સભામાં એકત્રિત કરવાના આદર્શને આ સંસ્થાનાં ધ્યેયો અને કાર્યક્રમો ટેકો આપે છે. બે ભયંકર વિશ્વયુદ્ધોમાંથી પસાર થયા પછી માનવજાતને આ શાણપણ લાધ્યું.

સં.રા.સં.ની પ્રતિજ્ઞા

સં.રા.સં.ના ચાર્ટરનો આમુખ”

માનવજાત પર આપણી સાંભરણમાં આવેલાં બે યુદ્ધોએ જે અણક્થી યાતના લાદી છે તેમાંથી ભાવિ પેઢીઓને બચાવવાના નિશ્ચયથી અને માનવના મૂળભૂત અધિકારોમાં, માનવીના ગૌરવમાં અને માનવમૂલ્યમાં, નરનારીઓના સમાન અધિકારોમાં અને નાનીમોટી પ્રજાઓમાં શ્રદ્ધા પ્રસ્થાપિત કરવા, અને

દેશદેશ વચ્ચેની સંધિઓ અને આંતરરાષ્ટ્રીય કાનૂનના પાલનમાં અન્ય પરિબળોમાંથી ઉદ્ભવતા ન્યાય અને ફરજો પ્રત્યે આદર જાળવી શકાય તેવી પરિસ્થિતિ સ્થાપિત કરવા, અને,

વિશાળ સ્વાતંત્ર્યના પરિપ્રેક્ષ્યમાં સામાજિક પ્રગતિ અને જીવનનાં ઉચ્ચતર ધોરણોને ઉત્તેજન આપવા,

પરસ્પર પ્રત્યે સહિષ્ણુતા કેળવી સારા પાડોશી તરીકે શાંતિથી સહયોગપૂર્ણ રીતે જીવવા, અને

આંતરરાષ્ટ્રીય શાંતિ અને સંરક્ષિતતા જાળવવા માટે એક થવા, અને

સર્વને સ્પર્શતી બાબત સિવાય શસ્ત્રસજ્જ સેનાઓનો ઉપયોગ ન થાય તે માટે સિદ્ધાંતો અને તેમના અમલની રીતિઓ સ્વીકારવા, અને

બધી પ્રજાઓના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે આંતરરાષ્ટ્રીય તંત્રનો વિનિયોગ કરવા,

અમે, સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રજાઓ, આ ઉદ્દેશો પાર પાડવા માટે અમારી શક્તિઓ સંગઠિત કરવા ઠરાવીએ છીએ.”

૨. લીગ ઓફ નેશન્સ: પહેલો આંતરરાષ્ટ્રીય પ્રયત્ન અને એની નિષ્ફળતા

આ અદ્ભુત યુ.એન.ઓ.ને સ્થાપવા મળેલો મનુષ્ય વર્ગ મોટો બોધપાઠ પામી ચૂક્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી કેટલાંક સંબંધિત રાષ્ટ્રો જીનીવામાં મળ્યાં હતાં અને, તેમણે આવું પ્રથમ આંતરરાષ્ટ્રીય મંડળ સ્થાપ્યું હતું; એનું નામ હતું લીગ ઑફ નેશન્સ. આ કાર્ય બહુ સુખદ ન બન્યું કારણ કે, સંબંધિત રાષ્ટ્રોમાં હજી યુયુત્સા અને પરસ્પરની ઈર્ષ્યા હતી અને તેઓ આંતરરાષ્ટ્રીય શાંતિની સ્થાપના માટે યોગ્ય ન હતાં. લીગ ઑફ નેશન્સ એક બીજાને ફાડી ખાવા મથતા, અને બીજા દેશો ઉપર પોતાની આણ વર્તાવવા મથતા સિંહવાઘોની લીગ-મંડળી-હતી; એના પ્રતિનિધિઓ જ શાંતિમુખી દેશોનું પ્રતિનિધિત્વ ધરાવતા ન હતા. તેઓ મુખ્યત્વે સામ્રાજ્યવાદી અને સંસ્થાનવાદી સત્તાઓના પ્રતિનિધિઓ હતા. એક સંસ્થાનવાદી સત્તાની બીજી સંસ્થાનવાદી સત્તાની ઈર્ષ્યા ઉપર પ્રથમ વિશ્વયુદ્ધ મંડાયું હતું. એટલે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત લાવનાર અને લીગ ઑફ નેશન્સને જન્મ આપનાર વર્સેલ્સની સંધિ બીજા વધારે ભીષણ વિશ્વયુદ્ધ ભણી લઈ ગઈ. વચ્ચેનાં એકવીસ વર્ષો પણ રાજકીય ઉથલપાથલો, આર્થિક તાણ અને સંસ્થાનોની લડાઈના તનાવમાં હતાં. બીજા વિશ્વયુદ્ધના આરંભ પહેલાંના દિવસોમાં લંડનના એક બ્રિટિશ બુદ્ધિજીવી ડૉ. જોશુઆ ઓલ્ડફીલ્ડે આપેલા વ્યાખ્યાનનો અહેવાલ વર્તમાન પત્રોમાં વાંચ્યાનું મને યાદ છે; એ વ્યાખ્યાનનો વિષય હતો શાંતિ અને આંતરરાષ્ટ્રીયતા. બે મહાયુદ્ધો વચ્ચેનાં વર્ષો દરમિયાન આ વિષય વારંવાર ચર્ચાતો રહેતો. પોતાના વ્યાખ્યાનમાં એ વક્તાએ કહ્યું હતું: ‘યુદ્ધના માર્ગો શોધતા સારા સ્વભાવના લોકો કરતાં શાંતિના માર્ગો શોધવાની ચર્ચા કરતા ખરાબ સ્વભાવના લોકો વધારે યુદ્ધો ઊભાં કરે છે.’

૩. સંયુક્ત રાષ્ટ્ર સંઘ: વધારે આશાસ્પદ બીજો યત્ન

શાંતિનાં પગલાંની ચર્ચા કરતા યુદ્ધનાં મનવાળા લોકોથી લીગ ઑફ નેશન્સ ભરેલી હતી; પરંતુ ૧૯૪૫માં, બીજા વિશ્વયુદ્ધને અંતે પરિસ્થિતિ ભિન્ન હતી, અણુબોંબ પ્રગટ થઈ જાપાન સામે વપરાઈ ચૂક્યો હતો; અદ્યતન યુદ્ધ એટલે શું તે અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષ અને યુદ્ધને માર્ગે માનવજાત માટે સંપૂર્ણ વિનાશની કેવી ભયાનક શક્યતા રહેલી છે તે લોકો જોઈ ચૂક્યા હતા. આ સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થાની સ્થાપના માટે, વિશ્વશાંતિના મહાવિષયમાં રસ લેતાં રાષ્ટ્રોની પ્રજાઓ મળી ત્યારે માનવ આત્મા ઠીક ઠીક શુચિતા પામ્યો હતો. આંતરરાષ્ટ્રીય શાંતિ અને પરસ્પર માટે યોગ્ય આદર સ્થાપવા માટેના એમના પ્રયત્નોમાં ગાંભીર્ય હતું. એથી તો, તમે હમણાં વાંચી તે પ્રતિજ્ઞા તેમણે ઘડી. ૩૦ ભાગમાં પ્રસિદ્ધ ‘ઍન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ (ભા. ૧૦ પૃ. ૮૯૪-૯૫)માં સંયુક્ત રાષ્ટ્રસંઘના ઉદ્ભવ વિશે જે કહ્યું છે તેથી સારી રીતે હું તે કહી શકું તેમ નથી;

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધરી સત્તાઓ તરીકે ઓળખાતાં જર્મની, ઈટલી અને જાપાનની વિરુદ્ધમાં લડતાં રાષ્ટ્રોને ઓળખવા માટેસંયુક્ત રાષ્ટ્રો’ (યુનાઈટેડ નેશન્સ) નામ સ્વીકારવામાં આવ્યું હતું અને, પછીથી યુદ્ધોત્તર વિશ્વ સંસ્થા માટે તે વિકસાવવામાં આવ્યું હતું. મિત્ર રાજ્યોની યુદ્ધની નેમોની જાહેરાત કરતા ૧ જાન્યુઆરી, ૧૯૪૨ના ખરડામાં ૨૬ રાજ્યોએ સહી કરી ત્યારે, આ નામ વિશ્વભરમાં પ્રસિદ્ધ પામ્યું.

