‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની અમીધારાથી કેટકેટલાંયને નવજીવન મળી રહ્યું છે, તેની થોડી વિગતો ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના માર્ચ ૯૬ના અંકમાં આપી હતી. વાચકોના આગ્રહથી આ અમીધારાના અંશો અવારનવાર પ્રકાશિત કરીએ છીએ. – સં.

શ્યામપુકુરના મકાનમાં ઠાકુર ભક્તો સાથે બેઠા છે. શનિવાર, ૩૧મી ઑક્ટોબર ૧૮૮૫, સમય અગિયાર વાગ્યાનો, મિશ્ર નામના એક ખ્રિસ્તી ભક્તની સાથે વાતો કરી રહ્યા છે. મિશ્રની ઉંમર પાંત્રીસેકની હશે. મિશ્ર ખ્રિસ્તી વંશમાં જન્મ્યા છે. જો કે ઉપરથી સાહેબલોક જેવો પોષાક છે, છતાં અંદર ભગવાં પહેરેલ છે. અત્યારે તેમણે સંસાર ત્યાગ કર્યો છે. એમનું જન્મ સ્થળ પશ્ચિમ બાજુએ, તેમના એક ભાઈના વિવાહને દિવસે જ તે ભાઇનું તથા બીજા એક ભાઇનું બંનેનું એક જ દિવસે મૃત્યુ થયું. તે દિવસથી મિશ્રે સંસારત્યાગ કર્યો છે. એ કવેકર સંપ્રદાયના.

મિશ્ર – ‘વો હી રામ ઘટ ઘટમેં લેટા.’

શ્રીરામકૃષ્ણ છોટા નરેનને આસ્તે આસ્તે કહે છે કે જેથી મિશ્ર પણ સાંભળી શકે : ‘એક રામ તેનાં હજાર નામ.’

‘ખ્રિસ્તીઓ જેને ‘ગૉડ’ કહે છે, હિંદુઓ તેને જ રામ, કૃષ્ણ, ઇશ્વર વગેરે કહે છે. એક તળાવને કેટલાય ઘાટ, એક ઘાટે હિંદુઓ પાણી પીએ છે, કહે છે જળ, ઇશ્વર; ખ્રિસ્તીઓ બીજે એક ઘાટે પાણી પીએ છે, કહે છે વૉટર, ગૉડ, જિસસ; મુસલમાનો બીજા એક ઘાટે પાણી પીએ છે અને કહે છે, પાની, અલ્લાહ.

મિશ્ર – જિસસ મૅરીનો દીકરો નહિ, જિસસ સ્વયં ઇશ્વર. (ભક્તોન) આ (શ્રીરામકૃષ્ણ) અત્યારે આ દેહધારી છે, તેમ વળી એક સમયે સાક્ષાત્ ઇશ્વર.

‘આપ (ભક્તો) આમને ઓળખી શકતા નથી. મેં અગાઉથી આમને જોયા છે, અત્યારે પ્રત્યક્ષ જોઉં છું. અગાઉ મેં જોયું હતું કે એક બગીચો, ત્યાં આ (શ્રીરામકૃષ્ણ) ઊંચે એક આસન પર બિરાજેલા છે. જમીન ઉપર બીજો એક જણ બેઠેલ છે; એ એટલો આગળ વધેલો ન હતો.

‘આ દેશના ચાર દ્વારપાળ છે. મુંબઇ બાજુએ તુકારામ; અને કાશ્મીરમાં રૉબર્ટ માઇકેલ; અહીંયાં આ (રામકૃષ્ણ); અને પૂર્વ બાજુએ બીજા એક સંત છે.’

શ્રીરામકૃષ્ણ – તમે કંઇ જુઓ બુઓ છો ખરા?

મિશ્ર – જી, જ્યારે ઘેર હતો ત્યારથી જ્યોતિ-દર્શન થતું. ત્યાર પછી જિસસનાં દર્શન થયાં છે. એ રૂપનું હું શું કહું! એ સૌન્દર્યની પાસે સ્ત્રીનું સૌન્દર્ય શું વિસાતમાં છે?

થોડી વાર પછી ભક્તોની સાથે વાત કરતાં કરતાં મિશ્રે કોટપાટલૂન ઉતારીને અંદરનું ભગવું કૌપિન બતાવ્યું.

ઠાકુર ઓસરીમાંથી આવીને કહે છે, ‘શૌચ તો થયું નહિ; (ભાવમાં) આને (મિશ્રને) જોયો, વીરની પેઠે ઊભેલો છે.’

એમ કહેતાં ઠાકુર સમાધિ-મગ્ન થતા જાય છે. પશ્ચિમાભિમુખ થઇને ઊભા ઊભા જ સમાધિ-મગ્ન.

સહેજ સ્વસ્થ થઇને મિશ્રને જોતાં જોતાં હસી રહ્યા છે. હજીયે ઊભા છે. ભાવના આવેશમાં મિશ્રની સાથે હસ્તધૂનન કરે છે અને હસે છે. તેમનો હાથ પકડીને કહે છે, ‘તમે જે ઇચ્છો છો એ થઇ જશે.’

ઠાકુરને જાણે કે જિસસનો ‘ભાવ – આવેશ આવ્યો’ એ અને જિસસ શું એક?

મિશ્ર (હાથ જોડીને) – મેં એ દિવસથી મન, પ્રાણ, શરીર, બધું આપને અર્પણ કર્યું છે! (ઠાકુર ભાવ-અવસ્થામાં હસી રહ્યા છે)

ભાવ શાંત થયા પછી ઠાકુર બેઠા. મિશ્ર ભક્તોની પાસે તેની અગાઉની વાતો બધી કહી રહ્યા છે. તેમના બે ભાઇઓ, લગ્નપ્રસંગે સ્વાગત-સમારંભનો શમિયાણો તૂટી પડવાથી દબાઇને માનવ-લીલા સમાપ્ત કરી ગયા હતા તે ય વર્ણન કર્યું.

