કૃતજ્ઞતા : એક મોટો માનવધર્મ

ઘણાં વર્ષો પહેલાં બે છોકરાઓ સ્ટેન્ડફોર્ડ વિશ્વ વિદ્યાલયમાં કામ કરીને અભ્યાસ કરતા હતા. અભ્યાસ અને ખાવારહેવા માટેનું ભંડોળ ઘણું ઓછું હતું. એટલે એણે એમના મનમાં ઈગ્નસી પેદરેવસ્કીને પિયાનો વાદનનો કાર્યક્રમ કરવાનો વિચાર આવ્યો. એમાંથી મળનારા ભંડોળનો ઉપયોગ એમની શિક્ષણ ફી અને રહેઠાણ ફી પાછળ વાપરવા ઇચ્છતા હતા. આ મહાન પિયાનો વાદકના મેનેજરે ૨૦૦૦ ડોલર ગેરંટી મની તરીકે ભરવાનું કહ્યું. એ જમાનામાં આવી ખાતરીની રકમ ઘણી મોટી કહેવાય. એ બંને છોકરાઓ એ માટે સહમત થયા અને પિયાનો વાદનનો કાર્યક્રમ રાખવા માટે સખત કામ કરવા લાગ્યા. બંનેએ ઘણી મહેનત કરી અંતે તેમને ૧૬૦૦ ડોલર મળ્યા. આ બંને છોકરાઓએ આ વાત એમની સમક્ષ કરી. તેમણે ૧૬૦૦ ડોલર આપ્યા અને ૪૦૦ ડોલરની હૂંડી લખી આપી. સાથે એમ પણ જણાવ્યું કે તેઓ જેમ બને તેમ વહેલીતકે એ હૂંડીની રકમ કમાઈ લેશે અને એમને પૈસા મોકલી દેશે. આમ કામધંધો કરીને પૈસા રળવા જતા એ બંનેને તો પોતાની કોલેજની કારર્કીદીનો અંત આવતો હોય તેમ લાગ્યું. ઈગ્નસી પેદરેવસ્કીએ યુવાન છોકરાઓનો ભાવ સમજીને કહ્યું: ‘ના ભાઈ, આમ ન હોય.’ એમ કહીને એમણે એ હૂંડીનો કાગળ ફાડી નાખ્યો અને એમની રકમ પણ પાછી આપી. એ બંનેને કહ્યું: ‘જુઓ ભાઈ, આ ૧૬૦૦ ડોલર તમારા ખર્ચ માટે રાખો અને કામ માટે તમે બંને ૧૦ ટકા રકમ તમારી પાસે જમા રાખો, કામ કરીને કમાવ અને ભણો.’ આટલું કહીને બંનેના પરસેવાની કમાણી પાછી વાળતાં કહ્યું : ‘ભાઈ, હવે હું થોડો આરામ કરી લઉં.’

આ વાતને વર્ષોનાં વહાણાં પસાર થયાં. પ્રથમ વિશ્વ યુદ્ધ આવ્યું અને પૂરું પણ થયું. ઈગ્નસી પેદરેવસ્કી અત્યારે પોલેન્ડના વડાપ્રધાન હતા અને પોતાના વતનમાં હજારો ભૂખ્યે મરતાં લોકોનાં પેટનો ખાડો પૂરવા માટે મથતા હતા. અમેરિકાના અન્ન અને રાહત વિભાગના અધિકારી હર્બર્ટ હુવર એક એવી વ્યક્તિ હતી કે જે એમને મદદ કરી શકતી હતી. હુવરને વિનંતી કરતા એમણે તરત જ પોલેન્ડમાં હજારો ટન અનાજ મોકલી દીધું. આવી રીતે ભૂખ્યાં લોકોને અન્ન પૂરું પાડીને ઈગ્નસી પેદરેવસ્કી હર્બર્ટ હુવર પાસે એમણે કરેલી સહાય માટે એમનો આભાર માનવા પેરીસ ગયા. એમણે આભાર માન્યો એટલે હર્બર્ટ હુવરે જવાબમાં કહ્યું : ‘શ્રીમાન ઈગ્નસી પેદરેવસ્કી, તમારી વાત સાચી છે. પણ તમને એક વાત યાદ હોય એવું લાગતું નથી. જ્યારે હું કોલેજમાં અભ્યાસ કરતો હતો અને મારે આર્થિક સંકડામણ હતી ત્યારે તમે મને એક વખત મદદ કરેલી.’ આ વાર્તામાં કૃતજ્ઞતાનો મહિમા બહુ સરસ રીતે ઉપસી આવે છે. વ્યક્તિએ પોતાના પર કોઈએ કરેલા ઉપકારનું સ્મરણ હંમેશાં રાખવું જ જોઈએ અને યોગ્ય સમયે એનું વળતર વાળવું જોઈએ.

ગામ્રીણ લોકોની કોઠાસૂઝ

ભારે વરસાદને કારણે એક ગામમાં પાણીનો પ્રલય પ્રસરી ગયો. બધા ગ્રામવાસીઓ સલામત સ્થળની શોધમાં ગામને છોડી જતા હતા. સલામત જગ્યાએ પહોંચવા માટે એક નદી ઓળંગવાની હતી. નદીના કિનારે એક જ હોડી હતી. બધા એ હોડીમાં બેસી ગયા. બે બાકી રહી ગયા. એમાં એક હતો ગામનો ધનવાન લોભી વેપારી અને બીજો હતો ભીખારી. વેપારી પોતાનું ઘર છોડતાં પહેલાં પૈસેપૈસો ભેગો કરીને સાથે લેવામાં મોડો પડ્યો. બંને જણાએ હોડીમાં બેસવાનો પ્રયત્ન કર્યો હોડીના ચાલકે માત્ર એકને જ બેસવાની હા પાડી. કોણે બેસવું એ નક્કી કરવાનો પ્રશ્ન આવ્યો. ગ્રામજનોએ કહ્યું: ‘આપણા ગામને જરાય ઉપયોગી ન થનારને અહીં છોડી દઈએ. એટલે આ ભીખારી ભલે આપણી સાથે આવે.’ પેલા લોભિયા વેપારીને તો આશ્ચર્ય થયું. તેણે કહ્યું: ‘હું ગામનો સૌથી વધુ ધનવાન માણસ છું. આ ભીખારી કરતાં હું સમાજને કેવી રીતે ઓછો ઉપયોગી હોઈ શકું?’ ગ્રામજનોએ કહ્યું: ‘હા ભાઈ, આ ભીખારીને કંઈક આપીને કે સહાય કરીને અમે પુણ્ય કમાશું. અને તમારી પાસેથી કોણ ક્યારે રળ્યું છે?’ આમ કહીને ભીખારીને સાથે લઈને હોડી વહેતી થઈ.

Total Views: 49

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.