(સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના 13મા પરમાધ્યક્ષ હતા. અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’માંથી ડિસેમ્બર, 1954ના અંકમાં પ્રસિદ્ધ થયેલ તેમના લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી હર્ષદભાઈ પટેલ. – સં.)

ભગવદ્‌ગીતાના પ્રાદુર્ભાવની પશ્ચાદ્‌ભૂમિકામાં રહેલાં મહાન ઉપનિષદોનું અધ્યયન આપણને ગીતા-ઉપદેશના વિષયવસ્તુ અંગે અંતર્દૃષ્ટિ પૂરી પાડે છે. ગીતાનું સુચારુ અધ્યયન જીવનનાં ઉચ્ચતર મૂલ્યોના સાક્ષાત્કાર અર્થે સંઘર્ષરત લોકોને શ્રેષ્ઠ ફળદાયક નીવડશે. દૈનંદિન જીવનની અનિશ્ચિતતા અને સંદેહને સંસ્પર્શતા, ઉપનિષદોમાં વર્ણિત પરિપ્રશ્નો અને પ્રત્યુત્તરો સત્ય-શોધકને પરમ સત્યના હાર્દ પ્રતિ દોરી જાય છે. જો કે આવા પ્રશ્નોનું ઉપનિષદોમાં વિશદ આલેખન નથી, છતાંય પશ્ચાત્‌વર્તીકાળના આચાર્યો અને શાસ્ત્ર-ગ્રંથોને તેણે પ્રશ્નોના નિરાકરણ અને ઉકેલને લગતી પ્રચુર પ્રેરણા પ્રદાન કરી છે. આ પ્રેરણાને મહાન યુગાચાર્ય શ્રીકૃષ્ણે વિશાળ ફલક પર પ્રસ્તુત કરી છે. તેમણે આ પ્રેરણાનું પોતાના વિરાટ વ્યક્તિત્વ દ્વારા ઉદાત્તીકરણ કર્યું અને આમ સર્વસંશયહારી ગીતા-ઉપદેશોનો આવિર્ભાવ થયો.

એટલે ગીતા-ગ્રંથ ઉપનિષદ પણ છે, વ્યવહારુ ઉપનિષદ—વ્યવહારુ જીવન માટેનું ઉપનિષદ. તેથી ગીતા ब्रह्मविद्यान्तर्गत योगशास्त्र છે. ગીતા ઉપનિષદ્‌ અર્થાત્‌ બ્રહ્મવિદ્યા, સાથોસાથ યોગશાસ્ત્ર પણ છે. તેથી તેનો મહિમા પરમ છે, ઉપાદેયતા મહાન છે. નદીમાંનું જળ જ્યાં સુધી નહેરો દ્વારા સિંચાઈ માટે ખેતરોમાં ન લવાય ત્યાં સુધી તેની વિશેષ સાર્થકતા નથી, વળી ક્યારેક પૂરના રૂપમાં વિનાશક પણ નીવડે. ગીતાના ઉપદેશોનું દૈનંદિન જીવનમાં આચરણ કરવામાં આવે તો આપણું જીવન-વિષયક દૃષ્ટિબિંદુ વ્યાપક બને છે. ગીતા આપણે જે સ્તરે સ્થિત છીએ ત્યાં સુધી નીચે ઊતરી આવે છે અને આપણને ઉચ્ચ સ્તરે અવસ્થિત કરી દે છે, આ છે ગીતાનું મોહક આકર્ષણ. તેનો ઉપદેશ વ્યવહારુ, ગતિશીલ અને સાર્વભૌમિક છે.

જેમ શ્રીકૃષ્ણ અઢારમા અધ્યાયમાં કહે છે, તેમ જ્યારે આપણે ગીતા-અધ્યયન કરીએ છીએ ત્યારે તે આપણું સાહસ-કાર્ય બને છે—પરમ સત્યની ખોજ માટેનું સાહસ-કાર્ય. શ્રીકૃષ્ણ તેને ज्ञानयज्ञ કહે છે. આપણી આધ્યાત્મિક ઝંખનાને અભિવ્યક્ત કરતા વિભિન્ન પ્રકારના યજ્ઞો છે—અગ્નિમાં દ્રવ્યોની આહુતિ આપીને કરાતો યજ્ઞ એ પ્રારંભિક કક્ષાનો યજ્ઞ છે; જપયજ્ઞ તેનાથી કંઈક ઉચ્ચ છે, એકાગ્ર ચિત્તે કરાતી પ્રાર્થના અને ઉપાસના તેથીય કંઈક ઉચ્ચ છે. પરંતુ આપણાં શાસ્ત્રો કહે છે તે આ ज्ञानयज्ञ ઉત્તમોત્તમ છે, જેના દ્વારા આપણે આત્મરત રહેવાનો પ્રયાસ કરીએ છીએ. આ વિભાવનાને અઢારમા અધ્યાયમાં (શ્લોક ૭૦) અભિવ્યક્ત કરતાં ભગવાન અર્જુનને કહે છે:

अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयोः।
ज्ञानयज्ञेन तेनाहमिष्टः स्यामिति मे मतिः।।

‘જે મનુષ્ય આપણા બંનેના આ ધર્મમય સંવાદનું અધ્યયન કરશે, તેણે જ્ઞાનયજ્ઞથી મારું પૂજન કર્યું છે, એમ હું માનું છું.’

તેથી જ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશ કરે છે અને એટલે આપણે પણ આવા મહાન જ્ઞાનયજ્ઞનું અત્યારે અનુશીલન કરીએ છીએ.

