ભગવાન બુદ્ધના ઉપદેશો

આ સંસારમાં રાગ સમાન અગ્નિ નથી, દ્વેષ સમાન હાનિ નથી, ચાર મહાભૂત વગેરે સ્કંધ સમાન દુ:ખ નથી અને શાંતિ સમાન સુખ નથી.

આ સંસારમાં ભૂખ એ મોટામાં મોટો રોગ છે. સંસ્કારો-વાસનાઓ એ મોટામાં મોટું દુ:ખ છે. એ પ્રમાણે જે મનુષ્ય ખરેખર સમજે છે, તેને નિર્વાણનું પરમ સુખ પ્રાપ્ત થાય છે.

સંસારમાં નીરોગી રહેવું એ મોટામાં મોટો લાભ છે. સંતોષ એ પરમ ધન છે. જેનામાં આપણો વિશ્વાસ છે, તે આપણું મોટામાં મોટું સગું છે; અને નિર્વાણ એ પરમ સુખ છે.

એકાંતવાસ અને શાંતિનો રસ પીને ધર્મના પ્રેમરસને પીતો-પીતો મનુષ્ય ડર અને પાપ વગરનો બની જાય છે.

આર્ય પુરુષોનું દર્શન ઉત્તમ છે. તેમનો સહવાસ સદા સુખકર છે. અજ્ઞાની મૂઢ જીવોને નહિ જોવાથી સદા સુખી થઈ શકાય છે અર્થાત્ અજ્ઞાની જીવોને નહિ જોયા જ સારા.

જે મનુષ્ય અજ્ઞાન જીવોની સંગતે ચાલે છે, તેને લાંબા સમય સુધી શોક કરવાનું રહે છે. વેરીઓની સાથેનો સહવાસ જેમ દુ:ખકર નીવડે છે, તેમ અજ્ઞાત જીવોની સાથેનો સહવાસ સર્વકાળે દુ:ખકર નીવડે છે. તેમ જ ધીર પુરુષોની સાથેનો સહવાસ આપણાં સગાંઓના સમાગમની પેઠે સુખકર નીવડે છે.

તેથી કરીને-

ચંદ્રમાં જેમ આકાશનો આશરો લે છે, તેમ મુમુક્ષ સાધક મનુષ્યે ધીર, બુદ્ધિમાન, બહુ શાસ્ત્રના જાણકાર, ઉત્તમોત્તમ શીલવાળા, વ્રતનિયમને પાળનારા આર્ય અને સારી બુદ્ધિવાળા સત્પુરુષનો આશરો લેવો અર્થાત્ તેવા પ્રકારના સત્પુરુષની સેવા કરવી.

અનુચિત પ્રવૃત્તિમાં પોતાના આત્માને જોડતો અને ઉચિત પ્રવૃત્તિમાં ન જોડતો સાધક પોતાનું લક્ષ્ય તજી દઈને અને રાગમય પ્રિય વસ્તુનો ગ્રાહક બનીને આત્મશોધક થવાની સ્પૃહા રાખે છે.

જેમના તરફ રાગ છે તેમનો અને જેમના તરફ દ્વેષ છે તેમનો સંગ કદાપિ ન કરવો. પ્રિયને નહિ જોવાથી દુ:ખ થાય છે; અને અપ્રિયને જોવાથી દુ:ખ થાય છે.

તેથી કોઈ ઉપર રાગ ન કરવો. પ્રિય માનેલી વસ્તુનો વિયોગ દુઃખકારક નિવડે છે. જેમને કશું પ્રિય નથી તેમ કશું અપ્રિય નથી, તેમને બંધનો હોતાં નથી.

પ્રિયવૃત્તિને એટલે શોખને લીધે શોક થાય છે. પ્રિયવૃત્તિને લીધે ભય થાય છે. જેનામાં પ્રિયવૃત્તિ એટલે રાગ વા મોહ નથી, તેને શોક થતો નથી; તો ભય ક્યાંથી થાય?

કામના એટલે વાસનાના પ્રેમને લીધે શોક થાય છે. કામના પ્રેમને લીધે ભય થાય છે, જેનામાં કામનો એટલે વાસનાનો પ્રેમ નથી, તેને શોક થતો નથી; તો ભય ક્યાંથી થાય?

કામની રતિ-રુચિ-ને લીધે શોક થાય છે; કામની રતિને લીધે ભય થાય છે. જેનામાં કામની રિત નથી, તેમને શોક થતો નથી; તો ભય ક્યાંથી થાય?

(‘ધમ્મપદ’માંથી)

Total Views: 224

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.