“વૉશિંગ્ટન ડી.સી.માંની ડબાર્ટન ઑક્સ નામની કોઠીમાં ૧૯૪૪ના ઑગસ્ટ ૨૧થી ઑક્ટોબર ૭ સુધી મળેલી, (યુ.એસ., યુ.કે., યુ.એસ.એસ.આર. અને ચીન એ) ચાર મહાસત્તાઓના રાજનીતિ નિષ્ણાતોની મળેલી ડબાર્ટન ઑક્સ પરિષદમાં કાયમી સંસ્થા ઊભી કરવાનું પ્રથમ અગત્યનું પગલું ભરવામાં આવ્યું હતું. એ પરિષદમાં જે સૂચનો ઉદ્ભવ્યાં તેમાં વિશ્વસંસ્થાની સંપૂર્ણ યોજના ન હતી. વધારામાં યુનાઈટેડ સ્ટેટ્સ અને યુનાઈટેડ કિંગ્ડમ સોવિયેત યુનિયન સાથે બે બાબતોમાં સામસામી આવી ઊભાં: (૧) સુરક્ષા સમિતિ (સિક્યોરિટી કાઉન્સિલ)માં સૂચિત મતદાન પ્રથા – જે પછીથી ‘વીટો પ્રશ્ન’ના નામે પ્રસિદ્ધ થઈ. (૨) સભ્યપદ, કારણ સોવિયેત યુનિયને માગણી કરી કે પોતાનાં બધાં ઘટક ગણરાજ્યોને સામાન્ય સભા (જનરલ ઍસૅમ્બલી)નું સભ્યપદ આપવામાં આવે. રૂઝવેલ્ટ, ચર્ચિલ અને સ્ટૅલિને યાલ્ટા પરિષદમાં આ પ્રશ્નનો ઉકેલ શોધ્યો હતો અને લીગ ઑફ નેશન્સની મેંડેટ પદ્ધતિને સ્થાને નવી સંસ્થામાં ટ્રસ્ટીશીપ પદ્ધતિનો સમાવેશ કરવા તેઓ સમ્મત થયા હતા.

આમ યાલ્ટા પરિષદે કરેલા સુધારા અને વધારા સાથેના ડબાર્ટન ઑક્સના પ્રસ્તાવોએ ‘આંતરરાષ્ટ્રીય સંસ્થા અંગેની ૧૯૪૫ના એપ્રિલની ૨૫મીએ સાન્ફ્રાન્સિસ્કોમાં મળેલી સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં વાટાઘાટની ભૂમિકા પૂરી પાડી હતી અને, તેને આધારે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુ.એન)ના ખરીતાનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. ૨૬મી જૂને એ ખરીતાં ૫૨ મતું મારવામાં આવ્યું હતું અને ૧૯૪૫ની ૨૪મી ઑક્ટોબરથી તે અમલી બન્યો હતો; એ સમય દરમિયાન ચાર મહાન રાષ્ટ્રો, ફ્રાન્સ અને સહી કરનાર રાષ્ટ્રોની બહુમતિએ પોતાની સમ્મતિ આપી દીધી હતી.”

ન્યુયૉર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રસંઘના છ મુખ્ય અંગો છે: સામાન્ય સભા (જનરલ ઍસૅમ્બલી), સુરક્ષા સમિતિ (સિક્યોરિટી કાઉન્સિલ) આર્થિક અને સામાજિક સમિતિ (ઈકૉનૉમિક ઍન્ડ સોશ્યલ કાઉન્સિલ), આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત અને સચિવાલય.

વિશ્વ બેંક તરીકે ઓળખાતી આંતરરાષ્ટ્રીય નવનિર્માણ અને વિકાસ બેંક આંતરરાષ્ટ્રીય વિત્ત ભંડોળ (ઈન્ટરનેશનલ મૉનેટરી ફંડ) રોમમાં આવેલી આહાર અને કૃષિ સંસ્થા (કુડ ઍન્ડ એગ્રિકલ્ચરલ ઑર્ગેનાઈઝેશન, એફ.એ.ઓ) પારિસમાં આવેલી સંયુક્ત રાષ્ટ્રસંઘની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા (યુનાઈટેડ નેશન્સ એડ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઈઝેશન – યુનેસ્કો) અને જીનીવા કેન્દ્રિત વિશ્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશન ડબલ્યુ.એચ.ઓ.) તેને મળતી કેટલીક સંસ્થાઓ છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના ખરીતાની એ ભૂમિકામાં આપણે વિશ્વશાંતિ માટે, સમગ્ર માનવજાત માટે લાગણી જોઈ શકીએ છીએ; સંસ્થાનવાદ મરણ પામતો હતો અને બીજા વિશ્વયુદ્ધની અસરથી એની જડ ઉખડવા લાગી હતી. છેલ્લાં ૪૫ વરસમાં સંસ્થાનવાદની ધૂંસરીમાંથી બહાર નીકળતાં મુક્ત રાષ્ટ્રોનું પ્રાગટ્ય આપણે જોયું છે. જે ભાવનાએ યુનોને જન્મ આપ્યો તે માનવ એકતાની ભાવના હતી. જગતના લોકોનાં હૈયામાં માન્યતા બંધાવા લાગી કે હવે પછીથી આત્મનિર્ભર રાષ્ટ્રોનો વિચાર કરી શકીએ તેમ નથી; જગત ખૂબ નાનું છે; અંતર પર વિજય મેળવાઈ રહ્યો છે. રાષ્ટ્રોએ એકમેકની નજીક આવવાનું છે. ખૂબ ગમખ્વાર એવા બીજા વિશ્વયુદ્ધના આઘાતજનક અનુભવ દરમિયાન અને, પછીથી, એ માન્યતા વધારે દૃઢ થઈ. માત્ર યુદ્ધમાં ખપી જવાને કારણે નહીં પણ, રાજકીય માનવ હિંસાને કારણે મળીને પણ, એ યુદ્ધ દરમિયાન ત્રણથી ચાર કરોડ માણસ ખપી ગયું. તો આંતરરાષ્ટ્રીય રાજકીય, આર્થિક, સ્વાસ્થ્ય વિષયક અને ઈતર પ્રશ્નોનું આંતરરાષ્ટ્રીય માધ્યમ દ્વારા નિયમન, આંતરરાષ્ટ્રીય રાજનીતિના સાધન તરીકે યુદ્ધને તિલાંજલી દેતા, માનવ ઘનિષ્ઠતાના અને માનવતા- જાગ્રુતિના આદર્શો આપણને આ મહાન સંસ્થાની પીઠિકામાં રહેલા જણાશે.