હું ગીતા-અધ્યયન પૂર્વે શ્લોક-સમૂહનો પાઠ કરીશ અને તેની સમજૂતી આપીશ. આ શ્લોકની રચના પશ્ચાદ્‌વર્તીકાળમાં ગીતાની પ્રશંસાત્મક-સ્તુતિ રૂપે કોઈ મહાન વિભૂતિએ કરી છે. આ સુંદર શ્લોકો ઘણાં બધાં ગીતા-સંસ્કરણોમાં જોવા મળે છે. તે ‘गीताध्यान’ શ્લોકો તરીકે ઓળખાય છે. જેઓ સંસ્કૃત જાણે છે તેઓ શ્લોકોનું રસપાન કરી શકશે, કારણ કે તે સુંદર ભાષામાં અલંકૃત છે, પરંતુ શ્લોકોમાંનાં ઉદાત્ત મૂલ્યોથી સૌ કોઈ લાભાન્વિત થશે.

આ ધ્યાન-શ્લોકોનો પ્રારંભ ગીતાની પ્રશંસાથી થાય છે. ત્યાર બાદ વ્યાસ, શ્રીકૃષ્ણ અને મહાભારતનું મધુર સ્મરણ કરાય છે, અંતમાં પરમ સત્તાનું ભક્તિપૂર્ણ આરાધના રૂપે સર્વોત્કૃષ્ટ ઉદ્‌બોધન કરાય છે.

ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं
व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्।
अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीं
अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवेद्वेषिणीम्॥1॥

અર્થાત્‌ હું મહાન માતા એવી ભગવદ્‌ગીતાનું ધ્યાન ધરું છું. આ ગીતાનું સ્વરૂપ કેવું છે? તે સંસાર-બંધન તોડવામાં સહાય કરે છે. આ ગીતાનો આવિર્ભાવ પરમાત્મા નારાયણમાંથી થયો છે. તેની રચના મહાન અને પ્રાચીન ઋષિ વ્યાસે કરી છે. મહાભારતના સમરાંગણમાં તેનો ઉદ્‌ઘોષ થયો છે. આ ગ્રંથ અદ્વૈતજ્ઞાનરૂપ અમૃતની વર્ષા કરે છે, જેના દ્વારા આપણે સંસાર-મુક્ત થઈએ છીએ અને પરમાત્મા સાથેના આપણા ઐક્યની અનુભૂતિ થાય છે. ईशावास्य उपनिषद ઘોષિત કરે છે—

ईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत्‌।
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम्‌॥1॥

જે વિવિધતા પાછળનું ઐક્ય છે. આવું સર્વોત્કૃષ્ટ ગીતા-જ્ઞાન છે, જીવનનું સ્વરૂપગત ઈશ-ઐક્ય. આ શ્લોકમાં ગીતાને મહાન દેવી તરીકે ગણવામાં આવી છે. એ તેની અખંડ પવિત્રતા સૂચવે છે, વિશુદ્ધીકરણનું સામર્થ્ય પ્રગટ કરે છે. આ ગ્રંથમાં અઢાર અધ્યાય છે. આ ગીતા જગજ્જનની છે, તે સંસાર-બંધન તોડવામાં સહાયતા કરે છે. હું તેનું ધ્યાન ધરું છું.

नमोऽस्तु ते व्यास विशालबुद्धेः फुल्लारविन्दायतपत्रनेत्र।
येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः॥2॥

વિશાળ મન-બુદ્ધિવાળા વ્યાસ! તમને મારા નમસ્કાર—એમ આ શ્લોક જણાવે છે. મહાભારતનું અધ્યયન કરનારને જણાય છે કે વ્યાસ કેવા મહાન બુદ્ધિશાળી હતા! ખીલેલા કમળની પાંખડીઓ જેવાં નેત્રવાળાં તેઓ પૂર્ણમાનવ હતા. ભગવાન શ્રીકૃષ્ણ સહિતની મહાન વિભૂતિઓનું આપણાં શાસ્ત્રોમાં આ પ્રકારનું વર્ણન જોવા મળે છે. આ મહાન બુદ્ધિએ મહાન સેવા બજાવી છે. કોઈ પણ વ્યક્તિ માનવજાતની જે સેવા કરે, તેમાંની સર્વોત્તમ સેવા એટલે કે બુઝાઈ જતા જ્ઞાનદીપને જગકલ્યાણ નિમિત્તે પ્રગટિત કરવો તે છે. જગત તમસ્‌—અર્થાત્‌ ઘોર નિરાશાથી વ્યાપ્ત હતું અને જ્ઞાનદીપ પેટાવવામાં આવ્યો, એટલું જ નહીં, પર્યાપ્ત તેલ પણ પૂરવામાં આવ્યું, જેથી કરીને દીપ શાશ્વતકાળ પર્યંત પ્રજ્વલિત રહે. આપણે તે દીપની જ્યોતિથી આજે લાભાન્વિત થઈ રહ્યા છીએ. ગીતાનો આ જ્ઞાનદીપ ‘મહાભારત’ ગ્રંથમાં સ્થાપિત કરાયેલો છે. મહાન વ્યાસની માનવજાતને આ શ્રેષ્ઠતમ સેવા છે. આવા વ્યાસને મારા પ્રણામ.

‘મહાભારત’માં ઉલ્લેખ છે કે વ્યાસને આ મહાકાવ્ય પૂર્ણ કરવામાં ત્રણ વર્ષનો સમય લાગ્યો. તેઓ પ્રતિદિન વહેલા ઊઠીને મહાકાવ્ય-લેખન માટે સંનિષ્ઠભાવે બેસી જતા. ગીતા આ મહાકાવ્યનો એક અંશ છે અને તેના આચાર્ય શ્રીકૃષ્ણનું હવે આવાહન કરાય છે.

प्रपन्न पारिजाताय तोत्रवेत्रैकपाणये ।
ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः॥3॥

જ્ઞાનમુદ્રા ધારણ કરીને ઊભેલા શ્રીકૃષ્ણને નમસ્કાર. વાસ્તવમાં જ્ઞાનમુદ્રા એ માનસિક સ્થિતિ છે પરંતુ વિચારો અને મનના ભાવો દેહ દ્વારા સ્વયં અભિવ્યક્ત થાય છે. પ્રત્યેક ધર્મમાં મનની સ્થિતિ સાથે શરીરની મુદ્રાઓની સાર્થકતાનો સ્વીકાર કરાયો છે. દરેક ધર્મમાં એક કે બીજા પ્રકારની મુદ્રાઓ પ્રચલિત છે. આપણા દેશમાં આપણે જ્ઞાનને નિશ્ચિત મુદ્રા સાથે સંલગ્ન ગણીએ છીએ અને એ હતી શ્રીકૃષ્ણની જ્ઞાનમુદ્રા. શ્લોક જણાવે છે, ‘(જમણો) હાથ જ્ઞાનમુદ્રામાં ધારણ કરીને ઊભેલા, ગીતારૂપી અમૃતનું દોહન કરનાર શ્રીકૃષ્ણને હું નમસ્કાર કરું છું.’

