રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા છેલ્લા આઠ વર્ષથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નામનું માસિક પ્રસિદ્ધ થાય છે. માટે ઑક્ટોબર – નવમ્બરનો સંયુક્ત અંક દીપોત્સવી અંક તરીકે ‘શાંતિ વિશેષાંક’ તરીકે પ્રસિદ્ધ થયો છે. બહુરંગી મુખપૃષ્ઠ અને આર્કષક છપાઇથી શોભતા આ દળદાર વિશેષાંકમાં સ્વામી ભૂતેશાનંદ, સ્વામી વિવેકાનંદ, સ્વામી રંગનાથાનંદ, સ્વામી જિતાત્માનંદ, વિમલા ઠકાર, પાંડુરંગ શાસ્ત્રી, શ્રી મોરારીબાપુ, ઇન્દિરા બેટીજી, રમેશભાઇ ઓઝા, સ્વામી અખિલાનંદ જેવા સંતો, વિચારકો, કથાકારો વગેરેના શાંતિ વિષયક લેખો છે.

આજના યુગનો માનવી શાંતિની શોધમાં સતત અહીં તહીં ભટકી રહ્યો છે. અવનવા અદ્ભુત વૈજ્ઞાનિક પ્રયોગો દરેક ક્ષેત્રમાં માનવ સફળતાપૂર્વક કરી રહ્યો છે. આમ છતાં એક વસ્તુની ઉણપને લીધે માનવ દુઃખી છે. અને તે વસ્તુ છે શાંતિ. પ્રસ્તુત અંકમાં સાચી શાંતિ શી રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગે માર્ગદર્શન આપતા અનેક સંતપુરુષોના લેખો છે, જે વાંચવાથી જીવન પ્રત્યેનો અભિગમ બદલી શકાય છે. આ અંકમાં સર્વશ્રી યશવંત શુક્લ, કુન્દનિકા કાપડિયા, ગુણવંત શાહ, જ્યોતિબહેન થાનકી વગેરે જેવા સિદ્ધહસ્ત સાહિત્યકારો ઉપરાંત ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા, મકરન્દ દવે, લાભશંકર રાવળ, મનોહર દેસાઇ, દુષ્યંત પંડ્યા વગેરે કવિઓની કાવ્ય પ્રસાદી પણ છે. શાંતિ ઝંખતા દરેક માનવીને આ અંકમાંથી નવી પ્રેરણા મળે તેમ છે. પરિણામે, આ અંક કાયમ સાચવી રાખવા જેવો છે.

ફૂલછાબ (દૈનિક)  (તા.૧૬/૧૨/૯૬)

શ્રીરામકૃષ્ણ જ્યોત સાચે જ એક આધ્યાત્મિક યાત્રા બની રહ્યું છે.

ડૉ. કુમારપાળ દેસાઇઅમદાવાદ

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંકો મળે છે. આજના યુવાનોને સાત્ત્વિક આધ્યાત્મિક વાંચન મળે તે માટેનો પ્રયાસ કરો છો તે આજના સમાજને ખૂબ ઉપયોગી છે. મારા અભિનંદન સ્વીકારશો.

વૈદ્ય નવીનભાઇ ઓઝાવડોદરા

દીપોત્સવી અંક ૧૯૯૬ ‘શાંતિ વિશેષાંક’ના દરેક લેખો વાંચતાની સાથે જ મનની શાંતિની અનુભૂતિ કરાવે છે.

આર.એલ. ત્રિવેદીસાવરકુંડલા

સપ્ટેમ્બરના અંકમાં ‘એકાગ્રતા પ્રાપ્તિના ઉપાયો વાચી ગયો છું. ઘણું સુંદર લાગ્યું. મારી ઉંમર ૬૩ વર્ષ છે તે છતાં મને ઉપયોગી લાગ્યું. યુવક-યુવતીઓને ઘણું ઉપયોગી થાય. આવાં લખાણો શિક્ષકોના પરિસંવાદ યોજીને તેમના ધ્યાનમાં લાવવાં જોઇએ.

