(ગતાંકથી આગળ)

જમણા મગજના આધ્યાત્મિક વિચારો અને મૂલ્યોનો સમાવેશ આપણા શિક્ષણમાં કેવી રીતે કરી શકાય?

(૧) ઉપાસના અથવા ભક્તિ દ્વારા :

નિયમિત રીતે પ્રાર્થનાનો અભ્યાસ પાડવાથી સાચી નમ્ર્રતા, શાંતિ અને ઈશ્વર પ્રત્યેની ભક્તિનો તથા આ રીતે શિક્ષકો પ્રત્યેના આદરનો ઉદય થાય છે. સ્પંદનો ઉત્પન્ન કરનાર સંસ્કૃત ગાન સાથેનું મધુર લયબદ્ઘ મંદમંદ સંગીત અલૌકિક વાતાવરણનું સર્જન કરે છે. વિધિપૂર્વક ‘ચિદાનંદ રૂપ: શિવોઽહમ્‌, શિવોઽહમ્‌’ ને ધ્રુવપદ રાખીને, આદિ શંકરાચાર્યના નિર્વાણષટકનું ગાન આજકાલ ઘણી બધી સંસ્થાઓમાં તથા સંચાલન (મેનેજમેન્ટ) કરતી સંસ્થાઓમાં પ્રારંભની પ્રમાણભૂત પ્રાર્થના બની ગઈ છે.

(૨) ધ્યાન અથવા યોગ દ્વારા :

વિદ્યાર્થીઓ થોડી ક્ષણો માટે પણ આપણી અંદર રહેલા અપરિમિત ઉત્સાહ, આનંદ અને સામર્થ્યના સંપર્કમાં આવે એ રીતે શાળાના વર્ગખંડમાં ઊંડી અને શાંત પ્રાર્થનાની શાંતિનું ધ્યાન શીખવવામાં આવે અને તેનો અભ્યાસ કરાવવામાં આવે – યોગાસન અને પ્રાણાયમ દ્વારા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પ્રેરવાની બાબત પણ મહત્ત્વની બનતી જાય છે.

(૩) જપ દ્વારા :

‘ઓમ્‌ ’ અથવા ‘ઓમ્‌’ થી શરૂ થતા ‘ઓમ નમ: શિવાય’’ અથવા ‘ હરિ ઓમ્‌ રામકૃષ્ણ’’ જેવા ઈશ્વરના નામોનું રટણ કરવાનું વિદ્યાર્થીઓને શિખવવામાં આવે, થોડી મિનિટો ‘ૐ’ નું રટણ કરવામાં આવે તો તે સ્ફૂર્તિ, નવીન શક્તિ અને ઊંડી એકાગ્રતા પ્રદાન કરે છે.

(૪) શાળા અથવા શિક્ષણની સંસ્થા અથવા ઓફિસ, હોસ્પિટલ અથવા ઉદ્યોગની સંસ્થાઓનું મંદિરમાં રૂપાંતર કરીને :

શાળાના પ્રાંગણને (પરિસર) નિયમિત રીતે સ્વચ્છ રાખીને એને મંદિરમાં પરિવર્તિત કરી દેવામાં આવે. પરિસરમાં મહત્ત્વનાં સ્થાનો ઉપર અને દરેક સીડીની જગ્યાઓ ઉપર દેવી-દેવતાઓ, ઇતિહાસના પ્રસિદ્ઘ વીરપુરુષો, હિમાલય, નદીઓ, જંગલો-ઉદ્યાનો વગેરેનાં સુંદર ચિત્રો મૂકવામાં આવે. વ્યવસ્થિત રીતે આલેખાયેલાં સુંદર અવતરણો અને ઉક્તિઓને શાળામાં લગભગ બધી જ જગ્યાઓએ પ્રદર્શિત કરવામાં આવે. વિશાળ સંખ્યામાં વૃક્ષો અને ફૂલો હોય તો વધારે ઓક્સીજનથી પરિપૂર્ણ વાતાવરણ ઊભું કરે છે. જેમ બેડોળ અપવિત્ર વાતાવરણ આપણામાંના અસુરને બેઠો કરે છે તેવી જ રીતે પવિત્ર પ્રાંગણ આપણામાં રહેલા ઈશ્વરને પ્રેરિત કરે છે. પતંજલિનું યોગસૂત્ર આ વિચારની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે :

तत: तत विपाक, अनुगुणनम् एव अभिव्यकित: वासना नामे (સમાન વાતાવરણમાં સમાન ગુણો બહાર આવે છે.)

