(ન્યૂયૉર્ક, રિજલે મૅનૉરમાં ૧૮૯૯માં મૂળ અંગ્રેજીમાં રચેલું કાવ્ય)

નિહાળ, આવે બલથી ભરેલ એ.
એ શક્તિ જે માનવકેરી શક્તિ ના;
પ્રકાશ એ જે તિમિરે નિગૂઢ;
પ્રભા જ્વલંતી મહીં છાય જે વળી.

એ છે મહાનંદ, સુમૂક જે સદા;
વિષાદ ઘેરો, અનુભૂત ના કદી;
અમર્ત્ય એ જીવન ના જિવાયું;
વિલાપવ્હોણું ચિર મૃત્યુ છે એ.

એ છે નહીં આ સુખ, દુઃખ આ નહીં,
આ બેઉથી છે જ અતીત એ ક્યહીં;
એ છે નહીં દિવસ, એ ન રાત્રિ.
એ બેઉને એક કરંત તત્ત્વ એ.

સંગીતમાં એ મધુરો વિરામ;
એ અંતરો સર્જનમાં કલાના;
વાણી વચાળે રહી મૂકતા એ;
બે ક્ષોભ વચ્ચેની ઉરપ્રશાન્તિ એ.

સૌન્દર્ય એ જે નહીં દૃષ્ટિએ પડ્યું;
એકાકી, ફૂટસ્થ મહાન પ્રેમ એ;
એ ગીત છે જે ન હજી ગવાયું;
ને જ્ઞાન એ જે ન હજી જણાયું.

બે જિન્દગીની વચમાંનું મૃત્યુ એ;
બે સિન્ધુતોફાન વચાળ શાંતિ એ;
એ શૂન્ય છે સૃષ્ટિ જહીંથી ઉદ્ભવી,
અને જહીં અંત મહીં મળી જતી.

વિષાદનાં અશ્રુ બધાં તહીં વહે
પ્રસન્ન કોઈ સ્મિત પ્રસ્ફુરાવવા;
આ જિન્દગીનું બસ લક્ષ્ય એ જ
એ એકમેવ ગૃહ એનું-શાન્તિ!

– સ્વામી વિવેકાનંદ

Total Views: 273

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.