શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક ‘The Message of Eternal Wisdom’ના ‘Consolations’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

સંસારની સમસ્યાઓમાંથી કેવી રીતે છૂટી શકાય તેના ઉપાય હું તમને બતાવું એમ તમે ઇચ્છો છો. એના ઉત્તરમાં હું તમને એ વાતની યાદ અપાવું છું કે જે સમસ્યાઓ હજારો જન્મો દ્વારા આવી છે, તેમને એક જ દિવસમાં દૂર ન કરી શકાય. હા, તમે સાચું કહો છો કે આપણે આ જ પળથી સંસારની જાળમાંથી બચવું જોઈએ કારણ કે મૃત્યુ કોણ જાણે ક્યારે આપણને પોતાનાં સ્વજનોના સ્નેહપાશથી અલગ કરી દેશે એ કોણ જાણે છે? પરંતુ એનો અર્થ એ નથી કે આપણે પોતાના જીવનક્રમ વિશે કોઈ આકસ્મિક નિર્ણય લઈએ. જેવી રીતે બાળક હંમેશાં સહાય માટે પોતાનાં માતપિતા તરફ વળે છે, તેવી રીતે આપણે આપણા મનને સદૈવ પ્રભુ તરફ વાળવું જોઈએ અને શ્રીકૃષ્ણે તમને જે પરિસ્થિતમાં રાખ્યા છે તેમાં સંતુષ્ટ રહેવું જોઈએ, એ છે સફળતાનો સર્વશ્રેષ્ઠ ઉપાય. ઈશ્વર તમને જ્યાં રાખવા માગે ત્યાં શાંતિથી રહો. શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશો વાંચો અને તેમના પર વિચાર કરો. તેઓ કહે છે કે : ‘છોડની ચારે બાજુએ વાડ લગાવવી જોઈએ જેથી બકરાં તેને ખાઈ ન જાય. પરંતુ એ જ છોડ જ્યારે મોટું વૃક્ષ બની જાય છે ત્યારે સેંકડો બકરાં તેની છાયામાં આશ્રય લઈ શકે છે.’ એટલે સૌભાગ્યવશ જ્યારે કોઈના હૃદયમાં શ્રદ્ધા અને ત્યાગભાવના જાગે ત્યારે સંસારી લોકોથી અલગ રહીને એ ભાવોને અધ્યવસાયપૂર્વક પુષ્ટ કરવા જોઈએ; અને આ ભાવો જેવા એકવાર આપણા હૃદયમાં દૃઢ બની જાય ત્યારે એમને કોઈ હલાવી શકતું નથી.

સારાં પુસ્તકો વાંચો. એક પુસ્તક તમને બતાવું – ઈશાનુસરણ (The Imitation of Christ) – આ પુસ્તક તમને ઘણી શાંતિ અર્પશે. થોમસ કેમ્પિસના આ અણમોલ પુસ્તકના પાને પાને જોવા મળતા સાંત્વના અને સાચી ભક્તિના એ શબ્દોને તમારા હૃદયમાં ઊતારી લો. તેઓ પોતે ઈશ્વર કે ઈશુના સાચા ભક્ત હતા.