(૫) વિધેયાત્મક ચિંતનની શક્તિ (જાણકારી અથવા જ્ઞાન) :

ક્રાઈસ્ટ, બુદ્ઘ, આઈનસ્ટાઈન અથવા નેપોલિયનની જેમ વિદ્યાર્થીઓની અંદર પણ જ્ઞાન, શ્રેષ્ઠતા અને આનંદની અનંત ક્ષમતા રહેલી છે એવું સતત ઉચ્ચારણ કરતા રહેવું અને વિદ્યાર્થીઓને સ્પષ્ટ શબ્દોમાં એ જણાવતાં રહેવું કે વિધેયાત્મક, આશાવાદી અને આદરપૂર્ણ (ન્યુરો ટ્રાન્સમિટર્સ) રુધિરતંત્રમાં એક સેકન્ડના પચાસમા ભાગમાં લાખો સકારાત્મક રસાયણોનું સર્જન કરે છે. તે જ પ્રમાણે, માબાપ તથા શિક્ષકો તરફથી બોલાતા નકારાત્મક, નિષ્ફળતાપ્રેરક અને નિરાશાત્મક શબ્દો એ જ રુધિરતંત્રમાં એક સેકન્ડના પચાસમાં ભાગમાં નિર્બળ અને કમજોર નકારાત્મક રસાયણોનું સર્જન કરે છે. સકારાત્મક અને નકારાત્મક વિચારોના અલ્પમાત્રાના સ્પર્શથી પણ અંદર જન્મ પામતાં એન્ડોરફિન્સ (Endorphins) અથવા એન્કેફેલિન્સ (Enkephalins) જેવાં રસાયણોની શોધ એ સિત્તેરના દાયકામાં થયેલા મહાન તબીબી સંશોધનમાંની એક છે. વિચારો અથવા સ્મૃતિઓ પણ આપણા ડી.એન.એ (D.N.A.) માં ફેરફાર લાવી શકે છે અને અપાર્થિવ સ્તરે રોગોમાં પરિવર્તન આણી શકે છે અથવા રોગોને મટાડી શકે છે. (ધ ક્વોન્ટમ્‌ હિલીંગ : ડો. દિપક ચોપરા, પૃ. ૧૦૪, ૧૨૭ બેન્ટમ્‌)

(૬) આંતર-માનવીય સંબંધો દ્વારા :

આચરણમાં અને આંતર-માનવીય સંબંધોમાં વિદ્યાર્થીની અંદર નિહિત થઈને રહેલી દિવ્યતા અને અનંત સામર્થ્ય અંગે સતત ઉચ્ચારણ કરતા રહીને એમને એ પ્રમાણે કહેતાં રહેવું. લોકોની આવશ્યકતાઓ છે તે પ્રમાણે પરંતુ સાથે સાથે તેઓની અંદર રહેલી દિવ્યતા પ્રત્યે આદર રાખીને સેવા કરવાનું આપણને શ્રીમદ્‌ ભાગવત શિખવે છે.- અર્ચયેત્‌ દાનમાનાભ્યામ્‌ – અથવા દરેક જણે માનવીની પૂજા ઉપહાર અને આદરના ભાવથી કરવી જોઈએ. શ્રીરામકૃષ્ણે આપણને શિખવ્યું છે તે મુજબ જીવોમાં રહેલા શિવની સેવા કરો. (શિવજ્ઞાને જીવસેવા)

(૭) શિક્ષકના નવા વ્યક્તિત્વના વિકાસ દ્વારા :

શિક્ષકનું વ્યક્તિત્વ નિષ્કપટ, આદરયુક્ત, સહાનુભૂર્તિપૂર્ણ, પવિત્ર અને પ્રેરણાદાયી હોય એનો અર્થ એ થાય કે શિક્ષકની પોતાની અંદર આધ્યાત્મિક શક્તિ હોવી જોઈએ અને એમણે સ્વયં પોતે થોડા સમય માટે પણ નિયમિત આધ્યાત્મિક સાધના કરેલી હોવી જોઈએ. જ્યારે શિક્ષકમાં રહેલી દિવ્યતા થોડી ઘણી પણ ઉન્નત થશે ત્યારે વિદ્યાર્થી એની હાજરીમાં સ્ફૂર્તિનો અનુભવ કરશે. સ્વામીજીએ જેની કલ્પના કરી હતી એ આદર્શ આ જ હતો: ગુરુ ગૃહવાસ ‘‘ઉષ્માપૂર્ણ ચારિત્ર્ય’’ વાળા ગુરુઓની સાથે નિવાસ કરવો.