આમ, ૧૯૪૫ની સાલે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાન સંસ્થાનો જન્મ જોયો. એ કેવળ સાદી રાજકારણની સંસ્થા નથી પરંતુ, અગાઉ મારા જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રોમાં અદ્ભુત કાર્ય કરનાર બીજી સમાન સંસ્થાઓને પણ પોષે છે. આમાં પ્રથમ પારિસમાંનું યુનેસ્કો છે; બીજું છે ડબલ્યુ.એચ.ઓ: વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશન (વિશ્વ આરોગ્ય સંસ્થા) જેણે આફ્રિકા અને એશિયામાંથી શીતળા, મેલેરિયા જેવા ઘાતક રોગોને દૂર કરવા માટે ખૂબ કાર્ય કર્યું છે. આ ક્ષેત્રમાં આપણા દેશે પણ અસાધારણ પ્રગતિ જોઈ છે. હવે વિકસતા દેશોમાં કુષ્ઠ રોગના નિવારણનું અને સ્વાસ્થ્ય સગવડો, સ્વાસ્થ્ય કાળજી અને પોષણને સુધારવાનું કાર્ય ડબલ્યુ.એચ.ઓ.એ કરવાનું રહે છે. આ ધ્યેયો હાંસલ કરવા માટે પ્રયત્નો કેન્દ્રિત કરવામાં આવી રહ્યા છે. આમાંના મોટા ભાગના રોગો પોષણના અભાવને કારણે થતા હોય છે. આ દેશોમાં આરોગ્યનો કાયમી ઉકેલ આર્થિક પ્રગતિ દ્વારા જ સાધી શકાશે. ને આ બાબત પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘને સ્પર્શે છે, જે બાબત માટે એની કેટલીક સંસ્થાઓ અને સહાય અને લોનના પ્રકારો છે.

૪. ભારત અને સં.રા.સં. સાથે એનો સાંસ્કૃતિક સંબંધ

ઠંડા યુદ્ધના ગાળા દરમિયાન યુ.એન.નાં કાર્યો આપણને સહાયભૂત ન હોવા છતાંયે. યુ.એન.અને એની સાથી સંસ્થાઓની પડખે આપણું રાષ્ટ્ર સતત રહેલું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની રચના થઈ તે કાળે રાજકીય દૃષ્ટિએ આપણો દેશ આઝાદ ન હતો; એ અંગ્રેજોની હકૂમત હેઠળ હોઈ, બે વરસ પછી આઝાદ થવાનો હતો; છતાં આપણને તેની સાથે સંબંધ હોય તેવું લાગતું હતું અને, રાજકીય રીતે આઝાદ થયા પછી આપણને લાગ્યું કે આંતરરાષ્ટ્રીય શાંતિ ચાહતી આપણી પ્રજાના હૃદયની સમીપની આ પ્રવૃત્તિ છે. કારણ, આપણી પ્રજા વૈશ્વિક સહિષ્ણુતાને અને સહાનુભૂતિને વરેલી છે; આપણી સમગ્ર સંસ્કૃતિ શાંતિ અને સંવાદિતા, સહિષ્ણુતા અને સહાનુભૂતિનાં મૂલ્યો પર આધારિત છે અને તેથી, સં.રા.સં.ના આદર્શો અને કાર્યક્રમો સાથે સામીપ્ય ધરાવે છે.

ભારતના ઈતિહાસમાં અભ્યાસ કરશો તો તમને જણાશે કે, ભારતના મહાન ચિંતકોનાં દૃષ્ટિબિંદુઓ અને સહાનુભૂતિઓ વૈશ્વિક અને માનવીય હતા. આપણે ત્યાં બુદ્ધ હતા, શંકરાચાર્ય હતા અને, અર્વાચીન કાળમાં, શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી હતા; પોતાનાં દૃષ્ટિબિંદુઓમાં એક સહાનુભૂતિઓમાં એ સૌ વૈશ્વિક હતા.

આપણી હિંદુ ઐતિહાસિક પરંપરામાં આપણે આંતરરાષ્ટ્રીય શાંતિના આ મહાન આદર્શને અનુસર્યા છીએ. આપણી પોતાની પ્રજામાં અંદરોઅંદર સંઘર્ષો અને યુદ્ધો સાથે સંકળાયેલા પ્રશ્નો હતા. પરંતુ, બાહ્ય પ્રજાઓ સાથે આપણે કદી પ્રશ્નો ન હતા પણ, હંમેશાં શાંતિભર્યા આંતરરાષ્ટ્રીય સંબંધો હતા. યુગવૃદ્ધ ભારતના સાંસ્કૃતિક વારસાની આ એક મોટી મૂડી છે. કેટલેક કાળે રાજકીય સત્તા અને સૈન્યબળ હોવા છતાં, પોતાના ૫,૦૦૦ વર્ષના ઈતિહાસમાં ભારત કદી બીજો દેશ જીતવા ચડ્યું નથી. ભારતીય ઈતિહાસનું એ વ્યાવર્તક લક્ષણ અને સાંસ્કૃતિક ભૂમિકા છે; ને તેથી જ રાષ્ટ્રસંઘના અને એની સાથી સંસ્થાઓના આદર્શો અને કાર્યક્રમોને ભારત હૃદયપૂર્વક ટેકો આપે છે.

૧૮૯૭ના જાન્યુઆરીમાં કોલંબોમાં આપેલા પોતાના વ્યાખ્યાનમાં આ વ્યાવર્તક લક્ષણનો ઉલ્લેખ કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે: (પૂર્વમાંનું પ્રથમ જાહેર વ્યાખ્યાન, ‘ધ કંપ્લીટ વર્ક્સ ઑફ સ્વામી વિવેકાનંદ’, વૉ. ૩, પૃ. ૧૦૫-૬):

‘જગત ઉપર આપણી માતૃભૂમિનું ઋણ ઘણું મોટું છે. દેશદેશની તુલનાએ, આ જગત પર એવી એક પણ પ્રજા નથી જેનું ઋણ શાંત હિંદુ, નમ્ર હિંદુના કરતાં વિશ્વ પર વધારે હોય, ‘નમ્ર હિંદુ’ શબ્દો કેટલીકવાર લઘુતાવાચક હોય તે રીતે પ્રયોજાય છે; પરંતુ અવહેલના પાછળ પણ સત્ય કદી છુપાઈ શકતું હોય તો, તે ‘નમ્ર હિંદુ’ પાછળ છુપાયેલું છે, કારણ એ પ્રભુનું પ્યારું બાળક છે.

‘દુનિયાના બીજા પ્રદેશોમાં સંસ્કૃતિઓ જન્મી છે. પ્રાચીન અને અર્વાચીન કાળમાં સમર્થ અને મહાન રાષ્ટ્રોમાંથી મહાન વિચારો ઉદ્ભવ્યા છે, પ્રાચીન અને અર્વાચીન કાળમાં રાષ્ટ્ર જીવનના ચડતા જુવાળથી મહાન સત્ય અને શક્તિનાં બીજ બીજા દેશોમાં પહોચ્યાં છે.પરંતુ, મિત્રો, એક વાતનું ધ્યાન રહે કે, યુદ્ધના રણશીંગો અને શસ્ત્રસજજ સૈન્યોની કૂચ વડે હંમેશાં એમ થયું છે. દરેક વિચારને લોહીનાં પૂરમાં રગદોળાવું પડ્યું છે. આપણા લાખો સાથીઓના લોહીની નદી દરેક વિચારને ઓળંગવી પડી છે. શક્તિના દરેક શબ્દની પાછળ લાખોનાં ડૂસકાં, અનાથોનાં રુદન અને વિધવાઓનાં આંસુ પડ્યાં છે.’

