પહેલાં ઈશ્વરપ્રાપ્તિ અને પછી લોકશિક્ષણ

શ્રીરામકૃષ્ણઃ ડૂબકી મારવાથી મગર પકડી શકે, પણ હળદર ચોપડવાથી મગર અડે નહિ. હૃદય-રત્નાકરના અગાધ જળમાં કામાદિ છ મગર છે, પણ વિવેક, વૈરાગ્યરૂપી હળદર ચોપડી હોય તો તેઓ તમને અડે નહિ.

એકલી પંડિતાઈ કે લેક્ચરથી શું વળે, જો વિવેક, વૈરાગ્ય ન આવે તો? ઈશ્વર સત્ય, બીજું બધું મિથ્યા. ઈશ્વર વસ્તુ, બીજુ બધું અવસ્તુ; એનું નામ વિવેક.

પ્રથમ હૃદય-મંદિરમાં પ્રભુની પ્રતિષ્ઠા કરો. વ્યાખ્યાન, ભાષણો એ બધું ત્યાર પછી ઇચ્છા હોય તો કરો. એકલું બ્રહ્મ, બ્રહ્મ, બોલ્યે શું વળે, જો વિવેક વૈરાગ્ય ન હોય તો? એ તો ખાલી શંખ ફૂંકવા જેવું!

એક ગામમાં પદ્મલોચન નામનો એક છોકરો રહેતો. લોકો તેને પોદિયો પોદિયો કહીને બોલાવતા. ગામ બહાર એક ખંડિયેર થઈ ગયેલું મંદિર હતું, અંદર મૂર્તિ-બૂર્તિ કાંઈ નહિ. મંદિરની દીવાલે પીપળો તથા બીજાં ઝાડપાન વગેરે ઊગી ગયેલાં. મંદિરની અંદર ચામાચીડિયાંના માળા, જમીન પર ધૂળ અને ચામાચીડિયાંની હગાર. મંદિરમાં માણસોની અવરજવર નહિ.

એક દિવસ સંધ્યા થયા પછી થોડી વારે ગામના લોકોને શંખનો અવાજ સાંભળવામાં આવ્યો. મંદિરની બાજુએથી શંખનો અવાજ આવી રહ્યો છે ભોં ભોં કરતો ને! ગામના માણસોએ ધાર્યું કે કદાચ કોઈએ દેવતાની મૂર્તિ પધરાવી હશે, તે સંધ્યા આરતી થાય છે. એટલે નાનાં મોટાં સ્ત્રીઓ, પુરુષો સૌ દોડતાં જઈને મંદિરે પહોંચ્યાં, ઠાકોરજીનાં તથા આરતીનાં દર્શન કરવા.

તેમનામાંથી એક જણે મંદિરનાં બારણાં હળવે હળવે ઉઘાડીને જોયું તો પેલો પદ્મલોચન એક બાજુએ ઊભો રહીને ભોં ભોં કરીને શંખ વગાડે છે. દેવતાની પ્રતિષ્ઠા થઈ નથી, મંદિર વાળીચોળીને સાફ કર્યું નથી. ચામાચીડિયાંની હગાર એમની એમ પડેલી છે. એ બધું જોઈને પેલો માણસ બૂમ પાડી ઊઠ્યોઃ

‘મંદિરમાં તવ નહિ માધવ,

પોદિયા શંખ ફૂંકી તેં કીધી ગરબડ,

તેમાં ચામાચીડિયાં અગિયાર જણાં,

અહોરાત્ર મારે ફેરા.’

જો હૃદયમંદિરમાં માધવ-પ્રતિષ્ઠા કરવાની ઇચ્છા હોય, જો ભગવત્પ્રાપ્તિ કરવા ઇચ્છો, તો માત્ર ‘ભોં ભોં’ કરીને એકલો શંખ ફૂંક્યે શું વળે? પહેલાં ચિત્તશુદ્ધિ થાય, મન શુદ્ધ થયે ભગવાન પવિત્ર આસને આવીને બિરાજે. ચામાચીડિયાંની હગાર પડી હોય તો માધવને લાવી શકાય નહિ. ચામાચીડિયાં એ અગિયાર ઇન્દ્રિયોઃ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, અને મન. પ્રથમ માધવ-પ્રતિષ્ઠા થાય, ત્યાર પછી મરજી હોય તો વ્યાખ્યાન, લેકચર આપો ને. પ્રથમ ડૂબકી મારો, ડૂબકી મારીને રત્ન કાઢો, ત્યાર પછી બીજું કામ.