શ્રીકૃષ્ણ કલ્પતરુ સમાન છે. તેમને શરણે આવેલા સૌ કોઈની ઇચ્છાઓ તેઓ પૂર્ણ કરે છે. વળી, તેઓ પોતાના જીવનના પ્રારંભકાળમાં ગોવાળ હતા, તેથી તેઓ હાથમાં ગાયો હાંકવા માટેની લાકડી રાખે છે. તેઓ પ્રારંભિક જીવનમાં જેમ ગાયોનું દૂધ દોહનાર હતા, તેમ શ્રીકૃષ્ણ ગીતામૃતનું દોહન કરનાર છે, સર્વ અનુભૂતિઓનું દોહન કરનાર—એવા ‘તેમને’ (પરમાત્માને) નમસ્કાર કરું છું.

सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः ।
पार्थो वत्सः सुधीः भोक्ता दुग्धं गीतामृतं महत् ॥4॥

હવે આવે છે, આવી રીતે દોહન કરાયેલા દૂધના સ્વરૂપનું સુંદર વર્ણન. શ્રીકૃષ્ણે બાલ્યકાળમાં વૃંદાવનમાં ગાયોના દૂધનું દોહન કરીને સ્વયં દૂધ પીધું હતું પરંતુ તેમણે ઉપનિષદોનું દોહન કરીને મેળવેલ દૂધ આપણને આપ્યું. બધાં જ ઉપનિષદોને અહીં એક ગાય રૂપે ગણવામાં આવ્યાં છે. પરંતુ આપણને કિંમત છે, ગાય જે દૂધ આપે છે તેની. ગાયના દૂધમાંથી મળતા પોષણનો જ આપણે ખ્યાલ કરવો રહ્યો. શ્રીકૃષ્ણ જાણતા હતા કે ઉપનિષદો વિશદ, વિવિધ અને અર્થસભર છે. માનવજાતના મિત્ર તરીકે તેમણે તેનું શાંતિપૂર્વક દોહન કર્યું અને તૃષાતુર માનવજાત સમક્ષ તે દૂધ મૂક્યું. અહીં મહાન વિભાવનાને સુંદર રીતે અને શૃંખલામાં અભિવ્યક્ત કરવામાં આવી છે. ગાયમાંથી દૂધ મેળવવા માટે નાના વાછરડાની જરૂરિયાત હતી. અર્જુન હતો વાછરડો, ગાયમાંથી દૂધ મેળવવા માટેનું તે ઉપાદાન હતો. આ દૂધ જીવનના નૈતિક અને આધ્યાત્મિક સંઘર્ષમાં આવશ્યક પોષણ પ્રાપ્ત કરવા મથતા જગતના સજ્જનો અને પવિત્ર અંત:કરણના લોકો માટે હતું. જેઓએ પવિત્ર બનવાનો સંકલ્પ નથી કર્યો એવા લોકો માટે આ ઉપદેશનું કોઈ મહત્ત્વ નથી. પરંતુ જેઓ પોતાના માનવજીવનને સાર્થક કરવા માગે છે, તેમના માટેનો સંદેશ ગીતા ધરાવે છે. ગીતા-સંદેશ જ્ઞાતિ, ધર્મ કે લિંગભેદને લક્ષમાં લીધા વિના બધા જ સજ્જનો માટે ઉપલબ્ધ છે.

वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् ।
देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॥5॥

હવે શ્રીકૃષ્ણની વંદનાનું નૂતન સ્વરૂપ આવે છે. ‘જગદ્‌ગુરુ કૃષ્ણને હું વંદન કરું છું.’ જગદ્‌ગુરુ રૂપે ઈશ્વરની સર્વોચ્ચ વેદાંતિક વિભાવના અત્રે પ્રસ્તુત કરાઈ છે. શ્રીકૃષ્ણનો ધરાધામ પર જન્મ વસુદેવના પુત્ર રૂપે થયો હતો. તેઓનાં જન્મ-કર્મ પ્રારંભથી દિવ્ય હતાં. કંસ અને ચાણૂર રાક્ષસોને મારી નાખીને તેમણે પ્રારંભિક જીવનમાં અતુલ સામર્થ્ય પ્રદર્શિત કર્યું હતું. તેઓ પોતાની માતા દેવકીના પરમ આનંદરૂપ હતા. આવા જગદ્‌ગુરુ શ્રીકૃષ્ણને હું વંદન કરું છું. ઉપનિષદોની માર્મિક વિભાવના છે કે લોક-શિક્ષક રૂપે પરમાત્મા અંતર્યામી છે. આચાર્યની આવશ્યકતા વિશે છાંદોગ્ય ઉપનિષદ જણાવે છે—

आचार्यवान पुरुषो वेद।

વર્તમાનકાળમાં પાકિસ્તાનની વાયવ્ય સીમાએ જે પ્રદેશ છે તે પ્રાચીનકાળમાં ગાંધર્વ દેશ ગણાતો હતો અને મહાભારતકાળમાં તે ભારતનો એક ભાગ હતો. ત્યાં રહેતી એક વ્યક્તિનું આંખે પાટા બાંધીને કેટલાક ડાકુઓએ અપહરણ કર્યું અને તેને નિર્જનસ્થળે યાતના ભોગવતી મૃત્યુ પામે એવી દશામાં છોડી મૂકી. આ વ્યક્તિ અતિ દયનીય અવસ્થામાં મુકાઈ, તે ન તો ચાલી શકતી કે ન દેખી શકતી. તેના હાથ બંધાયેલા હતા. તે અસહાયતા અનુભવી રહી હતી.