‘મુખ્યત્વે, બીજા રાષ્ટ્રોએ, આ શીખવ્યું છે; ત્યારે હજારો વર્ષ ભારત શાંતિથી જીવ્યું છે. ગ્રીસનું અસ્તિત્વ પણ ન હતું ત્યારે, રોમનો કોઈ વિચાર પણ કરતું ન હતું ત્યારે, અર્વાચીન યુરોપિયનોના પૂર્વજો વનવાસી હતા અને ચહેરો નીલ રંગનો હતો ત્યારે, અહીં પ્રવૃત્તિ થતી હતી. એથીયે પહેલાં, ઈતિહાસનો ચોપડો લખાયો ન હતો અને એ ઊંડા ભૂતકાળની વેદનામાં પરંપરા દૃષ્ટિપાત નથી કરી શકતી. તે સમયથી માંડી આજની ઘડી સુધી, આ ભૂમિમાંથી વિચારો પછી વિચારો દડમજલ ગયા છે. પરંતુ, દરેક શબ્દને ઉત્તરે આશીર્વાદ છે અને પૂર્વે શાંતિ છે. દુનિયાની બધી પ્રજાઓમાં એક આપણે જ કદી વિજેતા જાતિ બન્યા નથી. ને એ આશીર્વાદ આપણે મસ્તકે છે ને તેથી, આપણે જીવંત છીએ.

પુન: ૧૮૯૭ના ફેબ્રુઆરીમાં મદ્રાસમાં ‘આપણી સમક્ષ પડેલું કાર્ય’ વિશે બોલતાં, વિવેકાનંદે કહેલું (એજન-પૃ. ૨૭૨-૭૪) કે:

‘ભારત બહારની દુનિયા વિના આપણને ચાલી શકે તેમ નથી; આપણે ચલાવી શકશું તેમ માનવું તે આપણી મુર્ખાઈ હતી અને, આશરે એક હજાર વર્ષની ગુલામી વડે આપણે તેનો દંડ ચૂકવ્યો છે. બીજી પ્રજાઓ સાથે જઈ આપણે કશી તુલના કરી નહીં, આપણી ચોમેર ચાલી રહેલા કાર્યનો ક્યાસ કાઢ્યો નહીં તે ભારતીય બુદ્ધિની આ અધોગતિનું મુખ્ય કારણ છે. આપણે દંડ ચૂકવી દીધો છે; હવે વધારે દંડાવાની જરૂર નથી. જીવનની પ્રથમ સ્પષ્ટ અસર વિકાસ છે. તમે જેનો મમતાપૂર્વક ઉલ્લેખ કરો છો તે અમેરિકા અને યુરોપના પ્રવાસે હું ગયો હતો; મારે જવું પડ્યું હતું. કારણ રાષ્ટ્રજીવનની નવજાગ્રતિનું એની પ્રગતિનું એ પ્રથમ ચિહ્ન છે. રાષ્ટ્રચેતનાની આ નવજાગ્રતિએ એના આંતરિક વિકાસે મને બહાર ફંગોળ્યો અને એ રીતે હજારોને ફંગોળશે. મારા શબ્દો યાદ રાખશો: આ રાષ્ટ્રને જીવવું હોય તો તેમ કરવું જ પડશે.

લંડનમાં મને એક યુવતીએ પૂછ્યું હતું:તમે હિંદુઓએ શી ધાડ મારી છે? કદી એક દેશ પણ જીત્યો નથી.બહાદુર, વીર ક્ષાત્રવૃત્તિના અંગ્રેજના દૃષ્ટિબિંદુથી આ બરાબર છે – બીજા મનુષ્ય ૫૨ વિજય એ એક મનુષ્ય માટે મહાન કીર્તિની વાત છે. એના દૃષ્ટિબિંદુથી આ સાચું છે પણ, આપણા દૃષ્ટિબિંદુથી એ તદૃન ઊલટું છે. ભારતની મહત્તાનું કારણ શું છે એમ મારી જાતને હું પૂછું તો આપણે કદી વિજય નથી મેળવ્યો તે છે, તેમ, હું ઉત્તર આપું. આ આપણી કીર્તિ છે- આપણી ભોમમાં જ સહિષ્ણુતા અને સહાનુભૂતિ વ્યવહારુ બન્યાં છે; બીજા દેશોમાં તે માત્ર સિદ્ધાંતની વાત જ રહેલ છે. માત્ર આ દેશમાં જ હિંદુઓ મુસલમાનો માટે મસ્જિદો અને ખ્રિસ્તીઓ માટે દેવળો બાંધે છે.’

‘તો, મિત્રો, તમે જુઓ છો કે દુનિયાને આપણો સંદેશ અનેક વેળા ગયો છે, ભલે આસ્તે, શાંતિથી, ધ્યાન દોર્યા વગર. ભારતમાંની બધી બાબતોની સાથે એ સુસંગત છે. ભારતીય ચિંતનનું એક લક્ષણ એનું મૌન છે, એની શાંતતા છે. તે સાથે, એની પાછળની જે અગાધ શક્તિ છે તે હિંસા દ્વારા વ્યક્ત થઈ શકતી નથી. ભારતીય ચિંતનનો એ નિત્યનો શાંત મોહપાશ છે. અદૃષ્ટ અશબ્દ રીતે પડવા છતાં મંદ ઝાકલ જેમ સુન્દરતમ ગુલાબોને ખીલવે છે તેમ, જગતના ચિંતનમાં ભારતનો ફાળો રહેલો છે.

મૂક, અદૃષ્ટ છતાં એની અસરમાં સર્વ શક્તિમાન, એણે જગતના ચિંતનમાં ક્રાન્તિ સર્જી છે. છતાં એમ તેણે ક્યારે કર્યું તે કોઈ જાણતું નથી.

૫. વૈદિક દર્શન: યંત્ર વિશ્વમ્ ભવતિ એક નીડમ્

જગતનાં મનહૃદયને જોડવાના બધા આંતરરાષ્ટ્રીય પ્રયત્નોને ભારત ભગીરથ ટેકો આપતું રહેશે તેની મને ખાતરી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનાં સભ્યો બધાં જુદાં રાષ્ટ્રો છે પણ, સમાન માનવ પ્રશ્નોને હાથ ધરવાનું આવે છે ત્યારે, ધીમે ધીમે પણ સ્થિરતાથી એ સૌ એક થવા લાગ્યાં છે. કોરિયા, કોંગો અને બીજી કેટલીક જગ્યાઓમાં શાંતિ સ્થાપવામાં સં.રા.સં.ને ભારતે સહકાર આપ્યો છે. આપણે શાંતિના, આંતરરાષ્ટ્રીય સદ્ભાવનાના તરફદાર છીએ. પોતાના ગત ઈતિહાસની ભાવાત્મક અસરો ઉપરાંત, અર્વાચીન સમયના પોતાના મહાન નેતાઓ પાસેથી પણ શાંતિ અને સુમેળનો સ્રોત થવા માટેની પ્રબળ અસરો પ્રાપ્ત કરી છે. રાજા રામમોહનરાય, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ ઉપરાંત આપણી વચ્ચે મહાત્મા ગાંધી હતા જેઓ સમસ્ત માનવજાતનો જ વિચાર કરતા અને કદાપિ અહીં કે તહીંનાં એક સમૂહનો નહીં સમસ્ત માનવજાતિની જ વાત કરતા અને મહામાનવ શબ્દ પ્રયોગ કરનાર રવીન્દ્રનાથ ટાગોર આપણી વચ્ચે હતા; સમગ્ર માનવજાત એક કુટુંબ બને તેવા વૈદિક દર્શનને ખૂબ ભાવમય રીતે તેઓએ પ્રબોધ્યું હતું: યત્ર વિશ્વં ભવતિ એક નીડમ્. વળી ‘ગીતાંજલી’માં વ્યક્ત થયેલી એમની ઝંખના જુઓ.