(૮) વૈશ્વિક સેવા દ્વારા :

દરેક વિદ્યાર્થી સફળતાની, નામ અને કીર્તિની તથા સંપત્તિની આકાંક્ષા રાખે છે. પરંતુ આ ત્રણેય પ્રાપ્ત કરવાનો માર્ગ આપણામાંથી મોટાભાગનાને ખબર નથી. શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાનો છેલ્લો શ્લોક આપણને શીખવે છે કે સફળતા, સંપત્તિ અને સારી નામના ત્યારે જ મેળવી શકાય જ્યારે અર્જુન જેવા બહાદુર વીરપુરુષની જેમ ભગવાન શ્રીકૃષ્ણે આપેલા સંદેશાને અનુસરીએ અને અંગત સફળતા અથવા મહિમા માટે નહિ પરંતુ આપણી આસપાસના લાખો લોકોના ભલા માટે જીવીએ અને સતત કાર્યશીલ રહી અથાક્‌ પરિશ્રમ કરીએ. એનાથી ઊલટું, ગાંધારી એના પોતાના અતિ તેજસ્વી પુત્ર દુર્યોધન (મહાપ્રાજ્ઞ) ને કહે છે કે સ્વાર્થી માણસમાં ગમે તેટલી કુશળતા હોય છતાં એ સફળતા તો પ્રાપ્ત નહિ કરી શકે પરંતુ વ્યક્તિગત પરિશ્રમ કરીને, ખોટા માર્ગે એણે જે કાંઈ પ્રાપ્ત કર્યું હશે તે પણ ગુમાવી બેસશે. સ્વામીજીએ મૈસૂરના મહારાજાને ઉપદેશ આપતાં જણાવ્યું હતું : ‘એવા માણસો જ સાચું જીવન જીવે છે જેઓ અન્યને માટે જીવે છે. બાકીના બધા તો જીવતાં છતાં મરેલાં જ છે.’

દર ત્રણ મહિને શાળાઓએ સમાજ સેવાની પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ, જેમાં વિદ્યાર્થીઓ ગરીબમાં ગરીબ લોકોની સંપૂર્ણ સન્માનપૂર્વક સેવા કરે. માનવીમાં રહેલા ઈશ્વરની પૂજા કરવાની બાબતમાં સિસ્ટર નિવેદિતાને પ્રેરણાદાયી સંદેશો આપતાં સ્વામીજીએ જણાવ્યું હતું : ‘ચાલો આપણે ભિખારીઓના ચરણોની સેવાથી જ પ્રારંભ કરીએ.’

(૯) વિદ્યાર્થી એ ઈશ્વર અને શિક્ષક એ પૂજારી એવા નવીન દૃષ્ટિકોણ દ્વારા :

શિક્ષક પોતે એક પૂજારી છે અને વિદ્યાર્થી એની સામે પ્રત્યક્ષ રીતે પ્રગટ થયેલા પરમાત્મા છે. આપણે પૂજા પ્રાર્થના અથવા ધ્યાન કરીએ છીએ ત્યારે તે ક્ષણોમાં આપણે આપણી તમામ શક્તિ અને શ્રેષ્ઠતાની અભિવ્યક્તિ કરીએ છીએ. જો શિક્ષક પોતાના મનનું વલણ એવું રાખે કે દરેક વર્ગખંડ એ પૂજા ખંડ છે અને દરેક વિદ્યાર્થી એ દેવ અથવા દેવી છે અને પોતે શાળાના થોડા કલાકો દરમિયાન પૂજારી છે, તો તાત્કાલિક માનસિક પરિવર્તન આવશે. એક સાધારણ શિક્ષકમાં પણ થોડા જ દિવસોમાં નવા જ શક્તિશાળી અને વધારે આકર્ષક વ્યક્તિત્વનો વિકાસ થશે. પોતાના મગજનું બુદ્ઘિ સામર્થ્યનું સ્વયં પોતે જેની કલ્પના કરી શકે તે કરતાં વધારે પ્રદર્શન સમાનપણે કરશે. એ પોતે જ પરિપૂર્ણતાની પ્રગાઢ અનુભૂતિ પ્રાપ્ત કરશે.