તે સમયે એક વટેમાર્ગુએ કરુણાવશ પોતાની જાતને કહ્યું, ‘આ મનુષ્ય અત્યંત દુ:ખ-કષ્ટમાં છે, તેની આંખે પાટા બંધાયેલા છે, ચાલ, તેને મદદ કરું.’ આ વટેમાર્ગુએ તે મનુષ્યનાં બંધન ખોલી નાખ્યાં અને જંગલની બહાર લઈ આવ્યો. ગાંધાર દેશના માર્ગે પ્રસ્થાન કરાવ્યું અને તેને કહ્યું, ‘આ છે ગાંધારનો માર્ગ, હવે તું જઈ શકે છે.’ હવે અજાણી વ્યક્તિ દ્વારા બંધન ખોલી નખાતાં અને માર્ગ બતાવતાં, તે મનુષ્ય જંગલમાંથી બહાર નીકળવા અને સ્વગૃહે પહોંચવા સક્ષમ બન્યો હતો.

તેવી જ રીતે, આ સંસારમાં વસતા મનુષ્યો અજ્ઞાન અને ત્રિતાપથી બદ્ધ, મત્ત, આસક્ત બનીને અંધકારમાં ભટકે છે. આવી વ્યક્તિને ગુરુના માર્ગદર્શન દ્વારા સહાયતા મળે છે, જે તેનાં સંસાર-બંધન તોડીને પરમ સત્યના માર્ગે પ્રસ્થાન કરાવે છે. આવા ગુરુ મેળવીને વ્યક્તિ પોતાને સૌભાગ્યશાળી સમજે છે. જે ક્ષણે તે આવું માર્ગદર્શન મેળવે છે અને ગુરુ-નિર્દિષ્ટપથે પ્રસ્થાન કરે છે, તે ક્ષણે તે સ્વયંને સુરક્ષિત અનુભવે છે, કારણ કે હવે તેની મુક્તિ નિશ્ચિત છે. આવા ગીતા-ગુરુ આપણા સૌના આત્માનું અંતરતમ છે. જેઓ પોતાના અંત:કરણમાં આ ગુરુની ઉપસ્થિતિની અનુભૂતિ કરી શકે છે, તેમને માર્ગદર્શન અને સહાયતા અવશ્ય સાંપડશે. વેદાંતમાં ઉલ્લેખ છે કે ‘અખંડ-અવિનાશી-અવિકારી’ પરમ સત્તામાંથી આ જગતનું ઉત્સર્જન થયું છે, તેમાં નિવસે છે અને તેમાં જ અંતે વિલીન થાય છે—માનવમનને પ્રબુદ્ધ કરાવવા, આત્મ-સાક્ષાત્કાર કરાવવા આવા પરમ તત્ત્વનો સાક્ષાત્કાર કરીને મનુષ્ય સ્વયં તેવો જ બને છે. બ્રહ્મવિત્‌ બ્રહ્મ જ બને છે. આવા હોય છે પરમ ગુરુ; સર્વાતીત.

જગત સત્‌ અને અસત્‌, જ્ઞાન અને અજ્ઞાનનો મેળાવડો છે. અજ્ઞાન અને અસત્ય બંધન અને દુ:ખ-કષ્ટ પ્રતિ દોરી જાય છે; જ્ઞાન અને સત્ય સાક્ષાત્કાર અને પરમ શાંતિ પ્રતિ દોરી જાય છે. જગતના સર્જનકાળથી જ ઉપર્યુક્ત દ્વંદ્વ વિદ્યમાન છે. એક છે સ્વાભાવિક વલણ, જ્યારે બીજું છે અંત:સ્થ દિવ્યપ્રેરણાનું ફળ, જે દિવ્યપ્રેરણા અંત:કરણ વિશુદ્ધ થતાંવેંત ઇન્દ્રિયગમ્યતાપૂર્વક પ્રસ્ફૂટ થાય છે. સર્જનકાળના પ્રારંભથી જ યુગાચાર્યે આ પરમ કર્તવ્ય નિભાવ્યું છે અને શુદ્ધાત્માઓની પરંપરા મારફત પોતાના દિવ્ય સ્પર્શનું પ્રવહન કર્યું છે. આને ગુરુ-પરંપરા કહેવાય છે, જેના દ્વારા ગુરુ શિષ્યમાં જ્ઞાનનું સિંચન કરતા રહે છે, જે પેઢી દર પેઢી ચાલતું રહે છે. ગુરુ-પરંપરાની વિભાવના ભારતમાં અતિ પ્રાચીનકાળથી ચાલતી આવી છે. એવું જણાય છે કે જ્યારે જગતનું સર્જન થયું ત્યારે દ્વૈત અને પરિચ્છિન્નતાના બંધનની સાથો સાથ માયા તરીકે ઓળખાતા સંસાર-બંધનમાંથી મુક્તિની વિભાવના પણ પ્રગટી.

ગીતાના ચોથા અધ્યાયના પ્રારંભના શ્લોકોમાં આ વિભાવના પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ભગવાન કહે છે, ‘મેં આ અક્ષય યોગ પહેલાં સૂર્યને કહ્યો હતો. સૂર્યે મનુને કહ્યો, પછી મનુએ ઇક્ષ્વાકુને કહ્યો હતો અને બીજા રાજર્ષિઓએ જાણ્યો હતો.’ ભગવાને આવું કહ્યું એટલે અર્જુન મૂંઝવણમાં મુકાઈ ગયો અને તેણે પૂછ્યું, ‘તમે શું કહો છો? તમારો જન્મ તાજેતરમાં થયો છે.’ શ્રીકૃષ્ણ પછી અર્જુનને કહે છે, ‘આપણા બંનેનું અસ્તિત્વ શાશ્વતકાલીન છે. અજન્મા, અવિકારી અને નિત્યમુક્ત એવો હું પ્રાચીન ગુરુ હતો, જે અત્યારે તને ઉપદેશ આપી રહ્યો છું. તું તારી જાતને દ્વૈત અને પરિચ્છિન્ન માને છે તે કારણે આ સત્યને હૃદયંગમ કરતો નથી. પરંતુ હું જાણું છું.’