સાંકડી ઘરેલુ વંડીઓ દુનિયાને વિભાજિત ન કરતી હોય તેવા મુક્તિના સ્વર્ગમાં હે પિતા, મારા દેશને તું જગાડ.’

પોતાના દૃષ્ટિબિંદુમાં અને સહાનુભૂતિઓમાં જવાહરલાલ નહેરુ પૂર્ણપણે આંતરરાષ્ટ્રીય હતા; અને સમગ્રતયા ભારતની પ્રજાનું વલણ પણ તેવું જ છે.

સમસ્ત માનવજાત માટેનું ભાન આજે આખાયે જગતમાં જોરથી જાગી રહ્યું છે. પહેલાંની સદીઓમાં દરેક દેશમાં માણસનું મન સાંકડું હતું અને બીજા દેશોની પ્રજાને હીણી લેખવામાં આવતી હતી. અંતરને કારણે અને તેને લઈને જન્મતા અજ્ઞાનને કારણે આમ હતું. એક હજાર વર્ષથી ભારતમાં આપણા લોકોનાં મન પણ સંકુચિત થવા લાગ્યાં હતાં. અગાઉ ઉલ્લેખાયેલા ટાગોરે અવતરણ આપ્યું છે તે વૈદિક દર્શન, યત્ર વિશ્વં ભવતિ એક નીડમ્ અનુસાર, વેદકાળથી ઈસુની દસમી સદી સુધી આપણા લોકોનું મન સર્જનાત્મક, ખુલ્લું અને વૈશ્વિક હતું. સં.રા.સં. દ્વારા માણસજાત આજે તે વૈદિક દર્શનને અમલમાં મુકવાનું પહેલું કદમ ભરી રહી છે. યુગો જૂની ભારતીય ચિત્તની આ મહાન આશા અપેક્ષા સંયુક્ત રાષ્ટ્ર સંઘ મારફત રાજકીય ક્ષેત્રમાં સિદ્ધ કરાઈ રહી છે; એણે આરંભ તો સારો કર્યો છે પણ, શાંત આંતરરાષ્ટ્રીય વિશ્વ વ્યવસ્થાનું સાધન બનવા માટે તેણે હજી લાંબો પંથ કાપવાનો છે.

૬. ભારતીય ચિત્તનું પાછળથી સંકુચિત બનવું.

આત્મનિર્ભરતાની મૂર્ખ ભાવના હેઠળ બહિર્જગત સાથે સંપર્ક અટકાવી દઈને છેલ્લાં એક હજાર વરસમાં ભારતીય ચિત્ત સંકુચિત બની ગયું હતું. આરબ, પઠાણ, તુર્ક અને મોગલ લોકોનાં સદીઓ લાંબા પરદેશી આક્રમણો અને ધુંસરીના રૂપે આકરી યાતનાએ એ નીતિ લાવી હતી.જે દહાડે ભારતે મ્લેચ્છ શબ્દ ઘડ્યો અને બાહ્ય દુનિયા સાથે સંપર્ક બંધ કર્યો તે દહાડેથી ભારતના નસીબને મહોર લાગી ગઈ.’ એમ સ્વામી વિવેકાનંદે કહ્યું છે. છેલ્લું આવ્યું બ્રિટિશ આક્રમણ; અગાઉનાં ત્રણ આક્રમણો જે નહોતાં કરી શક્યાં તે આણે કર્યું, અર્થાત્ રાષ્ટ્રીય ચેતનાનાં સંકુચનને તેણે અટકાવ્યું અને ભારતીય ચિત્તને વિકાસને અને ઉદ્દામ પરિવર્તનને પંથે તેણે ચડાવ્યું. અંગ્રેજો સાથેના રાજકીય સંબંધે ગ્રીસ રોમનાં પ્રાચીન અને પાશ્ચાત્ય અર્વાચીન સંસ્કૃતિનાં સંબંધમાં ભારતને આણી, ભારતના દીર્ઘ ઈતિહાસના કલંકિત પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકવામાં સહાય કરી.

‘અલબેરુનીનું હિંદ’ નામના પોતાના ગ્રંથમાં એક મહાન વૈજ્ઞાનિક અને ભારતીય સંસ્કૃતિના પ્રેમી અલબેરુનીએ ૮૦૦ વર્ષ પૂર્વે પોતાના સમયમાં ભારતના ચિત્તના સાંકડાપણા વિશે લખ્યું છે. એ સંસ્કૃત જાણતો હતો અને આપણી ખગોળવિદ્યા પ્રત્યે તેને માન હતું અને આપણા દર્શનશાસ્ત્રોનો તેણે અભ્યાસ કર્યો હતો. મહમ્મદ ગઝનીના આક્રમણના કાળમાં તેણે ભારતની મુલાકાત લીધી હતી. એ લખે છે (ડૉ. ઍડવર્ડ સી. સચોનો અંગ્રેજી અનુવાદ. વૉ.૧, લંડન, કીંગન પૉલ, ટ્રેન્ચ ટૂબ્નર ઍન્ડ કં, ૧૯૨૦, પૃ. ૨૨-૨૩):

હિંદુઓ માને છે કે પોતાના દેશ જેવો કોઈ દેશ નથી, પોતાની પ્રજા જેવી પ્રજા નથી, પોતાના ધર્મ જેવો કોઈ ધર્મ નથી. પોતાના વિજ્ઞાન જેવું બીજું વિજ્ઞાન નથી. એ લોકો ગર્વીલા, ફુલણજી, આત્મવંચના કરવાવાળા અને જડ છે. પોતે જે જાણે છે તે બીજાને આપવામાં તેઓ પ્રકૃતિથી કંજૂસ છે અને, પોતાનાથી પરજ્ઞાતિના માણસથી તે છુપાવવા તે ખૂબ કાળજી રાખે છે. અને વળી કોઈ પરદેશીથી તો તેથીયે વધારે. પ્રવાસ ખેડી બીજી પ્રજાઓ સાથે તે હળેભળે તો એમની પ્રવૃત્તિમાં પરિવર્તન આવે જ; એમના પૂર્વજો એમની આજની પેઢીની જેમ સાંકડા મનના ન હતા.”

અર્વાચીન આક્રમણ પશ્ચિમના પીડાકારક સંસર્ગમાં આવ્યું ન હતું ત્યાં સુધી મહા રાષ્ટ્ર ચીન પણ આવી સંકુચિત મનોદશાનાં વલણોમાંથી કેટલીક સદીઓ પસાર થયું હતું. ભારત અને ચીન ઘણા લાંબા સમયથી જીવંત છે અને બન્ને વિકાસના અને સંકોચના તબક્કાઓમાંથી પસાર થયેલ છે. પરંતુ બીજી સંસ્કૃતિઓને સંકુચન એમને મૃત્યુ ભણી લઈ ગયું છે ત્યારે, ભારત અને ચીનનાં કિસ્સામાં સંકુચન બૃહદ વિકાસનું પૂર્વરંગ બનેલ છે. સંસ્કૃતિઓ તરીકે આ બંને અમર રહી છે.