ડી. કે. ઓઝામદ્રાસ

આપશ્રી દ્વારા પ્રેષિત ‘દીપાવલી વિશેષાંક’ સમયસર મળ્યો. એક જ બેઠકમાં સમગ્રપણે વાંચી નાખ્યો. ‘મૅનેજમૅન્ટ’, હિમાલયની ગોદમાં વસેલા શાંતિધામો – માયાવતી, અલ્મોડા, શ્રી અરવિંદ મહાશય રચિત દુર્ગાસ્તોત્ર વગેરે લેખ ખૂબ જ આકર્ષક, મનને શાંતિ બક્ષનાર તથા સત્યની રાહ બતાવનાર લાગ્યા. આવો સુંદર અંક છાપવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન. તેમ જ વર્ષો વર્ષ આવા અંકો આપ દ્વારા છપાતા રહે તેવી પ્રભુને પ્રાર્થના.

‘યુદ્ધ તણાં નગારાં વિશ્વમાં હ૨રોજ બાજે;
લાવો આધ્યાત્મિક ક્રાંતિ વિશ્વશાંતિ કાજે;
કરો યત્ન જેથી સર્વમાં ઇશ્વર બિરાજે.’

ગૌરાંગ ભાવસારસરખેજ

દીપોત્સવી અંક મળ્યો છે. વિવિધ ક્ષેત્રના મનનીય લેખોની સામગ્રી પૂરી પાડી છે. એ માટે આભાર ને ધન્યવાદ. પૃ. ૩૧૩ ઉપર ‘ગૃહસ્થાશ્રમમાં શાંતિ’ વાળો વં.પૂ. ગો. ઇન્દિરાબેટીજીનો લેખ – સર્વ પ્રાંતોના સર્વ ભાષાના – પર્વ અને પશ્ચિમના સર્વ રાષ્ટ્રોના – ગૃહસ્થીઓને માટે અતિ મનનીય કહી શકાય. માત્ર ગુજરાતીઓ માટે જ નહીં. બ્રહ્માની સૃષ્ટિ સર્જનમાં સ્ત્રી અને પુરુષોનું સર્જન – સૃષ્ટિને ચાલુ જીવંત રાખવા અતિ મહત્ત્વના અને અનિવાર્ય માનતા હોઇએ તો સ્ત્રી અને પુરુષ માટે ગૃહસ્થાશ્રમ અનિવાર્ય અને અતિ મહત્ત્વનો કહી શકાય. તથા જીવનના સુખ-શાંતિ માટે, સમગ્ર માનવ સમાજને માટે, પરસ્પર પ્રેમ ને સુખ- શાંતિ આદર્શ ગૃહસ્થાશ્રમ ઉપર આધારિત છે. પશ્ચિમના વિકસિત રાષ્ટ્રોને પણ તેની ઉપયોગિતા છે તેમ કહી શકાય! મારા વતી વં.પૂ. ગો. ઇન્દિરાબેટીજીને ધન્યવાદ.

ગોપાલ પટેલ (મેંગ્લોર)

આ વર્ષનો દિવાળી અંક વાંચી ખૂબ જ ખુશ થયો. આપના તમામ અંક ખૂબ જ સારા આવે છે. તેમાં સામાજિક અને ખાસ કરીને આધ્યાત્મિક માહિતી ખૂબ જ જીવન ઉપયોગી મળી રહે છે. આપના અંક વાચી મારા જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે અને આધ્યાત્મિક શક્તિમાં પણ ખૂબ જ ફાયદો દેખાય છે. હું અહીંયાં પણ મારા મિત્રો-સંબંધીઓ અને અન્ય રિલેશનવાળા વ્યક્તિઓને રામકૃષ્ણ અંક બંધાવવા ખાસ સૂચન કરું છું. હું ખાસ ભારપૂર્વક કહું છું કે, યુવાન વ્યક્તિઓએ (ભાઇ-બહેનોએ) રામકૃષ્ણ અંક ખાસ વાંચવો જોઇએ. મારો વિશ્વાસ છે કે આપનામાં જરૂર જીવન પરિવર્તન આવશે. આ મારો સ્વઅનુભવ છે.

ભરત આર. ભટ્ટજૂનાગઢ

Total Views: 79

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.