જ્યારે શ્રીકૃષ્ણ સમાન અલૌકિક વ્યક્તિ પૃથ્વી પર અવતરિત થાય છે ત્યારે સમગ્ર જગત આનંદથી પરિપૂર્ણ બને છે. નારદ ભક્તિસૂત્રમાં જણાવે છે તેમ, ‘જ્યારે ધરતી પર મુક્તિદાતા રૂપે દિવ્યગુરુ પ્રગટ થાય છે ત્યારે જગત સુખી થાય છે અને દેવો પરમાનંદમાં નાચી ઊઠે છે. નર-નારી સૌ આનંદિત થઈ ઊઠે છે. સર્વત્ર આનંદ પ્રવર્તે છે.’ Gospel એટલે શુભ સમાચાર, એવા સમાચાર કે જગતને મુક્તિદાતા સાંપડ્યા છે. ‘તે સ્વયં મુક્ત થયા છે અને અન્યને મુક્તિ બક્ષવા આવ્યા છે.’ અન્યજનો સંસાર-સાગરથી પાર ઊતરીને, બીજાને પણ સંસાર-સાગર પાર કરવામાં સહાય કરે છે. આવા લોકો પૃથ્વી પરનું લવણ છે અને તેઓ જગદ્‌ગુરુ કહેવાય છે. તેઓમાં એક દુર્લભ ગુણ રહેલો હોય છે—તેઓનો ઉપદેશ સર્વજનીન હોય છે, નહીં કે કોઈ એક સંપ્રદાય કે મતવાદ પૂરતો.

જ્યારે જગદ્‌ગુરુ ધર્મોપદેશ કરે છે ત્યારે તે સમગ્ર જગતના હિતને સમાવિષ્ટ કરી લે છે. આવા જગદ્‌ગુરુઓ આ ભૂમિમાં અને અન્યત્ર યુગે યુગે અવતરિત થાય છે અને તેમના ઉપદેશોની ફિલસૂફીમાં વૈશ્વિકતા રહેલી હોય છે. આવું એક વ્યક્તિત્વ છે—મહાન શ્રીકૃષ્ણ. પછીના કાળમાં અન્યનું આગમન થયું—ભગવાન બુદ્ધ અને શંકર, અને અંતે શ્રીરામકૃષ્ણ; આ સૌ એક જ છે. આ જ કારણે વેદાંતિક વિભાવનાઓને વિશ્વભરનાં નર-નારીઓનો હાર્દિક આવકાર મળે છે. જ્યાં પણ આપણે જઈએ છીએ, ત્યાં આપણને એક સમાન પ્રારંભિક ઉત્કંઠા અને એક સમાન પ્રારંભિક સમસ્યાઓનો સામનો કરતાં નર-નારી જોવા મળે છે; જો કે એમાં ભેદ તો હોય છે, પણ તે જીવનની ઉપરછલ્લી સપાટી પરના ભેદ હોય છે. માનવજીવનના ગહનતર પ્રશ્નો વૈશ્વિક છે. જો ગંભીર પ્રશ્નોનું તાત્ત્વિક વિશ્લેષણ કરવામાં આવે તો તે વૈશ્વિક જ હશે. ગીતા આવી ગહનતર ઉત્કંઠા અને વૈશ્વિક સમસ્યાઓ સાથે કામ પાર પાડે છેે. એટલા માટે મહાનતમ આચાર્યોએ જાતિ, સંપ્રદાય કે પ્રાંતના ભેદ સિવાય સાર્વત્રિકપણે સમગ્ર માનવજાત નિમિત્તે ઉપદેશોનું વિતરણ કર્યું. શ્રીકૃષ્ણ આવા આચાર્ય હતા, શ્લોકમાં જગદ્‌ગુરુ તરીકે તેમનું સ્તુતિ-ગાન કરાય છે.

भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला
शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला ।
अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावतिर्नी
सोत्तीर्णा खलु पाण्डवै रणनदी कैवर्तकः केशवः ॥6॥

હવે આવે છે કલ્પનાપૂર્ણ સુંદર શ્લોક, જેમાં મહાભારતના સમગ્ર યુદ્ધનું અને યુદ્ધમાં શ્રીકૃષ્ણે જે ભાગ ભજવ્યો તેનું વર્ણન છે. સમગ્ર પ્રસંગને કુરુક્ષેત્રના રણમેદાનમાં જળપ્લાવિત નદી રૂપે વર્ણવ્યો છે. નદીના બે કિનારા છે—મહાન યોદ્ધાઓ ભીષ્મ અને દ્રોણ. નદીમાં ઉત્તરીય સિંધ પ્રદેશના શાસક જયદ્રથરૂપી જળ છે અને શલ્ય, કૃપ, કર્ણ, અશ્વત્થામા તેમજ વિકર્ણરૂપી મગર છે આ કલ્પના કથાનાં બંધબેસતાં અન્ય પાત્રો. દુર્યોધન છે આ નદીનાં વમળો. આવી વિકરાળ નદીને પાંડવોએ પાર કરવાની હતી. તેમની સમક્ષ વિકટ સમસ્યા ઉપસ્થિત થઈ. તેથી તેમને અને અન્યને મુક્તિ આપી શકે તેવો પરમ સત્તાનો તેમણે આશરો લીધો અને તે પરમ સત્તા હતી શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણ તેમના માટે નૌકા અને નાવિક બન્યા. તેમણે કૈવર્તનો પાઠ ભજવીને તે સૌને સુરક્ષિતપણે નદી પાર ઉતાર્યા. સામાન્યત: કૈવર્ત અર્થાત્‌ માછીમાર આપણી નદીઓમાં નૌકા ચલાવે છે.

पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं
नानाख्यानककेसरं हरिकथासंबोधनाबोधितम् ।
लोके सज्जनषट्पदैःअहरहः पेपीयमानं मुदा
भूयात् भारतपङ्कजं कलिमलप्रध्वंसि नः श्रेयसे ॥7॥

જેઓ પોતાની અશુદ્ધિઓ-મલિનતાનો નાશ કરવા ઇચ્છે છે, જેઓ પોતાનાં દેહ-મનની અપૂર્ણતાઓનું અતિક્રમણ કરવા માગે છે, તેવા આ જગતના સજ્જનોને આ સંદેશ સમૃદ્ધિ અને આત્મ-કલ્યાણની ખાતરી આપે છે—આ શ્લોક એવો ઉદ્‌ઘોષ કરે છે. હવે આવે છે ‘મહાભારત’ અંગેનું વિવેચન. પરાશર ઋષિના પુત્ર વ્યાસનું આ કથન છે: ‘મહાભારત’ની તુલના કમળ-પુષ્પ સાથે કરાઈ છે. કમળ નિષ્કલંક છે, નિર્મળ છે. ‘મહાભારત’ રૂપી આ પૂર્ણ વિકસિત કમળમાંથી ભગવદ્‌ગીતાના મધુર અને ઉત્કટ ઉપદેશરૂપી સુગંધ પ્રવાહિત થાય છે. સુમનોહર પ્રસંગકથાઓ તેનાં પુંકેસર છે. મહાભારત પ્રેરક વાર્તાઓ અને પ્રસંગ-કથાઓથી ભરપૂર છે. હરિનાં અર્થાત્‌ ભગવાનનાં સંવાદો અને સંભાષણોના પરિપૂર્ણ સૌંદર્ય સાથે કમળ ખીલી ઊઠે છે. સ્વાભાવિક રીતે પુષ્પ સ્વયં પ્રતિ અનેક મધમાખીઓને આકર્ષિત કરે છે—સજ્જન અને વિશુદ્ધ અંત:કરણવાળા લોકોનાં ઝુંડરૂપી મધમાખી પરમાનંદરૂપી મધુપાન કરવા અહોરાત્ર એકઠી થતી રહે છે. કમળ ખીલે છે ત્યારે મધમાખીઓ સ્વયંભૂ ઊડતી ઊડતી ત્યાં આવે છે, નિમંત્રણની કોઈ આવશ્યકતા હોતી નથી. ગીતારૂપી સુગંધ યુગયુગાન્તરથી નર-નારીઓને આ મહાભારતરૂપી કમળ તરફ આકર્ષતી આવી છે. જગતના જે લોકો પોતાની અપૂર્ણતાઓનો વિનાશ કરવા માગે છે, તેઓ માટે આ કમળ સુખ અને આશ્વાસનનો સ્રોત બને—એમ આ શ્લોક કહે છે.

मूकं करोति वाचालं पंङ्गुं लङ्घयते गिरिम् ।
यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् ॥8॥

અહીં ભગવાનની બીજા પ્રકારની વંદના છે, જે શ્રીકૃષ્ણ સ્વરૂપે સર્વશુભના દાતા છે. તે ભગવાનની કૃપાથી મૂક વ્યક્તિ વાચાળ બને છે અને લંગડો પર્વત ઓળંગવા સક્ષમ બને છે. એવા સામર્થ્યવાન છે પરમ ગુરુ, શ્રીકૃષ્ણ, પરમાનંદનો વિગ્રહ. હું તેમને વંદન કરું છું.

यं ब्रह्मावरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैः स्तवैः
वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ।
ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो
यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः ॥9॥

અંતમાં, સમગ્ર અભ્યર્થનાને ધ્યાનપરક સુંદર શ્લોકમાં સુસજ્જિત કરી છે. તે કહે છે—ઉપર્યુક્ત શ્લોકોમાં વર્ણિત પરમાત્માનું યથાર્થ સ્વરૂપ કેવું છે? તે દેવોનાય દેવ છે, વેદો તેમનું સ્તુતિગાન કરે છે, ધ્યાનમાં પૂર્ણરત થઈને ઓતપ્રોત મન વડે યોગીઓ એમનું ધ્યાન-ચિંતન કરે છે, તે અસીમ-અનંત છે, તેઓ સર્વ જીવોના અંતર્યામી છે. પૂજ્યભાવે અમે તેમને વંદન કરીએ છીએ. અત્રે સર્વોચ્ચ તાત્ત્વિક અને આધ્યાત્મિક વિભાવનાની દૃષ્ટિએ આ શ્લોકમાં ઈશ્વરના વિશુદ્ધ પરમ-તત્ત્વનું વર્ણન કરાયું છે, જે પરમ તત્ત્વ દેવ-માનવ-અસુર સૌના આત્માના પણ આત્મા છે. સૌ કોઈ અતિ આદર-ભક્તિ સાથે આ શ્લોકનું ગાન કરે છે.