૭. આધુનિક ભારતનું વિકાસશીલ ચિત્ત

આધુનિક કાળમાં ભારતના સર્વાંગીણ વિકાસની ઝાંખી સ્વામી વિવેકાનંદે કરી હતી અને તેનું દૃષ્ટાંત પણ પૂરું પાડ્યું હતું; એમણે કહ્યું હતું: ‘બધો વિકાસ જીવન છે, બધું સંકુચન મૃત્યુ છે.’ આજે, આપણે ભારતના ચિત્તના વિકાસના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. ૧૮૯૪ના નવેમ્બરની ૧૮મીએ લખેલા એક પત્રમાં (‘લેટર્સ ઑફ સ્વામી વિવેકાનંદ, પૃ. ૧૫૦) સ્વામીજી કહે છે:

‘તો આપણે પૃથ્વીની બધી જાતિઓ સાથે ભળવું જોઈએ. વહેમો અને સ્વાર્થપરાયણતાનાં પડીકાં જેવા અને ઘાસની ગંજીમાંના કૂતરા થવાના એકમાત્ર ધ્યેયવાળા સેંકડો લોકો કરતાં, પરદેશોમાં પ્રવાસ કરતો એક હિંદુ પોતાના દેશને વધારે લાભકારક છે. પાશ્ચાત્ય પ્રજાઓએ રાષ્ટ્રીય જીવનની જે આશ્ચર્યકારક ઈમારતો ઊભી કરી છે તે, ચારિત્ર્યના સુદૃઢ પાયા પર ઊભી છે અને આવી અસંખ્ય ઈમારતો આપણે ઊભી ન કરી શકીએ ત્યાં સુધી આ કે પેલી સત્તા સામે દાંતિયા કરવાનો કે નાકનાં ટીચકાં ચડાવવાનો કશો અર્થ નથી.’

‘બીજાને સ્વાતંત્ર્ય આપવા તત્પર ન હોય તે કોઈ સ્વાતંત્ર્યને લાયક છે શું? ભૂતકાળ જરૂર મહાન હતો પરંતુ, અંત:કરણપૂર્વક હું માનું છું કે ભવિષ્ય વધારે કીર્તિવંત થશે.’

૧૮૯૭માં મદ્રાસમાં આપેલા ‘આપણી સમક્ષનું કાર્ય’ પરના વ્યાખ્યાનમાં (કંપ્લીટ વર્કસ, વૉ.૩, પૃ. ૨૭૧-૭૨) આ બે સદીના ટૂંકા બ્રિટિશ સંબંધમાંથી ઉદ્ભવતાં, ભારતના ભાવિના પોતાના દર્શનને વ્યક્ત કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે:

‘આજે પુરાણો ગ્રીક પુરાણા હિંદુને ભારતની ભૂમિ પર મળી રહ્યો છે. આમ ધીમેથી અને શાંતિથી આથવણ પડ્યું છે; આપણી બધી બાજુએ આપણે જે વિકાસની, ચેતનની, નવજાગ્રુતિની પ્રવૃત્તિઓ જોઈએ છીએ તે, એ બે પરિબળોનાં સંમિશ્રણથી ઊભી થઈ છે. જીવનનો વિશાલતર અને ઉદારતર ખ્યાલ આપણી સમક્ષ છે; ને જો કે આપણે આરંભમાં થોડા છેતરાયા હતા અને વાતને ટૂંકી કરવા માગતા હતા, પરંતુ આજે આપણે સમજી શકીએ છીએ કે, કાર્યરત આ મુક્ત આવેગો, જીવનના આ બહોળા ખ્યાલો આપણા પ્રાચીન ગ્રંથોમાં જે છે તેનું તાર્કિક અર્થઘટન છે. આપણા પૂર્વજોના વિચારોનો, કેવળ તર્કદૃષ્ટિએ કરેલો અમલ છે. વિસ્તરવું, બહાર જવું, ભેળવવું, જાગતિક કરવું એ આપણાં ધ્યેયોનું ચરમ બિંદુ છે. અને બધો સમય આપણી જાતને આપણે નાનેરી બનાવતા અને આપણાં શાસ્ત્રોમાં લખ્યા કરતા ઊલટું આપણે વાડાઓ ઊભા કરતા જઈએ છીએ.’

ભિન્ન રાષ્ટ્રોની પ્રજાઓના મુક્ત મિલનનો આ વ્યાપર જ સંયુક્ત રાષ્ટ્ર સંઘ પાછળનું બળ છે, તેની પાછળનો કાયદો છે.

૮. ઠંડા વિશ્વયુદ્ધના વિષ્કંભક પછીનો સં.રા.સંઘ

આંતરરાષ્ટ્રીય સહાનુભૂતિ અને માનવ સંવાદિતાના મહાપ્રસ્થાનને આરે જગત ઊભું છે. દુનિયાના બધા ભાગોની પ્રજાઓનાં હૃદયમાં છૂપી ખોજ એ છે. ઑગસ્ટ, ૧૯૪૫માં જાપાનમાં અણુબોંબ નખાયા પછીથી તે તીવ્રતર બની છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘ સ્થપાયો તે પછીથી તરત જ તેને ઠંડા યુદ્ધના વિષ્કંભકમાંથી પસાર થવું પડ્યું હતું. આંતરરાષ્ટ્રીય રાજકીય વાતાવરણ ધૂંધળું હતું: જે સંસ્થાનવાદી સત્તાઓએ સંસ્થાનો છોડ્યાં ન હતાં તેમની બોલબાલા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હતી. વિશેષમાં અમેરિકાનું યુનાઈટેડ સ્ટેટ્સ સૉવિયેટ યુનિયનના સંપૂર્ણ અવિશ્વાસથી ભરેલું હતું. એ જ રીતે સોવિયેટ યુનિયનને યુનાઈટેડ સ્ટેટ્સનો પૂરો અવિશ્વાસ હતો. પશ્ચિમ અને પૂર્વ વચ્ચે આમ ઠંડું યુદ્ધ ચાલુ થયું અને પરિણામે, સંયુક્ત રાષ્ટ્રસંઘ પોતાની કાર્યપ્રવૃત્તિમાં જરાય સંયુક્ત ન રહ્યો; ખરેખર તો એ વિભક્ત રાષ્ટ્રોની સંસ્થા બની ગઈ. ઠંડા યુદ્ધનું પરિવર્તન વાસ્તવિક યુદ્ધમાં ન થયું એ એની એકમાત્ર સિદ્ધિ હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘની આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાની બધી અપેક્ષાઓને આ પરિબળોએ ઝાંખી પાડી દીધી. બન્ને મહાસત્તાઓ પાસે ભયંકર અણુશસ્ત્રોનો ખજાનો હોઈ મહાવિનાશક ત્રીજા વિશ્વયુદ્ધનો સતત ભય રહેવા લાગ્યો.