એક સૈકા પહેલાં સ્વામીજીએ અમેરિકનોને કહ્યું હતું: ‘યાદ રાખો, વિદ્યાની કશી કિંમત નથી. વિદ્યાથી તો ગેરસમજણ પણ ઊભી થઈ શકે. જ્ઞાનનું સાચું મૂલ્ય મનને સબળ કરવામાં તથા તેને સુસંસ્કૃત કરવામાં છે. સતત આટલું બધું શાશ્વત ખાવા છતાં આપણે મંદાગ્નિથી પીડાતા નથી એ આશ્ચર્ય છે. (C.W. Vol.9. p.65-66) સ્વામીજીના અભિપ્રાય પ્રમાણે ‘સાધનો બનાવવાં’ અથવા ‘પુસ્તકો વાંચવાં’ એનાથી કાંઈક વધારે ઉચ્ચતર, એવો શિક્ષણનો અર્થ એમને અભિપ્રેત હતો, કે જે આપણા સમગ્ર જીવન દરમિયાન પચ્યા વગર અનિયંત્રિત રીતે વધ્યા જ કરે એવા માહિતીના ઢગલા નહિ પરંતુ સાચા માનવ બનાવે, ઈશ્વર બનાવે, જીવનનું નિર્માણ, ચારિત્ર્યનો વિકાસ કરે અને વિચારોને આત્મસાત્‌ કરે.

અનિયંત્રિત પણે વધતી રહેતી માહિતી એ આજની યુનિવર્સિટીઓમાં અને કોલેજોમાં સમાનપણે નજરે પડતી ઘટના છે. યુનેસ્કોના છેલ્લામાં છેલ્લા હેવાલ પ્રમાણે સમગ્ર દુનિયામાં છેલ્લા ત્રણ દાયકામાં શિક્ષણના ઉચ્ચસ્તરોની એ પ્રવેશસંખ્યા બસો ટકા વધી છે એ ખૂબ દેખીતી બાબત છે. થિયોડોર રોઝક લખે છે કે ‘આમ છતાં પણ યુવાનો બગડી ગયા છે કારણ કે તેમનામાં એવી માન્યતા ઠસાવવામાં આવી છે કે આનંદ કરવો અને સ્વતંત્રતા પ્રાપ્ત કરવી તથા માનવી બનવું એ બે વચ્ચે કશોક સંબંધ છે.’

(૧૦) સ્પર્ધા ટાળવા માટે અધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ઉત્કૃષ્ટ સર્જન શીલતા અને કાર્ય, અભ્યાસ (અથવા ઉત્પાદન કાર્ય)ની શ્રેષ્ઠતા માટે પ્રોત્સાહિત કરીને :

સ્પર્ધા કેવી રીતે ટાળી શકાય? જવાબ ખૂબ જ સ્પષ્ટ છે, શ્રેષ્ઠતા સ્પર્ધાને ટાળે છે. આધ્યાત્મિક સંસ્કૃતિ (એટલે કે અંદર નિહિત થઈને રહેલા આત્મા અથવા પરમાત્માની- અપરિમિત શક્તિના સ્રોત એવા અપાર્થિવ આત્માની અભિવ્યક્તિ) શરીર, બુદ્ઘિ અને મનની વધુને વધુ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરાવે છે. સ્વાભાવિક રીતે જ કાર્ય વધારે ગુણવત્તાવાળું બને છે અને તેથી જ્યારે કાર્ય અથવા ઉત્પાદનશીલતાની ખાતરી થાય છે ત્યારે સ્પર્ધા ઓછી થાય છે અથવા તો બીનજરૂરી ગણાય છે. આધ્યાત્મિક સંસ્કૃતિ માણસને અંતદૃષ્ટિની અને આંતદૃષ્ટિ જીવનના તમામ ક્ષેત્રોમાં વધુ સારી ઉત્કૃષ્ટ સર્જનશીલતા તરફ દોરી જાય છે. હીડેકી નામના નોબલ પારિતોષિક વિજેતા પોતાના પુસ્તક ‘૧૯૦૫ હોદંશા ઇન્ટરનેશનલ’માં લખે છે કે, ‘ભારતીય આ અંતરદૃષ્ટિની શક્તિથી સંપન્ન છે.’

આ શાશ્વત સત્યો અને વૈશ્વિક મૂલ્યોનો આપણે આપણી શિક્ષણ પદ્ધતિમાં સ્વીકાર કરીએ તો શું બને?