કથન જુઓ—જેમનું બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર અને અન્ય દેવો સ્તોત્રો દ્વારા સ્તવન કરે છે, તે દેવોના પણ દેવ છે, દેવાધિદેવ છે, તેઓ માનવદેહ ધારણ કરીને અવતાર લે છે. દેવાધિદેવની વિભાવના વેદોના તાત્ત્વિક વિકાસની નીપજ છે. શ્રીકૃષ્ણની ગણના ‘પરમ સત્તા’ રૂપે કરાઈ છે. તેઓ દેવોના પણ ઈશ છે, તેઓ સર્વાત્મા હોવાથી દેવો પણ તેમને જાણી શકતા નથી. સામવેદનું ગાન કરનારાઓ પણ માત્ર તે પરમ-તત્ત્વના મહિમાનું સ્તવન કરે છે. જેઓ નિવૃત્ત જીવન ગાળે છે, જંગલમાં શાંતચિત્તે, નેત્રો બંધ કરીને રહે છે તેઓ શું પ્રાપ્ત કરે છે? તેઓ પણ ગહન સમાધિ અવસ્થામાં એ જ પરમ સત્તાનો સાક્ષાત્કાર કરે છે. આ મહત્‌ તત્ત્વ જ સર્વાન્તરાત્મા છે, જેનો યોગીઓ ધ્યાન દ્વારા સાક્ષાત્કાર કરે છે, દેવ-દાનવોના ગણ તેનો પાર પામી શકતા નથી, તો પછી માનવગણની તો વાત જ શું કરવી? કારણ કે ‘તે’ મન-વાણીથી અતીત છે, અનંત છે. જે જગતની અંદર અને બહાર, એમ બંને સ્થાનોમાં વિદ્યમાન છે, તે પરમ-તત્ત્વને મારા નમન હો. બહિર્ગામી ઇન્દ્રિયો માત્ર ‘તેમની’ જ અનુભૂતિ કરે છે. સ્વયં જગત જેનો મહિમા છે એવા ‘તેમનું’ અંતર્મુખી મન પણ રસાસ્વાદન કરે છે તે આ વિશ્વરૂપ છે, તે મનુષ્યના અંત:કરણની જ્યોતિ છે. ઉપનિષદોમાં જેનું વર્ણન છે, એવા આ પરમાત્મા છે. આ શ્લોક મારફત આપણે ‘તેમનું’ સ્તવન કરીએ અને ચિંતવન કરીએ.

મેં પૂર્વે જણાવ્યું તે મુજબ, પછીના કાળમાં કોઈ અજાણી વ્યક્તિએ આ અતિ મનોહર શ્લોકોની રચના કરી હતી. કેટલાકનું કહેવું છે કે આ શ્લોકની રચના ગીતા અને ભાગવતના ભાષ્યકાર શ્રીધરાચાર્યે કરી હતી. આપણા દેશના મહાકવિઓ અને ઋષિઓની રચનાઓ ઘણું કરીને નામોલ્લેખ વિના થયેલ છે.

જેનું વિવેચન હાથ ધરાઈ રહ્યું છે તે ‘મહાભારત’ વિશે જાણવું અત્યંત આવશ્યક છે—જેના હાર્દરૂપ ગીતા છે, એવા આ મહાકાવ્ય વિશે વિશેષ જાણવાની જિજ્ઞાસા જાગે તે સ્વાભાવિક છે. આપણામાંના ઘણાએ આ ગ્રંથના અંશોનું પઠન કર્યું હશે, ઘણા આ ગ્રંથની કથા અને સારતત્ત્વથી અવગત હશે. છતાંય તેમાંની વિચારધારા અને પ્રભાવકતાની લાક્ષણિકતા અંગે સવિશેષ જાણવાની આવશ્યકતા છે કે જેથી આપણે ગીતોપદેશને સુપેરે હૃદયંગમ અને આત્મસાત્‌ કરી શકીએ.

વિશ્વ-સાહિત્યમાં ‘મહાભારત’ અજોડ મહાકાવ્ય છે. તેમાંના વિષયવસ્તુની વિપુલતાને લક્ષમાં લઈએ તો—ચરિત્રોનું બાહુલ્ય, મનોહારી કલ્પનાચિત્રો, આધ્યાત્મિક બોધ, ધાર્મિક ચિંતન વગેરે—તમને માલૂમ પડશે કે વિશ્વમાં તેની જોડ નથી.

તેમાં એકંદરે એક લાખ શ્લોક છે. તેમાં ઐતિહાસિક માહિતીની એટલી પ્રચુરતા છે કે ઇતિહાસકારોને તેમાંથી આપણા પ્રાચીન ઇતિહાસ અંગેની વિપુલ સામગ્રી મળે છે, રાજનીતિજ્ઞોને પ્રાસંગિક વિષયવસ્તુ સાંપડે છે. તમને ખ્યાલ આવશે કે દિલ્હી અને તેની આસપાસનો વિસ્તાર આ મહાકાવ્યની સ્મૃતિમાં પવિત્ર બનેલો છે. આ અપ્રતિમ ગ્રંથનું અધ્યયન કર્યા બાદ આપણને ખ્યાલ આવશે (જેમ આપણે તે વિશે આશ્ચર્યચકિત થઈએ છીએ) કે જે ભૂમિ પર પાંડવો અને શ્રીકૃષ્ણે ડગ માંડ્યાં હતાં, તેના પર આપણે પગરણ માંડી રહ્યા છીએ.

આ ભૂમિની તસુભાર જગ્યા એવી નથી કે જે આપણા પ્રાચીન વીરતાપૂર્ણ ઇતિહાસ વિશે વિશદપણે વર્ણન ન કરી શકે. તેથી ‘મહાભારત’ આપણા ઇતિહાસકારો અને રાષ્ટ્રીય નાયકો માટેનો પ્રેરણાસ્રોત છે.