પછી સ્ટાલીનનું મૃત્યુ થતાં સૉવિયટ યુનિયનમાં કેટલુંક પરિવર્તન આવ્યું અને યુ.એસ.એ. સોવિયત સંવાદમાં થોડી મૈત્રીનો વિકાસ થયો. પૂર્વ ખંડ અને પશ્ચિમ ખંડ વચ્ચેનો લોખંડી પડદો વાંસનો પડદો બન્યો; સમય જતાં થોડાંક વરસ પહેલાં પોતાની ગ્લાસનોસ્ત અને પેરેસ્તોઈકાની નીતિ સાથે મિખાઈલ ગોર્બાચોવના આગમન સાથે બધા પડદાઓ હટાવાઈ ગયા. પછી ઘટનાઓ ઝડપથી બનવા લાગી અને બર્લિનની દિવાલ તૂટી ગઈ, પૂર્વ અને પશ્ચિમ જર્મની એક બન્યાં અને પૂર્વ યુરોપમાં તો ઠીક ખુદ સૉવિયેટ યુનિયનમાં પણ સામ્યવાદી સત્તાનો અસ્ત થયો. પૂર્વ પશ્ચિમ વચ્ચેની શંકાઓ નાશ પામતાં આ ક્રાંતિકારી ફેરફારોએ સંયુક્ત રાષ્ટ્રસંઘના સંયુક્તપણાને પુનઃપ્રસ્થાપિત કરવામાં સહાય કરી. યુ.એસ.એ. અને સૉવિયટ યુનિયન વચ્ચેના સંઘર્ષને કારણે યુદ્ધોત્તર કાળમાં ભારતમાં આપણે ખૂબ સહન કર્યું છે. સૉવિયટ યુનિયનની સામે યુ.એસ.એ.ને પલ્લે ન બેસવા માટે આપણા બધા પ્રશ્નોને યુ.એસ.એ.એ સતત ભારતવિરોધી ચશ્માથી જ જોયા છે; અપક્ષ રાષ્ટ્રોની પ્રવૃત્તિ ઊભી કરવા માટે યુ.એસ.એ. ભારત પર ક્રોધે ભરાયું છે; થોડા સમય માટે સૉવિયટ યુનિયનનું વલણ પણ મિત્રાચારીભર્યું ન હતું; પરિણામે આંતરરાષ્ટ્રીય દૃષ્ટિએ ભારત સાવ નિરાધાર બની ગયું હતું. પછીથી ભારતને સૉવિયટ યુનિયનનો પ્રબળ ટેકો સાંપડવા લાગ્યો હતો. કાશ્મીર પ્રશ્ને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ચર્ચાઓ ચાલતી ત્યારે યુ.એસ.એ.ની પક્ષપાતી ટીકાથી અને પાકિસ્તાનને તેની તરફથી મળતી રહેતી લશ્કરી મદદથી ભારતે ખૂબ સહન કર્યું હતું. લશ્કરી સહાય તો હજીયે ચાલુ છે ને પોતાની અલ્પ સમૃદ્ધિને સંરક્ષણ માટે વાપરવા ફરજ પાડે છે. પરંતુ યુ.એસ.એ. – સૉવિયટ યુનિયન વચ્ચેનો સંઘર્ષ ટળી જતાં સંજોગો તદૃન બદલાયા છે. આજે ઠંડું યુદ્ધ નથી તેથી ભારત સુખી છે; આંતરરાષ્ટ્રીય બાબતો પર સંયુક્ત રાષ્ટ્રસંઘ હવે વધારે તટસ્થ રીતે અને નિષ્પક્ષપાતપણે કાર્યરત રહી શકે છે; ને ભારતનો યુ.એસ.એ. સાથેનો સંબંધ વધારે મિત્રાચારીભર્યો બની શકે છે.

આને લઈને અપક્ષ પ્રવૃત્તિ થોડી બિનજરૂરી બની છે. અને નવી પરિસ્થિતિમાં ગોઠવાવા એ પ્રયત્ન કરી રહી છે. આમ પહેલીવાર પૂર્વ અને પશ્ચિમ ખંડોનાં પરસ્પર સાથેના તેમ જ અપક્ષ રાષ્ટ્રો સાથેના સહકારનું સાધન સં.રા.સં. બની શકેલ છે. પોતાના ઇતિહાસને આ તબક્કે કુવૈત પરના ઈરાકી આક્રમણને કારણે સં.રા.સંઘ સામે મોટો પડકાર આવી પડ્યો છે. આ પડકારનું સારું પરિણામ એક એ આવ્યું છે કે એક નબળા રાજ્ય પર સબળા રાજ્યે કરેલા આ આક્રમણ સામે બધાં રાષ્ટ્રો એક થયાં છે. આંતરરાષ્ટ્રીય શાંતિનાં અને પોતાનાં સભ્ય રાષ્ટ્રોની રાજકીય સ્થિરતાના હામી તરીકેનો આ લગભગ સર્વાનુમતિ પ્રતિભાવ શુભ આરંભ છે.

૯. સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ભારતનું અદ્વૈત દર્શન

ભારતને લાગે વળગે છે ત્યાં સુધી સ્વામી વિવેકાનંદે વિસ્તારથી પ્રબોધેલું ભારતનું અદ્વૈત વેદાંતનું દર્શન એવું છે જે, માનવ એકાત્મતાના આ મહાન વૈશ્વિક યત્નને આગળ ધરી શકે તેમ છે. પોતાની અનંત વિવિધતા જાળવી રાખીને માનવીની પાયાની એકતાની વાત આપણે કરવી છે. ભારતીય સંસ્કૃતિને પ્રેરતું અદ્વૈત દર્શન વિવિધતામાં એકતાનું દર્શન છે. એકવિધતાનું નથી; અને સંયુક્ત રાષ્ટ્રસંઘને પણ ભારત એ જ દૃષ્ટિએ જુએ છે. રાષ્ટ્રો, જાતિઓ, ધર્મો અને રાજકીય માળખાંઓ તો જુદાં હોય પણ માનવ જાતિ એક જ છે, અંદર અંદર લગ્ન સંબંધો બાંધતી અને અંદર અંદર ચિંતન કરતી એક જ જાતિ છે. પોતાના આંતર માનવ અને આંતર-સમૂહ સંબંધોમાં સંવાદિતા અને સુમેળની ખોજ માનવજાત આજ કરી રહી છે. ભારતના અદ્વૈત દર્શનનો, અભેદ દર્શનનો આ કેન્દ્રવર્તી વિચાર છે. અદ્વૈત એટલે બે-દ્વૈત નહીં, જે મૂળ સત્યમાંથી આ વિવિધતાના વિશ્વનો આવિષ્કાર થાય છે તેનો સ્વીકાર એટલે બધા દ્વૈતનો, ભેદનો અસ્વીકાર. એ સત્યનું સ્વરૂપ વિશુદ્ધ ચૈતન્યનું, અનંતનું અને અભેદનું છે અને તે બ્રહ્મ કે આત્માને નામે ઓળખાય છે. જો કે, બધાં નામથી અને ગુણથી તે પર છે. માનવીમાં અને પ્રકૃતિમાં સર્વત્ર વસતું એ આત્મતત્ત્વ છે; એ બધી વિવિધતાને જોડે છે. ‘ગીતા’માં કહ્યા પ્રમાણે માળામાંના મણિઓને સૂત્ર જોડે છે, તેમ અંગ્રેજ કવિ રૉબર્ટ બ્રાઉનિંગે ‘પારાસેલ્સસ’માં કરેલો શબ્દપ્રયોગ વાપરીએ તો, એ આપણી સૌની અંદર રહેલી કેદી ભવ્યતા છે જેને ખીલવીને માનવી વધારે ને વધારે શાંતિ અને સંવાદિતાને સાધે છે. આ આધ્યાત્મિક આવિષ્કારમાંથી કેવળ પ્રેમ અને સેવા પ્રગટી શકે, જે સૌ કોઈનો જન્મસિદ્ધ અધિકાર છે, એમ અદ્વૈત ફિલસૂફી કહે છે. પોતાના અઢાર શ્લોકમાંથી બેમાં ‘ઈશ ઉપનિષદ’ એનો ટંકાર કરે છે.

यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति।

सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते॥

‘જે બધાં ભૂતોને આત્મામાં જુએ છે અને આત્માને બધાં ભૂતોમાં જુએ છે તે કદી કોઈને ધિક્કારતો નથી.’ यस्मिन् सर्वाणि भूतानि आत्मैवाभूत् विजानतः।

तत्र को मोहः कः शोकः एकत्वम् अनुपश्यतः॥

‘જે જ્ઞાનીને બધાં પ્રાણીઓ આત્મા બની ગયા છે તે, એકતાના જાણનારને, પછી મોહ અને શોક ક્યાં રહે?