પશુ અને માનવ વચ્ચે મુખ્ય ભેદ આ છે – જ્યાં સુધી પશુને ભોજન અને નિવાસની સુવિધા મળતી રહે છે ત્યાં સુધી તે ક્યારેય એ સ્થાનને બદલવા માગતું નથી; જ્યારે મનુષ્ય, સાચો મનુષ્ય હંમેશાં ઊંચે અને ઊંચે જવાનો પ્રયત્ન કરે છે. ઉચ્ચ આદર્શો માટે નિરંતર પ્રયાસ એ સાચા માનવનું લક્ષણ છે. એ બધા લોકો કે જે સત્પુરુષ કે મહાન બનવા ઇચ્છે છે તેમનું મુખ્ય લક્ષ્ય – સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ – બધા ધર્મોને છોડીને તું મારા (ભગવાનના) શરણને ગ્રહણ કર – એ હોવું જોઈએ. આપણામાંથી પ્રત્યેક વ્યક્તિ પરમાત્મા તરફ જવા માટે કઠિન પરિશ્રમ કરે છે, પરંતુ આપણા માર્ગ વિભિન્ન છે. પ્રત્યેક માનવ પોતાનો માર્ગ પોતે જ બનાવશે તેમજ ઈશ્વરે આપણને જે સાધનો આપ્યાં છે એને સહારે યાત્રા કરવી રહેશે. આપણે બધાએ પોતાનાં બંધનોને તોડી નાખવાં જોઈએ કારણ કે તમે ક્યારેય એવું જોયું છે કે એક જ આકસ્મિક ઝટકે એ બંધનો તૂટી જાય? જો તમે તમારાં બંધનોને તોડવા માગતા હો તો તેમના પર આઘાત કરતા રહેવા માટે પૂરતું ધૈર્ય તમારામાં હોવું જોઈએ. કોઈ પણ આકસ્મિક કાર્યથી કોઈ પણ પ્રકારનું શુભ પરિણામ આવતું નથી. જ્યારે તમારા મનમાં તીવ્રતમ ત્યાગવૃત્તિ હશે ત્યારે બીજી બધી વૃત્તિઓ તમને સંસારવૃક્ષ સાથે બાંધી રાખવા અસમર્થ બની જશે અને જેવી રીતે પૂરેપૂરું પાકેલું ફળ પૃથ્વીની ગોદમાં ખરી પડે છે તેમ તમે પ્રભુના સંગમાં આવી જશો.

તમે કહો છો કે સંસાર પ્રબળ પ્રલોભનોનું સ્થાન છે, એ વાસ્તવિક સત્ય છે. પરંતુ શું તમે એ નથી જાણતા કે શક્તિશાળી અને વિપરીત વાયુ દુર્બળ વૃક્ષનાં મૂળની શક્તિને જ પુષ્ટ કરે છે. શુભનૈતિક સિદ્ધાંતો જે હાલ તમારા મનમાં એટલા દૃઢ નથી બન્યા તે પ્રલોભનો સાથેના સતત સંઘર્ષના પરિણામે નિશ્ચિત રૂપે પોતાનાં ઊંડાં મૂળિયાં જમાવી દે છે. નિયમિત વ્યાયામ અને સંઘર્ષ વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્યને ઉન્નત કરી દે છે. આપણું માનસિક સ્વાસ્થ્ય પણ આ નિયમનો અપવાદ નથી. નિ:સંદેહ આ ભૂમિ ઘણી જ લપસણી છે અને એના પર પડ્યા વગર ચાલવું મનુષ્ય માટે ઘણું જ કઠિન છે. પરંતુ જે વ્યક્તિ પ્રગતિના પથ પરની આ લપસવાની સમસ્યાની વધુ ચિંતા કર્યા વિના દૃઢતાપૂર્વક આગળ વધે છે તે અવશ્ય આ દલદલભરી ભૂમિમાંથી બહાર નીકળી જાય છે. જ્યાં સુધી તે સ્વચ્છ ભૂમિ પર ન પહોંચી જાય અને જ્યાં સુધી તે જેના માટે એટલા દિવસોથી પ્રયત્ન કરી રહ્યો હતો તે દૈવી શક્તિનો સાક્ષાત્કાર ન કરી લે ત્યાં સુધી તે પડે છે, વળી બેઠો થાય છે, પરંતુ ક્યારેય પરાજયનો સ્વીકાર કર્યા વિના સદૈવ સામે નજર રાખીને દૃઢતાપૂર્વક આગળ વધે છે. ક્યારેક ક્યારેક તમે લપસી પડો તો તેની ચિંતા ન કરો. મનુષ્યથી ભૂલ થવી એ સ્વાભાવિક છે. નિરાશ ન થાઓ અને દૃઢતાથી આગળ વધો. સંસારની ભારે લપસણી ભૂમિના પથને મુશ્કેલી વિના પાર કરવાની આશા કોઈ વ્યક્તિ રાખી ન શકે. પથ પાર કરવાના પ્રયત્નમાં મળનારી નિષ્ફળતાના ભયથી આ દલદલની વચ્ચે બેસી જવું એ નરી મૂર્ખતા છે. ‘ફરી અને ફરી પ્રયત્ન કરો’ આ સ્વર્ણિમ નિયમને ન ભૂલો. સ્કોટલેન્ડના બ્રુસને યાદ કરો જે છ છ વાર પરાજિત થઈને પણ અંતે સાતમી વાર વિજયી બન્યા.

