આદતની મજબૂરી

એક દિવસ એક માણસને પોતાના કાતરિયામાંથી એક જૂનું પુસ્તક મળ્યું. એનાં પાનાં પીળાં થઈ ગયાં હતાં. કેટલાંક પાનાં તો અડતાંની સાથે જ ભરભર ભૂક્કો થઈ ગયાં. એને એટલો તો ખ્યાલ આવી ગયો કે આ પુસ્તક જાદુઈશક્તિ વિશે હતું. એ પુસ્તકમાંથી એક ફકરા સિવાયની વસ્તુને એ સમજી ન શક્યો. એ ફકરામાં એવી નોંધ હતી કે કાળા સમુદ્રના કિનારે એવા લીસા પથ્થરના ટુકડા હોય છે કે જે કોઈપણ પદાર્થને સ્પર્શે તો તે પદાર્થ સોનું બની જાય. એ પુસ્તકના પ્રાચીન લેખકે એમાં લખ્યું હતું કે બીજા લીસા પથ્થર કરતા આ પથ્થરને સ્પર્શીને જ ઓળખી શકાય. બીજા બધા પથ્થર કરતા આ પથ્થર થોડો ઉષ્માવાળો હોય છે.

પેલો માણસ તો ઉપડ્યો કાળા સમુદ્રના કિનારે અને માંડ્યો એવા પથ્થરાની શોધ કરવા. સવારથી સાંજ સુધી કિનારા પરના પથ્થરને લેતો એને સ્પર્શતો અને એ ટાઢાબોળ પથરાને દૂર દરિયામાં ફેંકી દેતો.

આમ દિવસો વહેતા વહેતા કેટકેટલાય મહિના વીતી ગયા. અરે એક વરસનું વહાણું વાયું! બીજું વર્ષ આવીને એમને એમ ચાલ્યું ગયું, અને આ ભાઈ તો પેલા સુવર્ણ સ્પર્શનો પથ્થરો શોધતો રહ્યો. એનું કમનસીબ તો એ હતું કે એ વારેવારે દરિયાકિનારાના પથ્થરા હાથમાં લેતો એને ઠંડાગાર જોઈને દૂર દરિયામાં પાછા ફેંકી દેતો. હવે તો એ પથ્થરાને ઉપાડીને એને સ્પર્શીને, અને વળી પાછા દરિયામાં ફેંકી દેવાથી ટેવાઈ ગયો હતો. આ પ્રક્રિયા કેટલાય વખત સુધી ચાલ્યે રાખી. એક દિવસ તે થાકી હારી ગયો હતો. બીજા દિવસે સુવર્ણ સ્પર્શવાળા પથ્થરની શોધ કરવા દરિયાકિનારે પાછો આવવા માટે એ જવાની તૈયારીમાં હતો. બરાબર એ જ વખતે એની સામે એક આવો પથ્થરો પડ્યો હતો. એણે એ પથ્થરાને હાથમાં લીધો, જોયું તો એનો સ્પર્શ ઉષ્માભર્યો હતો; પણ પોતાની કાયમી ટેવને લીધે વગર વિચાર્યે એણે એ પથ્થર પણ દરિયામાં ફેંકી દીધો.

આ છે ટેવની પ્રબળ શક્તિ એટલે જ તમારા જીવનમાં દુ:ખ નોતરતી કુટેવોથી તમારે દૂર રહેવું જોઈએ.

કૂણું ઝાડ જેમ વાળીએ તેમ વળે

એક વિદ્વાન શિક્ષક પાસે એક ધનવાન અને સાધનસંપન્ન સદ્‌ગૃહસ્થે પોતાના પુત્રને કુટેવોથી મુક્ત કરવા વિનંતી કરી. વિદ્વાન શિક્ષકે એ જવાબદારી માથે લીધી. ધનવાનના પુત્રને પોતાના આશ્રમમાં રાખ્યો.

એક દિવસ શિક્ષક એ પુત્રને સાથે લઈને ઉદ્યાનમાં ટહેલવા નીકળ્યા. એકાએક એક સ્થળે ઊભા રહીને તેમણે વિદ્યાર્થીને કહ્યું: ‘ભાઈ, તું અહીં ઊગી નીકળેલા આ નાના નાના છોડને કાઢી શકીશ?’ વિદ્યાર્થીએ શિક્ષકની આજ્ઞાને શિરોમાન્ય ગણીને પોતાનાં આંગળાંથી એ બધા છોડ ઉખેડી નાખ્યા. એટલો ભાગ સ્વચ્છ-સુંદર થઈ ગયો. આગળ ચાલતાં ચાલતાં થોડા મોટા છોડવા આવ્યા. જ્યાં ત્યાં ઊગી નીકળેલા એ છોડવાને ઉખેડી નાખવા શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું. વિદ્યાર્થીએ પણ સારી એવી મહેનત કરીને એ બધાય છોડવા જડમૂળથી ઉખેડી નાખ્યા.

આગળ જતાં એક ઝાડી-ઝાંખરાનું ઝૂંડ આવ્યું. શિક્ષકે વિદ્યાર્થીને એ ઝાડી-ઝાંખરા તરફ આંગળી ચીંધીને કહ્યું: ‘ભાઈ, બને તો આને પણ ઉખેડી નાખ. એ બહુ નડતરરૂપ છે.’ વિદ્યાર્થીએ પોતાની બધી શક્તિ અજમાવીને એ ઝાડી-ઝાંખરાના ઝૂંડને પણ દૂર કરી દીધું. એમ કરતાં કરતાં તેઓ જામફળીના વૃક્ષ પાસે આવ્યા. શિક્ષકે વળી પાછા એ વૃક્ષને જડમૂળથી ઉખેડી નાખવા વિદ્યાર્થીને આદેશ આપ્યો. અત્યાર સુધી શિક્ષકની બધી આજ્ઞાનું આ વિદ્યાર્થી પાલન કરતો રહ્યો હતો. હવે એની શક્તિની સાચી પરીક્ષા હતી એટલે એણે એ જામફળીના થડને પકડીને હચમચાવી; પણ એ તો એમને એમ રહી. વધુ બે-એક પ્રયત્ન કર્યા પરંતુ એમાં એ નિષ્ફળ ગયો. અંતે હિંમતહારીને તેણે ગુરુજીને કહ્યું: ‘સાહેબ, આ નીકળે એમ નથી, મારા માટે એ અશક્ય છે.’

આ સાંભળીને શિક્ષકે વિદ્યાર્થીને પ્રેમથી કહ્યું: ‘બેટા, આવી જ વાત કુટેવોની છે. એ નાની હોય ત્યારે એને દૂર કરી દેવી બહુ સરળ બની રહે છે. પણ કુટેવો જ્યારે ઊંડાં મૂળિયાં નાખી દે ત્યારે એને દૂર કરવી મુશ્કેલ છે.’ શિક્ષકની આ વાતે વિદ્યાર્થીના જીવનનું પરિવર્તન કરી દીધું.

Total Views: 44

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.