ઠાકુરે મિશ્રને નાસ્તોપાણી કરાવવાનું ભક્તોને કહી દીધું.

ડૉક્ટર સરકાર આવ્યા છે. ડૉક્ટરને જોઇને ઠાકુરને સમાધિ થઇ. કંઇક ભાવે શમી ગયા પછી ઠાકુર ભાવના આવેશમાં બોલે છે. ‘કારણાનંદની પછી સચ્ચિદાનંદ, કારણનું કારણ..! ડૉક્ટર કહે છે, હા!’

શ્રીરામકૃષ્ણ – હું બેહોશ થયો નથી.

ડૉક્ટર સમજ્યા છે કે ઠાકુરને ઇશ્વરીય આવેશ થયો છે. એટલે કહે છે કે ‘ના તમે ખૂબ હોશમાં છો!’ ઠાકુર સહાસ્ય ગાય છે : ‘સુરાપાન કરું નહિ હું, સુધા પીઉં જય કાલી બોલી’…. વગેરે.

ગીત સાંભળીને ડૉક્ટર ભાવમાં આવી ગયા જેવા થઇ ગયા. ઠાકુરને ય વળી પાછો ભાવનો આવેશ થયો. ભાવમાં તેમણે ડૉક્ટરના ખોળામાં ચરણ લંબાવી દીધા. થોડી વાર પછી ભાવ શાંત થયો, ત્યારે ચરણ ખેંચી લઇને ડૉક્ટરને કહે છે ‘અરે! તમે કેવી સરસ વાત કરી તે દિવસે! ઇશ્વરના જ ખોળામાં બેઠો છું, અને એને રોગની વાત કરવી નહિ તો કોને કરવી! બોલાવવો હોય તો તેને જ બોલાવવો!’ એ વાત કહેતાં કહેતાં ઠાકુરની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં.

ઠાકુર વળી પાછા ભાવ-મગ્ન. ભાવ-અવસ્થામાં ડૉક્ટરને કહે છે, ‘તમે ખૂબ શુદ્ધ! એમ ન હોત તો હું પગ (તમારા ખોળામાં) રાખી શકત નહિ!’ વળી પાછા બોલે છે, ‘શાંત વો હિ હૈ જો રામરસ ચાખે!’

‘વિષયો શું? એમાં છે શું? પૈસા, ટકા, માન, શરીરનું સુખ એમાં છે શું? રામ કો જો પિછાના નહિ દિલ, પિછાના હૈ સો ક્યા રે?’

આટલી માંદગી ઉપર ઠાકુરને ભાવ-આવેશ થાય છે એ જોઇને ભક્તો ચિંતિત થયા છે. ઠાકુર કહે છે કે આ ગીત ગવાય તો હું (ભાવ-સમાધિનો આવેશ) અટકાવું: ‘હરિરસ મદિરા.’

નરેન્દ્ર બીજા ઓરડામાં હતા તેમને બોલાવવામાં આવ્યા.

એ એમના ગંધર્વ-કંઠે ગીત સંભળાવવા લાગ્યા.

‘હરિરસ-મદિરા પીને મમ માનસ મત્ત બનો રે.’

શ્રીરામકૃષ્ણ – અને પેલું? ‘ચિદાનંદ સિંધુ નીરમાં?’

નરેન્દ્ર ગાય છે :

‘ચિદાનંદ સિંધુ નીરમાં પ્રેમાનંદની લહેરી.

મહાભાવ રસલીલા, વારી જાઉં, શી માધુરી….’

ડૉક્ટર એકાગ્ર ચિત્તે સાંભળી રહ્યા છે. ગીત પૂરું થયે બોલી ઊઠયા, ‘બહુ સરસ ગીત!’ ડૉક્ટરનો આનંદ જોઇને ઠાકુર બોલે છે, ‘એક છોકરો તેના બાપને કહેતો’તો કે ‘બાપા, તમે જરા (દારૂ) ચાખી તો જુઓ, ત્યાર પછી મને છોડવાનું કહો તો છોડવાનો વિચાર કરું.’ બાપે પી જોયો. પછી એ બોલ્યો, ‘દીકરા, તું છોડી દે તો વાંધો નહિ, પણ આપણે હવે છોડવાના નથી!’ (ડૉક્ટર અને સૌનું હાસ્ય.)

‘તે દિવસે માએ દેખાડ્યા બે માણસો. આ તેઓમાંના એક. મેં જોયું કે ખૂબ જ્ઞાન થશે, પરંતુ શુષ્ક. (ડૉક્ટરને, સહાસ્ય) પણ તમે રસથી નરમ થશો!’

ડૉક્ટર શાંત થઇને બેઠા છે.

(શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ (૨) પૃ. ૨૭૪ – ૨૭૬)

પાવન બનું છું

અકારણ થાઉં છું અલગ તારાથી
ન સમજાય એવું કારણ બનું છું.
આંખોમાં છલકાય તારી પ્રેમનો દરિયો
દૃષ્ટિ મળે ના મળે ત્યાં શ્રાવણ બનું છું.
સમજાતું નથી કેમ એવું થાય છે
સાવ નજીક છે તું તો ય અજાણ બનું છું.
માણસ છું, ને… ભૂલ કરું છું
તારા સ્મરણે હું પાવન બનું છું.

– પ્રા. બિપીન પટેલ

Total Views: 173

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.