રાષ્ટ્રો વચ્ચેના ભેદ મિટાવવાના અને જગતની બધી પ્રજાઓ વચ્ચે રાજકીય અને સાંસ્કૃતિક એકતા સ્થાપવાના આજની માનવજાતિના પ્રયત્નમાં અદ્વૈત વેદાન્ત દર્શન સામૂહિક રીતે વ્યક્ત થાય છે. જગતનાં રાષ્ટ્રોની વિવિધ સંસ્કૃતિઓ સાથે એક વિશિષ્ટ માનવ- સંસ્કૃતિનાં વિકાસમાં આ પરિણમશે. હવે પછીથી, યુ.એન. સાથેના સંબંધથી ભારતને લાભ મળશે તેની સાથે ભારતની ખૂબ ઉપકારક અસર યુ.એન. પર પડવાની આશા આપણે રાખી શકીએ. પરંતુ ભારત પોતાની રાજકીય કાયા તંદુરસ્ત રીતે વિકસાવે તેની પર એ અસરનો આધાર છે. વર્તમાન સમયે તો રાષ્ટ્ર તરીકે આપણે માત્ર આર્થિક દૃષ્ટિએ જ નહીં, શૈક્ષણિક રીતે પણ પછાત છીએ; આપણા દેશમાં કેટલી નિરક્ષરતા છે, કેટલા કરોડો રંક અને પછાત છે! આપણા દેશમાંના આ કરોડો લોકોની જિંદગી સુધારવા માટે આપણે ભગીરથ પ્રયત્નની આવશ્યકતા છે. યુદ્ધોત્તર કાળને એક આશીર્વાદ એ છે કે ગરીબ અને વિકસતાં રાષ્ટ્રોને સહાય કરવા સંપત્તિવાન અને વિકસિત રાષ્ટ્રો આગળ આવે છે. આપણા પોતાના જ દેશમાં પોતાના નબળા વર્ગોને સહાય કરવા ક્રિયાશીલ રસ દાખવી અને કાર્યક્મો રજૂ કરી આપણા ઉજિળયાત વર્ગે જોરથી આગળ આવી આ વ્યાપાર અપનાવવો જોઈએ. આ રાષ્ટ્રીય પ્રશ્નને હલ કરવામાં આપણે જેટલા ફતેહમંદ બનીશું તેટલી સં.રા.સં.ના નીતિ કાર્યક્રમો પ૨ આપણી અસર વધારે પડશે અને સમસ્ત મનુષ્યજાતિનાં સુખ અને કલ્યાણમાં આપણું યોગદાન વધારે પ્રબળ થશે!

૧૦. ઉપસંહાર: સં.રા.સં.ને ભારત શી રીતે સુદૃઢ કરી શકે:

સં.રા.સંઘની ૪૬મી વર્ષગાંઠ ઊજવતી વેળા ભારત તેને શી રીતે સુદૃઢ કરી શકે તે આપણે સમજવા ઈચ્છીએ છીએ; પણ એની પહેલાં આપણા પોતાના રાષ્ટ્રને આપણે સુદૃઢ કરવાનું છે. આપણી ગૃહનીતિ તંદુરસ્તીભરી હશે તો આપણી પરરાષ્ટ્રનીતિ પર તેની સ્વાસ્થ્યપ્રદ અસર પડશે: બંને એકમેક પર આધારિત છે. આજે આપણી આંતરિક સ્થિતિ નબળી છે. પરરાષ્ટ્રનીતિને એ શો ફાળો આપી શકે? પોતાની વિશાળ જનસંખ્યાને ગૌરવ અને સ્વાતંત્ર્યની કક્ષાએ લઈ જઈ શકે તેવું સુગ્રથિત અને બળવાન ભારત જ સં.રા.સં.ને અને સમગ્ર માનવજાતને કંઈ અર્પણ કરી શકશે. આવતાં પચાસ વર્ષમાં તેવું બની શકે તેવી આશા મને છે. આપણા લાંબા ઈતિહાસમાં આપણે હજી સુધી જે હાંસલ કરી ન શક્યા તે, માનવજાતિના છઠ્ઠા ભાગનો સંપૂર્ણ માનવીય વિકાસ, આપણે આજના અર્વાચીન સમયમાં સિદ્ધ કરી શકીશું. યુગો પૂર્વે જેનું સેવન મનહૃદયમાં કર્યું હતું તે કંઈક મહાનને સિદ્ધ કરવાનું થશે. જગત ઉપર આવા ભારતની અસર માત્ર સંવાદિતા અને શાંતિ માટે થશે. સંવાદિતાનો આ સંદેશ માત્ર આપણા ઋષિઓએ અને સંતોએ સુણાવ્યો હતો એટલું જ નહીં, તે આપણા રાજાધિરાજોએ પણ સુણાવ્યો હતો. ઈસુપૂર્વેની ત્રીજી સદીમાંના સમ્રાટ અશોક આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. માનવ એકતાનો અને શાંતિનો અને સંવાદિતાનો, ધર્મ-ધર્મ વચ્ચેની સંવાદિતાનો, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સંવાદિતાનો એનો સંદેશ ઉત્તરમાં સૉવિયટ સંઘમાંના તાશ્કંદથી માંડી દક્ષિણ ભારતમાંના કર્ણાટક સુધીના એના વિશાળ સામ્રાજ્યમાંના શિલાલેખો અને સ્તંભલેખોમાં વેરાયેલો પડ્યો છે. એ પ્રાચીનકાળે મનુષ્યજાતિને એણે આપેલો ભારતનો એ અદ્ભુત સંદેશ હતો. એના એક શિલાલેખમાં આજે પણ વાંચી શકાતા એક શબ્દસમૂહને ધ્યાનથી સાંભળશે તો જગતની પ્રજા આજે પણ સુખી થશે: समन्वाय एव साधुः

શું ધર્મનાં કે શું સંસ્કૃતિના ક્ષેત્રમાં સમન્વય જ સત્ય અને યોગ્ય છે.સમન્વય’ એટલે સંવાદિતા, ‘એવં’ એટલે ‘માત્ર’, ‘સાધુ:’ એટલે ‘સત્ય’ અને યોગ્ય. વિસંવાદ નહીં સંવાદ. ભારતે આત્મસાત્ કરેલો તે અશોકનો સંદેશ છે તે ભારતનો સંદેશ છે. દુર્ભાગ્યે ખોટી કેળવણીને કારણે આપણી પ્રજા આ સ્વાતંત્ર્યોત્તર કાળમાં આવાં મૂલ્યોનો સંપર્ક ગુમાવતી જાય છે. આપણા પ્રાચીન અર્વાચીન સંતોના શ્રવણથી આપણે આ પરિસ્થિતિને સુધારવી પડશે. સ્વ. શ્રીમતી દુર્ગાબાઈ અને ડૉ. સી. ડી. દેશમુખ સાથે સંકળાયેલી આ સંસ્થામાં આવી સંયુક્ત રાષ્ટ્રસંઘની વર્ષગાંઠ ઉજવવાના આનંદમાં તમારી સાથે સામેલ થવાનો મને આનંદ છે.

તમને સૌને મારો પ્રેમ અને મારી શુભેચ્છાઓ.

૧ હૈદરાબાદ (આંધ્રપ્રદેશ)માં તા. ૨૫-૧૦-૧૯૯૦ને દિવસે ‘લિટરસી હાઉસ, આંધ્ર મહિલા સભા’માં ૪૬મા સં.રા.સં. દિનની ઉજવણી પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ સ્વામી રંગનાથાનંદજીએ અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાન પ્રસંગે, સ્વાગત પ્રવચન આપનાર ‘લિટરસી હાઉસ’ના અધ્યક્ષશ્રી શ્રી વી. એન. મૂર્તિ

ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 133

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.