કોઈ ડૂબકી મારવા તૈયાર નહિ! સાધના નહિ, ભજન નહિ, વિવેક-વૈરાગ્ય નહિ; કેવળ બેચાર વાતો શીખ્યા કે તરત જ લગાવ લેક્ચર, કર ભાષણ!

ઉપદેશ આપવો એ કઠણ કામ છે… ભગવાનનાં દર્શન થયા પછી જો કોઈ તેમનો આદેશ મેળવે તો લોકોને ઉપદેશ આપી શકે.

સાકાર અથવા નિરાકાર—ચિન્મયમૂર્તિનું ધ્યાન—માતૃધ્યાન

શ્રીરામકૃષ્ણ: આજકાલ તમારું ઈશ્વરચિંતન કેમ ચાલે છે? તમને સાકાર ગમે છે કે નિરાકાર?

મણિ: જી, હમણાં સાકારમાં મન જતું નથી. તેમ વળી નિરાકારમાંય મન સ્થિર કરી શકતો નથી.

શ્રીરામકૃષ્ણ: જોયું ને? નિરાકારમાં મન એકદમ સ્થિર થાય નહિ. શરૂશરૂમાં તો સાકાર જ સારું.

મણિ: શું આ બધી માટીની મૂર્તિનું ચિંતન કરવું?

શ્રીરામકૃષ્ણ: કેમ? ચિન્મય મૂર્તિ.

મણિ: જી, તો પણ હાથપગનો તો વિચાર કરવો પડે ને? પરંતુ એ પણ જોઉં છું કે પ્રથમ અવસ્થામાં રૂપનું ચિંતન કર્યા વિના મન સ્થિર થાય નહિ, એમ આપે કહ્યું છે. વારુ, ઈશ્વર તો જુદાં જુદાં રૂપ ધારણ કરી શકે. પોતાની માના સ્વરૂપનું ધ્યાન કરી શકાય કે નહિ?

શ્રીરામકૃષ્ણ: હા. તે (મા) ગુરુ – બ્રહ્મમયીસ્વરૂપા.

મણિ: જી. નિરાકાર કેવું દેખાય? શું એનું વર્ણન કરી શકાય નહિ?

શ્રીરામકૃષ્ણ (જરા વિચાર કરીને): એ શેના જેવું ખબર છે?

વાત એમ છે કે આને બરાબર સમજવા માટે સાધના જોઈએ. જો તાળાબંધ ઓરડાની અંદરનું રત્ન જોવાની અને મેળવવાની ઇચ્છા હોય તો મહેનત કરી ચાવી લાવીને બારણાનું તાળું ઉઘાડવું જોઈએ. ત્યાર પછી રત્ન બહાર કાઢવું જોઈએ. નહિ તો ઓરડો તાળાબંધ, તેના બારણાની બહાર ઊભા ઊભા વિચાર કરીએ, કે આ મેં બારણું ઉઘાડ્યું, આ પેટીનું તાળું ખોલ્યું, આ રત્ન બહાર કાઢ્યું; એમ માત્ર ઊભા ઊભા વિચાર કરવાથી કાંઈ વળે નહિ. સાધના કરવી જોઈએ.

Total Views: 654

One Comment

  1. નેહલ ત્રીવેદી March 2, 2023 at 10:22 am - Reply

    હરે કૃષ્ણ હરે કૃષ્ણ 🌷🌷
    નમરકાર 🙏🙏શ્રીરામકૃષ્ણ જ્યોત અંક અને તેમાં વિવિધ લેખો ખુબ જ સરસ રીતે રજુ થાય છે. તેનાં પ્રકાશન કાર્યમાં સંકળાયેલ સર્વે ને આ સુંદર કાર્ય કરવા માટે અભિનંદન

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.