આપણા ઇતિહાસના વર્તમાન અભ્યાસમાં અનુપસ્થિત ઐતિહાસિક વિભાવનાની જીવંત પાર્શ્વભૂમિકા આ ગ્રંથ પૂરી પાડે છે. વર્તમાન અભ્યાસ પ્રેરક પાર્શ્વભૂમિકા અને પ્રોત્સાહક સાંકેતિકતા વિનાનો છે. મહાભારતના સમૃદ્ધ સાહિત્યના પ્રકાશમાં વર્તમાન અભ્યાસ સવિશેષ રુચિકર બને છે. અન્ય દેશોમાં લોકો ઇતિહાસનો અભ્યાસ રાષ્ટ્ર-લોલુપતા સાથે કરે છે. તે ઇતિહાસ નાગરિકના હૃદયને સંસ્પર્શતી ભાષા બોલે છે. આપણે ભારતમાં પણ વિવિધ ઇતિહાસોનું અધ્યયન કરીએ છીએ. સવિશેષ રુચિ અને અત્યધિક ઉત્સાહપૂર્વક આપણે વિદેશના ઇતિહાસનું અધ્યયન કરીએ છીએ. અન્યત્ર શું બની રહ્યું છે તે બધાનું આપણે વાંચન કરીએ છીએ પરંતુ અહીંનો વિદ્યાર્થી આપણા દેશનાં ઇતિહાસ અને ભૂગોળ અંગે અત્યલ્પ જાણે છે. એથી વિપરીત તે ઇંગ્લેન્ડ, ફ્રાંસ, રશિયા કે અમેરિકા વિશે ખૂબ જ જાણતો હશે. આવી અભિરુચિની ઊણપ એ આપણી પરતંત્રતાનું પરિણામ છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા હાંસલ કર્યા બાદ આપણામાં ઐતિહાસિક જ્ઞાનની પ્રાપ્તિનો નૂતન ઉત્સાહ જાગવો જોઈએ. આપણે ભૂતકાળ જોવાની, અતિ પ્રાચીનકાળ પ્રતિ જોવાની આવશ્યકતા છે, અને આમ પ્રાપ્ત કરેલ જ્ઞાન અને પ્રેરણાનો આધાર લઈને, આપણા દેશના ભાગ્યનિર્માણ અર્થે આપણે આગેકૂચ કરવાની છે.

‘મહાભારત’નું અનુશીલન રાષ્ટ્રીયતાનું યથાર્થ દર્શન કરાવીને આપણી વર્તમાન ત્રુટિઓના ઉપાયરૂપ નીવડશે. તત્કાલીન વીરતાપૂર્ણ યુગ આપણામાં આત્મશ્રદ્ધાનું સિંચન કરશે. સાંપ્રતકાળમાં પણ આપણા વૈયક્તિક અને સામૂહિક જીવનના ગઠન અર્થે તે આપણને સુયોગ્ય પરિવેશ પૂરો પાડશે. તેના પ્રેરણાબળથી આપણે કંઈક અંશે આપણા જીવનમાં કવિત્વ લાવી શકીશું. તેના વિના આપણું જીવન શુષ્ક, નીરસ, નિસ્તેજ અને બોજારૂપ બની જશે. મહાભારતમાંની પ્રત્યેક પ્રસંગ-કથા વર્તમાનકાળમાં બની રહેલી ઘટનાઓની ભાષા બોલે છે. આપણા પ્રાચીન ઇતિહાસકાળનાં નર-નારીનાં સંઘર્ષો, સિદ્ધિઓ અને નિષ્ફળતાઓનો અભ્યાસ માત્ર સૈદ્ધાંતિક, પુસ્તકીય અને બૌદ્ધિક અધ્યયન ન બનવો જોઈએ. રાષ્ટ્રીય ભાવોદ્રેક અને ઐતિહાસિક પ્રેમોત્સાહ જગાડીને, તેનું અધ્યયન બાળકો માટે પોતાનાં માતાપિતાનાં જીવન-કવનમાં સાર્થક સહભાગિતાની અનુભૂતિરૂપ બનશે.

આ છે આપણા ઇતિહાસના અધ્યયનનો યથાર્થ અભિગમ. મહાકાવ્યના અંતે તેના રચયિતા વ્યાસ ભવ્યતાપૂર્વક ઘોષણા કરે છે: ‘આ જગતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સંદર્ભમાં મનુષ્ય જે કંઈ પણ શોધે છે, તે સર્વનું વિગતપૂર્ણ વિવેચન આ ગ્રંથમાં સમાહિત છે.’ આ ગ્રંથનું અધ્યયન તેનાં મહિમા-ગરિમાના દાવાને મહદંશે પુરવાર કરશે. ‘મહાભારત’ મહાકાવ્યે વિસ્તારપૂર્વક અને વ્યવહારુ દૃષ્ટાંતો સાથે આર્થિક અને રાજનૈતિક મૂલ્યો, વૈયક્તિક અને સામૂહિક નીતિમત્તા, યુદ્ધ અને શાંતિ, પુરાણકથા અને તત્ત્વચિંતન, તેમ જ સર્વોચ્ચ આદર્શ એવા મુક્તિને સંસ્પર્શતા વિષયો પ્રસ્તુત કર્યા છે. નળ અને દમયંતી, દુષ્યંત અને શકુંતલા, કચ અને દેવયાની તેમજ બીજાં અનેકવિધ પાત્રોની રસપ્રદ કથાઓથી આ ગ્રંથ ભરપૂર છે. રાજ્યશાસનનો વિષય આ ગ્રંથમાં ચર્ચાયો છે અને વિભિન્ન દૃષ્ટિબિંદુથી તેની સમીક્ષા કરાઈ છે. કૂટનીતિજ્ઞ ‘મેક્વેલિયન’થી માંડીને ઈશુનાં ‘ગિરિ પ્રવચનો’ પ્રકારની આ ગ્રંથમાં ચર્ચિત રાજનૈતિક ફિલસૂફી આધુનિક વાચકને અદ્‌ભુત રીતે સુપરિચિત હોય એવી જણાય છે. કણિક અને વિદુરની રાજનૈતિક નીતિનું પ્રતિનિધિત્વ આપણા સમકાલીન જગતમાં જોવા મળે છે. વિદુરના વ્યક્તિત્વ સાથો સાથ તેમની રાજનીતિમાં માનવજાત માટેનો શાશ્વત સંદેશ છે અને અંતમાં, આ ગ્રંથમાં ‘ધર્મ’ની એવી પ્રમાણભૂતતા, અધિકારિતા અને ચિંતનાત્મક રીતે ચર્ચા કરવામાં આવી છે કે તેનાથી સંનિષ્ઠ સત્યશોધકોને તેની યથાર્થતામાં દૃઢ માન્યતા ઊપજે. આ સ્પષ્ટીકરણને બે મહાન વ્યાખ્યાકારો—ગીતોપદેશક શ્રીકૃષ્ણ અને શાંતિપર્વમાંના ભીષ્મ—તરફથી સમર્થન મળ્યું છે. આવો છે ‘મહાભારત’ ગ્રંથ.

Total Views: 274

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.