જવાબ એ છે કે આપણે એવા સંપૂર્ણ માનવીનું સર્જન કરી શકીશું જે પશ્ચિમનાં વિજ્ઞાનટેકનોલોજીની ઉત્કૃષ્ટ શ્રેષ્ઠતા તથા પશ્ચિમની ગતિશીલતા તથા સંગઠનશક્તિની સાથે સાથે સમાન રીતે દરેક વ્યક્તિમાં પ્રચ્છન્ન રહેલાં અનંત શકિત-સામર્થ્ય અને શ્રેષ્ઠતાના ભારતીય આધ્યાત્મિક દર્શનથી સુસજ્જિત હોય. શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા જેમ ભારપૂર્વક પ્રતિપાદિત કરે છે તેમ છેવટની સફળતા અને સંપત્તિની પ્રાપ્તિ તમામ જીવો માટે વૈશ્વિક જીવન જીવવાથી જ થાય છે. બહારથી રાજા જેવા હોય અને અંદરથી સંન્યાસી જેવા હોય એવા બંને ગુણોનું સંયોજન થયું હોય તેવા, જીવનના કોઈપણ ક્ષેત્રમાં ભૂલ વગરના નિર્ણયો કરીને અને કદમ માંડીને કાર્યરત રહી શકે એવા રાજર્ષિઓનાં જીવનમાં જ આની અનુભૂતિ થઈ શકે છે. આ નવા શિક્ષણમાંથી જન્મ લેતા અને ભારતના લોકોમાંથી જ ઉદયમાન થાય એવા રાજર્ષિઓ માટેનું સ્વપ્ન સ્વામી વિવેકાનંદ સેવતા હતા. સ્વામી વિવેકાનંદ પાસેથી જ પ્રેરણા પ્રાપ્ત કરીને જમશેદજી ટાટા અને રોક્‌ફેલર વાસ્તવિક જીવનમાં આ પ્રમાણેની આધ્યાત્મિકતાથી અભિમુખ થયેલા દૃઢ નિશ્ચયી પુરુષો બન્યા.

જમણા મગજની આધ્યાત્મિક સંસ્કૃતિ વાસ્તવિક જીવનમાં સુસ્તી, માત્ર પરલોક જીવનની ચિંતા કરનારી વૃત્તિ અને ઘટતી જતી કાર્યશક્તિને જન્મ નહિ આપે?

એથી તદ્દન ઊલટું શાંત, સૌમ્ય, એકાગ્ર થયેલું મન જ ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ઉત્પાદક કાર્ય નિષ્પન્ન કરે છે. શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં ‘યોગ: કર્મસુ કૌશલમ્‌’ કહ્યું છે તે આ જ છે. શ્રી શંકરાચાર્યે આ લીટીનું અર્થઘટન એવું કર્યું છે કે શાંત (ધ્યાનસ્થ) મન, સફળતાનું રહસ્ય છે પછી તે અભ્યાસનું કાર્ય હોય કે ઔદ્યોગિક ઉત્પાદનનું કાર્ય હોય. સફળતા કોણ પ્રાપ્ત કરી શકે? જે પીધેલો હોય, આક્રમણશીલ હોય અને અતિકાર્યશીલ અહંકારી હોય તે કે પછી શાંત, અત્યંત બુદ્ધિશાળી, સ્થિર, પ્રેમાળ, એકાગ્ર મન વાળો હોય, જેનું સમગ્ર મન અને મગજ માત્ર એક જ ધ્યેય પરિપૂર્ણ કરવા માટે કૃતસંકલ્પ હોય તે? નિશ્ચિતરૂપે, પછીથી વર્ણવ્યો એ જ.

સ્વામી વિવેકાનંદ અથવા મહાત્મા ગાંધી જેવાને અદ્‌ભુત ગતિશીલતા અને વિપુલ માત્રામાં તથા અલૌકિક શ્રમ સાધ્ય સર્જનાત્મક કાર્ય કરવાની ક્ષમતા ચોવીસે કલાક પ્રાપ્ત થઈ તે માત્ર જમણા મગજના રોજના અભ્યાસથી અથવા આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા જ થઈ શકી. હંમેશા હૃદય જ બુદ્ઘિને દોરવણી આપે છે. એક મરણાસન્ન માતા પણ પોતાના મરતાં બાળકને બચાવવા સર્વસ્વનો ત્યાગ કરે છે.

આધ્યાત્મિક સંસ્કૃતિને બહારના જગત સાથે સાંકળવાનું શું ખરેખર શક્ય છે?

