એક પ્રાચીન વેદમાં મંત્ર મળી આવે છે કે ‘જે કંઈ જીવંત છે તે સર્વની હું સામ્રાજ્ઞી છું, પ્રત્યેક વસ્તુમાં રહેલી શક્તિ હું છું.’ માતૃત્વની ઉપાસના પોતે જ એક વિશિષ્ટ ફિલસૂફી છે. આપણા વિચારોમાં શક્તિનો વિચાર સૌથી પ્રથમ છે. પગલે પગલે તે માનવી સાથે હાજર થાય છે; અંતરમાં અનુભવાતી શક્તિ એ આત્મા છે, બહારની શક્તિ એ પ્રકૃતિ છે. આ બંને શક્તિઓ વચ્ચેનો સંગ્રામ એટલે માનવી જીવન. આપણે જે કંઈ જાણીએ છીએ અથવા અનુભવીએ છીએ, તે બધું કેવળ આ બે શક્તિઓનું પરિણામી બળ છે. માનવીએ જોયું કે સૂર્ય શુભ અને અશુભ પર સરખો જ પ્રકાશે છે. અહીં ઈશ્વર વિશે એક નવો વિચાર, સર્વની પાછળ રહેલ વિશ્વવ્યાપી શક્તિ તરીકેનો, માતૃત્વનો વિચાર સ્ફૂર્યો.

સાંખ્ય મત પ્રમાણે પ્રવૃત્તિ પ્રકૃતિમાં છે, પુરુષ અથવા આત્મામાં નહિ. ભારતમાં નારીવિષયક સર્વ પ્રકારોમાં માતૃત્વનો પ્રકાર અતિ મહત્ત્વનો લેખાયો છે. હરકોઈ સ્થિતિમાં પોતાના બાળકની સહાયક તરીકે માતા હાજર રહે છે. સ્ત્રી અને પુત્ર વગેરે માનવીનો ત્યાગ કરે, પણ તેની માતા કદી ત્યાગ નહિ કરે! ઉપરાંત માતા વિશ્વની નિષ્પક્ષ શક્તિ છે, કારણ કે તેનામાં રહેલો નિર્મળ પ્રેમ કંઈ માગતો નથી, કશાની ઇચ્છા રાખતો નથી, પોતાના બાળકની અંદર રહેલ દુષ્ટતાની પણ પરવા રાખતો નથી; માતૃપ્રેમ તો બાળકને ઊલટું વધુ ચાહે છે. આજે હિંદુઓમાં જગદંબાની ઉપાસના એ સર્વ ઉચ્ચમાં ઉચ્ચ વર્ણોની ઉપાસના છે…

આ જગત આખું સમાન રીતે જગદંબાની લીલા છે, પરંતુ આપણે એ વિસરી જઈએ છીએ. જ્યારે કશોય સ્વાર્થ નથી હોતો, જ્યારે આપણે આપણા પોતાના જીવનના જ સાક્ષી બનીએ છીએ, ત્યારે દુ:ખનો પણ આનંદ માણી શકાય છે. આ દર્શનનો વિચારક, તમામ ઘટનાઓ પાછળ ‘એક જ શક્તિ’ રહેલી છે, એ વિચારથી ચકિત થયેલો છે. ઈશ્વર વિશેના આપણા ખ્યાલમાં માનવસુલભ મર્યાદા છે, વ્યક્તિત્વ છે; જગદંબાના વિચારની સાથે એક વિશ્વવ્યાપી શક્તિનો વિચાર આવે છે. શક્તિ કહે છે: ‘જ્યારે રુદ્ર સંહાર કરવા ઇચ્છે છે ત્યારે તેનું ધનુષ્ય હું ખેંચું છું.’ ઉપનિષદોમાં આ વિચારનો વિકાસ થયો નહિ, કારણ કે વેદાંત ઈશ્વરના વિચારની પરવા કરતું નથી. પરંતુ ગીતામાં અર્જુનને સંભળાવેલું એક સૂચક વાક્ય આવે છે ‘હું સત્‌ છું, હું અસત્‌ છું, હું શુભનો કર્તા છું, હું અશુભનો કર્તા છું.’.. સંત પાપીઓને ધિક્કારે છે અને પાપી માણસ સંતનો વિરોધ કરે છે; છતાંય આ પણ આગળ અને આગળ દોરી જાય છે, કારણ કે આખર દુષ્ટ સ્વાર્થપરાયણ માનસ વારંવારના પ્રહારોથી ચગદાઈને મરી જાય છે; ત્યાર પછી જ આપણે જાગ્રત થઈશું અને જગદંબાને ઓળખીશું.

જગદંબપાને ચરણે કરેલ શાશ્વત સંદેહરહિત આત્મસમર્પણ જ આપણને શાંતિ આપી શકે. ભય વિના કે કૃપાની આશા વિના, જગદંબાની તેની પોતાની ખાતર ભક્તિ કરો. તમે જગદંબાના બાળક છો માટે તેને ચાહો. શુભ અને અશુભ સર્વમાં એક સરખી રીતે તેને જુઓ. જ્યારે આપણને જગદંબાનો આ રીતે સાક્ષાત્કાર થશે ત્યારે જ સમત્વ, અને જગદંબા પોતે જ તે છે એ શાશ્વત આનંદ આપણે અનુભવીશું. ત્યાં સુધી તો આપણી પાછળ દુ:ખો રહેવાનાં જ. કેવળ જગદંબાનું શરણું લેવાથી જ આપે સહીસલામત થઈશું…

(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ ભાગ-૯, પૃ.૩૭૭-૭૮)

Total Views: 71

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.