બધી વસ્તુઓ શ્રીકૃષ્ણ દ્વારા જ આવે છે એમ માનીને તમને જે કંઈ મળે તેનાથી સંતુષ્ટ રહો. એમને સતત પ્રાર્થવાનું ભૂલશો નહિ. તેમની કૃપા તે બધું આપી શકે જેનાથી તમારું સાચું કલ્યાણ થાય. સદૈવ એમની કૃપા પર નિર્ભર રહો. શાંત અને સ્થિર રહો. અસ્થિરતા એ પોતે જ એક રોગ છે. આટલું જાણી લો કે પરમપુરુષની ઇચ્છા પ્રત્યેના આત્મસમર્પણમાં પ્રેમ અને સંતોષનો અનુભવ કરવો એ ધર્મ છે.

‘હૃદયમાં સાહસ અને ઉપર ઈશ્વરને રાખીને જીવિત વર્તમાનમાં કર્મ કરો’. દુ:ખ અને સુખ દરેકના અપરિહાર્ય સાથી છે. જ્યારે એક આવે છે ત્યારે બીજો ચાલ્યો જાય છે. પરંતુ બંને સ્થાયી નથી રહી શકતાં. આ જાણીને આપણે એમના પ્રભાવથી વિચલિત થવું ન જોઈએ. ઈશ્વર પર પૂર્ણત: નિર્ભર રહીને પોતાનું કર્તવ્ય કરતા રહો. સદૈવ ઈશ્વરની ઇચ્છાને અધીન રહો અને પ્રત્યેક વસ્તુને ઉત્તમ અર્થમાં ગ્રહણ કરો. તમારે ભવિષ્ય માટે ચિંતિત ન થવું જોઈએ. અહીં આ સંસારમાં જે કંઈ પણ બને છે તે આપણા કલ્યાણ માટે જ હોય છે, કારણ કે બધું ઈશ્વર દ્વારા સંચાલિત છે. સાથે ને સાથે કર્તવ્યપરાયણ થવું એ આપણું કર્તવ્ય બનવું જોઈએ. પોતાના પ્રત્યે કર્તવ્યપરાયણ બનવાનો પ્રયત્ન કરો. જો પત્ની અને સંતાન હોય તો એમના પ્રત્યે પણ કર્તવ્યપરાયણ બની રહો. પોતાનાં સંબંધીઓ, મિત્રો અને પડોશીઓ પ્રત્યે પણ કર્તવ્યપરાયણ રહો. ઉદાર, ઈમાનદાર, સરળ અને સત્યવાદી બનો. સર્વોપરિ, આપણા નિર્માતા ઈશ્વર પ્રત્યે પ્રેમભક્તિ રાખો. જ્યાં સુધી આ તમારી પ્રકૃતિ ન બની જાય ત્યાં સુધી આવું જીવન જીવો, કારણ કે તમારે આ સત્યને જાણી લેવું જોઈએ : જ્યાં સુધી મનુષ્ય શરીર અને મનથી પવિત્ર નથી બનતો ત્યાં સુધી યોગના પવિત્ર મંદિરમાં પ્રવેશ કરવાનો એને કોઈ અધિકાર નથી. યોગનો અર્થ – સમસ્ત ચિત્તવૃત્તિઓ કે ઇચ્છાઓ રહિત બનવું. એટલે સદૈવ પોતાનાં માતપિતા, પત્ની-સંતાનો, સંબંધી-મિત્ર તથા પાડોશીઓ પ્રત્યે કર્તવ્યપરાયણ રહીને પવિત્ર બનવાનો પ્રયત્ન કરો. પ્રથમ તો એક આદર્શ સદ્‌ગૃહસ્થ બનવાનો પ્રયત્ન કરો, કારણ કે ત્યારે તમે સાચા યોગી બની શકશો.