બરાબર એ હેતુ માટે શ્રીરામકૃષ્ણે અને સ્વામી વિવેકાનંદે વ્યવહારિક વેદાંતનું આચરણ કર્યું અને એનો ઉપદેશ આપ્યો. જૂના જમાનામા ભારતીય વિચાર એ હતો કે ભૌતિક જીવનના ભોગે આધ્યાત્મિક જીવનનો વિકાસ કરવો. સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ નવીન વેદાંત બંનેના સુવ્યવસ્થિત વિકાસનું સમર્થન કરે છે. આ જ પ્રકારના પ્રશ્નના જવાબમાં સ્વામી વિવેકાનંદે સિસ્ટર નિવેદિતાને નીચે મુજબ કહ્યું હતું :

‘એ વિચિત્ર વસ્તુ છે કે જ્યારે બહારની પરિસ્થિતિ ભાંગી પડતી હોય અને સાથે સાથે મર્યાદિત હોય ત્યારે આંતરિક જીવન મોટે ભાગે અગમ્ય પણે વિકસિત હોય. પરંતુ આવું સાહચર્ય આવશ્યક નહિ પરંતુ આકસ્મિક છે.’

અત્યાર સુધીનો પાછલો ઇતિહાસ દર્શાવે છે કે ભારતમાં આંતરિક જીવનનો અને પશ્ચિમમાં ક્રિયાશીલતાનો એટલે કે બહારના જીવનનો વિકાસ થયેલો છે. અત્યાર સુધી આ બંને એક બીજાથી ભિન્ન છે. હવે સમય આવ્યો છે જ્યારે એ બંનેનું એકીકરણ થવું જોઈએ. પોતાના આત્માની ગહનતાનો શ્રી રામકૃષ્ણ પરમહંસને સ્પષ્ટ ખ્યાલ હતો છતાં પણ બહારના સ્તરે કોણ વધુ ક્રિયાશીલ હતું? આજ રહસ્ય છે. ‘તમારું જીવન સમુદ્ર કરતાં પણ ગહન અને આકાશ કરતાં પણ વિશાળ બનો.’ (C.W. Vol.9. p.20)

આ સત્યો અને મૂલ્યોને આપણી શિક્ષણ પદ્ધતિમાં ન સ્વીકારીએ તો શું બને?

ગતિનો નિયમ સાચો છે એમ ન સ્વીકારીને કોઈ દૃઢપણે એમ માને કે એ નિયમ ખોટો છે અને દસમા માળેથી ભૂસકો મારે તો શું થાય? એ દિવસના સાંજના તાત્કાલિક સમાચાર માટેનું તે એક પાત્ર બની જાય. સ્વામી વિવેકાનંદે કહ્યું : ‘સત્ય પ્રાચીન કે આધુનિક કશાયનો આદર કરતું નથી, સમાજે સત્યનો આદર કરવો પડે અથવા વિનાશ નોતરવો પડે.’

દીવાદાંડીના સિદ્ધાંતનું આ દૃશ્ય આપણને યાદ આવે છે. એક સમયે એક અંધારીરાત્રિએ એક મોટું વહાણ જે પવનના જોરદાર સપાટાને કારણે ખળભળેલા દરિયામાં કોઈ પણ પ્રકારના લક્ષ્ય વગર આમતેમ ફંગોળાતું જતું હતું. તેણે દૂરથી એક નાના થાંભલાની ટોચ ઉપર એક નાનો દીવો જોયો. એ તોતિંગ વહાણના કપ્તાને એ નાનકડા વહાણના દીવાને જોરથી બૂમ પાડીને કહ્યું : ‘જતું રહે! મારા માર્ગમાંથી અથવા વહાણથી દૂર હંકારી જા. તને દેખાતું નથી કે આ મોટું વહાણ આવે છે?’ એ નાનકડા દીવામાંથી એક નમ્ર્ર અવાજ આવ્યો ‘જો તારે બચી જવું હોય તો આ માર્ગેથી તું જ દૂર જતું રહે.’ તોતિંગ વહાણના કપ્તાને મોટા અવાજે બૂમ પાડીને કહ્યું : ‘આ પ્રમાણે વાત કરનાર તું કોણ છે?’ ત્યાં તો ફરીથી એક નમ્ર્ર અવાજ આવ્યો, ‘તમારી આગળ જે દીવાદાંડી દેખાય છે તેનો હું મિકેનીક છું. જો તમે આ ઘણી મોટી ઊભી ભેખડોની સામે તમારું વહાણ હંકારશો તો ધડાકા સાથે ફેંકાઈ જવાનું અને વિનાશ પામવાનું એ અનિવાર્ય છે.’

માટે વહાણને જ દૂર લઈ જઈને બીજે હંકારી જવું પડ્યું. શાશ્વત સિદ્ધાંતો જે દીવાદાંડી રૂપ સિદ્ધાંતો છે તેનું ઉલ્લંઘન કોઈ પણ વ્યકિત કરી શકે નહિ.

