રામકૃષ્ણ મિશન શતાબ્દી મહોત્સવ અને સ્વામી વિવેકાનંદ ભારત પ્રત્યાગમન શતાબ્દી મહોત્સવ – દેશ વિદેશનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા થયેલી ઉજવણી
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં ભારતનાં અને વિદેશનાં કેન્દ્રોમાં ઉપર્યુક્ત મહોત્સવોની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.
બેંગલો૨ કેન્દ્રમાં ૨૪મી જાન્યુઆરીએ કિવઝ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું.
ચેન્નાઈ મિશન આશ્રમમાં ૫મી જાન્યુઆરીથી ૧૨મી જાન્યુઆરી સુધી મુખપાઠ, વકતૃત્વ, નિબંધલેખન, કિવઝ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
બિહારના દેવધર કેન્દ્રમાં ૨૩મી જાન્યુઆરીએ રેલીનું આયોજન થયું હતું.
લીંબડી કેન્દ્રમાં જાહેર સભા અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું
મૈસુર કેન્દ્રમાં વ્યાખ્યાનો અને સંગીત સભાનું આયોજન ૨જી જાન્યુઆરીથી ૯ જાન્યુઆરી સુધી કરવામાં આવ્યું હતું.
નાગપુર કેન્દ્રમાં ૧૬ મી જાન્યુઆરીએ યુવ-સંમેલન, ૭ અને ૧૮મી જાન્યુઆરીના રોજ સેમિનાર, ૬ અને ૧૮મી જાન્યુઆરીએ જાહેર સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
પૂરી મિશન આશ્રમમાં ૧૩ અને ૧૮ જાન્યુઆરીએ જાહેર સભાઓ યોજાઈ હતી.
બિહારના રાંચી મોરાબાદી આશ્રમમાં ૧૦ અને ૧૧ મી જાન્યુઆરીએ યુવ-સંમેલન અને નૅશનલ ઈન્ટિગ્રેશન કૅમ્પનું આયોજન થયું હતું. આ ઉપરાંત ૧૪ થી ૧૮ જાન્યુઆરી સુધી વકતૃત્વ, મુખપાઠ, નિબંધ લેખન, કિવઝ વગેરે સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૨૦મી જાન્યુઆરીએ ‘સ્વામી વિવેકાનંદ અને આજની આપણા દેશની પ્રવર્તમાન કટોકટી’ વિશે પેનલ ચર્ચાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
અમેરિકાના સાન્ ફ્રાન્સિસ્કો કેન્દ્રમાં વિશેષ પૂજા, ભક્તિભાવભર્યું ભજન-સંગીત અને સ્લાઈડ શો સાથે ત્રણ વક્તવ્યોનું આયોજન ૧લી જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું.
પ. બંગાળના ટાકી કેન્દ્રમાં પ્રદર્શન, ધાર્મિક વક્તવ્યો, નાટક વગેરેનું આયોજન ૨૧મી ડિસેમ્બરથી ૨૪ ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું હતું,
શ્રીરામકૃષ્ણ મિશન લીંબડીમાં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી
શ્રીરામકૃષ્ણ મિશન લીંબડીએ સ્વામી વિવેકાનંદજીના જન્મદિન તા. ૧૨મી જાન્યુઆરી ૧૯૯૮ના રોજ રાષ્ટ્રી યુવા દિન ઉજવ્યો હતો. આ ઉજવણીમાં આશરે ૨૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિવેકાનંદ સ્મૃતિ મંદિરથી (ટાવર બંગલાથી) શોભાયાત્રા નીકળી શ્રીરામકૃષ્ણ મિશન પહોંચી. ૩ શાળાઓના ફ્લૉટ્સ (ઝાંખી દર્શન) આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ હતા. આ ફ્લૉટ્સમાં વિદ્યાર્થીઓએ મહાન ધાર્મિક પુરુષોના જીવન પ્રસંગો દર્શાવ્યા હતા.
તા. ૨૬-૧૨-૯૭ થી ૩૦-૧૨-૯૭ સુધી જુદી જુદી સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં આશરે ૨૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતાઓ માટે ઈનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં અતિથિ વિશેષ તરીકે મોરબીના અજંતા કલૉકના ચૅરમૅન શ્રી ઓધવજીભાઈ પટેલ અને લીંબડીના કલૅક્ટર વત્સલા વાસુદેવા હતા. આ સમારંભમાં વકતૃત્વ અને મુખપાઠ સ્પર્ધાના પ્રથમ વિજેતાઓએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. શ્રીરામકૃષ્ણ મિશનના શતાબ્દી સમારોહના અનુસંધાનમાં શ્રીરામકૃષ્ણ મિશનના લીંબડી કેન્દ્રે તા.૧૩-૧-૧૯૯૮ના રોજ રામકૃષ્ણ મિશનના લખનૌ કેન્દ્રના વડા શ્રીધરાનંદજી મહારાજનું પ્રવચન સ્થાનિક કન્યાશાળામાં યોજ્યું હતું જેનો લાભ શાળાની આશરે ૧૨૦૦ વિદ્યાર્થિનીઓએ લીધો હતો. તેજ દિવસે સ્વામી શ્રીધરાનંજી મહારાજનું ભક્તમંડળ સમક્ષ શ્રીરામકૃષ્ણ મિશનના હૉલમાં ‘શ્રીરામકૃષ્ણ મિશનના આદર્શો’ પર પણ એક પ્રવચન યોજાયું હતું.
બાંગલાદેશમાં રામકૃષ્ણ મિશન દ્વારા રાહત કાર્ય
બાંગલાદેશમાં રામકૃષ્ણ મિશનના ઢાકા કેન્દ્ર દ્વારા દિનાજપુર, મૈમનસિંહ, હબીબગંજ, સિલહટ, બાલિયાતી અને ચિત્તાગોંગના ગરીબ લોકો વચ્ચે ૮૪૬ ધાબળાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
મૈસુરમાં શૈક્ષણિક સેમિનારનું આયોજન
મૈસુરમાં રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યુટ ઑફ મૉરલ ઍન્ડ સ્પિરિચ્યુલ ઍજ્યુકેશન (RIMSE) દ્વારા ૧૮થી ૨૦ ડિસેમ્બર સુધી ‘સ્વામી વિવેકાનંદના કેળવણી વિષયક વિચારો’ વિષય પર ત્રણ દિવસનો સેમિનાર યોજાયો હતો, જેમાં ૧૧ રાજ્યોના ૪૮ શિક્ષકોએ ભાગ લીધો હતો.
રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી
૧૨મી જાન્યુઆરી – રાષ્ટ્રીય યુવા દિન (સ્વામી વિવેકાનંદજીના જન્મદિન) પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્ય મથક બેલુર મઠ અને નીચે દર્શાવેલ શાખા કેન્દ્રો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમ કે – જાહેર સભા, શોભાયાત્રા, સ્પર્ધાઓ, નાટકો, રમતગમત સ્પર્ધા, યુવ – સંમેલન વગેરે – દિલ્હી, કાલાડી (કેરેલા), પૂરી (ઓરિસ્સા), રાયપુર (મધ્યપ્રદેશ), રાંચી – મોરાબાદી (બિહાર), રાંચી સૅનૅટોરિયમ (બિહાર), વિવેકનગર (ત્રિપુરા) વગેરે.
Your Content Goes Here