એ જાણીને તમને આનંદ થશે કે હું અમારા અધ્યક્ષ (શ્રીમત્ બ્રહ્માનંદજી મહારાજ)ને અહીં લાવવા માટે પુરી જઈ રહ્યો છું. એમના જેવા પવિત્ર મહાપુરુષ જે કોઈને સ્પર્શ કરે તે માત્ર પવિત્ર જ નથી બનતો પરંતુ પવિત્ર બનાવવાની શક્તિ પણ પ્રાપ્ત કરે છે. તેઓ અહીં વ્યાખ્યાન દેવા નથી આવતા પરંતુ જેમને ધર્મની આવશ્યકતા છે તેમને ધર્મપ્રદાન કરવા આવે છે. સાર્વજનિક વ્યાખ્યાનોથી વિશેષ કાર્ય થતું નથી. ઉપરછલ્લી ચર્ચામાં શું છે? ધર્મની ચર્ચા તો બધા કરે છે, પરંતુ એવા વ્યક્તિ ક્યાં છે જે ધર્મપ્રદાન કરી શકે? તેઓ એવા મહાપુરુષ છે જે દુ:ખી હૃદયમાં આશીર્વાદની અમીવૃષ્ટિ કરી શકે છે, જે પ્રત્યક્ષરૂપે ધર્મપ્રદાન કરીને મનુષ્યને ઈશ્વર તરફ લઈ જાય છે. આધુનિક યુગની તથાકથિત બુદ્ધિમત્તાના નિતાંત ખોખલાપણાની તમને યાદ અપાવવી આવશ્યક નથી. જે લોકોના મન સંસારમાં બદ્ધ છે, જેમનામાં સત્યના અસીમ આકાશમાં ઉડવાની શક્તિ નથી, જેમનું ચિંતન અજ્ઞેયવાદ, સંશયવાદ કે નાસ્તિકતામાં સમાપ્ત થાય છે, જેમનામાં નૈતિકસિદ્ધાંતોનો કોઈ શાશ્વત આધાર નથી, જેમનું અજ્ઞાન તેમને જન્મ અને મૃત્યુના બંને છેડાથી બાંધીને ક્ષણભંગુર જીવનમાં સીમિત રાખે છે. એવા વ્યક્તિઓના ગ્રંથો વાંચીને સાચી રીતે બુદ્ધિમાન નથી બની શકતા.. રામકૃષ્ણ મિશનના ઉદાત્ત કાર્ય પ્રત્યે તમે જે ઉત્સાહ બતાવો છો તે હવે હજારગણો વધી જવો જોઈએ; કારણ કે આ મિશનના મૂર્તિમંત સ્વરૂપ એવા પરમ પવિત્ર અધ્યક્ષ મહારાજ હવે દક્ષિણ ભારતમાં પદાર્પણ કરવાના છે.

ક્યારેય નિષ્ક્રિય ન રહો. કારણ કે નિષ્ક્રિયતા બધી જાતના ખરાબ વિચારોની જનની છે. પોતાના કર્તવ્યપાલનમાં સતત સાવધાન રહો. પોતાની ભીતરની બધી જડતાને દૂર કરી દો. આળસ જઘન્યતમ પાપ છે. પૂર્ણતાપ્રાપ્તિનો કોઈ રાજમાર્ગ નથી. એકલી ભાવુકતાથી કોઈ લાભ નથી થતો. તમારે કઠિન પરિશ્રમ કરવો જોઈએ. ભગવાન તમને જે કોઈ સ્થાને રાખે ત્યાં સદૈવ પ્રસન્ન રહેવું જોઈએ. જો તમે ભગવાનના નિમિત્તે થોડાં સાંસારિક કષ્ટો સહન ન કરી શકો તો તમે વાસ્તવમાં પ્રભુના અધમ પ્રેમી છો! જે કામ તમને અત્યારે અસંતુષ્ટિકર લાગે છે એ જ પછીથી તમારે માટે સહાયક સિદ્ધ થશે. ભગવાન આપણા બધાથી વધારે બુદ્ધિમાન છે. તમારા માટે શું આવશ્યક છે અને તમને ક્યાં રાખવા જોઈએ એ બધું તેઓ જાણે છે. જો તમે એમના વિધાનનો પ્રતિરોધ કરતા હો તો વાસ્તવિક રીતે તમે એમની અસીમ કૃપા અને પ્રેમનો જ વિરોધ કરો છો. આજ્ઞાંકિતતા દૈવી છે અને અવજ્ઞા એ આસુરી છે.