પ્રબળ ભૌતિક સંસ્કૃતિને ગ્રીસમાં કલા અને વિજ્ઞાનમાં પૂર્ણતા પ્રાપ્ત થઈ; રોમમાં શાસન અને યુદ્ધકૌશલ્ય પ્રાપ્ત થયાં; બ્રિજેન્ટાઈન સંસ્કૃતિએ સુવર્ણની મીનાકારીમાં સિદ્ધિ પ્રાપ્ત કરી; ઈજિપ્તે પિરામીડો અને સ્ત્રીનું માથું અને સિંહના શરીરવાળા પાંખવાળા રાક્ષસની આકૃતિ બનાવવામાં કુશળતા પ્રાપ્ત કરી; તથા માયન સંસ્કૃતિએ પર્વત જેટલી ઊંચી વેદી બનાવવામાં પરિપૂર્ણતા મેળવી. પરંતુ એ બધી સંસ્કૃતિઓ ફરી કદી ઊંચી ના આવી શકે એવી રીતે વિનાશ પામી.

નૂતન શિક્ષણમાંથી જન્મ લેનાર સ્વપ્ન – બાળકો: (Dream Children)

ડો. હર્બટ બેન્સનનું ‘ધ રિલેક્સેશન રિસ્પોન્સ’ પુસ્તક પ્રમાણિત કરે છે તે મુજબ આજે હાર્વર્ડ યુનિવર્સિટીના અતીન્દ્રિય ધ્યાન જૂથે (Call for Transcendental) આશ્ચર્યજનક પરિણામો હાંસલ કર્યાં છે. ધ્યાનની પ્રક્રિયાએ ૫૦% વિદ્યાર્થીઓને માદક દૃવ્યોના વ્યસનોમાંથી મુક્ત થવા માટે તથા ૭૫% વિદ્યાર્થીઓને ધ્રૂમપાન અને મદિરાપાનથી મુક્ત થવામાં સહાય કરી છે. માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલ જેવી ઘણી બધી સંસ્થાઓએ મગજને દિવસ દરમ્યાન વિક્ષુબ્ધ કરનારી બેઠકોમાં વિદ્યાર્થીઓને જોતરતાં પહેલાં મગજને શાંત કરનારી તથા મગજને તદ્દન સ્થિર બનાવનારી બેઠકોની શરૂઆત કરી દીધી છે.

યુ.એસ.એ.માં એક સૈકા પહેલાં સ્વામી વિવેકાનંદે કહ્યું હતું : ‘કળા અને વિજ્ઞાનમાં સંપૂર્ણતા હોવા છતાં પ્રત્યેક સંસ્કૃતિએ જીવનના આધ્યાત્મિક પરિમાણની ઉપેક્ષા કરી અને અનૈતિકતામાં ભ્રષ્ટ થઈ અને પરિણામે મરી પરવારી. કાયદો અને શાસનની બાબતમાં પરિપૂર્ણ હોવા છતાં રોમન સંસ્કૃતિ જીવનના વૈશ્વિક પરિમાણની અવગણના કરી ‘રોમન પાશવિકતા’ થી પતિત થઈ ગઈ અને પરિણામે એ પણ મરી પરવારી. આપણા સમયમાં ઈશ્વરશૂન્ય યુરોસામ્યવાદનું અખંડિત સામ્ર્રાજય પત્તાનાં મહેલની તૂટી પડ્યું કારણ કે ભૌતિક્તાના પાયા ઉપર ‘રચાયેલ એમના દર્શનથી જ પોતાને ટકાવી રાખવા માટે એ નિષ્ફળ નિવડ્યું. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘મહાન સંસ્કૃતિઓ શેને કારણે વિનાશ પામી? એ લોકો માત્ર ભૌતિક આનંદ પાછળ પડ્યા હતા.. જે રાષ્ટ્ર ઇન્દ્રિયજન્ય સુખોપભોગને કારણે પાશવિક બની ગયાં તેમને જંગલી લોકોએ મારી નાંખ્યા, કારણ કે રખેને આવા પાશવી મનુષ્યો ઘૂરકિયાં કરતાં આપણને જોવા મળે. (C.W. Vol.9. p.221)