આપણે નર્યા અજ્ઞાનને લીધે બધા પ્રકારની આધારવિહોણી ચિંતાઓમાં પડીએ છીએ. કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં નહીં. નેતાઓએ તદ્દન અહંકારશૂન્ય બનવું જોઈએ. ‘હું નહીં, તમે’ આ તેમનો મૂળ મંત્ર હોવો જોઈએ. આટલું યાદ રાખો અને કાર્યરત રહો, તમારો વિજય નિશ્ચિત છે. બધા સાથે મધુરતાથી વાત કરો. બધું એકીસાથે અને ત્વરિત કરવાનો પ્રયત્ન ન કરો. પૃથ્વી અને સ્વર્ગમાં એવી કોઈ શક્તિ નથી કે જે તેમના મિશન દ્વારા સમસ્ત વિશ્વમાં આટલી સફળતાપૂર્વક સંચારિત પ્રબળ અધ્યાત્મધારાને રોકી શકે. તમે પ્રભુના પસંદ કરેલ સંતાન છો તેથી આનંદમય બનો. વેદાંત સોસાયટીના બધા સભ્યોને એ બતાવી દો કે તેઓ માત્ર જ્ઞાનલાભ જ નહીં કરે પરંતુ એમના સંપર્કમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને પણ જ્ઞાનલાભ થશે.

પૂર્ણત: આત્મનિર્ભર બનો. જે પોતે પોતાને સહાય કરે છે ઈશ્વર એમને જ સહાય કરે છે. સાથે ને સાથે બધાને મદદ કરો. જો બહારથી સહાયતા મળે તો સારું અને ન મળે તો ય સારું. આટલું જાણી લો કે શ્રીગુરુમહારાજે તમને એમનું કાર્ય કરવા માટે પસંદ કર્યા છે અને જે કોઈ પણ આ તમારા કાર્યમાં સહયોગ આપશે તેણે પોતાની જાતને અત્યંત સદ્‌ભાગી સમજવી જોઈએ; કારણ કે મનુષ્યને ઈશ્વરનું કાર્ય કરવા માટે પસંદ કરાય તે હરદમ સંભવ નથી.

કોઈ વ્યક્તિ દ્વારા તેમના કાર્યને કોઈપણ પ્રકારની ક્ષતિ પહોંચાડી શકાય છે એવું વિચારીને તમે ચિંતિત ન બનો. જો કોઈ વ્યક્તિ આકાશ તરફ થૂંક ઉડાડે છે તો તે થૂંક તેના મોં ઉપર જ પડવાનું છે. શ્રીરામકૃષ્ણની પરમ દયાળુતા પર શ્રદ્ધા રાખો. એમના સર્વપવિત્ર સંઘમાં કાંઈ ખોટું થઈ શકતું નથી. જો ક્યારેક ક્યારેક તમારી પાસે આપણા શ્રીગુરુમહારાજ માટે કંઈક માગું છું તો તે કેવળ તમારા કલ્યાણ માટે જ છે.

ઈશ્વરે તમને શુદ્ધ બનાવ્યા છે અને જો તમે પ્રયત્ન કરો તો પણ અશુદ્ધ ન બની શકો. શ્રીરામકૃષ્ણના કાર્યના નિમિત્તે તમારા પ્રામાણિક તથા પ્રાણપ્રણ પરિશ્રમ માટે અમે સદૈવ કૃતજ્ઞ છીએ. તમે ધન્ય છો જ. આટલું નક્કી જાણો કે જે વ્યક્તિ સાચો અને સારો છે તે સંસારમાં સૌથી વધુ સદ્‌નસીબ વ્યક્તિ છે અને તમે એવા જ વ્યક્તિ છો. એટલે તમારા પર એમની કૃપા છે જ. ઈશ્વર જેમને સફળ બનાવવા ઇચ્છે છે એમની પ્રગતિને કોઈ રોકી શકતું નથી. જ્યાં સુધી માનવ મુશ્કેલીઓની પાઠશાળામાંથી પસાર થતો નથી ત્યાં સુધી તેને મનુષ્ય કહી શકાય નહીં. આપણી મુશ્કેલીઓ દ્વારા આપણે ઘણું શીખી શકીએ છીએ. જ્યારે તમે પોતાની જાતને પૂર્ણપણે પ્રભુનાં શ્રીચરણકમળમાં સમર્પિત કરી દીધી છે ત્યારે તો શાંતિ અને આનંદપૂર્ણ જીવનનું રહસ્ય જાણી જ લીધું છે. જીવન એક સતત સંગ્રામ છે. તમારે ઈન્દ્રિયો સાથે ઘોર સંગ્રામ ખેલવો જોઈએ, પરિણામ તો ઈશ્વરના હાથમાં છે. યુદ્ધ કરવું એ જ તમારું કર્તવ્ય છે. તમને વિજય મળે કે પરાજય, એ બધું સર્વથા ઈશ્વરની ઇચ્છા પર નિર્ભર છે.

મૂળમંત્ર સંતોષ, વિપરીત પરિસ્થિતિઓમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવાનું સમાશ્વાસન આપી શકે છે. ઈશ્વર કલ્યાણમય છે. એ જ બધું કરે છે, એટલે કલ્યાણ વિના કંઈ કરી શકતા નથી. આ જ ધર્મોનો સંદેશ છે. એનું પાલન કરો અને માનસિક શાંતિ એની મેળે મળશે. આપણે કોઈના મનમાં ત્યાગ પરાણે લાવી શકતા નથી. બધા લોકોને સાધુ કે સાધ્વી બનવા માટે નિયત નથી કર્યા. પ્રત્યેકના જીવનમાં એક પ્રયોજન છે. એટલા માટે ઈશ્વરે આપણને અહીં મોકલ્યા છે. બધાની સાથે હળીમળીને કામ કરો. શાંતિ સ્થાપવાવાળા ધન્ય છે કારણ કે એમને જ ઈશ્વરનાં સંતાન કહેવામાં આવે છે.

મુશ્કેલીઓમાં તમારે હતાશ ન થવું જોઈએ. પાંડવોનાં માતા કુંતીએ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી વિપત્તિઓનું વરદાન વારંવાર માગ્યું હતું. કારણ કે વિપત્તિમાં જ પ્રભુનું સ્મરણ સૌથી વધુ થાય છે….યુવાવસ્થામાં ઇન્દ્રિયો પ્રબળ હોય છે. તમારે શક્તિશાળી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી ઇન્દ્રિયો તમને પરાજિત ન કરી શકે. કામુકતા યુવાનોનો પ્રધાન શત્રુ છે. નારીમાત્રને માતાના રૂપે જુઓ. શારીરિક તથા માનસિક કાર્યોમાં પોતાની જાતને સતત લગાડ્યે રાખો તેમજ પોતાના મનને સદૈવ ભગવાન શ્રીકૃષ્ણમાં સ્થિરસ્થિત રાખો. જો મનને સદૈવ ઈશ્વરમાં સ્થિર ન રાખી શકો તો તેને કોઈ અન્ય સદ્વિષયમાં લગાડી રાખવું એમાં સાચી બુદ્ધિમાની છે. આ રીતે પ્રશિક્ષિત મનને ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં સ્થિર કરવું વધારે મુશ્કેલ નહીં લાગે. એટલું જાણી લો કે તમે સ્વયં ઈશ્વર છો અને પરિણામે તમે પોતે પોતાની ઇન્દ્રિયોના સ્વામી છો. પોતાની ઇન્દ્રિયોને પોતાની જાત પર શા માટે સવાર થવા દેશો? દુર્બળ મનુષ્ય, દુષ્ટ વ્યક્તિઓ અને દુષ્પ્રવૃત્તિઓનો શિકાર બની જાય છે. માનસિક દુર્બળતા શારીરિક દુર્બળતા જેટલી ખરાબ છે. હું તમને ગીતાના કેટલાક અંશોની યાદ અપાવું છું જે અત્યધિક નિરાશ વ્યક્તિઓના હૃદયમાંથી નિરાશાને દૂર કરી તેમને શક્તિ અને સહાય આપે છે. અર્જુને જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને એ પૂછ્યું કે જે વ્યક્તિ યોગના માર્ગમાં ભ્રષ્ટ થઈને અસફળ થાય છે ત્યારે શું તેનાં ઈહલોક અને પરલોક બંને નષ્ટ નથી થઈ જતા? શ્રીકૃષ્ણે તેને ઉત્તર આપતાં કહ્યું : ન હિ કલ્યાણકૃત્કશ્ચિત્ દુર્ગતિં તાત ગચ્છતિ – ‘હે સખા! ધર્મનું થોડું પણ આચરણ કરવાવાળી વ્યક્તિ ક્યારેય દુર્ગતિ પામતી નથી. તે ધાર્મિક યોગીઓના કુળમાં જન્મ લે છે તથા પુન: શુદ્ધ અને પવિત્ર જીવન વિતાવીને ઈશ્વર પ્રાપ્તિની સાધનામાં લાગી જાય છે.’ અત: ક્ષણભર માટે પણ જો તમે સદ્‌ભાવનો અનુભવ કરો કે સત્ચિંતન કરતા હો તો તે તમારા માટે ચોક્કસપણે મોટી ઉપલબ્ધિ બની રહેશે. નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો. કારણ કે સ્વયં ભગવાને જ મનુષ્યને આ આશ્વાસન દીધું છે: કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્ત: પ્રણશ્યતિ’ – ‘હે અર્જુન! આટલું ચોક્કસ જાણજે કે મારા ભક્તનો ક્યારેય નાશ નથી થતો.’