ઇતિહાસનાં અનેક પરિવર્તનો થયાં છતાં ભારતીય સંસ્કૃતિ જીવિત રહી છે, કારણ કે એણે આધ્યાત્મિક સંસ્કૃતિને પ્રાથમિકતા આપી. પરંતુ સ્વામી વિવેકાનંદ કહે છે તે પ્રમાણે એણે આધ્યાત્મિક આદર્શોને આચરણમાં ન મૂક્યા અને ‘‘હિન્દુ અવ્યવહારુપણા’’માં પોતાની વિશિષ્ટતા ખોઈ બેઠી. તેથી બારસો વર્ષની ગુલામી ભોગવવી પડી. ભારતના સુપ્રસિધ્ધ માસિક ‘‘લાઈટ ઓફ ધ ઈસ્ટ’’ના તંત્રીને સ્વામીજીએ અમેરીકાથી લખ્યું હતું : ‘અદ્વૈત તો સામર્થ્યની શાશ્વત ખાણ છે. પરંતુ તેને આચરણમાં મૂકવાની આવશ્યકતા છે. એને પાંડિત્યવાદના આવરણમાંથી છોડાવ્યા પછી, એની સરળતા, સૌંદર્ય અને ભવ્યતાને રોજબરોજના જીવનની નાનામાં નાની બાબતમાં કેવી રીતે વ્યવહારમાં મૂકી શકાય તે ભારતના એક છેડાથી બીજા છેડા સુધીનાં બધાં સ્થળે શિખવવું જોઈએ.’ (C.W. Vol.9. p.77)

એક નવી માનવતાનું સર્જન કરવા માટે તથા એક નવી જ સમાજ વ્યવસ્થા ઊભી કરવા માટે સ્વામી વિવેકાનંદે પોતે જ વેદાંતના આદર્શોનું આચરણ કરવા માટે પોતાની જિંદગીને હોડમાં મૂકી. એમણે એક યુરોપિયન વિદ્વાન જૂલ્સ બોઈસને કહ્યું હતું : ‘આ નવી સમાજરચના બ્રાહ્મણની આધ્યાત્મિક સંસ્કૃતિ, ક્ષત્રિયની વહીવટી કુશળતા, વૈશ્યની સંપત્તિ નિર્માણની ક્ષમતા તથા તમામ પરિશ્રમને માનવજાતિની સેવા તરીકે શૂદ્રનું ગૌરવશાળી સમર્પણ, એ તમામના સફળ ‘ઉત્કૃષ્ટ સંયોજન’ ઉપર આધારિત હશે.

સ્વામી વિવેકાનંદ એવી સંસ્કૃતિ ચાહતા હતા કે જ્યાં અનીતિ વગરની ગ્રીકોની કલા અને વિજ્ઞાનની સંપૂર્ણતા; પાશવતા વિનાની રોમનોની કાયદા તથા શાસનની પરિપૂર્ણતા; અવ્યવહારુપણા સિવાયની હિંદુઓની આધ્યાત્મિક આદર્શોની શ્રેષ્ઠતા-એ બધું સંકળાયેલું હોય. એમણે ૧૮૯૪માં અમેરિકનોને કહ્યું: ‘આ બધાંને ભેગાં કરીને તેનું રાસાયણિક સંયોજન કરો અને નવી સંસ્કૃતિનું નિર્માણ કરો.’(C.W. Vol.9. p.206) એમણે ભવિષ્ય વાણી ઉચ્ચારી: ‘માનવતા અને ખાસ કરીને સ્ત્રીઓ જ, આ આદર્શને હાંસલ કરશે’. એમણે સિસ્ટર નિવેદિતાને કહ્યું હતું એ પ્રમાણે સાધુઓના બનેલા આ શ્રી રામકૃષ્ણ સંઘનો ઉદ્દેશ પૂર્વ અને પશ્ચિમના ઉચ્ચતમ આદર્શોનું આદાન પ્રદાન કરવાનો અને તે આદર્શોનું વ્યવહારમાં આચરણ કરવાનો છે. (C.W. Vol.9. p.415) સ્વામીજીએ જૂનાગઢ ના દિવાન શ્રી હરિદાસ બિહારીદાસને ૧૮૯૪માં અમેરિકાથી લખ્યું હતું : ‘પશ્ચિમનાં કેટલાંક ક્રિયાશીલ અને વિરોચિત તત્ત્વોને હિંદુઓના શાંત સદ્‌ગુણો સાથે જોડવામાં આવશે તો વિશ્વમાં અગાઉ કદી પણ ન થયા હોય તેવા કોઈ પણ મનુષ્યોથી પણ શ્રેષ્ઠ મનુષ્યો પેદા થશે.’ (C.W. Vol.9. p.325) એ બાળકો સ્વામીજીની કલ્પના પ્રમાણેની નવી સંસ્કૃતિમાંથી નિર્માણ પામેલાં બાળકો હશે. ઈતિહાસ એવાં બાળકોની રાહ જુએ છે.’

ભાષાંતર: શ્રી વાલ્મીકભાઈ દેસાઈ

Total Views: 132

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.