અમે લોકો સ્વાભાવિકરૂપે સંસારી મનુષ્યોના પનારે પડનારી વિપરીત અને અપ્રિય પરિસ્થિતિઓથી અત્યધિક વિક્ષુબ્ધ તથા વિષણ્ણ બનીને શ્રીરામકૃષ્ણદેવની પાસે આવતા ત્યારે તેઓ અમને સાંત્વના આપતા : ‘લુહારની એરણ જેવા બનો. લુહાર દરરોજ એના પર અસંખ્ય વાર હથોડાના ઘા કરે છે. પરંતુ એરણ સદૈવ શાંતઅચલ રહે છે. સંસાર તમારા પર પ્રહાર કરી શકે છે, પરંતુ તેનાથી તમે વિચલિત ન બનો અને લુહારની એરણની જેમ અચલ રહો.’ સર્વશક્તિમાન પ્રભુની કરુણા અને દયામાં શ્રદ્ધાવિશ્વાસ રાખો. પોતાના વિશ્વાસમાં દૃઢતાપૂર્વક સ્થિર રહો તો સંસારની અશાંતિ અને વિપત્તિઓ તમારા પર પ્રભાવ નહીં પાડી શકે. તમને ગભરાટમાં નાખવાને બદલે તે પોતે જ ગભરાઈ જશે. ગીતાને પોતાનો હંમેશનો સાથી બનાવી લો. સદૈવ ઉત્સાહી બની રહો, જે સદૈવ મુક્ત અને આનંદપૂર્ણ છે એવા તમારા આત્માને ક્યારેય દુ:ખ અને નિરાશાને અધીન ન થવા દો. તમે પોતાના પ્રયત્નમાં સફળ નથી થતા એવી ફરિયાદ ન કરો. બધા મનુષ્ય સાથે આવું થાય છે, માત્ર થોડાક એવા મહાત્માઓ છે જે પહેલેથી જ પૂર્ણ છે, તે કહી શકે છે તેઓ મનસા, વાચા, કર્મણા પૂર્ણત: પવિત્ર છે. મનુષ્યથી ભૂલ થવી સ્વાભાવિક છે. આપણે તો માત્ર એટલું જ જોવું જોઈએ કે જગતના સ્વામી પ્રભુને પ્રેમ કરવાનું ન ભૂલીએ. અત: ધૈર્ય રાખો. ભલે તમે ક્યારેક ક્યારેક પડી જાઓ પરંતુ ફરીથી ઊઠવાનો પ્રયત્ન કરો. દરેક બાળક ચાલવાનું શીખતાં પહેલાં લાખવાર પડે છે. હું તમને વિશ્વાસ આપી શકું છું કે જે પોતાની સહાયતા કરે છે તેને પ્રભુ સહાય કરે છે. 

(ક્રમશ:)

Total Views: 141

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.